
મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે છેલ્લા 7 થી 8 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન છે. આ વિસ્તારમાં 30 થી 40 ઘરોની શેરીમાં ભૂગર્ભ ગટરનું પાણી એટલી હદે ઉભરાઈ રહ્યું છે કે લોકોના ઘરના શૌચાલયમાં પણ ગટરના ગંદા પાણી ભરાવા લાગ્યા છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.

આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં અગાઉ 2 થી 3 વખત રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે પણ રજૂઆત કરતા સવાર સુધીમાં કામ થઈ જશે તેવો મહાપાલિકા તંત્ર દ્વારા જવાબ મળ્યો હતો. તેમ છતાં સવાર સુધી કોઈ કામગીરી ન થતા આજે સ્થાનિક લોકો કંટાળીને મહાપાલિકા કચેરીએ દોડી ગયા હતા.

ત્યાં હાજર અધિકારીઓ દ્વારા “અત્યારે નથી, આવશે ત્યારે કામ થશે” તેવા ઉડાવ જવાબો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ અડધો કલાક સુધી કચેરીએ રોકાઈને ઉગ્ર રજૂઆત કરી હતી.અંતે, સ્થાનિકોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. તેઓએ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સ્થાનિક સબીરભાઈના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 6 દિવસથી અહી રજૂઆત કરવા માટે આવે છે.

તેઓ જ્યારે પણ આવે ત્યારે તેમને એવો જ જવાબ મળે છે કે હાલ કે વાહન હાજર નથી, આજે થશે કે કાલે થશે તેવા જવાબો અપાય છે. શેરીમાં ગટર ભરાઈ ગઈ હોવાથી તેઓ રજૂઆત કરવા આવ્યા છે. સ્થાનિક મુનીબેનના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો ગંભીર પ્રોબ્લેમ છે અને બાથરૂૂમનું પાણી ક્યાંય જતું નથી. ગટરો ઉભરાઈને પાણી ઘરમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ગઈકાલે પણ રજૂઆત માટે આવ્યા હતા પરંતુ કોઈ કામ થયું નથી. છેલ્લા 5-6 દિવસથી આ સમસ્યા વધારે છે અને તેઓએ 3 વખત કોલ પણ કર્યા છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.















