
અમદાવાદ: સૌરાષ્ટ્ર એ અવકાશ ક્ષેત્રમાં હરણફાળ ભરવાનુ હોય તેમ કોડીનાર નજીક સ્પેશ લોન્ચીંગ સ્ટેશન (સ્પેસપોર્ટ) બનાવવાની જાહેરાત રાજયના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી હતી. અમદાવાદના સાયન્સ સીટી ખાતે ત્રણ દિવસના સ્પેસ ફેસ્ટીવલ કાર્યક્રમના ઉદઘાટનમાં અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે અવકાશ વિજ્ઞાનમાં ગુજરાત મહત્વનુ રાજય છે. સૌરાષ્ટ્રના કોડીનાર નજીક સ્પેસપોર્ટ બનાવવાની કામગીરી ચાલુ જ છે. સેટેલાઈટ નિર્માણ માટે રાજય સરકાર મહત્વની સહાય પુરી પાડી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓએ કહ્યું કે, અવકાશ સંબંધીત પ્રવૃતિ સામે કોડીનાર નજીકનુ સ્થળ અત્યંત યોગ્ય છે અને તેને કારણે કેટલાક વખતથી પ્રોજેકટ પર ચર્ચા ચાલુ છે.

ભારતનું સૌથી મહત્વનું સ્પેસપોર્ટ આંધ્રપ્રદેશનું શ્રી હરિકોટ છે. આ સિવાય તામીલનાડુ કુલાસેકરાયટીનમમાં નવા સ્પેસપોર્ટનું કામ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના કોડિનાર નજીક સ્પેસપોર્ટનો પ્રોજેક્ટ પ્રાથમિક તબકકે છે. પસંદ થયેલા સ્થળ પર ઇસરોના સહયોગથી ટેકનીકલ પાસાઓની ચકાસણી-પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. અગાઉના રીપોર્ટ મુજબ ગુજરાતમાં અવકાશ પ્રવૃત્તિ માટે ગીર કોડિનાર વચ્ચેની દરિયાઇપટ્ટીને અત્યંત યોગ્ય ગણાવવામાં આવી હતી.

અર્જુન મોઢવાડિયાએ ગત માર્ચ મહિનામાં વિધાનસભામાં એમ કહ્યું હતું કે સ્પેસપોર્ટ માટે સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા પણ અગાઉ અવકાશક્ષેત્રમાં પ્રવેશ કરી લેવાયો હતો. વર્ષના પ્રારંભે ઘોલેરા નજીક સ્ટાર્ટઅપ દ્વારા સફળ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 20થી વધુ સ્ટાર્ટઅપ અને અન્ય સંસ્થાઓ સ્પેસ ટેકનોલોજીમાં કાર્યવાહી કરી રહી છે. અમદાવાદ નજીક ખોરાજ ખાતે સ્પેસ ટેકનોલોજી માટે સ્પેશ્યલ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.






















