
મોરબીના: જેતપર ગામથી ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલી વીજપોલ વળતરની લડાઈ હવે આક્રમક સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને ટાવરો સામે ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર મળે તે માટે ચાલી રહેલા આ આંદોલનને ગ્રામીણ વિસ્તારોમાંથી અભૂતપૂર્વ જનસમર્થન સાંપડી રહ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની કિંમતી જમીનોમાં પાવરલાઇન અને વીજપોલ ઉભા કરી દેવામાં આવે છે, પરંતુ તેના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે છે તે તદ્દન પૂરતું હોતું નથી.

દિગ્ગજ નેતાઓના હોમટાઉનમાં જ વિરોધના સૂર: ખેડૂતોના આ આંદોલનનો અનોખો વિરોધ હવે મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. 100થી વધુ ગામોમાં સ્થાનિકો અને ખેડૂતો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી ફરમાવતા બેનરો મારી દેવામાં આવ્યા છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના પોતાના ગામ જેતપર, પૂર્વ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડિયાના ગામ ઘનશ્યામગઢ અને પૂર્વ સાંસદ મોહન કુંડારિયાના ગામ નીચી માંડલમાં પણ આવા પ્રવેશબંધીના બેનરો લાગી ચૂક્યા છે.ગામોમાં લાગેલા બેનરોથી રાજકારણ ગરમાયું

ખેડૂતો દ્વારા ગામોના પાદરે લગાવાયેલા બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કોઈપણ ઉમેદવારે પ્રચાર અર્થે ગામમાં પ્રવેશ કરવો નહીં. ગ્રામજનો અને ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને વીજપોલનું યોગ્ય અને ન્યાયી વળતર નહીં મળે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ જ રહેશે. જનપ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોના પ્રશ્ને યોગ્ય રજૂઆત કે ઉકેલ ન લાવવામાં આવતાં સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે મોરબી પંથકનું રાજકારણ ભારે ગરમાયું છે.






















