
હળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બ્રાહ્મણી-2 ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને કારણે મયુરનગરથી રાયસંગપરને જોડતા માર્ગ પર આવેલા કોઝવેનો એક તરફનો ભાગ ધોવાઈ જતા તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે આ માર્ગ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.

કોઝવેનો ભાગ ધોવાઈ ગયાની જાણ થતાં જ સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે માર્ગ પર વાહનોની અવરજવર અટકાવી સ્થળ પર જરૂરી સુરક્ષા અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

હાલ પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી વાહનચાલકો અને ગ્રામજનોને ધોવાયેલા કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. પાણીનું સ્તર ઘટ્યા બાદ કોઝવેની સ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે અને માર્ગ સુરક્ષિત બન્યા બાદ વાહનવ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો તથા આસપાસના ગામોના લોકોને સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, બંધ કરાયેલા માર્ગનો ઉપયોગ ન કરવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓને અનુસરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.





















