ધ્વજારોહણ, ગુરુપૂજન, ભજન-ધૂન અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના લીલાપર રોડ પર ગંગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા ગિરનારી આશ્રમ ખાતે આગામી તા. 29 જુલાઈ, 2026ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સદ્ગુરુ દેવ પ્રયાગગીરી મહારાજ, ગણેશગીરી મહારાજ અને 1008 મહંત મદનગીરી મહારાજના સાંનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

ગુરુપૂર્ણિમા મહોત્સવના પૂર્વસંધ્યાએ તા. 28 જુલાઈને મંગળવારના રોજ રાત્રે 8થી 12 વાગ્યા દરમિયાન સીતારામ ધુન-ભજન મંડળ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 29 જુલાઈને બુધવારના રોજ સવારે 8 વાગ્યે ધ્વજારોહણ અને સવારે 8:15 વાગ્યે ગુરુપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે ગોકુળના બાલા હનુમાન ધુન મંડળ દ્વારા ધૂન યોજાશે, જ્યારે બપોરે 12 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ નિયમિતપણે ચલાવવામાં આવે છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલા સુધી જઈ દરરોજ અંદાજે 60 લિટર દૂધ પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત કૂતરાઓને રોટલા ખવડાવવા તેમજ આશ્રમ ખાતે આવતા પક્ષીઓને નિયમિત ચણ નાખવા જેવી જીવદયા પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદનો લાભ લેવા સાધવી મહંત હંસાગીરી માતાજી તથા ગુરુદેવ દેવ પ્રયાગગીરી મહારાજ દ્વારા ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



















