મોરબી જિલ્લામાં આજે લોકશાહીના પર્વ નિમિત્તે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ખાખી વર્દીનો એક માનવીય ચહેરો સામે આવ્યો છે. મોરબી જિલ્લા પોલીસના જવાનોએ પોતાની સુરક્ષાની ફરજની સાથે-સાથે સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મતદાન મથકો પર પહોંચવામાં મુશ્કેલી અનુભવતા અશક્ત અને વૃદ્ધ મતદારોની વહારે પોલીસકર્મીઓ આવ્યા હતા. પોલીસ જવાનોએ આ વૃદ્ધોને હાથ પકડીને કે જરૂર જણાય ત્યાં તેડીને મતદાન મથકની અંદર સુધી પહોંચાડ્યા હતા, જેથી તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
વિવિધ મતદાન મથકો પર મદદનો અવિરત પ્રવાહ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસકર્મીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતા સીમિત ન રહેતા, સામાજિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે. અનેક સ્થળોએ જ્યારે વ્હીલચેરની સુવિધા ઓછી જણાતી હતી અથવા રસ્તો ઉબડ-ખાબડ હતો, ત્યારે પોલીસે સક્રિય થઈને લોકોને મદદ કરી હતી. પોલીસની આ તત્પરતાને જોઈને અનેક વરિષ્ઠ નાગરિકોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
સોશિયલ મીડિયા પર પણ પોલીસ જવાનો દ્વારા વૃદ્ધોને મદદ કરતી તસવીરો વાયરલ થઈ રહી છે, જેની નાગરિકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકશાહીને મજબૂત બનાવવામાં પોલીસનું યોગદાન મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તમામ બૂથ પર જવાનોને સંવેદનશીલતા સાથે વર્તવાની સૂચના આપવામાં આવી હતી.
પોલીસની આ મદદને કારણે એવા ઘણા લોકો મતદાન કરી શક્યા જેઓ શારીરિક મર્યાદાને કારણે ઘરે રહેવાનું વિચારી રહ્યા હતા. પોલીસના આ માનવીય અભિગમે લોકોનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બનાવ્યો છે. આમ, મોરબી પોલીસે “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક કરતા સાચા અર્થમાં માનવતા મહેકાવી છે અને લોકશાહીના આ પર્વને વધુ ગરિમામય બનાવ્યો છે.
એકતરફ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝને લઈ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજીતરફ ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ લાંબા સમયના પ્રયાસ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ આવતીકાલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સહી કરવાના છે. આ ડીલ બાદ બંને દેશો વચ્ચે વેપાર બમણો કરવાનું લક્ષ્યાંક રખાયું છે.
પીટીઆઈના રિપોર્ટ મુજબ, આવતીકાલે 27 એપ્રિલે દિલ્હીના ભારત મંડમમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે. આ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી ટૉડ મૈક્લે ઉપસ્થિત રહેશે. 22 ડિસેમ્બર-2025માં બંને દેશો વચ્ચે એફટીએ પર ચર્ચા-વિચારણા થઈ હતી, ત્યારબાદ આ ડીલ ફાઈનલ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે, હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.FTAથી શું ફાયદા થશે?
બંને દેશો વચ્ચે FTA પર કરાર થયા બાદ એકબીજાને ટેક્સ વગર સામાન મોકલાવી શકશે. આનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અસ્થાયી રોજગાર વીઝાની સુવિધામાં વધારો થશે. જ્યારે ભારતીય કંપનીઓ સરળતાથી દવાઓ અને મેડિકલ સાધનોની નિકાસ કરી શકશે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત એ છે કે, ભારત ન્યૂઝીલેન્ડથી આયાત થતી 95% પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડશે અથવા ખતમ કરશે. આ પ્રોડક્ટમાં ઉન, કોલસો, વાઈન, એવોકાડો અને બ્લૂબેરી જેવી પ્રોડક્ટ સામેલ છે. ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગને રાહત
ભારતે મુક્ત વેપાર કરાર કરતી વખતે ખેડૂતો અને એગ્રીકલ્ચર ઉદ્યોગના હિતને પણ ધ્યાને રાખ્યું છે. FTAમાંથી ડેરી અને ખાદ્ય તેલ, શાકભાજી જેવી ચીજવસ્તુઓને બહાર રાખવામાં આવી છે. રિપોર્ટ મુજબ, ભારત-ન્યૂઝીલેન્ડે આગામી પાંચ વર્ષમાં વેપાર પાંચ અબજ ડૉલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે.
ભારત-ન્યૂઝીલેન્ડ અનેક સેક્ટરોમાં ભાગીદારી વધારે તેવી આશા
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈરાન વચ્ચે વિવાદના કારણે ભારતીય નિકાસકારો પર ગંભીર અસર થઈ છે. આવી સ્થિતિમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે FTA ડીલથી નિકાસકારોને મોટો લાભ થશે. આ કરારના કારણે ભારતીય નિકાસકારો ન્યૂઝીલેન્ડમાં નિકાસ વધારી શકશે. આ સમજૂતીથી સર્વિસ સેક્ટરથી લઈને એગ્રીકલ્ચર સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધવાની પણ આશા વ્યક્ત કરાઈ છે.
અત્યારે આપણે લગભગ બેધડક કહી શકીએ કે ભારતમાં સ્માર્ટફોન ધરાવતા બધા લોકો વોટ્સએપ પર સક્રિય હશે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ મોટી ઉંમરના લોકો પણ ફોનમાં કમ સે કમ વોટ્સએપમાં એક્ટિવ થઈ ગયા છે.
પરંતુ આને કારણે થયું છે એવું કે આ બંને પ્રકારના લોકોને વોટ્સએપ (કે તેના જેવી બીજી કોઈ પણ વેબ સર્વિસ)નાં જમા-ઉધાર પાસાંની બહુ સમજ ન હોય અને એનો લાભ ઉઠાવે લેભાગુ લોકો.
વોટ્સએપના કિસ્સામાં આવું વારંવાર બને છે અને હવે કંપની પોતે ગૂંચવણ વધારી રહી છે!
આપણા દેશમાં વોટ્સએપ એપની લોકપ્રિયતાની હજી શરૂઆત થઈ હતી એ સમયે છેતરપિંડી કરનારા લોકો વોટ્સએપ વિશે લોકોમાં જાગેલી જિજ્ઞાસા અને અધકચરી જાણકારી એ બંનેનો લાભ લેવા મેદાને પડ્યા હતા.
એ સમયે ઓફિશિયલ વોટ્સએપમાં મળતી સુવિધાઓ કરતાં ‘વધુ સુવિધાઓ’ જોઇતી હોય તો ‘વોટ્સએપ ગોલ્ડ’, ‘વોટ્સએપ સિલ્વર’ કે ‘વોટ્સએપ પિંક’ જેવી વોટ્સએપની ‘સ્પેશિયલ’ એપ ડાઉનલોડ કરવા લોકોને લલચાવવામાં આવતા હતા.
ત્યારે કહેવામાં આવતું કે સાદી વોટ્સએપ એપ કરતાં આવી ગોલ્ડ કે સિલ્વર એપમાં વીડિયો કોલિંગ, વધારાની સલામતી કે વધુ ઇમોજિસ જેવી ખાસ સવલતો મળી શકે છે. હકીકતમાં આ તદ્દન બનાવટ હતી.
વોટ્સએપ એપ ફક્ત એક જ ઓફિશિયલ, સ્ટાન્ડર્ડ એપ તરીકે ઉપલબ્ધ હતી. તેના કોઈ ગોલ્ડ, સિલ્વર, પિંક કે અન્ય વર્ઝન હતાં નહીં. લોકો આવી સ્પેશિયલ એપ ઇન્સ્ટોલ કરવા ભરમાઈ જાય તો તેમની સંવેદનશીલ માહિતી જોખમાઈ જાય.
એ પછી તો લોકોમાં પ્રમાણમાં ઠીક ઠીક સજાગતા આવી. આપણે સૌ એક જ ઓફિશિયલ વોટ્સએપ એપનો ઉપયોગ કરવા લાગ્યા. તેમ છતાં વોટ્સએપની પ્રચંડ લોકપ્રિયતા ધ્યાને રાખીને તેના પર અથવા તેના નામે લોકોને છેતરવાનો ધંધો પૂરજોશમાં ચાલુ રહ્યો છે.
કંપનીએ પોતે જ ‘સ્પેશિયલ’ એપ આપી
વોટ્સએપની માલિક મેટા કંપનીએ પોતે વોટ્સએપનું ખરેખર એક સ્પેશિયલ વર્ઝન આવી રહ્યું હોવાની જાહેરાત કરી છે. વોટ્સએપનું આ પેઇડ વર્ઝન રહેશે અને તેને નામ આપવામાં આવ્યું છે ‘વોટ્સએપ પ્લસ’. એ માટે નવી કોઈ એપ ડાઉનલોડ કરવાની નથી, હાલની વોટ્સએપમાંથી જ રૂપિયા ભરવાના થશે.
એ ખાસ ધ્યાને રાખવા જેવું છે કે તમને હાલની વોટ્સએપ એપના ઉપયોગથી સંતોષ હોય તો આ પ્રીમિયમ પેઇડ વર્ઝન માટે રૂપિયા ભરવાની જવાની કોઈ જરૂર નથી. તેમાં મોટા ભાગે ફક્ત વોટ્સએપ એપનો દેખાવ બદલી શકવાની સુવિધા મળશે. જો તમે વોટ્સએપ પ્લસનું મહિને અંદાજે રૂ.૩૦૦ જેટલું સબસ્ક્રિપ્શન ભરો તો કેટલાંક વધારાનાં પ્રીમિયમ ફીચર્સ મળે છે. જેમ કે…
વોટ્સએપનો દેખાવ બદલવા ખાસ થીમ્સ અને આઇકન્સનો ઉપયોગ કરી શકાય.
વોટ્સએપમાં તમારા સૌથી મહત્ત્વના કોન્ટેક્ટ્સ માટે અલગ અલગ રિંગટોન સેટ કરી શકાય.
હા, ‘પ્લસ’માં એક સુવિધા ખરેખ ઉપયોગી થઈ શકે – આપણે માટે મહત્ત્વના મેસેજને હાલમાં પિન કરી શકાય છે, જેથી તે ચેટ પેજ પર મથાળે ટકી રહે. સાદા વોટ્સએપમાં આ પ્રકારે વધુમાં વધુ ૩ મેસેજ પિન કરી શકાય છે, જ્યારે વોટ્સએપ પ્લસમાં વધુમાં વધુ ૨૦ ચેટ પિન કરી શકાશે.
આ સૌથી મોટો ફાયદો છે!
તમે જોશો તેમ આપણી હાલની વોટ્સએપ એપ અને પેઇડ પ્રીમિયમ વોટ્સએપ પ્લસ વચ્ચે ખાસ મોટો કોઈ તફાવત નથી. એ પણ યાદ રાખવા જેવું છે કે તમે વોટ્સએપ પ્લસનું સબસ્ક્રિપ્શન ભરો તો તેને કેન્સલ ન કરો ત્યાં સુધી તે આપોઆપ રિન્યૂ થતું જશે!
હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે!
તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા જ હશો, એટલે આગળની વાત ધ્યાનપૂર્વક વાંચજો!
થોડા સમય પહેલાં ગૂગલના ધ્યાનમાં આવ્યું કે તેના પ્લે સ્ટોરમાં અત્યંત લોકપ્રિય વોટ્સએપના નામે એક ફેક – બિલકુલ બનાવટી – એપ ઘૂસી ગઈ છે. ગૂગલે એ એપને પ્લે સ્ટોરમાંથી દૂર કરી અને તેના ડેવલપર પર વધુ કોઈ એપ રજૂ કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આ બનાવટી એપ દસ લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હતા!
બનાવટ કઈ રીતે કરવામાં આવી?
બાજુના સ્ક્રીનશોટ જોશો તેમ, આ એપ પહેલી નજરે, કોઈ રીતે બનાવટી લાવે તેવી નહોતી. બધે વોટ્સએપનો, સૌનો જાણીતો લોગો પણ હતો. એપને બીજા યૂઝર્સ તરફથી ચાર સ્ટાર મળેલા હતા અને સંખ્યાબંધ લોકોએ તેનાં વખાણ કરતા રીવ્યૂ પણ લખ્યા હતા. એપનું નામ હતું – ‘અપડેટ વોટ્સએપ મેસેન્જર’. તેના ડેવલપર તરીકે વોટ્સએપનું જ નામ હતું.
એપના આ નામમાં ગરબડ હતી, જેના તરફ, ઇન્ટરનેટનો પૂરતો અનુભવ ન ધરાવતા લોકોનું ધ્યાન જાય એવી શક્યતા નહોતી.
આપણે પોતાના ફોનમાં વોટ્સએપ જેવી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કર્યા પછી, એપના ડેવલપરે તેમાં કોઈ નવી સુવિધાઓ ઉમેરી હોય તો તેનો લાભ લેવા માટે આપણે એ એપના નવા વર્ઝનથી પોતાના ફોનમાંની એપને અપડેટ કરવી પડે.
હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવેનો હવે ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. હવે વડોદરા-ગોધરા સુધીનો નેશનલ એક્સપ્રેસ-4 પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે જેમ હાઈવે વધી રહ્યાં છે તેમ-તેમ સ્કેમ પણ વધી રહ્યાં છે. જો તમે નિયમિત રીતે હાઈવે પર મુસાફરી કરો છો, તો આ જાણવું ખૂબ જ જરૂરી છે.
National Highways Authority of India (NHAI) દ્વારા ફેક FASTag Annual Pass વેચતા સ્કેમર્સ વિશે ચેતવણી આપવામાં આવી છે. આ પ્રકારની ફ્રોડ વેબસાઇટ્સ અસલી જેવી દેખાય છે, જેના કારણે ઘણા લોકો સરળતાથી ફસાઈ જાય છે. આ ફેક પ્લેટફોર્મનો મુખ્ય હેતુ તમારી વ્યક્તિગત માહિતી અને પૈસા ચોરી કરવાનો છે.
એકવાર તમે તમારી માહિતી દાખલ કરો અથવા પેમેન્ટ કરો, પછી સ્કેમર્સ તેનો દુરુપયોગ કરી શકે છે, જેના કારણે નાણાકીય નુકસાન અને પ્રાઈવસીનો ખતરો ઊભો થઈ શકે છે. માત્ર ઓફિશિયલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો NHAIએ સ્પષ્ટ જણાવ્યું છે કે FASTag સંબંધિત તમામ સેવાઓ, જેમાં Annual Pass પણ સમાવેશ થાય છે,
તે માટે માત્ર ઓફિશિયલ Rajmargyatra એપનો જ ઉપયોગ કરવો જોઈએ. યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે એપ ફક્ત Google Play Store અથવા Apple App Storeમાંથી જ ડાઉનલોડ કરો. પેમેન્ટ કરતા પહેલા હંમેશાં પબ્લિશરનું નામ ચકાસો. જો એપ અથવા વેબસાઇટ ઓફિશિયલ ન લાગે, તો તેનો ઉપયોગ ન કરો. સ્કેમમાં ફસાવાથી કેવી રીતે બચવું આવા સ્કેમથી બચવા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
હંમેશાં ઓફિશિયલ એપ અથવા વેબસાઇટનો જ ઉપયોગ કરો એપ ડાઉનલોડ કરતા પહેલા પબ્લિશરની માહિતી ચકાસો અજાણ્યા SMS, WhatsApp અથવા ઇમેલમાં આવેલી લિંક્સ પર ક્લિક ન કરો ખૂબ સસ્તા અથવા તાત્કાલિક ઓફરોથી સાવચેત રહો OTP, બેંક ડીટેલ્સ અથવા પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી ક્યારેય શેર ન કરો પેમેન્ટ કરતા પહેલા વેબસાઇટ “https” સાથે સુરક્ષિત છે કે નહીં તે ચકાસોસાવચેત રહો, સુરક્ષિત રહો સ્કેમર્સ દિવસે-દિવસે વધુ ચાલાકીથી કામ કરી રહ્યા છે.
તેથી જાગૃતતા જ તમારો સૌથી મોટો બચાવ છે. નાની ભૂલ પણ મોટું નુકસાન કરી શકે છે, તેથી હંમેશા ચકાસીને જ વિશ્વાસ કરો અને ઓફિશિયલ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરો.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ Paytm Payments Bank Limitedનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. આ નિર્ણય 24 એપ્રિલ 2026ના કામકાજ પૂર્ણ થયા પછી અમલમાં આવ્યો છે. RBI એ જણાવ્યું કે બેંકની કામગીરી “બેંક અને તેના જમા કરનારાઓના હિત માટે હાનિકારક” હતી. Paytm બેંક તેના પેમેન્ટ્સ બેંક લાઇસન્સમાં નક્કી કરેલી શરતોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી હતી. આથી તેનું લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંક બંધ કરવા માટે RBI હાઈકોર્ટમાં અરજી કરશે
RBI એ જાહેરાત કરી છે કે તે Paytm Payments Bankને બંધ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરશે. આ નિર્ણયનો અર્થ એ થાય છે કે Paytm બેંક હવે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 5(b) મુજબ વ્યાખ્યાયિત કોઈપણ બેંકિંગ પ્રવૃત્તિ અથવા કલમ 6 હેઠળની અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકશે નહીં. જો એ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેના પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
લાઇસન્સ રદ કરવાના કારણો
RBI એ લાઇસન્સ રદ કરવા માટે અનેક કારણો આપ્યા છે. તેમાં બેંક અને તેના જમા કરનારાઓના હિતને નુકસાન પહોંચાડે તેવી રીતે કામગીરી કરવી, તેમજ જાહેર હિતને નુકસાન પહોંચાડે તેવા મેનેજમેન્ટ હોવાનો સમાવેશ થાય છે. બેંક તેના પેમેન્ટ્સ બેંક લાઇસન્સની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટની કલમ 22 (3)(g)નું ઉલ્લંઘન કર્યું હતું.
બેંકને પહેલાથી જ નવા જમા સ્વીકારવા પર પ્રતિબંધ હતો
જાન્યુઆરી 2024માં RBI એ નિયમોના ઉલ્લંઘનને કારણે Paytm Payments Bankને નવા જમા રકમ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ગ્રાહક ચકાસણી (KYC), નાણાંનો ઉપયોગ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવી બાબતોનો સમાવેશ થતો હતો. તે પહેલાં માર્ચ 2022માં પણ બેંકને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. હાલમાં બેંક કાર્યરત છે, પરંતુ તેની કામગીરી મુખ્યત્વે હાલના જમા ના ઉપાડ અને બેંકિંગ કરેસ્પોન્ડન્ટ મારફતે લોન રેફરલ સુધી મર્યાદિત છે.
Paytm UPI પર અસર?
Paytm બેંક બંધ રહી છે, પરંતુ UPI સર્વિસ ચાલુ રહે તેવી શક્યતા છે.
UPI ચાલુ રહેવાની શક્યતા
UPI ને National Payments Corporation of India (NPCI) ચલાવે છે, Paytm Payments Bank સીધું ચલાવતું નથી. જો Paytm અન્ય બેંકો (જેમ કે SBI, Axis, HDFC વગેરે) સાથે જોડાણ કરે, તો Paytm એપમાં UPI પેમેન્ટ સામાન્ય રીતે ચાલુ રહી શકે છે. એટલે કે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને QR કોડ દ્વારા ચુકવણી શક્ય છે.
Paytm Payments Bank સાથે જોડાયેલા UPI ID પર અસર
જો તમારો UPI ID આ પ્રકારનો છે: @paytm અથવા Paytm Payments Bank ખાતા સાથે સીધો જોડાયેલ છે તો તેના પર અસર પડશે. આ UPI હવે બંધ થઈ શકે છે. આથી યુઝરે એને બદલવો પડશે. UPI સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે એપ્લિકેશનમાં અન્ય બેંક એકાઉન્ટ કનેક્ટ કરવું પડશે. આ સાથે જ અન્ય બેંક સાથેનો UPI પણ બનાવવો પડી શકે છે.
વોલેટ અને બેલેન્સ સંબંધિત સમસ્યાઓ
Paytm વોલેટ અને બેંક બેલેન્સ Paytm Payments Bank સાથે જોડાયેલા હતા. આથી વોલેટમાં નવા પૈસા જમા કરવામાં આવશે નહીં. આ સાથે જ તેમાં જેટલા પણ પૈસા છે તેને ઉપાડી શકાશે. ટૂંકમાં હવે UPI દ્વારા વોલેટનો ઉપયોગ કરી શકાશે નહીં, સીધું બેંક એકાઉન્ટ ઉપયોગમાં લેવું પડશે.
પાંચીયા બેઠક 85.61% સાથે તાલુકામાં પ્રથમ, જાણો તમારા વિસ્તારમાં કેટલું થયું મતદાન વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 માટે આજે યોજાયેલી મતદાન પ્રક્રિયામાં ગ્રામીણ મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સવારના 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીમાં તાલુકાની તમામ 24 બેઠકો પર સરેરાશ 70.29% જંગી મતદાન નોંધાયું છે. ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ નીચે મુજબ છે: તમામ 24 બેઠકોની મતદાન ટકાવારી:
ક્રમ બેઠકનું નામ મતદાન (%) ક્રમ બેઠકનું નામ મતદાન (%) 1 અરણીટીંબા 70.81 2 ચંદ્રપુર 48.01% 3 ચિત્રખડા 74.97%
હાઈવોલ્ટેજ બેઠકો: પાંચીયા (85.61%) અને પંચાસીયા (83.43%) બેઠકો પર મતદારોએ રેકોર્ડબ્રેક મતદાન કર્યું છે. જ્યારે ચંદ્રપુર (48.01%) બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
જાતિવાર વિગત: સમગ્ર તાલુકામાં 73.5% પુરુષો અને 66.89% મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
વોર્ડ નં. 4માં સર્વાધિક 70.71% અને વોર્ડ નં. 7માં સૌથી ઓછું 55.55% મતદાન
મોરબી : મોરબી મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત આજે સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. લોકશાહીના આ મહાપર્વમાં શહેરના મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સત્તાવાર અંદાજિત આંકડા મુજબ સમગ્ર મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 65.62 ટકા મતદાન નોંધાયું છે.
મતદાનના આંકડાઓ મુજબ પુરુષ મતદારોમાં વધુ સક્રિયતા જોવા મળી હતી. કુલ નોંધાયેલા પુરુષ મતદારો પૈકી 69.69 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે મહિલા મતદારોમાં 61.20 ટકા મતદાન નોંધાયું હતું.
વોર્ડવાઈઝ આંકડાઓ પર નજર કરીએ તો વોર્ડ નં. 4માં સૌથી વધુ 70.71 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે વોર્ડ નં. 7માં સૌથી ઓછું 55.55 ટકા મતદાન નોંધાતા અહીં મતદારોનો ઉત્સાહ તુલનાત્મક રીતે ઓછો રહ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જોવા મળ્યું હતું. ચૂંટણી તંત્ર, પોલીસ વિભાગ તેમજ સ્ટાફ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ સુચારૂ રીતે સંભાળવામાં આવી હતી.
મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ રહી છે. બપોરના 12:30 વાગ્યા સુધીમાં કુલ 49.7 ટકા મતદાન નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે.
ગરમીના આકરા તાપમાન છતાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
મતદાન કેન્દ્રો પર કાર્યકરો દ્વારા મતદારોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા ખડે પગે સેવા આપવામાં આવી રહી છે, જેના કારણે વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.
લોકશાહીમાં દરેક નાગરિક પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તે અત્યંત જરૂરી છે. દિવ્યક્રાંતિ મીડિયા તમામ નાગરિકોને અપીલ કરે છે કે તેઓ અવશ્ય મતદાન કરી લોકશાહી મજબૂત બનાવે.
ઈલેકટ્રીક ગાડીઓની બેટરી બનાવનારી દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકી એક કોન્ટેમ્પરરી એમ્પેરેકસ ટેકનોલોજી લિમિટેડ (સીએટીએસ)એ એક નવી બેટરી ટેકનીક રજુ કરી છે. આનાથી ઈલેકટ્રીક ગાડીઓ ઝડપથી ચાર્જ થશે અને વધુ અંતર નિશ્ચિત કરી શકાશે.
કંપનીના માલિક રોબિન જેંગ યુચુને જણાવ્યું હતું કે નવી બેટરી માત્ર 6 મિનિટમાં 10 ટકાથી 98 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. જયારે ઈલેકટ્રીક કાર બનાવનારે ‘બીવાયડી’ની બેટરીને ચાર્જ થવામાં લગભગ 9 મિનિટ લાગે છે.
એક ચાર્જમાં 1500 કિલોમીટર: સીએટીએસએએ નવી બેટરી પણ ડિઝાઈન કરી છે, જે હળવી છે પરંતુ એકવાર ચાર્જ થવા પર લગભગ 1500 કિલોમીટર સુધી ગાડી ચલાવી શકાય છે, પહેલા આટલા અંતર માટે વધુ ભારે બેટરી લાગતી હતી, પરંતુ હવે વજન ઓછુ કરી દેવાયું છે, જેથી ગાડીનું પર્ફોર્મન્સ પણે બહેતર રહેશે.
મોરબી સહિત સૌરાષ્ટ્રની છ મહાનગરપાલિકા, 11 જિલ્લા પંચાયત, 18 નગરપાલિકા અને 79 તાલુકા પંચાયતની ચુંટણીનું આવતીકાલે તા.26 એપ્રિલના મતદાન થનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં 97 લાખથી વધુ મતદારો એક દિવસના સુલતાન બની મતદાન કરશે.
રાજયની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની યોજાનારી આ ચુંટણીના આડે હવે માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય. ચુંટણી ફરજ પર તૈનાત કરાયેલ પોલીંગ સ્ટાફએ આજે સવારના ઈ.વી.એમ. ડીસ્પેચીંગ-રીસીવીંગ સેન્ટરો ખાતેથી અધિકારીઓ સાથે એસ.ટી.બસ સર્વિસો મારફત રવાના થઈ મતદાન મથકોનો કબ્જો સંભાળી લીધો છે.
સ્થાનિક સ્વરાજની આ ચુંટણી એસ.આઈ.આર. બાદની પ્રથમ ચુંટણી છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 3424 બેઠકો પર 9000થી વધુ ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય મતદારો નકકી કરશે. જો કે 100થી વધુ બેઠકો ચુંટણી પુર્વે જ બિનહરીફ થઈ જવા પામી હતી.
સ્થાનિક સ્વરાજની આ ચુંટણીનું ગત તા.6 એપ્રિલના જાહેરનામુ પ્રસિદ્ધ થતા રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો નામાંકનપત્રો ભરી ચુંટણી પ્રચારમાં લાગી ગયા હતા. બેઠકો કબ્જે કરવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે.
ગઈકાલે સાંજના પ્રચાર પડધમ શાંત થયા બાદ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કતલની રાત મતદારોને મનાવવા માટે છેલ્લી ઘડીના પ્રયાસો સાથે તોડજોડની રાજનીતિ અપનાવી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ચુંટણી પ્રચારની છેલ્લી ઘડી સુધી મતદારોએ પોતાનું મન ઉમેદવારોને કળવા દીધુ ન હતું. ઉમેદવારોમાં અન્ડર કરન્ટ જોવા મળ્યો હતો. જો કે મતદારોને મનામણા માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કર્યા છે. એસ.આઈ.આર. બાદ યોજાતી આ ચુંટણીમાં મતદારોની સંખ્યામાં થોડો ઘટાડો થવા પામેલ છે.
જો કે મતદાન મથક દીઠ મતદારોની 1200ની સંખ્યાનો ક્રાઈટ એરીયા નિયત કરવામાં આવેલ છે. ચુંટણીના સમયે જે આકાશમાંથી સૂર્યનારાયણ દેવ એ અગનગોળા વરસાવવાનું શરૂ કરતા તેની મતદાન પર અસર થવાની શકયતા રહેતી હોય વહીવટીતંત્ર દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો સતત યોજવામાં આવેલ હતો. ગરમીને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર છાંયડો, પાણી, ઓ.આર.એસ. પ્રાથમીક સારવાર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશો કરી દેવામાં આવેલ છે.
સ્થાનિક સ્વરાજની આ ચુંટણી ન્યાયી અને પારદર્શકતાથી યોજવા માટે તમામ તૈયારીઓ પુર્ણ કરી ચુંટણી તંત્ર સજજ બની જવા પામેલ છે. આજે પોલીંગ સ્ટાફે મતદાન મથકોનો કબ્જો પણ સંભાળી લીધો છે તેની સાથે જ પ્રતિબંધાત્મક આદેશો પણ લાગુ કરી દેવામાં આવેલ. સ્થાનિક સ્વરાજની આ ચુંટણીની મતગણતરી 28 એપ્રિલના રોજ સવારથી થશે. સ્થાનિક સ્વરાજની આ ચુંટણીના આવતીકાલે થનારા મતદાન દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.