
મોરબી, 22 ઓગસ્ટ : મોરબી જિલ્લાના સર્વાંગી વિકાસ અને પ્રજાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ તેમજ પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજાઈ હતી.

બેઠક દરમિયાન મોરબી-રાજકોટ માર્ગની બિસ્માર હાલત અંગે રજૂઆત કરવામાં આવી હતી. પ્રજાને પડતી હાલાકી ધ્યાને લઈ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ પ્રજાહિતમાં કડક સૂચનાઓ આપી માર્ગની જરૂરી કામગીરી તાત્કાલિક હાથ ધરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત સરકારી જમીનના પ્રશ્નો તેમજ સરકારી કર્મચારીઓને ક્વાર્ટરની ઓનલાઈન ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોરબીને વધુ વિકસિત અને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે ‘ટૂરિઝમ હબ’ બનાવવાની દિશામાં જરૂરી આયોજન અંગે પણ સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મોરબીમાં ‘નમો વન’ના નિર્માણ સહિતના વિવિધ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ વન સંરક્ષક ડૉ. સુનિલકુમાર બેરવાલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) યુવરાસિંહ ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી સહિત પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તેમજ જિલ્લાના વિવિધ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




















