Author: admin

  • રાજ્યમાં ‘હીટવેવ’નો હાહાકાર, આરોગ્ય વિભાગે જાહેર કરી નવી માર્ગદર્શિકા, હોસ્પિટલોમાં સ્પેશિયલ ‘હીટ સ્ટ્રોક રૂમ’ તૈયાર

    રાજ્યમાં ‘હીટવેવ’નો હાહાકાર, આરોગ્ય વિભાગે જાહેર કરી નવી માર્ગદર્શિકા, હોસ્પિટલોમાં સ્પેશિયલ ‘હીટ સ્ટ્રોક રૂમ’ તૈયાર

    ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૂર્યદેવ આકરા પાણીએ થયા છે. રાજ્યમાં સતત વધી રહેલા તાપમાન અને હીટવેવના પ્રકોપને જોતા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકો માટે મહત્વપૂર્ણ ‘હેલ્થ એડવાઈઝરી’ જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને આ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે.

    નાગરિકો માટે ખાસ સૂચનાઓ

    આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બપોરે 12થી થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથા પર ભીનું કપડું અથવા ટોપી રાખવી અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી, છાસ અને લીંબુ શરબતનું સેવન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને બાળકો, વડીલો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લેવા જણાવાયું છે.

    તંત્રની સજ્જતા
    1 માર્ચ ૨૦૨૬ થી જ રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દવાઓ, ORS અને IV ફ્લુઈડ્સનો પૂરતો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, દરેક જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 2 બેડના ખાસ ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર કરવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં વીજળીનો વપરાશ વધતા ઈલેક્ટ્રિક લોડ ઓડિટ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે.

  • ધંધુકા હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો

    અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં યુવકની હત્યાના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (21મી એપ્રિલ) વહીવટી તંત્ર દ્વારા આરોપીઓ અને અસામાજિક તત્ત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકાના ખાટકી વાડ વિસ્તારમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

    ખાટકી વાડમાં દબાણોનો સફાયો

    ગત શનિવારે (18મી એપ્રિલ) ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા બાદ પંથકમાં તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. તંત્રએ આજે વહેલી સવારથી જ ખાટકી વાડ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં ચારથી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે હવે હાઇવે પર આવેલા ગેરકાયદે દબાણો, દુકાનો અને લારી-ગલ્લાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કાફલો

    આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે 300 જેટલા પોલીસ જવાનોનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નગરપાલિકા અને આરએનબી (માર્ગ અને મકાન વિભાગ) ના 50થી વધુ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતા.

    કોર્ટમાં આરોપીઓની રજૂઆત

    બીજી તરફ, મુખ્ય આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી કોર્ટ પરિસરને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ દ્વારા નામદાર કોર્ટ પાસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાને રાખીને રિઝવાન અને સમીરના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આગામી બે દિવસ સુધી પોલીસ આ આરોપીઓની સઘન પૂછપરછ કરશે. આ સમયગાળા દરમિયાન પોલીસ તપાસમાં અન્ય કયા ઘટસ્ફોટ થાય છે અને હત્યા પાછળનું મુખ્ય ષડયંત્ર શું હતું, તેના પર સૌની નજર રહેશે.

  • કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ

    કોઈપણ પાર્ટીના નેતાઓએ મત માગવા આવવું નહીં: મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ

    મોરબીના સનાળા રોડ પર આવેલ અરિહંત સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, પાણી, ગટર સહિતના જે પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવ્યા નથી જેથી કરીને સ્થાનિક લોકો રોષે ભરાયા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાન રાખીને સોસાયટીમાં બંને બાજુએ બોર્ડ લગાવીને કોઈપણ રાજકીય પાર્ટીના નેતાએ મત માંગવા માટે અમારી સોસાયટીમાં આવવું નહીં તેવું સ્પષ્ટપણે બોર્ડમાં લખવામાં આવ્યું છે અને આ રીતે લોકોએ પોતાની સમસ્યાઓને વાંચા આપીને પોતાની વેદના ઠાલવી છે.

    મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર હાલમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે લોકો તરફથી તેઓના પ્રશ્ર્નો મત માંગવા માટે આવતા ઉમેદવારો સમક્ષ રજુ કરવામાં આવતા હોય છે અને તે ઉકેલવા માટેની ઉમેદવારો દ્વારા ખાતરીઓ આપવામાં આવતી હોય છે પરંતુ ઘણી વખત ચૂંટાઈ ગયા બાદ કે પછી ચૂંટણી પૂરી થયા બાદ લોકોની સમસ્યાઓને ભૂલી જવામાં આવતી હોય છે .

    આવો જ ઘાટ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સોસાયટીમાં જોવા મળી રહ્યો છે મોરબીના વોર્ડ નં 9 માં આવતી અરિહંત સોસાયટીમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી રોડ રસ્તા, ગટર, પાણી જેવી સામાન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યા છે અને તેને ઉકેલવા માટે અગાઉ જ્યારે ચૂંટણી આવી હતી ત્યારે પ્રશ્ન ઉકેવાની વાતો કરી હતી અને ત્યારે માલ સામાન મોકલીને તાત્કાલિક ખાતમહૂર્ત કરવામાં આવ્યુ હતું .

    પરંતુ તે ખાતમહૂર્ત હતું કે પછી લોકોને મૂરખ બનાવવા માટેનો કાર્યક્રમ હતો તે આજની તારીખે લોકોને સમજાયું નથી જેથી પ્રાથમિક સુવિધાને લગતા તેઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા ન હોવાના કારણે રોષે ભરાયેલા સોસાયટીના લોકો દ્વારા હાલમાં સોસાયટીના બંને બાજુના પ્રવેશ દ્વાર પાસે બોર્ડ બેનર લગાવીને કોઈપણ પાર્ટીના નેતાઓએ તેમના સોસાયટી વિસ્તારની અંદર મત માંગવા માટે ન આવવું તેવી સ્પષ્ટ વાત સાથે પોતાની વેદના ઠાલવી છે.

  • 2027થી મોબાઇલમાં બદલાય તેવી બેટરી ફરજિયાત યુરોપિયન યુનિયનનો ઐતિહાસિક નિર્ણય

    2027થી મોબાઇલમાં બદલાય તેવી બેટરી ફરજિયાત યુરોપિયન યુનિયનનો ઐતિહાસિક નિર્ણય

    ઇ-વેસ્ટ ઘટાડવા, ગ્રાહકોને આસાનીથી બેટરી બદલાવી શકે અને સ્માર્ટફોન ઉદ્યોગમાં પરિવર્તન લાવવાના હેતુથી EUનો કડક નિયમ આ ઉપરાંત ગ્રાહકો તેમના ઉપકરણો થર્ડ પાર્ટી પર રિપેર કરાવી શકશે

    યુરોપિયન યુનિયન (EU) દ્વારા ટેક્નોલોજી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર 18 ફેબ્રુઆરી, 2027થી યુરોપિયન બજારમાં વેચાતા તમામ સ્માર્ટફોન, ટેબ્લેટ અને અન્ય પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાં યુઝર દ્વારા સરળતાથી બદલાય શકે તેવી બેટરી હોવી ફરજિયાત બનશે.

    આ નિયમ માત્ર નવા લોન્ચ થતા ડિવાઇસ પર લાગુ પડશે નહીં, પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે એક નવો સ્ટાન્ડર્ડ નક્કી કરશે. EUનું માનવું છે કે ડિવાઇસનું આયુષ્ય વધારવાથી અને રિપેરિંગ સરળ બનાવવાથી ગ્રાહકોને લાંબા ગાળે ફાયદો થશે.

    કંપનીઓ અને ડિઝાઇન પર અસર
    આ નિર્ણયથી સ્માર્ટફોન ઉત્પાદકો માટે મોટી પડકારજનક પરિસ્થિતિ ઉભી થશે. હાલના સમયમાં Apple, Samsung અને અન્ય કંપનીઓ પ્રીમિયમ અને સ્લિમ ડિઝાઇન સાથે સીલ્ડ બેટરી આપે છે, જે વોટરપ્રૂફિંગ અને મજબૂતાઈ માટે અનુકૂળ હોય છે.

    પરંતુ નવા નિયમો હેઠળ કંપનીઓને એવી ડિઝાઇન તૈયાર કરવી પડશે જેમાં બેટરી સરળતાથી કાઢી અને બદલી શકાય. આ માટે નવા મટિરિયલ, મોડ્યુલર ડિઝાઇન અને નવી એન્જિનિયરિંગ ટેકનિકનો ઉપયોગ કરવો પડશે. શક્ય છે કે આ બદલાવના કારણે ફોનની જાડાઈ અને ડિઝાઇનમાં થોડો ફેરફાર જોવા મળે.

    ગ્રાહકો માટે ફાયદા
    આ નિયમનો સૌથી મોટો લાભ ગ્રાહકોને મળશે. બેટરી ખરાબ થવા પર આખો ફોન બદલવાની જરૂર નહીં રહે, પરંતુ યુઝર સરળતાથી નવી બેટરી લગાવી શકશે. આથી રિપેરિંગ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે અને સમયની પણ બચત થશે.

    ઉપરાંત, ફોન લાંબા સમય સુધી ઉપયોગમાં રહી શકશે, જેનાથી ગ્રાહકોને વારંવાર નવો ફોન ખરીદવાની જરૂર નહીં પડે. આ સાથે ‘રાઈટ ટુ રિપેર’ (Right to Repair) અભિયાનને પણ મજબૂતી મળશે, જે ગ્રાહકોને તેમના ડિવાઇસ પર વધુ નિયંત્રણ આપે છે. આ સાથે ગ્રાહક થર્ડ પાર્ટી પણ રિપેર કરાવી શકશે.

    પર્યાવરણ અને ઇ-વેસ્ટ પર અસર
    ઇલેક્ટ્રોનિક કચરો (E-waste) આજના સમયમાં વૈશ્વિક સ્તરે ગંભીર સમસ્યા બની રહ્યો છે. સ્માર્ટફોનમાં વપરાતી બેટરીઓમાં લિથિયમ અને અન્ય હાનિકારક પદાર્થો હોય છે, જે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થાય છે. બદલાય શકે તેવી બેટરીના નિયમથી બેટરીનું રિસાયક્લિંગ સરળ બનશે અને ઇ-વેસ્ટમાં ઘટાડો થશે. EUનો આ નિર્ણય પર્યાવરણ સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે અન્ય દેશોને પણ આવા નિયમો અમલમાં લાવવા પ્રેરિત કરી શકે છે.

    ટેક્નોલોજી અને માર્કેટ પર અસર
    આ નિયમનો અસર વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટ પર પણ જોવા મળશે. યુરોપ એક મોટો બજાર હોવાથી કંપનીઓ એક જ પ્રકારની ડિઝાઇન વૈશ્વિક સ્તરે અપનાવી શકે છે. પરિણામે, ભારત સહિત અન્ય દેશોમાં પણ બદલાય શકે તેવી બેટરીવાળા ફોન વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. આ સાથે, થર્ડ-પાર્ટી બેટરી માર્કેટ અને રિપેરિંગ ઉદ્યોગમાં પણ વૃદ્ધિ થવાની શક્યતા છે.

    કંપનીઓ માટે મુખ્ય આવશ્યકતાઓ
    -વપરાશકર્તા-બદલી શકાય તેવી બેટરીઓ હવેથી એન્ડ્રોઇડ તથા એપલ ફોન ઉપરાંત ટેબલેટમાં ઉપલબ્ધ કરાશે

    • 800 ચાર્જ સાયકલ પછી બેટરીઓએ ઓછામાં ઓછી 80 ટકા ક્ષમતા જાળવી રાખવી જોઈએ
    • લોન્ચ પછી 10 વર્ષ સુધી સ્પેરપાર્ટ્સ ઉપલબ્ધ હોવા જોઈએ.
    • મુખ્ય ઘટકો લગભગ 5-10 કાર્યકારી દિવસોમાં પૂરા પાડવામાં આવવા જોઈએ
    • રિપેર મેન્યુઅલની જાહેર એક્સેસ.
    • તૃતીય-પક્ષ અથવા સ્વતંત્ર સમારકામ પર કોઈ પ્રતિબંધ નથી.
    • ગેજેટ્સ સરળ ખોલવા અને સેવા આપવા માટે રચાયેલ ઉપકરણો.
  • ગુજરાત બનશે ‘બિગ કેટ’નું ઘર: વાઘ, ચિત્તા અને દીપડા માટે બનાવાશે સ્પેશિયલ કોરિડોર

    ગુજરાત બનશે ‘બિગ કેટ’નું ઘર: વાઘ, ચિત્તા અને દીપડા માટે બનાવાશે સ્પેશિયલ કોરિડોર

    ગુજરાતના વન વિભાગે વાઘ, ચિત્તા અને દીપડા માટે અલગ કોરિડોર બનાવવાની મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાઘ અને દીપડા માટેનો કોરિડોર ઉત્તર ગુજરાતના અરવલ્લીથી દક્ષિણ ગુજરાતના ડાંગ સુધી બનાવવાની દરખાસ્ત છે. જ્યારે ચિત્તા માટેનો કોરિડોર કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં તૈયાર કરાશે.

    ગીર અભયારણ્યમાં એશિયાટિક સિંહો પહેલેથી જ સ્થાયી થયેલા છે. ઉપરાંત રાજ્યમાં ઘણા સમયથી વાઘ પણ વસવાટ કરી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં દીપડાઓની વસ્તી પહેલેથી જ નોંધપાત્ર પ્રમાણમાં છે. ચિત્તાના આગમન સાથે ગુજરાત તમામ મુખ્ય બિગ કેટ્સ હોય તેવું પ્રથમ રાજ્ય બનશે. 

    સૂત્રોએ જણાવ્યું હતું કે,  સિંહોની સાથે વાઘ, ચિત્તા અને દીપડા માટે પણ ગુજરાતને ઘર તરીકે વિકસાવવાનું વિઝન રાખ્યું છે. જે આ પ્રાણીઓ માટે કુદરતી રહેઠાણ બની શકે તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા શિકારનો આધાર વધારવા તેમજ વૈજ્ઞાનિક સંરક્ષણ મોડેલ વિકસાવવા પર ભાર મૂકવામાં આવશે.  ટૂંક સમયમાં ગુજરાત વિશ્વની ચાર મોટી બિગ કેટ ધરાવતું અનોખું રાજ્ય બનશે.

    શું છે આયોજન

    સરકારને રજૂ કરાયેલા વન વિભાગના પ્રેઝન્ટેશન મુજબ, વાઘ અને દીપડાનો કોરિડોર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાઓ સુધી લંબાશે.  વાઘ અને દીપડાના આ કોરિડોરમાં શિકારના આધાર  માટે આશરે 45,000 ટપકાંવાળા હરણ (ચીતલ) અને 3,000 સાબરની સંખ્યા સુનિશ્ચિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે, કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના વસવાટ માટે મુખ્યત્વે કાળિયાર અને ચિંકારા સહિત 28,673 તૃણાહારી પ્રાણીઓ લાવવામાં આવશે.

    બન્નીમાં ચિત્તા માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરનું કામ અંતિમ તબક્કામાં

    બન્નીમાં ચિત્તા માટે કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટર સ્થાપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ વર્ષના અંતમાં એક ટીમ આફ્રિકાની મુલાકાત લઈ શકે છે, જે બન્ની માટે છ જોડી ચિત્તા લાવશે. એકવાર ચિત્તા આવી ગયા પછી, ગુજરાત સિંહ, દીપડો, વાઘ અને ચિત્તા એમ ચારેય ‘બિગ કેટ’ ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બનશે.

    પાંચ વર્ષમાં વાઘની વસ્તી વધારીને 10 સુધી લઈ જવાની યોજના

    સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં એક નર વાઘ છેલ્લા 14 મહિનાથી વધુ સમયથી ગુજરાતમાં છે, જે છોટા ઉદેપુર તેમજ દાહોદ જિલ્લાના રતનમહાલ અને દેવગઢ બારિયામાં જોવા મળ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં કોઈ માદા વાઘ નથી, પરંતુ આગામી મહિનાઓમાં માદા વાઘ લાવીને પાંચ વર્ષમાં વાઘની વસ્તી વધારીને 10 સુધી લઈ જવાની યોજના છે.

    ત્રણ વર્ષમાં બન્નીના ઘાસના મેદાનોમાં 50 ચિત્તા લાવવાનો ટાર્ગેટ

    સૂત્રોએ ઉમેર્યું કે  વન વિભાગનું લક્ષ્ય આગામી ત્રણ વર્ષમાં બન્નીના ઘાસના મેદાનોમાં 50 ચિત્તા લાવવાનું છે. કચ્છના બન્નીમાં 660 હેક્ટરનું એન્ક્લોઝર તૈયાર થઈ ગયું છે અને લાંબા ગાળે ચિત્તાઓને આ વિસ્તારમાં ખુલ્લા જંગલમાં મુક્ત કરવાનો ઈરાદો ધરાવીએ છીએ.  આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના હર્બિવોર બ્રીડિંગ સેન્ટર્સ ઉપરાંત, પ્રસ્તાવિત કોરિડોરમાં બિગ કેટ્સ માટે પૂરતો ખોરાક મળી રહે તે હેતુથી વધુ ચાર નવા હર્બિવોર બ્રીડિંગ સેન્ટર્સ બનાવવાનું આયોજન છે.

  • મોરબી : મહાનગરપાલિકા ચૂંટણીમાં શાબ્દિક યુદ્ધ તેજ : કાંતિભાઈના કડક પ્રહારો, રાજકારણમાં ગરમાવો

    મોરબી : મહાનગરપાલિકા ચૂંટણીમાં શાબ્દિક યુદ્ધ તેજ : કાંતિભાઈના કડક પ્રહારો, રાજકારણમાં ગરમાવો

    મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હાલમાં પ્રચાર ચાલી રહ્યું છે દરમિયાન હવે શાબ્દિક યુદ્ધ અને આક્ષેપો શરૂ થયા હોય તેવું ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીમાં બે દિવસ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે જેના દિકરા સહિત કુલ ચાર લોકોને ભાજપની ટિકિટ ન મળવાથી અપક્ષની પેનલ બનાવીને હાલમાં વોર્ડ નં. 1 માંથી ચૂંટણી લડી રહ્યા છે .

    તેની ચૂંટણી સભામાં ટિકિટ કાપવાની વાતને લઈને ટિકિટ કપનારની આત્માને ભગવાન શાંતિ આપે તે માટે ઘરે 111 દિવસ સુધી અખંડ દીવો ચાલુ રાખ્યો છે તેવી વાત કરી હતી. જે નિવેદનનો રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ચૂંટણીની જાહેર સભાના મંચ ઉપરથી સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે જેથી આ મુદ્દાને લઈને હાલમાં મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

    મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી 427 કરતાં વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી જેમાંથી અનેક આગેવાનને ટિકિટ મળી નથી જે પૈકીના અમુક અપક્ષમાં ઉમેદવારી કરીને હાલમાં ચૂંટણી લડી રહ્યા છે જો કે, અમુક સાઇલેન્ટ થઈ ગયા છે.

    દરમિયાન વોર્ડ નં. 1 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ પોતાની તથા તેના દીકરા અમિતભાઈ અવાડિયા અને તેની જૂની પેનલના ત્રણ સભ્યોની ભાજપ પાસે ટિકિટ માંગી હતી જોકે, દેવાભાઈ અવાડીયા કે તેમના દીકરા અથવા તો તેની જૂની પેનલમાંથી કોઈને પણ ટિકિટ આપી નથી જેથી દેવાભાઈ અવડીયાના દીકરા સહિત કુલ ચાર આગેવાનોની અપક્ષમાં પેનલ બનાવીને વોર્ડ નં. 1 માંથી ઉમેદવારી કરવામાં આવી છે.

    વોર્ડ નં. 1 માં અપક્ષ ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વાવડી રોડ ઉપર આવેલ સરદાર ચેમ્બર ખાતે બે દિવસ પહેલા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયા દ્વારા સભાને સંબોધતા તેઓએ પોતાના વિસ્તારમાં કરેલા કામોની યાદી બતાવી હતી અને ત્યારબાદ મંચ ઉપરથી પોતાની અને તેના દીકરાની તથા તેની પેનલની ટિકિટ કપાવો બાબતે કહ્યું હતું કે હું કોઈનું નામ નથી લેતો પરંતુ મારા ઘરે અખંડ દીવો રાખ્યો છે અને ઉપર વાળાને પ્રાર્થના કરું છું કે જેણે મારી અને અમારી પેનલની ટિકિટો કાપી છે તેને ત્રણ મહિનાને 21 દિવસ એટલે કે કુલ 111 દિવસમાં ભગવાન તેના આત્માને શાંતિ આપે હું તેના ફોટાને પગે લાગવા જઈશ.

    દરમિયાન ગઈકાલે મોરબીની ઉમા ટાઉનશિપ ખાતે વોર્ડ નં. 3 ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભા રાખી હતી જેમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ અખંડ દીવો રાખવાની જે વાત પાલિકાના પૂર્વ પ્રમુખે કરી હતી.

    તેનો જવાબ આપતા કહ્યું હતું કે, ઘણા બધાને ટિકિટ મળી નથી, તેવામાં હમણાં એક જણાએ એવું કહ્યું કે, અખંડ દીવો રાખ્યો છે અને મારી ટિકિટ કાપી છે તેનું ભગવાન ધનોત પનોત કાઢે, પરંતુ કાકા દીવામાં ઘી હરામના પૈસાનું છે .

    ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં બંદૂક લઈને આવોને, ગામને કનડે તેની તો ટિકિટ કાપવાની જ હોય, હું કોઈ જ્ઞાતિ વાદનો માણસ નથી પરંતુ જે દાદાગીરી કરે તેની સાથે જિંદગીમાં પણ બાંધ છોડ કરી જ નહીં આવો પડકાર ફેંક્યો છે જેથી હાલમાં મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને મહાપાલિકાની પ્રથમ ચૂંટણી લોહિયાળ બને તેવા સંકેતો મળી રહ્યા છે.

  • ભારતને સસ્તું તેલ આપતા ઈરાકનો 15 વર્ષથી બંધ બોર્ડર રૂટ ખુલ્યો

    ભારતને સસ્તું તેલ આપતા ઈરાકનો 15 વર્ષથી બંધ બોર્ડર રૂટ ખુલ્યો

    ભારત જે દેશો પાસેથી કાચું તેલ ખરીદે છે, તેમાં સામેલ ઈરાક માટે એક મોટો ફેરફાર થયો છે. ઈરાક અને સીરિયા વચ્ચે 10 વર્ષથી વધુ સમયથી બંધ પડેલી બોર્ડર ક્રોસિંગ ફરીથી ખોલી દેવામાં આવી છે. આ ક્રોસિંગને ઈરાકમાં ’રબિયા’ અને સીરિયામાં ’યારુબિયા’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2011માં સીરિયામાં ફાટી નીકળેલા ગૃહયુદ્ધ બાદ આ સરહદ બંધ કરી દેવામાં આવી હતી.

    ત્યારબાદ 2014માં ઈસ્લામિક સ્ટેટ (ISIS) એ આ વિસ્તાર પર કબજો જમાવ્યો હતો. જોકે, પાછળથી ઈરાકી કુર્દ દળોએ તેને ફરી પોતાના નિયંત્રણમાં લીધું હતું. હવે સોમવારે આ બોર્ડર ફરીથી ખોલવામાં આવી છે. બંને દેશોના અધિકારીઓએ અહીં મળીને વેપાર વધારવા અને અવરજવર સરળ બનાવવા પર ચર્ચા કરી હતી.

    ઈરાકના નિનેવે પ્રાંતના નેતા નાદિયા અલ-જુબૌરીએ જણાવ્યું હતું કે, આનાથી વેપાર વધશે અને તેલ સપ્લાય માટે એક મોટો નવો માર્ગ મળશે. ઉલ્લેખનીય છે કે ભારતની કુલ તેલ આયાતનો પાંચમો ભાગ ઈરાકથી આવે છે. ઈરાકની અર્થવ્યવસ્થા મોટાભાગે તેલ પર આધારિત છે. તેના બજેટનો લગભગ 90% હિસ્સો તેલની આવકમાંથી આવે છે.

    અત્યાર સુધી ઈરાકનું મોટાભાગનું તેલ દરિયાઈ માર્ગે ’સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ દ્વારા મોકલવામાં આવતું હતું. આ એક અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે, કારણ કે વિશ્વનું લગભગ 20% તેલ અહીંથી પસાર થાય છે. નવી બોર્ડર ક્રોસિંગ ખુલવાથી હવે ઈરાક પાસે તેલ મોકલવા માટે બીજો વિકલ્પ ઉપલબ્ધ થયો છે. આનાથી દરિયાઈ માર્ગ પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવની સ્થિતિ પ્રવર્તે છે.

  • એપલ કારપ્લેમાં હવે વોટ્સએપની એન્ટ્રી, ડ્રાઇવિંગ દરમિયાન મેસેજિંગ બનશે વધુ સરળ

    એપલ કારપ્લેમાં હવે વોટ્સએપની એન્ટ્રી, ડ્રાઇવિંગ દરમિયાન મેસેજિંગ બનશે વધુ સરળ

    એપલ કારપ્લે યુઝર્સ માટે વધુ એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે કારપ્લેમાં સીધી WhatsApp એપનો ઉપયોગ કરી શકાશે. થોડા સમય પહેલાં ChatGPT એપ કારપ્લેમાં ઉપલબ્ધ બની હતી, અને હવે વોટ્સએપ પણ તેમાં જોડાતા યુઝર્સને વધુ સગવડ મળશે.

    હાલ સુધી કારપ્લેમાં વોટ્સએપ મેસેજ મોકલવા અથવા વાંચવા માટે Siriની મદદ લેવી પડતી હતી. પરંતુ હવે કારપ્લેમાં સીધી વોટ્સએપ એપ મળતાં ડ્રાઇવિંગ દરમિયાન ઓછા અવરોધ સાથે મેસેજિંગ કરી શકાશે. યુઝર્સ મેસેજ વાંચી પણ શકશે અને મોકલી પણ શકશે.

    કારપ્લે માટેની વોટ્સએપ એપમાં ત્રણ મુખ્ય ટેબ આપવામાં આવ્યા છે. પહેલી ટેબમાં ચેટ લિસ્ટ જોવા મળશે, જેમાં ખાસ કરીને નવા અને ન વાંચેલા મેસેજની માહિતી મળશે. બીજી ટેબમાં કોલ હિસ્ટ્રી આપવામાં આવી છે, જેમાં ઇનકમિંગ, આઉટગોઇંગ અને મિસ્ડ કૉલ્સની વિગતો જોઈ શકાશે.

     ત્રીજી ટેબમાં ફેવરિટ કોન્ટેક્ટ્સ હશે, જેથી વારંવાર સંપર્ક કરતા લોકો સુધી ઝડપથી પહોંચી શકાશે. આ લિસ્ટ iPhoneના ફેવરિટ કોન્ટેક્ટ્સ સાથે સિંક્ડ રહેશે.

    આ ઉપરાંત WhatsAppની આઇફોન એપમાં વોઇસ કૉલ માટે ‘નોઇસ કેન્સલેશન’ સુવિધા પણ ઉમેરાઈ રહી છે. આ ફીચરથી આસપાસ ઘોંઘાટ હોય ત્યારે પણ કૉલ વધુ સ્પષ્ટ રીતે કરી શકાશે.

    વોટ્સએપ સ્ટેટસ અપડેટ્સને વધુ પ્રોમિનન્ટ બનાવવા માટે પણ કંપની કામ કરી રહી છે. હાલમાં સ્ટેટસ જોવા માટે પ્રોફાઇલ ફોટો પર રિંગ ક્લિક કરવી પડે છે અથવા ‘Updates’ ટેબમાં જવું પડે છે. હવે નવા અપડેટ મુજબ ‘Chats’ ટેબમાં જ નવા મેસેજ ઉપર સ્ટેટસ અપડેટ્સ પણ દેખાશે, જેથી યુઝર્સને વધુ સરળતા મળશે.

  • હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

    હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર

    દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યુન્ગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. એક ખાનગી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બંને દેશોએ સાથે મળીને કામ કરવું અત્યંત જરૂરી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચેના લાંબા સમયના વિવાદને કારણે જો આ શિપિંગ રૂટ બંધ થાય, તો વિશ્વભરમાં તેલની કિંમતો વધી શકે છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે.

    ખનિજ સપ્લાય ચેઈન માટે દક્ષિણ કોરિયા અને ભારતનો નવો માસ્ટર પ્લાન

    પ્રમુખ લીએ સ્પષ્ટ કર્યું હતું કે દક્ષિણ કોરિયા અને ભારત બંને પોતાની ઊર્જા જરૂરિયાતો, ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે. આથી, પોતાના નાગરિકોની સુરક્ષા અને દેશના અસ્તિત્વ માટે આ દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે અનિવાર્ય છે. ઊર્જા સપ્લાય ચેઈનમાં વિવિધતા લાવવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતાઓ દૂર કરવા માટે દક્ષિણ કોરિયા ભારત સાથે સતત સંપર્કમાં રહેશે.

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સમાં વધશે સહયોગ

    આ ઉપરાંત, દક્ષિણ કોરિયાના પ્રમુખે ક્રૂડ ઓઇલ અને ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં પણ ભારત સાથે નવું મોડેલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે સૂચવ્યું હતું કે દક્ષિણ કોરિયાની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ભારતના માઈનિંગ(ખાણકામ) તેમજ રિફાઈનિંગ ઉદ્યોગના સમન્વયથી એક સ્થિર સપ્લાય ચેઈન ઊભી કરી શકાય છે. આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંરક્ષણ, શિપબિલ્ડિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો.

  • જે દેશમાં પાકિસ્તાની ફાઇટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઇલેવલ બેઠક

    જે દેશમાં પાકિસ્તાની ફાઇટર જેટ તહેનાત છે ત્યાં અચાનક પહોંચ્યા અજિત ડોભાલ, ટોચના નેતાઓ સાથે હાઇલેવલ બેઠક

    ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજીત ડોભાલ અચાનક સાઉદી અરેબિયાના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તેમણે સાઉદીના ટોચના નેતૃત્વ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી છે. રિયાદમાં ભારતીય દૂતાવાસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 19 એપ્રિલના રોજ આ પ્રવાસ દરમિયાન અજીત ડોભાલે સાઉદીના ઊર્જા મંત્રી, વિદેશ મંત્રી અને ત્યાંના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકોમાં દ્વિપક્ષીય વ્યૂહનીતિ અને પરસ્પર હિતો સાથે જોડાયેલા પ્રાદેશિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

    અજીત ડોભાલની સાઉદીના ટોચના નેતાઓ સાથે ગુપ્ત બેઠક

    અજીત ડોભાલનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ખાડી દેશોમાં ઈરાનને લઈને તણાવ ચરમસીમા પર છે. તાજેતરમાં જ અમેરિકન નેવીએ ઈરાનના એક જહાજને કબજે કર્યું છે, જેના જવાબમાં ઈરાને બદલો લેવાની ધમકી આપી છે. બીજી તરફ, મંગળવારે વર્તમાન સીઝફાયર પૂરું થઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં ફરીથી યુદ્ધ ફાટી નીકળવાનો ભય છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અજીત ડોભાલની સાઉદી નેતાઓ સાથેની મુલાકાત ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે.

    પાકિસ્તાની સેનાની તહેનાતી અને અજીત ડોભાલનો પ્રવાસ

    આ પ્રવાસનું એક બીજું મહત્ત્વનું પાસું સાઉદી અરેબિયામાં પાકિસ્તાની ફાઇટર જેટ્સ અને સૈનિકોની તહેનાતી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા રક્ષા સમજૂતી મુજબ, જો સાઉદી પર હુમલો થાય તો પાકિસ્તાને તેની સુરક્ષા માટે યુદ્ધમાં ઉતરવું પડશે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાનની સૈન્ય ગતિવિધિઓ સાઉદીમાં વધી છે, ત્યારે ભારતીય NSAનું ત્યાં પહોંચવું વૈશ્વિક રાજનીતિમાં મોટો સંકેત આપે છે. જાણકારોના મતે, આ મુલાકાત સાબિત કરે છે કે સાઉદી અરેબિયા પ્રાદેશિક શાંતિ અને ગોપનીય રાજદ્વારી વાટાઘાટો માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ત્યાંના પ્રવાહો પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.