
મોરબી: સમાજના દરેક વર્ગ સુધી ગુણવત્તાસભર, સુલભ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મોરબીની શ્રી આર્યતેજ હોમિયોપેથી એન્ડ જનરલ હોસ્પિટલ દ્વારા મહેન્દ્રનગર ગામની ક્રાંતિજ્યોત સોસાયટી ખાતે તાજેતરમાં નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં સ્થાનિક રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

કેમ્પ દરમિયાન પુરુષો, મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને નિઃશુલ્ક તબીબી પરામર્શ, વ્યક્તિગત આરોગ્ય નિદાન તેમજ હોમિયોપેથીક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વસ્થ જીવનશૈલી, સંતુલિત પોષણ અને વિવિધ રોગોથી બચવાના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ લોકોને હોમિયોપેથી સારવાર પ્રત્યે વધુ જાગૃત બનાવવાનો તેમજ પ્રાથમિક આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. કેમ્પ દરમિયાન આરોગ્ય જાગૃતિ અંગે પણ લોકોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડૉ. રાધિકા વ્યાસ, ડૉ. હિરલ ભટાસણા અને ડૉ. ભૂમિકા સોસાએ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી હતી. ઉપરાંત વિદ્યાર્થી વાઘેલા દીપાલી, પરમાર ધારા, જોશી રિદ્ધિ, વાઘેલા આશિષ, સુરુ શિવમ અને નાકુમ તુલસીએ દર્દી નોંધણી, વ્યવસ્થાપન અને સમગ્ર આયોજનમાં સક્રિય સહભાગિતા નોંધાવી હતી.

આયોજકોના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં પણ સમાજના વધુને વધુ લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાના હેતુથી આવા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પો અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન સતત કરવામાં આવશે.




















