મહેન્દ્રનગર STપીની તપાસ સમયે ટ્રીટમેન્ટ બંધ હતી; બેઠા પુલ નીચે મોરબી શહેરનું ગટરનું પાણી સીધું વહી રહ્યું

મોરબી : મચ્છુ-3 ડેમમાંથી છોડાયેલા પાણીમાં અનેક જગ્યાએ દેખાયેલા ફીણ અંગે ઊઠેલા કેમિકલ નિકાલના શંકાસ્પદ મુદ્દે જીપીસીબીની તપાસમાં કેમિકલ કારણભૂત ન હોવાનું સામે આવ્યું છે. જીપીસીબીના અધિકારી સંજય માલસાતરે જણાવ્યું કે આ ફીણ કેમિકલથી નહીં, પરંતુ વરસાદી પાણીમાં ઘરગથ્થુ ગટરનું ડિટર્જન્ટવાળું પાણી ભળવાથી અને પાણીના પછડાટથી બનેલું છે.

સંજય માલસાતર મુજબ ચોમાસામાં વરસાદી પાણી સાથે ગટરનું પાણી પ્રવાહમાં જોડાય છે. તેમાં રહેલા ડિટર્જન્ટના તત્ત્વો જ્યારે ચેકડેમ કે ઊંચાઈ પરથી નીચે પડતાં પાણીના જોરથી પછડાટ પામે છે ત્યારે ફીણ ઉત્પન્ન થાય છે. ડેમ પાસે આવેલી વેલ હોવાને કારણે આ ફીણ આગળ વહી શકતા નથી અને ત્યાં જ જમા થવાથી મોટા ફુગ્ગા જેવો આકાર લે છે.

અધિકારી સંજય માલસાતરે વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન મહેન્દ્રનગર ખાતે આવેલા STપીની મુલાકાત લેવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ ચાલુ ન હતી, જેના કારણે ડિટર્જન્ટવાળું ગંદુ પાણી સીધું જ પ્રવાહમાં ભળી રહ્યું હતું. ઉપરાંત બેઠા પુલ નીચે આવેલા મોટા ગરનાળામાંથી પણ મોરબી શહેરનું ગટરનું પાણી સીધું વહી રહ્યું હોવાનું નિરીક્ષણમાં આવ્યું.

આ કેસમાં તપાસ પૂર્ણ કરીને વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કલેક્ટરને ટેલિફોનિક તથા સત્તાવાર રીતે જાણ કરી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાણીમાં કેમિકલયુક્ત તત્ત્વો હોવાનું મળી આવ્યું નથી અને ફીણની સમસ્યા ડિટર્જન્ટ તથા પાણીના પછડાટને કારણે સર્જાઈ છે.





















