Author: admin

  • દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં તરબોળ, રાજ્યના 100 તાલુકામાં મેઘમહેર

    રાજ્યમાં હાલ પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત બાદ આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં 4.45 ઇંચ વરસાદ ખાબકતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા. આજે વહેલી સવારથી મેઘરાજા મનમૂકીએને વરસી રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. દ્વારકાની ગલીઓમાં જાણે નદીઓ વહી રહી હોય એવા દ્વશ્યો નજરે પડી રહ્યા છે. દ્વારકાધીશ મંદિરની સીડીઓ પર ખળખળ વરસાદી પાણી વહી રહ્યા છે.


    અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં 3.5 ઇંચ, ધરમપુરમાં 3.46, દ્વારકાના કલ્યાણપુરમાં 3.43 ઇંચ, તાપીના વ્યારામાં 3.35 ઇંચ, ડાંગ-આહવામાં 3.11 ઇંચ અને તાપીના સોનગઢમાં 3.07 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 13 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ, જ્યારે 10 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.


    ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ
    રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.


    હવામાન વિભાગની આગાહી
    ગુજરાત હવામાન વિભાગ દ્વારા વધુ એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 5 જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જો કે ગુજરાતના અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે.


    ક્યાં ક્યાં રેડ એલર્ટ
    હવામાન વિભાગ અનુસાર, શનિવારે (પાંચમી જુલાઈ) ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું.


    છઠ્ઠી અને સાતમી જુલાઈની આગાહી
    રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.


    આઠમીથી 10મી જુલાઈની આગાહી
    આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

  • ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી : પંચમહાલમાં 3ના મોત

    ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસની એન્ટ્રી : પંચમહાલમાં 3ના મોત

    આરોગ્યતંત્ર એકશનમાં : પુડુચેરી – પુનાથી નિષ્ણાંતો તેડાવાયા

    પંચમહાલ જિલ્લામાં રેત માખીઓથી ફેલાતો શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ ફરી સક્રિય થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું છે. 7 દિવસમાં ચાર કેસ નોંધાયા હતા, જેમાંથી ત્રણ બાળકોના મોત થયા હતા.


    જો કે આ ત્રણેય દર્દીમાં ચાંદીપુરા વાઈરસના કોઇ લક્ષણ દેખાયા ન હતા, પરંતુ તાવ સાથે ખેંચના કારણે મૃત્યુ નીપજ્યાં હતા. આ તમામ દર્દીઓને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા હતા. જે પૈકી ગોધરા તાલુકાના ડોકવા ગામનું એક બાળક તાવ  સાથે ખેંચની બીમારીની સારવાર હેઠળ છે.


    આ બાળકનું સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલાયું છે. સ્થિતિની ગંભીરતા જોતા, પુડ્ડુચેરીની એક હેલ્થ ટીમ અને પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે.


    રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ સાથે આ ટીમો વાઈરસના ફેલાવા, તેના કારણો અને તેને નિયંત્રિત કરવા માટેના પગલાં અંગે તપાસ કરી રહી છે. ટીમો દ્વારા સેમ્પલો લેવાઈ રહ્યા છે.
    ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે.તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે.


    ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.

  • વોટ્સઍપનું નવું ફીચર્સ : વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ સ્કેન કરી બનાવી શકાશે PDF

    વોટ્સઍપનું નવું ફીચર્સ : વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ સ્કેન કરી બનાવી શકાશે PDF

    અત્યાર સુધી કોઈ ડોક્યુમેન્ટ કે ફોટો સ્કેન કરવો હોય તો એ માટે અલગથી ઍપ ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ ફીચર વોટ્સઍપમાં પણ ઉપલબ્ધ થઈ ગયું છે. આ ફીચર વાપરીને વોટ્સઍપમાં જ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ (PDF) ફાઇન બનાવી શકાશે.

    વોટ્સઍપના નવાં ફીચર્સ ટ્રેક કરનારી વેબસાઇટના રિપોર્ટ મુજબ, વોટ્સઍપ પર ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું ફીચર આવી ગયું છે. ઍન્ડ્રોઇડ બીટા ટેસ્ટર્સ માટે આ નવું ફીચર આવ્યું છે.

    જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટ કે ફોટોને સ્કેન કરી શકાશે. છેલ્લા થોડા મહિનાઓથી એપલના ફોનમાં આ ફીચર ઉપલબ્ધ હતું. ગુગલ પ્લેસ્ટોરમાંથી વોટ્સઍપનું લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરવાથી આ ફીચર કાર્યરત થઈ જશે.

  • ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઈસરોનું સ્પેસ સેન્ટર આકાર લેશે

    ગુજરાતમાં દીવ અને વેરાવળ વચ્ચે ઈસરોનું સ્પેસ સેન્ટર આકાર લેશે

    ગુજરાતમાં આવી રહ્યો છે સૌથી મોટો પ્રોજેક્ટઃગુજરાત અવકાશ મથક કેન્દ્ર-રાજ્ય સહયોગી પહેલ હેઠળ PPP મોડેલ પર વિકસાવવામાં આવશે

    ગુજરાત અવકાશ મિશન નીતિ મોટા આર્થિક અને તકનીકી લાભો પ્રદાન કરશે. એક્વોટરની ગુજરાતની નિકટતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારીને વેગ આપશે. ઇસરોનો ૭૦ ટકા કાર્યક્રમ હવે સંદેશાવ્યવહાર, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન-૫, મુખ્ય-પર-મુખ્ય ગગનયાન અને શુક્ર ઓર્બિટ મિશન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે.

    ઈસરો શ્રીહરિકોટા પછી ગુજરાતમાં દેશનું બીજું સૌથી મોટું અવકાશ મથક બનાવવા જઈ રહ્યું છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. CNBC-Awaaz એ આ મુદ્દે ISRO ના ડિરેક્ટર સાથે વિશિષ્ટ વાતચીત કરી છે.

    આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર ગુજરાતમાં રૃ.૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે બનાવવામાં આવશે. ગુજરાત અવકાશ મથક કેન્દ્ર-રાજ્ય સહયોગી પહેલ હેઠળ PPP મોડેલ પર વિકસાવવામાં આવશે. આ હાઇ-ટેક સ્પેસ સ્ટેશન દીવ અને વેરાવળ વચ્ચે બનાવવામાં આવશે. SALV-PSLV અહીંથી લોન્ચ કરવામાં આવશે.

    નોંધનીય છે કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) નું મુખ્ય રોકેટ લોન્ચ પેડ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અવકાશ કેન્દ્રમાં છે. અહીંથી જ ભારતે અત્યાર સુધીમાં ઘણા ઐતિહાસિક મિશન લોન્ચ કર્યા છે. PSLV અને GSLV જેવા રોકેટની મદદથી, દેશ અને વિશ્વના ઘણા ઉપગ્રહોને આ કેન્દ્રથી અવકાશમાં મોકલવામાં આવ્યા છે.

    ગુજરાત અવકાશ મિશન નીતિ મુખ્ય આર્થિક અને તકનીકી લાભો પ્રદાન કરશે. એકવોટરની ગુજરાતની નિકટતા અવકાશ પ્રક્ષેપણમાં ક્રાંતિકારી ધાર આપશે. ISRO ના કાર્યક્રમનો ૭૦ ટકા ભાગ હવે સંદેશાવ્યવહાર, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ પર કેન્દ્રિત છે. ચંદ્રયાન ૫, મુખ્ય ગગનયાન અને શુક્ર ભ્રમણકક્ષા મિશન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થશે. ગુજરાત અવકાશ મથક ભારતના અવકાશ મિશનને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

    તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે એપ્રિલ ૨૦૨૫ માં વિવિધ પ્રોત્સાહનો અને નાણાકીય સહાય દ્વારા અવકાશ ટેકનોલોજી ક્ષેત્રના ઉદ્યોગોને ટેકો આપવા માટે એક સમર્પિત નીતિની જાહેરાત કરી હતી. આ જણાવાયું છે કે સ્પેસટેક પોલિસી ૨૦૨૫-૨૦૩૦ ના લોન્ચ સાથે, ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે અવકાશ ક્ષેત્ર માટે ખાસ નીતિ બનાવી છે. આ નીતિના અસરકારક અમલીકરણ માટે, ગુજરાત સરકાર ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO), ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને ઓથોરાઇઝેશન સેન્ટર અથવા IN-SPACE અને કેન્દ્ર સરકારના અવકાશ વિભાગ સાથે કામ કરી રહી છે.

  • ગુજરાતમાં જરૂર પડયે વધુ NDRFની ટીમ મોકલાશેઃ અમિતભાઇ

    ગુજરાતમાં જરૂર પડયે વધુ NDRFની ટીમ મોકલાશેઃ અમિતભાઇ

    રાજયમાં વરસાદી પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ સાથે વાત કરી

    રાજયમાં વરસાદી માહોલ જામ્‍યો છે. મેઘરાજા વિવિધ વિસ્‍તારોમાં સટાસટી બોલાવી રહયા છે. ત્‍યારે રાજય સરકાર દ્વારા ગમે તે પરિસ્‍થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

    કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇએ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ સાથે ટેલીફોનીક વાતચીત કરી ગુજરાતમાં વરસાદની સ્‍થિતિ જાણી હતી. અમિતભાઇએ જણાવેલ કે, હાલ રાજયમાં એનડીઆરએફની ટીમો પુરતા પ્રમાણમાં તૈનાત છે. જો જરૂર પડશે તો વધુ ટીમો પણ મોકલવામાં આવશે.

    આ અઠવાડીયામાં સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના વિસ્‍તારોમાં ભારે વરસાદ પડયો છે. ત્‍યારે ગૃહમંત્રી શાહે સ્‍થિતિ જાણી હતી.

  • મોરબી જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો; સંયુક્ત રેડ પાડી ૩ બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા

    મોરબી જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો; સંયુક્ત રેડ પાડી ૩ બાળકોને ભિક્ષાવૃત્તિ કરતા અટકાવાયા

    મારો જિલ્લો બાળ ભિક્ષા મુક્ત જિલ્લો અંતર્ગત મોરબી શહેરી વિસ્તારમાં બાળ સુરક્ષા ટીમ તેમજ AHTU ( Anti  Human trafficking Unit) ના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાને બાળ ભિક્ષા મુક્ત કરવા સહીયારો પ્રયાસના ભાગ રૂપે સયુકત રેડ કરવામાં આવી હતી.

    મોરબીના જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી જેના ભાગરૂપે અન્ય રાજ્યના ત્રણ બાળકો મળી આવતા તેમને ભિક્ષા માંગવાની આ પ્રવૃત્તિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના વાલીઓને આ બાળકો સોંપી તેમને અને વાલીઓને શૈક્ષણિક અને સંસ્થાકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

  • મહોરમના તહેવાર અનુલક્ષીને વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાન વિવિધ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું

    મહોરમના તહેવાર અનુલક્ષીને વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાન વિવિધ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ બહાર પડાયું

    વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે અને વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો સાંકળા હોય,

    મોટા વાહનો અંદર આવવાથી અવાર નવાર ટ્રાફીકની સમસ્યા રહેતી હોય, વાહન અકસ્માતના બનાવો બનવાની સમસ્યા સર્જાય તેમ છે. વધુમાં આગામી તા.૦૫, ૦૬ અને ૦૭ જુલાઈ દરમિયાન વાંકાનેર શહેરમાંથી મહોરમના તહેવાર અનુસંધાને તાજીયા નીકળનાર હોય,

    જે તાજીયા વાંકાનેર શહેર વિસ્તારમાં લક્ષ્મીપરા, વાંઢા લીમડા ચોક, ધર્મ ચોક, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, હરીદાસ રોડ, પ્રતાપ રોડ, માર્કેટ ચોક, દિવાનપરા, જીનપરા જકાતનાકા મેઇન રોડ, જકાતનાકા હાઇવે તેમજ નેશનલ હાઇવે ૮-એ પરથી વાંકાનેર મીલ પ્લોટ સુધી પસાર થનાર હોય, જેથી વાંકાનેર શહેરના મુખ્ય માર્ગો પર વાહનો તેમજ પગપાળા માણસોની અવર જવર બહોળી પ્રમાણમાં રહે છે.

    અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે મળેલ સત્તાની રૂએ મોરબી-વાંકાનેરથી-રાજકોટ તરફ જતા વાહનો માટે શહેરના મુખ્ય માર્ગ પર તા.૦૫/૦૭/૨૦૨૫ના સવારના કલાક-૦૮/૦૦ થી તા.૦૭/૦૭/૨૦૨૫ના કલાક-૨૪/૦૦ વાગ્યા સુધી વૈકલ્પિક માર્ગ તરફ આવવા જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

    વૈકલ્પિક રૂટ-૧: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા,જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-વાંકીયાગામ થઇ નેશનલ હાઇવે તરફ આવી જઇ શકશે.

    વૈકલ્પિક રૂટ-૨: મોરબી તરફથી આવતા ભારે વાહનો નેશનલ હાઇવે વાંકીયા ગામ થઇ રાતી દેવરી થી સરકારી હોસ્પીટલ રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી દિવાનપરા રોડ થઇ બસ સ્ટેન્ડ રોડ થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુ થી રાજકોટ રોડ તથા અમરસર ગામ મીતાણા ટંકારા, જામનગર તરફ આવી જઇ શકશે.

    વૈકલ્પિક રૂટ-૩: રાજકોટ શહેર તથા ટંકારા મીતાણા, જામનગર તરફ થી આવતા ભારે વાહનો અમરસર ફાટક થી સ્વામી વિવેકાનંદજી સ્ટેચ્યુથી બસ સ્ટેન્ડ રોડ થી દિવાનપરા રોડ થઇ અમરસિંહજી બાપુના સ્ટેચ્યુ થી સરકારી હોસ્પીટલ રોડ થઇ રાતીદેવરી ગામથી-જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.

    વૈકલ્પિક રૂટ-૪: ટંકારા, લજાઇ થી આવતા વાહનો જડેશ્વર રોડ થઇ મોરબી તરફ આવી જઇ શકશે.

    આ જાહેરનામામાંથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, સ્કુલ/કોલેજના વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઇઓના અમલમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.

  • BRTS બસમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનો માટે મફત મુસાફરી

    BRTS બસમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનો માટે મફત મુસાફરી

    અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરી માટે વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે BRTS બસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો મફતમાં મુસાફરી કરી શકશે. અગાઉ બસમાં મુસાફરી માટે 75 વર્ષની વયમર્યાદા હતી, જેમાં હવે ઘટાડો કરીને 65 વર્ષ કરવામાં આવ્યો છે.

    સાથે જ, પહેલા 40% રકમ ચૂકવીને મળતા મુસાફરી પાસ પર મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે પણ હવે સિટી બસમાં સંપૂર્ણપણે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંને કેટેગરીના લાભાર્થીઓને દર વર્ષે પોતાનો પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.

    અત્યાર સુધી BRTS બસ સેવા બાબતે ડ્રાઈવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળતી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં બસ ડ્રાઈવરો વિરુદ્ધ કુલ 792 ફરિયાદો નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પરિવહન અને અન્ય સેવાઓને મજબૂત બનાવવા માટે અંદાજે 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

  • મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર અપાયું

    મોરબી જિલ્લા આહીર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર અપાયું

    આહીર સમાજ અગ્રણી તથા સર્વે સમાજને સાથે રાખી ચાલનાર હીરાભાઈ જોટવા વિરુદ્ધ તદ્દન ખોટી તેમજ પાયાવિહોણી ફરિયાદ કરવામાં આવેલ છે. અને કોઈ રાજકીય કિન્નાખોરી રાખી સતત લોકોમાં હીરાભાઈના વધતા જતા પ્રભાવને જોઈ કોઈપણ યોગ્ય પુરાવા વિના સીધી સંડોવણી ન હોવા છતા હીરાભાઈને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.”

    સત્ય પરેશાન હોય શકે પરંતુ ક્યારેય પરાજિત ન થઈ શકે” આ વિચારધારા સાથે એકલા લડવાનો તેમને નિર્ણય લીધા બાદ સમાજને મદદરૂપ થવાની હરહંમેશની ભાવનાને ધ્યાને રાખી સ્વયંભૂ આહીર સમાજે તેમની સાથે ઉભો રહેવાનું નક્કી કરેલ છે. ત્યારે આહીર સેના મોરબી જીલ્લા તેમજ આહીર સમાજ મોરબી દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

    ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

    ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 9 જુલાઈ સુધી રાજ્યના 11થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ રાજ્યના 6 જિલ્લામાં રેડ ઍલર્ટ અને 20થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

    6 જિલ્લામાં રેડ ઍલર્ટ

    હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (3 જુલાઈ) સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (4 જુલાઈ) બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    5 જુલાઈની આગાહી

    5 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    6 જુલાઈની આગાહી

    6 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    7 થી 9 જુલાઈની આગાહી

    રાજ્યમાં આગામી 7 થી 9 જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.