મોરબીમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા ઝુંબેશ: 13 વોર્ડમાં સફાઈ અને દવાનો છંટકાવ શરૂ

દરેક વોર્ડમાં 5 સફાઈ કામદારોની વિશેષ ટીમ; પાણીભરાયેલા ખાબોચિયાંમાં DDT સહિત દવાઓ મૂકાઈ

મોરબી : વરસાદી માહોલ બાદ શહેરમાં રોગચાળો ન વકરે તે માટે મોરબી મહાનગરપાલિકાએ શહેરના તમામ 13 વોર્ડમાં સફાઈ અને દવાનો છંટકાવ ઝુંબેશ સ્વરૂપે શરૂ કર્યો છે. દરેક વોર્ડ માટે ટીમો ઉભી કરી કામગીરી તેજ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દરેક વોર્ડમાં 5 સફાઈ કામદારોની વિશેષ ટીમ કાર્યરત છે. શહેરમાં ગારો, કાદવ-કીચડ અને વરસાદી પાણી ભરાયેલા ન રહે તે માટે માર્ગો અને જાહેર સ્થળોએ સફાઈ, ડસ્ટિંગ અને ક્લીનિંગ સતત હાથ ધરાયું છે.

મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે પાણીભરાયેલા ખાબોચિયાં અને સ્થિર પાણીવાળા સ્થળોએ DDT પાવડર સહિત અન્ય દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર મુજબ આ કામગીરી દ્વારા મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં રાખીને નાગરિકોના આરોગ્યનું સંરક્ષણ કરવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.