
મોરબી: જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) માતૃશક્તિ અને દુર્ગાવાહિનીના સંયુક્ત ઉપક્રમે રવાપર રોડ સ્થિત નીલકંઠ સ્કૂલ ખાતે એક દિવસીય બાળ સંસ્કાર વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રશિક્ષણ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે વિહિપ માતૃશક્તિ સૌરાષ્ટ્ર પ્રાંતના ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત તથા વિહિપ દુર્ગાવાહિની ટોળી સદસ્ય કૃપાબેન લાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોમાં સુસંસ્કાર, આત્મસંયમ, વિવેક અને રાષ્ટ્રહિતની ભાવના વિકસાવી રાષ્ટ્ર સર્વોપરીના વિચાર સાથે જીવનમાં આગળ વધે તે માટે યોગ્ય ઘડતર કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

વર્ગ દરમિયાન બાળકોને નાનપણથી જ ભારતના ગૌરવશાળી ઇતિહાસ, બોધકથાઓ, દેશભક્તિ ગીતો અને સનાતન સંસ્કારો સાથે જોડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ “राष्ट्र स्वाहा, इदं राष्ट्राय, इदं न मम”ના સૂત્રને જીવનમાં આત્મસાત કરી બાળકોમાં રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારીના ગુણો વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત દુર્ગાવાહિનીની બહેનો અને માતૃશક્તિની મહિલાઓએ ઈશ્વરને સાક્ષી માની પોતાના વિસ્તારોમાં બાળકો અને નવી પેઢીમાં સનાતન સંસ્કારો, દેશભક્તિ, સદ્ગુણો અને રાષ્ટ્રભાવનાનું સિંચન કરવા માટે સંકલ્પ લીધો હતો.





















