Author: admin

  • હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર

    વૈશ્વિક રાજનીતિમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકાના મિયામીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાત લઈ શકે છે.

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિમંત્રણ બાદ ક્રેમલિન(રશિયન પ્રમુખ ભવન) દ્વારા એવા સંકેત આપવામાં આવ્યા છે કે પુતિન આ યાત્રા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

    અમેરિકા આ વર્ષે G20 બેઠકનું યજમાન છે અને તેણે રશિયાને સત્તાવાર આમંત્રણ મોકલ્યું છે, જેનો રશિયાએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. જોકે, પુતિન પોતે જશે કે અન્ય કોઈ પ્રતિનિધિને મોકલશે તે અંગે આખરી નિર્ણય લેવાનો હજુ બાકી છે.

    2019 પછી પ્રથમ વખત G20માં જોડાઈ શકે છે રશિયા

    ઉલ્લેખનીય છે કે, પુતિને છેલ્લે વર્ષ 2019માં G20 સમિટમાં હાજરી આપી હતી. ત્યારબાદ કોરોના મહામારી અને 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે પશ્ચિમી દેશો સાથેના સંબંધો વણસ્યા હતા, જેને લીધે આંતરરાષ્ટ્રીય મંચો પર તેમની હાજરી મર્યાદિત થઈ ગઈ હતી.

    બીજી તરફ, અમેરિકન પ્રમુખ ટ્રમ્પે રશિયાને G8માંથી બહાર કાઢવાના નિર્ણયને ભૂલ ગણાવી છે અને ભાર મૂક્યો છે કે વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ શક્ય છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયા G20ને એક અત્યંત મહત્ત્વપૂર્ણ મંચ માને છે અને આ સમિટમાં રશિયાનું યોગ્ય પ્રતિનિધિત્વ ચોક્કસપણે હશે.

    રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધરવાના સંકેત

    નિષ્ણાતો માને છે કે જો વ્લાદિમીર પુતિન આ સંમેલનમાં ભાગ લેવા અમેરિકા જશે, તો યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ફરીથી સંવાદ શરૂ કરવાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું સાબિત થઈ શકે છે.

    હાલમાં અમેરિકન વહીવટીતંત્ર અને રશિયાના વિદેશ મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય ભાગીદારી માટેની તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો પુતિન મિયામી પહોંચશે, તો તે આ વર્ષની સૌથી મોટી રાજદ્વારી ઘટના બની રહેશે.

  • WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં…

    WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં…

    WhatsApp મેસેજિંગ એટલે કે ચેટિંગ માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ છે, પરંતુ હવે તેમાં એ સિવાય પણ અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. ધીમે ધીમે તે લોકોની રોજિંદી જરૂરિયાતો માટેનું મોટું પ્લેટફોર્મ બનતું જઈ રહ્યું છે. કંપનીએ હવે ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ હવે સીધા WhatsApp અંદર જ મોબાઇલ રિચાર્જ કરી શકશે. આ ફીચરની સૌથી મોટી ખાસ વાત એ છે કે હવે રિચાર્જ માટે અલગ-અલગ એપ્સ ખોલવાની જરૂર નહીં પડે. કંપની મુજબ આ ફીચર ધીમે ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આવતા થોડા અઠવાડિયામાં બધાને મળી જશે.

    WhatsApp અને PayUની પાર્ટનરશિપ

    WhatsAppનું આ નવું ફીચર પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારીમાં લાવવામાં આવ્યું છે, જેથી પેમેન્ટ પ્રોસેસ ઝડપી અને સરળ બની શકે. આ ફીચર આવ્યા પછી હવે યુઝર પોતાના નંબરની સાથે પરિવાર અથવા મિત્રોના નંબર પર પણ સરળતાથી રિચાર્જ કરી શકશે. Reliance Jio, Bharti Airtel અને Vodafone Idea જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સના બધા પ્લાન્સ WhatsApp અંદર જ દેખાશે, જ્યાંથી યુઝર તેની જરૂર મુજબ પ્લાન પસંદ કરી શકશે.

    WhatsAppમાં ₹ આઈકન

    WhatsAppએ આ ફીચરને વધુ સરળ બનાવવા માટે એપના હોમ સ્ક્રીન પર એક નવું ₹ આઈકન ઉમેર્યું છે. આ આઈકન તમને સીધા પેમેન્ટ સેકશનમાં લઈ જાય છે. અહીંથી યુઝર રિચાર્જ કરી શકે છે, UPI પેમેન્ટ પણ મોકલી શકે છે અને ઘણા શહેરોમાં મેટ્રો ટિકિટ જેવી સેવાઓનો પણ ઉપયોગ કરી શકાશે.

    WhatsAppથી કેવી રીતે કરશો મોબાઇલ રિચાર્જ?

    જો તમે વિચારતા હો કે WhatsAppથી રિચાર્જ કેવી રીતે કરવું, તો તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌપ્રથમ એપમાં દેખાતા ₹ આઈકન પર ટેપ કરો. પછી Mobile Prepaid Rechargeનો વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ તમે તમારો અથવા કોઈ બીજા વ્યક્તિનો નંબર પસંદ કરી શકો છો. ઓપરેટર કન્ફર્મ કરો અને ઉપલબ્ધ પ્લાન્સમાંથી યોગ્ય પ્લાન પસંદ કરો. પેમેન્ટ માટે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે. પેમેન્ટ કન્ફર્મ કરતા જ રિચાર્જ થઈ જશે.

    રિચાર્જ ઉપરાંત ટિકિટ બુકિંગ પણ શક્ય

    WhatsApp મુજબ ભારતમાં લોકો પહેલાથી જ આ એપનો ઉપયોગ ચેટ, બિઝનેસ અને અનેક જરૂરી સેવાઓ માટે કરી રહ્યા છે. આજના સમયમાં ઘણા શહેરોમાં લોકો WhatsApp મારફતે મેટ્રો ટિકિટ બુક કરે છે, બિલ ભરે છે અને સરકારી સેવાઓનો પણ ઉપયોગ કરે છે. આવા સમયમાં મોબાઇલ રિચાર્જને પણ આ જ પ્લેટફોર્મ પર લાવવું એક મોટું પગલું માનવામાં આવે છે. Meta Platforms ઇન્ડિયાના બિઝનેસ મેસેજિંગ ડિરેક્ટર રવિ ગર્ગએ જણાવ્યું છે કે ભારતમાં WhatsApp લોકોની રોજિંદી જિંદગીનો ભાગ બની ગયું છે. તેથી કંપનીનો ફોકસ એ છે કે વધુમાં વધુ કામ એક જ જગ્યાએ સરળ રીતે થઈ શકે. એ જ કારણ છે કે હવે રિચાર્જ જેવી રોજિંદી જરૂરિયાતને પણ WhatsAppમાં ઉમેરવામાં આવી છે.

    PayUના ચીફ બિઝનેસ ઓફિસર હેમંગ દત્તાણીના જણાવ્યા અનુસાર, લોકોને એવી સેવાઓ વધુ ગમે છે જે તેમને એ જ પ્લેટફોર્મ પર મળે જ્યાં તેઓ પહેલાથી સમય વિતાવે છે. WhatsApp પર રિચાર્જ લાવવું એ જ વિચારનો ભાગ છે, જેથી યુઝર્સને એપ બદલીને કામ કરવું ન પડે.

    WhatsApp હવે એક ઓલ-ઇન-વન એપ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જ્યાં ચેટ, પેમેન્ટ, ટિકિટ બુકિંગ અને હવે મોબાઇલ રિચાર્જ જેવી સુવિધાઓ એક જ જગ્યાએ મળશે. આવા પ્રકારની એપ્સને સુપર એપ પણ કહેવામાં આવે છે. આવનારા સમયમાં WhatsApp પોતાના પ્લેટફોર્મમાં વધુ કઈ સેવાઓ ઉમેરે છે તે જોવું રસપ્રદ રહેશે.

  • રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ

    રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની છૂટ! ચૂંટણી પંચના પરિપત્રથી વિવાદ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, તેવા સમયે જ રાજ્ય ચૂંટણી આયોગે રાજકીય પક્ષોને ચૂંટણી, મતદાન કે મતગણતરી એજન્ટ તરીકે ગુનેગાર લોકોને પણ બેસાડવાની છૂટ આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. રાજકીય પક્ષના એજન્ટ ગુનેગાર ન હોવા જોઈએ, તેવી મહત્ત્વની જોગવાઈ ચૂંટણી આયોગે રદ કરી છે. આયોગનો આ નિર્ણય એક તબક્કે લોકશાહી માટે કલંક સમાન બન્યો છે.

    ચૂંટણી એજન્ટોની નિમણૂક અંગે નવો પરિપત્ર

    ગુજરાતના ચૂંટણી આયોગ દ્વારા રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટની નિમણૂક કરવા બાબતે ગઈકાલે તા.23 એપ્રિલના રોજ એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ અને મતગણતરી એજન્ટ તરીકે પોતાના કાર્યકરોની નિમણૂક કરવામાં આવતી હોય છે. જેને સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવે છે.

    પરિપત્રનો અંતિમ ફકરો અને ગંભીર વિવાદ

    પરિપત્રમાં શરૂઆતની તમામ સૂચનાઓ તો સામાન્ય છે, પરંતુ અંતિમ ફકરામાં ચૂંટણી આયોગે એક ગંભીર બાબત લખી છે. જેમાં રાજકીય પક્ષોને ચૂંટણી એજન્ટ તરીકે ગુનેગારોને બેસાડવાની પણ છૂટ આપી દેવામાં આવી છે. પરિપત્રમાં લખવામાં આવેલી વિગતો જોઈએ તો, ‘નિયુક્ત કરવામાં આવનાર ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ, મતગણતરી એજન્ટ પર કોઈપણ જાતનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાઈત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ’

    ચૂંટણીમાં ગુનેગારોને છૂટ: નિષ્પક્ષતા સામે સવાલો

    જોગવાઈ આથી રદ કરવામાં આવે છે. એક તરફ નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણીની વાતો થાય છે, બીજી તરફ જે મતદાન મથક પર ગુનેગારો એજન્ટ તરીકે બેઠાં હોય ત્યાં લોકો કેવી રીતે ભયમુક્ત થઈને મતદાન કરી શકશે? તે મોટો સવાલ છે.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૦૦૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત: પોલીસ અધિક્ષક મુકેશ પટેલ

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૨૦૦૦ જેટલા પોલીસકર્મીઓ તૈનાત: પોલીસ અધિક્ષક મુકેશ પટેલ

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ(LPG)નો પુરવઠો જાળવી રાખવા માટે પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. સ્થાનિક અને કોમર્શિયલ ગ્રાહકોની વધતી માંગને પહોંચી વળવા માટે હવે ભારત માત્ર પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે દુનિયાના વિવિધ દેશો પાસેથી તત્કાલ ખરીદી દ્વારા ગેસ મંગાવી રહ્યું છે.

    ઓઇલ કંપનીઓએ અમેરિકા સહિતના દેશો સાથે કરી ડીલ

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારી ઓઇલ કંપનીઓએ(OMCs) તાજેતરના અઠવાડિયામાં અમેરિકા સહિત અનેક દેશો પાસેથી એલપીજીના વધારાના કાર્ગો બુક કર્યા છે, જે જૂન અને જુલાઈ સુધીમાં ભારત પહોંચવાની ધારણા છે. આ આક્રમક વ્યૂહનીતિ પાછળનો મુખ્ય હેતુ બજારમાં ગેસની અછતને અટકાવવાનો અને પુરવઠો સુરક્ષિત કરવાનો છે.

    વધતી જરૂરિયાતને પહોંચી વળવા સરકાર સજ્જ

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, અગાઉ ભારત પોતાની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરતું હતું, પરંતુ હવે ઘરેલુ ઉત્પાદન વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતમાં હાલમાં દરરોજ અંદાજે 80,000 ટન એલપીજીની જરૂર પડે છે, જેની સામે ઘરેલુ ઉત્પાદન 20 ટકા વધારીને 46,000 ટન પ્રતિ દિવસ સુધી પહોંચાડવામાં આવ્યું છે. છતાં જે ઘટ પડે છે તેને પહોંચી વળવા માટે આયાતના વિકલ્પો વિસ્તૃત કરવામાં આવ્યા છે. સરકારની પ્રાથમિકતા દેશમાં ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાની છે અને તેના માટે જ્યાંથી પણ શક્ય હશે ત્યાંથી ગેસની ખરીદી કરવામાં આવશે.

    ખાડી દેશો પરની નિર્ભરતામાં ઘટાડો

    અગાઉ ભારતની લગભગ 90 ટકા એલપીજી સપ્લાય યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા ખાડી દેશોમાંથી આવતી હતી. પરંતુ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને જોતા ભારતે હવે અમેરિકા, નોર્વે, કેનેડા, અલ્જીરિયા અને રશિયા જેવા દેશો પાસેથી મોટા પાયે ખરીદી શરૂ કરી છે. આ ફેરફારને કારણે ભારતની સપ્લાય ચેઈન વધુ સુરક્ષિત અને વિવિધતાસભર બની છે. સરકારે માહિતી આપી છે કે આશરે આઠ લાખ ટન એલપીજીનો જથ્થો પહેલેથી જ બુક કરી દેવાયો છે જે ભારત તરફ આવી રહ્યો છે. યુદ્ધના સમયમાં પણ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત પહોંચેલા 10 જહાજોમાંથી 9માં LPG જ હતો, જે સરકારની સક્રિયતા દર્શાવે છે.

    સ્પોટ બુકિંગથી કિંમતોમાં સ્થિરતા આવશે

    નિષ્ણાતો માને છે કે ‘સ્પોટ ખરીદી’ની આ નીતિ સંકટના સમયે અત્યંત અસરકારક સાબિત થશે. તેનાથી ભારતને જરૂરિયાત મુજબ તાત્કાલિક ગેસ મળી રહે છે અને કિંમતો પર પણ અંકુશ મેળવી શકાય છે. અલગ-અલગ દેશો પર નિર્ભરતા વધવાથી ભવિષ્યમાં કોઈ એક ભૌગોલિક ક્ષેત્રમાં તણાવ સર્જાય તો પણ ભારતના પુરવઠાને અસર થશે નહીં. ગ્રાહકો માટે આ રાહતના સમાચાર છે, કારણ કે આ આયોજનને લીધે આગામી મહિનાઓમાં એલપીજી સિલિન્ડરની અછત સર્જાય તેવી શક્યતા નહિવત છે. સરકારનું સ્પષ્ટ વલણ છે કે ગમે તેવા પડકારજનક સંજોગો હોય, દેશમાં રસોઈ ગેસનો પુરવઠો ખોરવાવા દેવામાં આવશે નહીં.

  • મોરબી પાલિકાના ત્રણ, વાંકાનેરના એક માજી પ્રમુખો સહિત 24 આગેવાન ભાજપમાંથી સસ્પેન્ડ

    મોરબી પાલિકાના ત્રણ, વાંકાનેરના એક માજી પ્રમુખો સહિત 24 આગેવાન ભાજપમાંથી સસ્પેન્ડ

    મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ન મળી હોવાના કારણે ઘણા બધા ભાજપના આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવી છે અને અમુક આગેવાનના ઘરના સભ્યોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે અને કેટલાક ભાજપના આગેવાનો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં હોવાનું સામે આવ્યું છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા મોરબી નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના એક માજી ચેરમેન સહિત કુલ મળીને 24 લોકોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ પાસેથી 427 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી હતી જો કે, 52 આગેવાનોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે અને ટિકિટ ન મળવાના કારણે નારાજ થઈને ઘણા બધા ભાજપના આગેવાનોએ અને અમુક આગેવાનના ઘરના સભ્યોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે, હાલમાં ચૂંટણી લડી રહ્યા છે .

    જેથી ચૂંટણી સમયે ભાજપથી વિમુખ થયેલ આગેવાનોને સમજાવવા માટેના છેલ્લી ઘડી સુધીના પ્રયત્નો કરવામાં આવ્યા તો પણ તેઓ માનતા ન હોવાથી મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા મોરબી જિલ્લામાંથી એક બે નહીં પરંતુ એકી સાથે 24 જેટલા ભાજપના આગેવાનોને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જે આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ પરબતભાઈ અવાડિયા, લલીતભાઈ કામરીયા તથા અનોપસિંહ સાજુભા જાડેજા, મોરબી નગરપાલિકાના માજી સભ્ય આસિફભાઈ રહીમભાઈ ઘાંચી, રાજેશભાઈ ચીમનલાલ રામાવત, નિર્મલાબેન મોરારજીભાઈ કંઝારીયા, નરેન્દ્રભાઈ લાલજીભાઈ પરમાર અને ગીરીરાજસિંહ સુખદેવસિંહ ઝાલા તેમજ અમિતભાઈ દેવાભાઈ અવાડિયા, વનિતાબેન મુકેશભાઈ ગામી, સંગીતાબા ગીરીરાજસિંહ ઝાલા, હરીશભાઈ મોતીભાઈ રાતડીયા, સીતાબા અનોપસિંહ જાડેજા, વાંકાનેર શહેરમાંથી દર્શનાબેન વિશાલભાઈ સંઘવી, જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ અને મીનાક્ષીબેન કાંતિલાલ વોરાનો સમાવેશ થાય છે.

    તે ઉપરાંત ઓટાળા જિલ્લા પંચાયતની બેઠકમાંથી ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર (જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન) અને તેના પતિ નથુભાઈ ભુરાભાઈ કડીવાર, જુના ઘાટીલા તાલુકા પંચાયત બેઠકમાં કેતનભાઇ રમેશભાઈ વિડજા, ખાખરેચી જિલ્લા પંચાયત બેઠકમાં પ્રવીણભાઈ અરજણભાઈ અવાડિયા, વેજલપર તાલુકા પંચાયત બેઠકમાં કાંતિલાલ નાનજીભાઈ દેત્રોજા, કોઠી જિલ્લા પંચાયત બેઠકમાં ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા, ઢુવા જિલ્લા પંચાયત બેઠકમાં ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા અને કાળુભાઈ મેરૂભાઈ કાંકરેચા તથા ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક ઉપરથી યુસુફભાઈ મિરાજી શેરસીયાને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યકર્તાના પ્રાથમિક સદસ્ય પદ ઉપરથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

  • મોરબીના કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

    મોરબીના કડીયાણા નજીક વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી

    મોરબીના વૃદ્ધની હળવદના કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામે ઓળખાતી સીમમાં વાડીની ઓરડીમાંથી 1 લાખ રૂપિયાની કિંમતના કોપર વાયરની ચોરી થઇ હોવાની વૃદ્ધને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે.

    રવાપર રોડ ઉપર આવેલ મારુતિનગર વિદ્યુતનગરની બાજુમાં રહેતા લાલજીભાઈ અણદાભાઇ સિણોજીયા (60)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે.

    કડીયાણા અને ચરાડવા ગામની વચ્ચે બાર બોર નામની ઓળખાતી સીમમાં તેઓની તેઓની વાડી આવેલી છે અને તે વાડીની ઓરડીમાં અજાણ્ય શખ્સ દ્વારા પ્રવેશ કરીને ત્યાં રાખવામાં આવેલ સબમર્સીબલ મોટરનો કેબલ કોપર વાયર આશરે 1600 ફૂટ જેની કિંમત 1 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

  • મોરબીમાં આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ ખાતામાંથી 3 લાખ ઉપાડી ગયા

    મોરબીમાં આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ ખાતામાંથી 3 લાખ ઉપાડી ગયા

    સોશયલ મીડિયા મારફતે મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ખોલવાના કારણે ઘણા લોકોના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા છે તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે તેવામાં મોરબીના પંચાસર રોડ પર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા આધેડના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઈલ આવી હતી.

    જેને મોબાઈલ ફોનમાં ઓપન કરવાની સાથે જ આધેડ અને તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ આધેડે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.

    પંચાસર રોડ ઉપર આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (50)એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેનેરા બેન્ક તથા એરટેલ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ધારકો તથા તપાસમાં ખૂલે તેની સામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા. 2/3 ના રોજ તેઓના મોબાઇલ ફોનમાં આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી .

    જે ફાઈલને ઓપન કરવાની સાથે જ તેઓનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેમના એયુ બેંકમાં આવેલ એકાઉન્ટમાંથી 2.95 લાખ રૂપિયા તથા તેના પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી 5,000 રૂપિયા આમ કુલ મળીને 2 એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા આરોપીઓએ તેના જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા આ રીતે આધેડની સાથે ઠગાઈ કરવામાં આવી હતી. ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

  • ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હોર્મુઝમાં ટેન્શન વધ્યું

    ગુજરાત આવી રહેલા જહાજ પર હુમલા બાદ ઈરાનનો કબજો, હોર્મુઝમાં ટેન્શન વધ્યું

    હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની સરહદ નજીક બે કોમર્શિયલ જહાજ પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બરને ઈજા થયાના સમાચાર નથી. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. જો કે, આ પૈકી એક જહાજ ભારતનું છે, જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવતું હતું.

    ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર ઈરાને કબજો કર્યો!

    રોયટર્સના હવાલાથી મળતી માહિતી અનુસાર, હોર્મુઝની ખાડીમાં ઈરાનના IRGC દ્વારા બે જહાજો પર ફાયરિંગ કરાયું હતું. જેમાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજ સહિત એક પનામા અને એક લાઈબેરિયાનું જહાજ હતું. ઈરાનના સરકારી ટીવીના અનુસાર, બે જહાજોને કબજે કરીને ઈરાન લઈ જવાઈ રહ્યા છે. ભારતીય જહાજ એપામિનોંડાસ દુબઈથી ગુજરાતના મુંદ્રા આવી રહ્યું હતું. સૂત્રોના અહેવાલ અનુસાર, ઈરાને કબજે કરેલા જહાજમાં ભારતીય જહાજ પણ સામેલ છે.

    સુરક્ષા સંબંધી ચિંતાઓમાં વધારો

    એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.

    IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી

    રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTO એ જણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

    કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો

    જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને આ ઘટનાને કારણે જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચવાની કોઈ ઘટના બની નથી. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે તે ગનબોટ પર ત્રણ લોકો સવાર હતા. ગ્રીક સંચાલિત કન્ટેનર જહાજના કેપ્ટને એમ પણ જણાવ્યું હતું કે ઘટના પહેલા કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો અને જહાજને શરૂઆતમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે.

  • પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

    પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ, E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર

    પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

    ઓઇલ આયાત પર નિર્ભરતામાં ઘટાડો

    ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90% ઓઇલ આયાત કરે છે, જે દેશની તિજોરી પર મોટો બોજ નાખે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલ સંકટ ગંભીર બન્યું છે ત્યારે ઈથેનોલ બ્લન્ડિંગ એ દેશ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ પણ અગાઉ નોંધ્યું હતું કે એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર 1-2% ઈથેનોલ ભેળવવામાં આવતું હતું, જે હવે 20% સુધી પહોંચ્યું છે. આ ફેરફારને કારણે વાર્ષિક આશરે સાડા ચાર કરોડ બેરલ જેટલું ઓઇલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે. ઈથેનોલ ખાસ કરીને શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જે રિન્યુએબલ હોવાની સાથે પ્રદૂષણ પણ ઘટાડે છે અને તેનાથી સીધો ફાયદો દેશના ખેડૂતોને થશે.

    નીતિન ગડકરીનો ફ્લેક્સ એન્જિન પર ભાર

    જોકે, E85 ફ્યુલનો ઉપયોગ સામાન્ય એન્જિન ધરાવતી ગાડીઓમાં કરી શકાશે નહીં. આ માટે ખાસ પ્રકારના ‘ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ'(FFV) એન્જિનની જરૂર પડશે. સામાન્ય એન્જિનમાં જો વધુ પડતા ઈથેનોલવાળું ઈંધણ વાપરવામાં આવે તો એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાની અને પરફોર્મન્સ ઘટવાની શક્યતા રહેલી છે. આથી જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત વાહન ઉત્પાદક કંપનીઓને ફ્લેક્સ ફ્યુલ એન્જિન બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.

    પેટ્રોલ પંપ પર નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર

    આ યોજનાના અમલીકરણ માટે પેટ્રોલ પંપો પર પણ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નોઝલ અને સ્ટોરેજ સિસ્ટમ તૈયાર કરવી પડશે. આગામી સમયમાં E85 ફ્યુલ ભારતના ઓટો અને એનર્જી સેક્ટરમાં મોટો બદલાવ લાવશે, જે ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વનું સાબિત થશે.