બહેનો અને પરિવારોને સુરક્ષિત તથા પારિવારિક માહોલ મળી રહે તેવા આશયથી આયોજન

મોરબી: આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ-૨૦૨૯ દ્વારા બહેનો અને પરિવારો માટે નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બહેનોને સુરક્ષિત, શિસ્તબદ્ધ અને પારિવારિક વાતાવરણમાં ગરબાની તાલીમ મળી રહે તે મુખ્ય હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષે મોરબી પાટીદાર યુવા સંઘ દ્વારા કેટલાક ખાનગી દાંડિયા ક્લાસીસ સામે મુહિમ ચલાવવામાં આવી હતી. તેના અનુસંધાને આ વર્ષે બહેનો તેમજ પરિવારોને સુરક્ષિત અને પારિવારિક માહોલ મળી રહે તે માટે ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી છે.

આ નિઃશુલ્ક ગરબા ક્લાસીસમાં માત્ર બહેનો અને ફેમિલી બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે. બહેનો માટે સાંજે ૫થી ૭ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે, જ્યારે ફેમિલી બેન્ચ માટે રાત્રે ૯થી ૧૧ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ખાસ કરીને બહેનો માટેના ક્લાસીસમાં માત્ર બહેનો દ્વારા જ ગરબાની તાલીમ આપવામાં આવશે. જ્યારે ફેમિલી બેન્ચમાં પણ બહેનોને બહેનો અને ભાઈઓને ભાઈઓ દ્વારા જ તાલીમ આપવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે બહેનો અને પરિવારજનોને અનુકૂળ, શિસ્તબદ્ધ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો પ્રારંભ તા.૨૬ના રોજ રાત્રે ૯ કલાકે કરવામાં આવ્યો છે. મોરબીના જે ખેલૈયાઓ તથા પરિવારો આ નિઃશુલ્ક ગરબા તાલીમમાં જોડાવા ઇચ્છતા હોય તેઓ એરોબિક્સ ગ્રાઉન્ડ, એસ.પી. રોડ, સરદાર આર્કેડ પાછળ, મોરબી-૧ ખાતે પહોંચી શકશે.

ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા મોરબીના ખેલૈયાઓ, બહેનો અને પરિવારોને આ નિઃશુલ્ક ગરબા ક્લાસીસનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.



















