
મોરબી : શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિના સોલંકી અંજારિયા પરિવારના કુળદેવી શ્રી વેરાઈ માતાજીનો પાટોત્સવ ચૈત્ર વદ ચૌદસ, તા. 16-04-2026ના રોજ સમસ્ત અંજારિયા કુટુંબ દ્વારા ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.


સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી પૂજન-અર્ચન તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું. હવનવિધિ દરમિયાન નેહા શ્યામ સુરેશભાઈ અને હેમલ કિશન સુરેશભાઈએ વિધિપૂર્વક પૂજન કરાવી શ્રીફળ હોમવાનો લહાવો લીધો હતો તથા વેરાઈ માતાજી અને સમસ્ત કુટુંબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હવન બાદ સમૂહ મહાપ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભોજન વ્યવસ્થા કુટુંબના યુવક મંડળના ભાઈઓએ સંભાળી હતી, જ્યારે બહેનોએ મંદિર શણગારવાનું સુંદર કાર્ય કર્યું હતું. તેમાં હેતલબેન, જુનીબેન, ઉર્મિલાબેન, આશાબેન, મમતાબેન અને હેમાલીબેનનો ખાસ સહભાગ રહ્યો હતો. સાંજે 5:00 વાગ્યે કુટુંબની બહેનો દ્વારા દેવસ્થાને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી માતાજીના ગરબા, ભજન, સ્તુતિ અને આરતી કરીને ભક્તિભાવમાં રંગાયા હતા. આ પ્રસંગે કુટુંબની નિયાણીઓને રોકડ રકમના કવર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી વેરાઈ માતાજીના પાટોત્સવ નિમિત્તે હવન, પૂજન, નૈવેદ્ય અને મહાપ્રસાદનો લહાવો દાતાશ્રી સ્વ. સુરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.


























