HomeAllમોરબી સિરામીક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા રજુઆત

મોરબી સિરામીક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા રજુઆત

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધની સ્થિતિ થોડી થાળે પડે છે તેમ છતાં પણ ઉદ્યોગકારોને ડીઝલ માટે હેરાન ગતિનો સામનો કરવો પડે છે જેથી કરીને રિટેલ આઉટલેટ્સ દ્વારા ડીઝલ સપ્લાય પરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા માટેની મોરબી સિરામિક એસો. દ્વારા પીએમ, સીએમ સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા, નરેન્દ્રભાઈ સંઘાત, સંદીપભાઈ કુંડારિયા અને અજયભાઈ મારવાણિયા દ્વારા પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભઈ સંઘવીને લેખતીમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મધ્ય પૂર્વમાં પ્રવર્તતી યુદ્ધ સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડીઝલની ઉપલબ્ધતા અને સમાન વિતરણ સુનિશ્ર્ચિત કરવા માટે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો અને રિટેલ આઉટલેટ્સ દ્વારા ડીઝલના વેચાણને પ્રતિ ગ્રાહક મહત્તમ 200 લિટર સુધી મર્યાદિત રાખવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જો કે, સિરામિક કારખાનામાં ઉત્પાદન સતત ચાલુ રહે છે અને ઉત્પાદનની કામગીરી માટે અવિરત વીજ પુરવઠાની જરૂર પડે છે. પરંતુ વીજળી પુરવઠામાં વારંવાર વિક્ષેપો આવવાના લીધે કારખાનામાં જનરેટર ચલાવવાની ફરજ પડી છે. જો કે, ડીઝલનો પૂરતો જથ્થો મળતો નથી જેથી કરીને ઉદ્યોગકારોથી લઈને સામાન્ય નાગરિક સુધીના લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

જેથી હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ હળવી થઈ ગઈ છે તેને ધ્યાન લઈને સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ પરિપત્ર બાબતે પુનવિચાર કરીને રિટેલ આઉટલેટ્સ દ્વારા ડીઝલ સપ્લાય ઉપર મૂકવામાં આવેલ પ્રતિબંધ પાછો ખેંચી લેવામાં આવે અથવા તો સિરામિક ઉદ્યોગ જેવા ઉદ્યોગોને તેમાંથી મુકિત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments