Author: admin

  • ઈરાનમાં સત્તાપલટો? અરાઘચી સહિતના નેતાઓને હાંસિયે ધકેલીને નવા નેતાએ સુકાન સંભાળ્યું

    ઈરાનમાં સત્તાપલટો? અરાઘચી સહિતના નેતાઓને હાંસિયે ધકેલીને નવા નેતાએ સુકાન સંભાળ્યું

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા ફરી એકવાર ઠગારી નિવડી છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના કાર્ગો જહાજ પર અમેરિકાએ કરેલા હુમલાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આ હુમલા બાદ ઈરાનની અંદર કૂટનીતિક ટીમોને સાઈડલાઈન કરી દેવામાં આવી છે અને IRGC ના (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) કટ્ટરપંથી કમાન્ડરોએ દેશના મહત્વના નિર્ણયો લેવાના શરૂ કરી દીધા છે.

    ઈરાનમાં આંતરિક સત્તાપલટો કટ્ટરપંથી કમાન્ડરો મજબૂત

    ધ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વાહિદી હવે ઈરાનના મુખ્ય નિર્ણયકર્તા બની ગયા છે. અત્યાર સુધી અમેરિકા સાથે નરમ વલણ અપનાવતા વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કિનારે કરી દેવાયા છે. વાહિદી અને તેમની ટીમે સ્પષ્ટતા કરી છે કે, અમેરિકા સાથેની કોઈપણ શાંતિ વાટાઘાટો હાલમાં મુલતવી રાખવામાં આવી છે. અમેરિકી નૌકાબંધીના જવાબમાં સ્ટેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ રહેશે. ઈરાની વાટાઘાટકાર ટીમને તેહરાન પાછી બોલાવી લેવામાં આવી છે.
    ટ્રમ્પની વ્યૂહરચના ઉંધી પડી?

    નિષ્ણાતો માની રહ્યા છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય દબાણ વધારીને ઈરાનને મંત્રણાના ટેબલ પર લાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે પોતાના પગ પર કુહાડી મારવા જેવું સાબિત થયું છે. અમેરિકી હુમલાને કારણે ઈરાનના કટ્ટરપંથી નેતાઓને વધુ બળ મળ્યું છે, જેને પગલે હવે કોઈ પણ સમજૂતી થવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.

    વૈશ્વિક ક્રૂડ સપ્લાય ખોરવાયો

    વીકેન્ડ દરમિયાન ઈરાને હોર્મુઝના માર્ગે પસાર થતા ઓછામાં ઓછા ત્રણ જહાજોને નિશાન બનાવ્યા હતા. જેના કારણે ફારસની ખાડીમાં સેંકડો જહાજો ફસાઈ ગયા છે. વિશ્વના તેલ વેપાર માટેનો આ સૌથી મહત્વનો માર્ગ બંધ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવવાની ભીતિ છે.

    શું મંગળવાર સુધીનો યુદ્ધવિરામ ટકશે?

    વોશિંગ્ટન સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) ના મતે, ઈરાનમાં જે રીતે સૈન્ય નેતૃત્વ હાવી થયું છે, તે જોતા મંગળવાર સુધી નક્કી કરવામાં આવેલો નાજુક યુદ્ધવિરામ આગળ વધશે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સુપ્રીમ લીડર મૌજતબા ખમેનેઈ પણ હાલમાં પડદા પાછળ રહીને IRGC ને સમર્થન આપી રહ્યા હોવાનું ચર્ચાય છે.

  • મોરબીમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

    મોરબીમાં પરશુરામ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

    મોરબીમાં દર વર્ષે પરશુરામ જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તે જ પરંપરાને આગળ વધારતાં રવિવારે પરશુરામ જયંતિ નિમિત્તે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા.

    મોરબીના વાઘપરા શેરી નં. 4 સ્થિત ગાયત્રી મંદિરથી બપોરે 4:00 વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક અને નવલખી રોડ માર્ગે ફરી પરશુરામ ધામ ખાતે પહોંચી પૂર્ણ થઈ હતી.

    શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી શોભાયાત્રાને લોકો દ્વારા ઉત્સાહભેર આવકારવામાં આવી હતી. પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમ દરમિયાન આગામી વર્ષ માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં નવા પ્રમુખ તરીકે કૌશલભાઈ હિતેશભાઈ મહેતાને જવાબદારી સોંપવામાં આવી હતી.

    આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી, મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ, વિજયભાઈ રાવલ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

  • મોરબીના લાતી પ્લોટમાં ગિફ્ટ આર્ટિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, શ્રમિકો સુરક્ષિત બહાર નીકળતા જાનહાનિ ટળી

    મોરબીના લાતી પ્લોટમાં ગિફ્ટ આર્ટિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, શ્રમિકો સુરક્ષિત બહાર નીકળતા જાનહાનિ ટળી

    મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ગિફ્ટ આર્ટિકલ ફેક્ટરીમાં રવિવારે બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકો તાત્કાલિક બહાર દોડી આવતા કોઈ જાનહાનિ થઈ નહોતી.


    પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીના બીજા માળે આવેલા કેમિકલ વિભાગમાં આગ લાગી હતી. ત્યાં કેમિકલના અંદાજે ૬૦ લીટર જેટલા ડબ્બાઓ રાખેલા હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ બીજા માળે આવેલા શેડ સહિતના ભાગને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.


    આગની જાણ થતાં જ મોરબી કોર્પોરેશનના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.
    મહત્વનું છે કે આગ લાગતા જ ફેક્ટરીમાં કામ કરતા અન્ય શ્રમિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
    ફેક્ટરીમાં લાગેલી આગના કારણે મોટા પાયે માલસામાનનું નુકસાન થયાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

  • જાપાનના વિજ્ઞાનીઓએ કરી એવી કમાલ કે હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ! અબજો રૂપિયા બચશે

    જાપાનના વિજ્ઞાનીઓએ કરી એવી કમાલ કે હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ! અબજો રૂપિયા બચશે

    દુનિયાભરમાં જ્યારે ક્લીન એનર્જીની શોધ તેજ બની છે, ત્યારે જાપાનના વિજ્ઞાનીઓએ ભવિષ્યના સૌથી સ્વચ્છ ઈંધણ એટલે કે હાઇડ્રોજનને બનાવવાની એક અત્યંત સરળ અને સસ્તી રીત શોધી કાઢી છે. અત્યાર સુધી હાઇડ્રોજન બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ રહી છે, પરંતુ ક્યુશુ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર તાકાહિરો માત્સુમોતો અને તેમની ટીમે માત્ર લોખંડના આયન અને અલ્ટ્રાવાયોલેટ(UV) પ્રકાશનો ઉપયોગ કરીને હાઇડ્રોજન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

    હાઇડ્રોજન ઉત્પાદનમાં નવો વળાંક

    એક પ્રયોગ દરમિયાન જ્યારે મીથેનોલ, આયર્ન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના મિશ્રણ પર UV લાઈટ ફેંકવામાં આવી, ત્યારે તેમાંથી મોટી માત્રામાં હાઇડ્રોજન ગેસ છૂટો પડવા લાગ્યો હતો. પ્રોફેસર માત્સુમોતો આ સફળતાને એક સુખદ સંજોગ ગણાવે છે, જેણે વિજ્ઞાન માટે નવી આશા જગાવી છે.

    મોંઘા કેટાલિસ્ટનો સસ્તો વિકલ્પ

    સામાન્ય રીતે હાઇડ્રોજન બનાવવા માટે અશ્મીભૂત ઈંધણ(ફોસિલ ફ્યુઅલ)નો ઉપયોગ થાય છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જો આલ્કોહોલમાંથી હાઇડ્રોજન મેળવવો હોય તો અત્યાર સુધી ખૂબ જ મોંઘા અને દુર્લભ ધાતુના કેટાલિસ્ટની જરૂર પડતી હતી. જોકે, આ નવા સંશોધન મુજબ પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ એવા સસ્તા લોખંડનો ઉપયોગ કરીને મોંઘા કેટાલિસ્ટ જેટલી જ ઝડપે હાઇડ્રોજન મેળવી શકાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉત્પાદનનો દર પ્રતિ કલાક 921 મિલીમોલ નોંધાયો છે, જે અત્યાર સુધીની શ્રેષ્ઠ સિસ્ટમની બરાબર છે.

    આ પદ્ધતિની ખાસિયત એ છે કે તે માત્ર મીથેનોલ પૂરતી મર્યાદિત નથી; ઈથેનોલ, પ્રોપેનોલ તેમજ ગ્લુકોઝ અને સ્ટાર્ચ જેવા બાયોમાસમાંથી પણ હાઇડ્રોજન બનાવી શકાય છે, જે ભવિષ્યમાં કચરામાંથી ઉર્જા પેદા કરવાની દિશામાં મહત્ત્વનું ડગલું સાબિત થશે.

    નવી ટેક્નોલોજી અને પડકારો

    જોકે, આ નવી ટેક્નોલોજી સામે કેટલાક પડકારો પણ છે. વૈજ્ઞાનિકો હજુ સુધી આ પ્રતિક્રિયાના ચોક્કસ મીકેનિઝમ એટલે કે આ પ્રક્રિયા અંદરથી કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ વિગતો જાણી શક્યા નથી. આ ઉપરાંત, અન્ય પદાર્થો સાથે તેની કાર્યક્ષમતા વધારવી પણ એક મોટું લક્ષ્ય છે. તેમ છતાં, આ પદ્ધતિ એટલી સરળ છે કે પ્રોફેસર માત્સુમોતો ઈચ્છે છે કે બાળકો પણ આ પ્રયોગ કરીને વિજ્ઞાન તરફ પ્રેરાય. હાઇડ્રોજન ઈંધણ તરીકે બળે ત્યારે કાર્બન ડાયોક્સાઇડને બદલે માત્ર પાણીની વરાળ છોડે છે, તેથી જો આ સસ્તી પદ્ધતિ મોટા પાયે અમલમાં આવશે તો હાઇડ્રોજન કાર અને પાવર પ્લાન્ટ ચલાવવાનું અત્યંત સસ્તું થઈ જશે. આ શોધ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં અને અશ્મીભૂત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

  • ભારતમાં Starlink પર બ્રેક: સુરક્ષા ચિંતાઓને કારણે Elon Muskની SpaceX પર સરકારની કડક નજર

    ભારતમાં Starlink પર બ્રેક: સુરક્ષા ચિંતાઓને કારણે Elon Muskની SpaceX પર સરકારની કડક નજર

    ભારતે Starlinkના ઇન્વેસ્ટમેન્ટ પર તાત્કાલિક ધોરણે બ્રેક લગાવી છે. Elon Muskની કંપનીની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા અંગે સરકાર SpaceXની માલિકીને લગતી બાબતો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની વધુ નજીકથી તપાસ કરી રહી છે. ટેલિકોમ્યુનિકેશન અને સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં વિદેશી ભાગીદારી વિશે ભારત દ્વારા ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે અને આ ઇન્વેસ્ટમેન્ટ એના કારણે જ અટકાવવામાં આવ્યું છે. ભારત નથી ઇચ્છતું કે પોતાના દેશમાં કોઈ પણ સર્વિસ ચાલુ હોય એની કમાન અન્ય દેશ અથવા તો અન્ય દેશની કંપનીના હાથમાં હોય. આથી સરકાર હવે એ વિશે ખૂબ જ ચર્ચા વિચારણા કરી રહી છે.

    વૈશ્વિક તણાવ વચ્ચે સરકારે કમર કસી

    સ્ટારલિંક દ્વારા સેટેલાઇટ મારફતે હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પૂરી પાડવાની સંભાવનાએ વિશ્વભરમાં ખાસ કરીને ઓછી કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં વિશેષ રસ જગાવ્યો છે. જોકે ભારતમાં સરકાર સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. અધિકારીઓ સ્પેસએક્સની માલિકીનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને અંતિમ મંજૂરી પહેલાં ટેકનિકલ તથા ઓપરેશનલ સુરક્ષા પગલાં અંગે સ્પષ્ટતા માંગી રહ્યા છે.

    આ સાવચેત વલણ પાછળ વધતા વૈશ્વિક તણાવ પણ એક મુખ્ય કારણ છે. કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હવે સ્ટ્રેટેજિક એસેટ તરીકે જોવામાં આવતું હોવાથી ભારત સરકાર દ્વારા આ સર્વિસને આંધળાની જેમ અપનાવતા પહેલાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

    લાઇસન્સ મળ્યા છતાં અંતિમ મંજૂરી બાકી

    સ્ટારલિંકને ભારતમાં કામગીરી માટે પ્રાથમિક લાઇસન્સ મળી ચૂક્યા છે, છતાં તેને સ્પેક્ટ્રમ ફાળવણી અને વિદેશી રોકાણ માટે અંતિમ મંજૂરી મેળવવી જરૂરી છે. આ મંજૂરીઓ સંપૂર્ણ સુરક્ષા મૂલ્યાંકન પર આધારિત છે. આ માટે હાલમાં સરકાર ફરી વિચાર કરી રહી છે.

    અગાઉના કેટલાક કેસમાં સ્ટારલિંકના સાધનો સંવેદનશીલ અથવા પ્રતિબંધિત વિસ્તારો જેમ કે ઇરાનમાં ઉપયોગમાં લેવાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આવા બનાવોને કારણે સેટેલાઇટ આધારિત સંચાર પ્રણાલીઓના સંભવિત દુરુપયોગ અંગે ચિંતા વધેલી છે, ખાસ કરીને યુદ્ધ અને ઇમરજન્સી સમયે. ભારત નથી ઇચ્છી રહ્યું કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે ત્યારે સ્ટારલિંકની સર્વિસ ચાલુ હોય અને દુનિયાભરના દેશોને એ વિશે માહિતી પહોંચાડતું રહે. તેમ જ ભારત વિશે અન્ય દેશને માહિતી આપે.

    નવી ટેક્નોલોજી અને સુરક્ષા વચ્ચે સંતુલન

    ભારતનો અભિગમ આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે-સાથે રાષ્ટ્રીય હિતોને પણ ધ્યાનમાં રાખવાનો છે અને એમાં સુરક્ષા સૌથી પહેલાં આવે છે. સેટેલાઇટ ઇન્ટરનેટ ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં ડિજિટલ સેવાની અછતને ઘટાડવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ વિદેશી કંપની દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવતું હોવાથી તેને લઈને ઘણાં જોખમો ઊભા થવાનો ડર પણ એટલો જ રહેલો છે.

    સ્ટારલિંક ભારતમાં હવે શું કરશે?

    સ્ટારલિંક હવે બાકી રહેલા મુદ્દાઓ ઉકેલવા માટે ભારતીય અધિકારીઓ સાથે વધુ ચર્ચાઓ કરશે તેવી શક્યતા છે. આ ચર્ચાઓ પારદર્શિતા, નિયમોનો અમલ અને ટેકનિકલ ખાતરીઓ પર કેન્દ્રિત રહેશે. જોકે ભારત દ્વારા જે બ્રેક લગાવવામાં આવી છે તેને કારણે સ્ટારલિંકના રોલઆઉટમાં વધુ સમય લાગી શકે છે. આ પગલું દર્શાવે છે કે ભારતમાં કોઈ પણ સંવેદનશીલ ક્ષેત્રોમાં પ્રવેશતા દરેક નવા ખેલાડી કે કંપની દેશની સુરક્ષા અને નિયમનકારી માપદંડો સાથે સુસંગત રહે. જો આ તમામ ચિંતાઓ સફળતાપૂર્વક ઉકેલાશે, તો સ્ટારલિંક ભારતભરમાં ઇન્ટરનેટ પહોંચ વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

  • Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો

    Aadhaar App પર સરકારનો મોટો નિર્ણય, સ્માર્ટફોન કંપનીઓના વિરોધ બાદ પ્લાન પડતો મૂકાયો

    ભારત સરકારે દેશમાં વેચાતા તમામ સ્માર્ટફોન્સમાં આધાર એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાના પોતાના મહત્વકાંક્ષી પ્રસ્તાવને પડતો મૂક્યો છે. આઈટી મંત્રાલયે સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે.

    શું હતો UIDAIનો પ્લાન?

    ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) એ આ વર્ષની શરૂઆતમાં આઈટી મંત્રાલયને વિનંતી કરી હતી કે, તેઓ Apple, Google અને Samsung જેવી કંપનીઓ સાથે વાતચીત કરે. UIDAI નો ઉદ્દેશ્ય હતો કે, તમામ નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી હોય. આનાથી સામાન્ય લોકો માટે બેંકિંગ અને ટેલિકોમ વેરિફિકેશન જેવી સેવાઓ સરળ બને. ડિજિટલ ઓળખની પહોંચ દરેક ભારતીય સુધી વધારી શકાય.

    કેમ લેવાયો નિર્ણય પાછો?

    અહેવાલ મુજબ, આઈટી મંત્રાલયે આ પ્રસ્તાવ પર સ્માર્ટફોન મેન્યુફેક્ચરર્સ સાથે ગહન ચર્ચા કરી હતી. જોકે, એપલ અને સેમસંગ જેવી મોટી કંપનીઓએ આ મામલે કેટલીક ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી. કંપનીઓનું માનવું છે કે ફરજિયાત એપથી યુઝરની પ્રાઈવસી પર અસર પડી શકે છે. સિક્યોરિટી રિસ્ક પણ છે. ડિવાઈસની સુરક્ષા અને સોફ્ટવેર કમ્પેબિલિટીને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ઉત્પાદન ખર્ચ વધવાની આશંકા, પ્રી-લોડેડ એપ્સને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી શકે તેવી પણ દલીલ કરવામાં આવી હતી.

    બે વર્ષમાં 6ઠ્ઠી વખત પીછેહઠ

    નોંધનીય છે કે, છેલ્લા બે વર્ષમાં આ 6ઠ્ઠી વખત એવું બન્યું છે જ્યારે સરકારે સ્માર્ટફોનમાં સરકારી એપ્સ ફરજિયાત બનાવવાનો પ્રયાસ કર્યો હોય અને કંપનીઓના વિરોધ બાદ પીછેહઠ કરવી પડી હોય. અગાઉ સંચાર સાથી એપને લઈને પણ આવો જ વિવાદ સર્જાયો હતો, જેમાં સરકારે અંતે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો.

    આધાર વિશે ખાસ માહિતી

    આધાર એ ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેન સાથે જોડાયેલી 12-અંકની ડિજિટલ ઓળખ છે. હાલમાં ભારતમાં 1.34 અબજથી વધુ લોકો બેંકિંગ, ટેલિકોમ વેરિફિકેશન અને એરપોર્ટ એન્ટ્રી જેવી સુવિધાઓ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.

  • ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો

    ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક ડીલ! એકબીજાના દેશમાં તહેનાત કરી શકશે હજારો સૈનિકો અને યુદ્ધ જહાજો

    ભારત અને રશિયા વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ફેબ્રુઆરી 2025 માં થયેલો મહત્ત્વપૂર્ણ લોજિસ્ટિક્સ કરાર જાન્યુઆરી 2026 થી સત્તાવાર રીતે અમલમાં આવી ગયો છે. આ કરાર હેઠળ બંને દેશો હવે એકબીજાની સૈન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે અને મર્યાદિત સંખ્યામાં સૈનિકો તથા શસ્ત્રો તહેનાત કરી શકશે.

    RELOS કરાર શું છે?

    આ સમજૂતીનું પૂરું નામ ઇન્ડો-રશિયન રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) છે. રશિયન સંસદે ડિસેમ્બર 2025 માં તેને મંજૂરી આપી હતી. આ કરારની મુખ્ય શરતોમાં બંને દેશો એકસાથે મહત્તમ 3,000 સૈનિકો એકબીજાના ક્ષેત્રમાં તૈનાત કરી શકશે. આ ઉપરાંત નૌકાદળ અને વાયુસેના એક સમયે 5 યુદ્ધજહાજ અને 10 સૈન્ય વિમાનોની અવરજવર અને તહેનાતીની છૂટ રહેશે. આ સુવિધા શરૂઆતમાં 5 વર્ષ માટે રહેશે, જેને પરસ્પર સંમતિથી વધુ 5 વર્ષ માટે લંબાવી શકાશે.

    ભારતને શું થશે ફાયદો?

    આ કરાર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ભારતને હવે રશિયાના આર્કટિક ક્ષેત્રમાં આવેલા નૌકાદળ અને હવાઈ મથકો સુધી પહોંચ મળશે. ભારતીય સેના પાસે રશિયન મૂળના અનેક શસ્ત્રો છે. આ કરારથી તેમની મરામત અને સ્પેરપાર્ટ્સ મેળવવાનું કામ સરળ બનશે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, તાલીમ અને માનવીય મિશનમાં વધુ ગતિ આવશે.

    સહાયતાના ક્ષેત્રો

    આ કરાર માત્ર સૈનિકો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સાધન-સામગ્રીના સંચાલનનો પણ સમાવેશ થાય છે. જેમાં યુદ્ધજહાજો માટે ઈંધણ, ખોરાક અને ટેકનિકલ સંસાધનોની આપ-લે ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલ, એરોનોટિકલ ડેટા અને વિમાનોના પાર્કિંગની સુવિધા અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક સ્થિતિ વચ્ચે આ કરાર ભારત અને રશિયાની સૈન્ય સજ્જતાને વધુ મજબૂત બનાવશે.

  • ઈરાન તો ભારતનું મિત્ર હતુ, તો પછી ભારતીય જહાજ પર કેમ કર્યું ફાયરિંગ? સબંધો થયા ખરાબ કે કોઈ બીજુ જ છે કારણ

    ઈરાન તો ભારતનું મિત્ર હતુ, તો પછી ભારતીય જહાજ પર કેમ કર્યું ફાયરિંગ? સબંધો થયા ખરાબ કે કોઈ બીજુ જ છે કારણ

    ઈરાનની સૌથી શક્તિશાળી લશ્કરી સંસ્થા, IRGC અને વિદેશ મંત્રાલય સામસામે આવી ગયા છે. અહેવાલ મુજબ, IRGCના વડા અહમદ વાહિદી અને તેમની ટીમ માને છે કે પશ્ચિમી દેશો સાથેની વાટાઘાટોમાં વિદેશ પ્રધાન અરાઘચી “અતિશય નરમ” વલણ અપનાવી રહ્યા છે
    શનિવારે, હોર્મુઝ સ્ટ્રેટમાં એક ભારતીય જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય જહાજ પર ગનબોટ હુમલો ફક્ત દરિયાઈ તણાવનું પરિણામ નથી, પરંતુ ઈરાનની અંદર ચાલી રહેલા સત્તા સંઘર્ષનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ભારતીય ગુપ્તચર સૂત્રોએ એક મીડિયાને જણાવ્યું હતું કે ભારતીય ટેન્કરો નજીક “વોર્નિંગ ફાયરિંગ” વાસ્તવમાં ઈરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીની રાજદ્વારી રેખાને સેનાનો સીધો પડકાર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનની અંદર શક્તિનું સંતુલન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. યુએસ-ઇઝરાયલી હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુથી એક મોટો નેતૃત્વ શૂન્યાવકાશ સર્જાયો છે, જેનાથી સમગ્ર વ્યવસ્થા અસ્થિર થઈ ગઈ છે.

    સેના પોતાના જ વિદેશ મંત્રાલયની ખિલાફ કેમ છે?
    આ અસ્થિરતા વચ્ચે, ઈરાનની સૌથી શક્તિશાળી લશ્કરી સંસ્થા, IRGC અને વિદેશ મંત્રાલય સામસામે આવી ગયા છે. અહેવાલ મુજબ, IRGCના વડા અહમદ વાહિદી અને તેમની ટીમ માને છે કે પશ્ચિમી દેશો સાથેની વાટાઘાટોમાં વિદેશ પ્રધાન અરાઘચી “અતિશય નરમ” વલણ અપનાવી રહ્યા છે. IRGC માને છે કે પરમાણુ કાર્યક્રમ, મિસાઇલ સિસ્ટમ અને હિઝબુલ્લાહ અને હમાસ જેવા સંગઠનો સંબંધિત નિર્ણયો પર રાજદ્વારી નરમાઈ દેશના હિતોની વિરુદ્ધ છે. આ જ કારણ છે કે સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વિદેશ મંત્રાલયના વલણને ખુલ્લેઆમ પડકાર્યું. IRGC-સંલગ્ન મીડિયા પ્લેટફોર્મે પણ અરાઘચીના નિવેદનની ટીકા કરી, તેને “ખતરનાક પક્ષપાત” ગણાવ્યો. આ આંતરિક સંઘર્ષની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી યુએસ-ઈરાન વાટાઘાટો પર નોંધપાત્ર અસર પડી છે.

    IRGCની નારાજગી પાછળનું સાચું કારણ શું છે?
    અહેવાલો અનુસાર, IRGC ઇચ્છે છે કે તેના નજીકના અધિકારી, મોહમ્મદ-બાકર જોલ્ઘઘજરને શાંતિ વાટાઘાટ ટીમમાં સામેલ કરવામાં આવે જેથી તેનું સમગ્ર વાટાઘાટો પર સીધું નિયંત્રણ રહે. પરંતુ વિદેશ પ્રધાન અરાઘચીએ આનો વિરોધ કર્યો છે, અને કહ્યું છે કે જોલ્ઘઘજર પાસે વાટાઘાટોનો અનુભવ નથી. આ તણાવે ઇસ્લામાબાદની વાટાઘાટોને “ત્રણ-માર્ગીય યુદ્ધ” માં ફેરવી દીધી છે – એક તરફ ઈરાની રાજદ્વારીઓ, બીજી તરફ IRGC કટ્ટરપંથીઓ અને ત્રીજી બાહ્ય મધ્યસ્થી.

    ઈરાની સૈન્ય શા માટે ચિંતિત છે?
    નિષ્ણાતોના મતે, ખામેનીના મૃત્યુ પછી સર્જાયેલા સત્તાના શૂન્યાવકાશને કારણે IRGC વધુ આક્રમક બન્યું છે. તેને ડર છે કે રાજદ્વારી સમાધાન તેની શક્તિ અને ભંડોળને નબળું પાડી શકે છે. પરિણામે, હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારો પર તેનું નિયંત્રણ વધુ કડક બન્યું છે. આના ભારત સહિત સમગ્ર વિશ્વ પર સીધા પરિણામો આવી શકે છે. ઈરાન હવે એક સંયુક્ત નિર્ણય લેનાર રાષ્ટ્ર નથી, પરંતુ, વિવિધ દળો જુદી જુદી દિશામાં ખેંચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, જમીન પર લશ્કરી કાર્યવાહી દ્વારા કોઈપણ રાજદ્વારી વચન ઉલટાવી શકાય છે.

    હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય તેલ વાહક જહાજ પર ફાયરિંગ, વિદેશ મંત્રાલયે કરી કડક કાર્યવાહી

    આ ગંભીર ઘટનાને લઈને ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલી ને સમન્સ પાઠવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભારતીય જહાજ પર હુમલો સ્વીકાર્ય નથી અને આ મામલે સ્પષ્ટતા માંગવામાં આવી છે. માહિતી મુજબ, આ ઘટના ઓમાન નજીકના સમુદ્ર વિસ્તારમાં બની હતી.

    સૂત્રો અનુસાર, હુમલા સમયે જહાજોમાં આશરે 2 મિલિયન બેરલ ઈરાકી તેલ ભરેલું હતું. સદભાગ્યે, અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ મળ્યા નથી. તેમ છતાં, આ ઘટનાએ હોર્મુઝ વિસ્તારમાં પહેલાથી જ ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.

    વિશ્વસ્તરે જોવામાં આવે તો Strait of Hormuz અત્યંત મહત્વપૂર્ણ વેપારી માર્ગ છે, જ્યાંથી વિશ્વના મોટા પ્રમાણમાં તેલનો પરિવહન થાય છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ છે.

    અહેવાલો મુજબ, ઈરાનમાં હાલ યુદ્ધસમાન પરિસ્થિતિને કારણે આંતરિક સ્તરે પણ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. વિવિધ દળો અને એકમો વચ્ચે યોગ્ય સંચાર ન હોવાથી આવી ઘટનાઓ બનતી હોવાનું માનવામાં આવે છે. અગાઉ પણ આવી ગેરસમજના કારણે ગોળીબારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    આ વચ્ચે, ઈરાને જાહેરાત કરી છે કે Strait of Hormuz ફરીથી બંધ કરી દેવામાં આવ્યો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકા દ્વારા ઈરાની બંદરો પર કરવામાં આવેલી નાકાબંધીના જવાબમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાત પછી ઘણા વેપારી જહાજોએ આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળ્યું છે, જેના કારણે વૈશ્વિક તેલ સપ્લાય પર પણ અસર પડવાની શક્યતા

  • મોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશ

    મોરબીના વાવડી રોડ ઉપર ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ, તંત્ર સામે આક્રોશ

    મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે છેલ્લા 7 થી 8 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન છે. આ વિસ્તારમાં 30 થી 40 ઘરોની શેરીમાં ભૂગર્ભ ગટરનું પાણી એટલી હદે ઉભરાઈ રહ્યું છે કે લોકોના ઘરના શૌચાલયમાં પણ ગટરના ગંદા પાણી ભરાવા લાગ્યા છે, જેના કારણે રહીશોનું જીવવું દુષ્કર બની ગયું છે.

    આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિકોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકામાં અગાઉ 2 થી 3 વખત રજૂઆત કરવામાં આવી હતી. ગઈકાલે પણ રજૂઆત કરતા સવાર સુધીમાં કામ થઈ જશે તેવો મહાપાલિકા તંત્ર દ્વારા જવાબ મળ્યો હતો. તેમ છતાં સવાર સુધી કોઈ કામગીરી ન થતા આજે સ્થાનિક લોકો કંટાળીને મહાપાલિકા કચેરીએ દોડી ગયા હતા.

    ત્યાં હાજર અધિકારીઓ દ્વારા “અત્યારે નથી, આવશે ત્યારે કામ થશે” તેવા ઉડાવ જવાબો આપવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ અડધો કલાક સુધી કચેરીએ રોકાઈને ઉગ્ર રજૂઆત કરી હતી.અંતે, સ્થાનિકોએ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા સમક્ષ આ બાબતે રજૂઆત કરી હતી. તેઓએ લોકોની સમસ્યા શાંતિથી સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.લોકોને પડતી મુશ્કેલી દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સ્થાનિક સબીરભાઈના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 6 દિવસથી અહી રજૂઆત કરવા માટે આવે છે.

    તેઓ જ્યારે પણ આવે ત્યારે તેમને એવો જ જવાબ મળે છે કે હાલ કે વાહન હાજર નથી, આજે થશે કે કાલે થશે તેવા જવાબો અપાય છે. શેરીમાં ગટર ભરાઈ ગઈ હોવાથી તેઓ રજૂઆત કરવા આવ્યા છે. સ્થાનિક મુનીબેનના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારમાં પાણીનો ગંભીર પ્રોબ્લેમ છે અને બાથરૂૂમનું પાણી ક્યાંય જતું નથી. ગટરો ઉભરાઈને પાણી ઘરમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ગઈકાલે પણ રજૂઆત માટે આવ્યા હતા પરંતુ કોઈ કામ થયું નથી. છેલ્લા 5-6 દિવસથી આ સમસ્યા વધારે છે અને તેઓએ 3 વખત કોલ પણ કર્યા છે છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

  • મોરબી: લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    મોરબી: લગ્ન મુહૂર્તે થતાં બાળલગ્નો અટકાવવા મોરબી જિલ્લામાં હેલ્પલાઇન નંબર્સ જાહેર કરાયા

    તા. 19/4ના રોજ અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું શ્રેષ્ઠ મુહૂર્ત હોય, રાજ્યભરમાં અનેક લગ્નપ્રસંગો યોજાનાર છે. આ પવિત્ર અવસરે ક્યાંય પણ બાળલગ્ન જેવું સામાજિક દૂષણ ન સર્જાય તે હેતુથી મોરબી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. બાળલગ્નો અટકાવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિભાગ દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરી લોકસહયોગની અપીલ કરવામાં આવી છે.

    બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ, દીકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને દીકરાના લગ્ન 21 વર્ષ પહેલા કરવા એ અપરાધ છે. બાળલગ્નને કારણે બાળકોના માનસિક અને શારીરિક આરોગ્ય પર વિપરીત અસરો પડે છે, જે તેમના ભવિષ્યને રૂંધે છે.

    આ કાયદા હેઠળ જોગવાઈ છે કે, બાળલગ્ન કરાવનાર કે તેમાં સહભાગી થનાર વ્યક્તિને 2 વર્ષ સુધીની સખત કેદ અને રૂ. 1 લાખ સુધીના દંડની શિક્ષા થઈ શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, રસોઈયા, મંડપ ડેકોરેશનના માલિકો અને ફોટોગ્રાફર્સને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે, તેઓ વર-ક્ધયાના ઉંમરના પુરાવાની ખાતરી કર્યા બાદ જ લગ્ન વિધિ સંપન્ન કરે.

    જો ક્યાંય પણ બાળલગ્ન થતા હોવાની માહિતી મળે, તો જાગૃત નાગરિક તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી,(02822) 242533, જિલ્લા બાળ સુરક્ષા એકમ (02822) 240098, ચાઇલ્ડ લાઇન 1098, પોલીસ કંટ્રોલ રૂમ 100,મહિલા અભયમ હેલ્પલાઇન:181 પૈકી કોઈ નંબરો ઉપર તાત્કાલિક જાણ કરવા અપીલ કરાઈ છે.

    અખાત્રીજના દિવસે મોરબી જિલ્લો બાળલગ્ન મુક્ત રહે અને બાળકોનું બાળપણ સુરક્ષિત રહે તે માટે તમામ નાગરિકોને સક્રિય ભૂમિકા ભજવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.