
મોરબી જિલ્લા સહકારી પરિવાર અને સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે 30 જુલાઈએ રક્તદાન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

ટંકારા : ખેડૂત આગેવાન સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા સહકારી પરિવાર અને સર્વ સમાજના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 30 જુલાઈ 2026, ગુરુવારના રોજ આ સેવાકીય કાર્યક્રમ યોજાશે. રક્તદાન કેમ્પ બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી કડવા પાટીદાર સમાજ વાડી, જામનગર હાઇવેની બાજુમાં, લતીપર રોડ, કલ્યાણપર, તા. ટંકારા ખાતે યોજાશે.

‘રક્તદાન એ જ મહાદાન’ના સંદેશને સાર્થક કરવાની સાથે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિને સેવાકીય કાર્ય દ્વારા વંદન કરવાના ઉદ્દેશથી આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકો દ્વારા મોરબી જિલ્લા તેમજ ટંકારા પંથકના નાગરિકોને મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. સર્વ સમાજના લોકો રક્તદાનના આ સેવાયજ્ઞમાં જોડાઈ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.




















