Author: admin

  • 1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જાણી લેજો

    1 મેથી બદલાઇ જશે LPG ગેસના નિયમ! સિલિન્ડર બુક કરનારા જાણી લેજો

    ભારત સહીત અનેક દેશો અત્યારે વૈશ્વિક ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે. એવામાં આગામી મેં મહિનામાં LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં વધુ ફેરફારો થઇ શકે છે. ચાલો તેના વિષે જાણીએ.

    મેં મહિનો થોડા જ દિવસોમાં શરૂ થવાનો છે. એવામાં LPG સિલિન્ડર બુકિંગ નિયમોમાં વધુ ફેરફારોના સમાચાર ફરી એકવાર હેડલાઇન્સમાં ચમકી રહ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર હુમલા બાદ ગ્લોબલ એનર્જી માર્કેટ ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. અનેક દેશો અત્યારે વૈશ્વિક ઊર્જા કટોકટીનો સામનો કરી રહ્યા છે, જે મુખ્યત્વે પુરવઠાની અછતને કારણે થયું છે.

    જેના કારણે ડિલિવરીમાં મોડું થઈ રહ્યુ છે અને પરિણામે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. આથી ભારત સહિત અનેક દેશોએ વર્તમાન પરિસ્થિતિને સંબોધવા માટે મહત્વના નિયમો બનાવ્યા છે. જેમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે મે 2026 માં ગેસ સિલિન્ડર સંબંધિત ઘણા ફેરફારોની અપેક્ષા રાખી શકાય છે.

    નિયમોમાં ફેરફારો પર ચર્ચા
    ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની ડિલિવરી સંબંધિત નવા નિયમોની ચર્ચા કરી રહી છે. મે 2026 માં એક જાહેરાતની શક્યતા છે જે LPGની માસિક બુકિંગ અને ડિલિવરી માટેની વર્તમાન પ્રક્રિયામાં ફેરફાર કરશે.

    સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો
    1 મે 2026 થી સમગ્ર ભારતમાં એલપીજીના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. યુએસ-ઇઝરાયલ-ઈરાન યુદ્ધ પછી, ભારતીય તેલ કંપનીઓએ દેશભરમાં 14.2 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં માત્ર એક મહિનામાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે.

    એપ્રિલ 2026 માટે, મેટ્રો શહેરોમાં ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં 196 રૂપિયાનો વધારો કરીને 218 રૂપિયા કરવામાં આવ્યા છે. 7 માર્ચે ઓએમસી દ્વારા પ્રતિ સિલિન્ડરના ભાવમાં 114.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા બાદ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. 1 માર્ચ 2026 ના રોજ કિંમતોમાં 28 રૂપિયાનો વધારો કરીને 31 રૂપિયા કરવામાં આવ્યા બાદ પણ આ વધારો કરવામાં આવ્યો છે.

    વધી શકે છે બુકિંગની સમયમર્યાદા

    નવા નિયમો મુજબ તમે ડિલિવરીના ઓછામાં ઓછા 25 દિવસ બાદ જ બીજો સિલિન્ડર બુક કરાવી શકશો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ સમયમર્યાદા 45 દિવસ સુધી લંબાવી શકાય છે.

    DAC કોડ આપવો ફરજિયાત

    હવે સિલિન્ડર ડિલિવરી સમયે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ (DAC) મોકલવામાં આવશે. જેમાં ડિલિવરી કરનાર વ્યક્તિને આ કોડ આપવો ફરજિયાત રહેશે. તેનાવગર તમારી ડિલિવરી સફળ માનવામાં નહીં આવે.

    ગેસ કંપનીઓએ હવે બાયોમેટ્રિક e-KYC પર ભાર મૂકવાનું શરૂ કર્યું છે. KYC અપડેટ કરવામાં નિષ્ફળતા બુકિંગ રદ કે સબસિડીનું કારણ બની શકે છે. તમે Hello BPCL કે IndianOil One જેવી મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરીને પણ આ કામ પૂરૂ કરી શકો છો.

  • મોરબી જિલ્લા પંચાયતની 10 બેઠકોના પરિણામ જાહેર: 9 પર ભાજપ, બગથળા બેઠક પર કોંગ્રેસનો એકમાત્ર વિજય

    મોરબી જિલ્લા પંચાયતની 10 બેઠકોના પરિણામ જાહેર: 9 પર ભાજપ, બગથળા બેઠક પર કોંગ્રેસનો એકમાત્ર વિજય

    મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોની મતગણતરી પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 10 બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જાહેર થયેલા પરિણામોમાં 9 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિજય મેળવ્યો છે,

    જ્યારે બગથળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો એકમાત્ર વિજય નોંધાયો છે. જાહેર થયેલા પરિણામોની વિગત નીચે મુજબ છે :

    આમરણ બેઠક: રીંકલ વિરલભાઈ અઘેરા (ભાજપ) – 6549 મત

    બગથળા બેઠક: સતીશકુમાર ભાણજીભાઈ મેરજા (કોંગ્રેસ) – 9319 મત

    ચરાડવા બેઠક: માવજીભાઈ કચરાભાઈ મકાસણા (ભાજપ) – 7616 મત

    ઘનશ્યામપુર બેઠક: ભગવતીબેન ગીરીશકુમાર લકુમ (ભાજપ) – 7561 મત

    ઘૂંટુ બેઠક: રંજનબેન ગૌતમભાઈ હડિયલ (ભાજપ) – 7436 મત

    જાબુડિયા બેઠક: જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ (ભાજપ) – 6677 મત

    જેતપર બેઠક: અશ્વિનભાઈ ચંદુભાઈ ડાંગર (ભાજપ) – 8136 મત

    ખાખરેચી બેઠક: સંદીપ ગોરધનભાઈ કુંવરિયા (ભાજપ) – 4627 મત

    માથક બેઠક: કાજલબેન ભરતભાઈ વિઠલપરા (ભાજપ) – 6055 મત

    મોટા દહીંસરા બેઠક: મનીષ અનિલ કાંજીયા (ભાજપ) – 6050 મત હજુ બાકીની બેઠકોની મતગણતરી પ્રક્રિયા ચાલુ હોવાથી આગામી સમયમાં વધુ પરિણામો જાહેર થવાના છે.

  • મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. 1, 5, 10માં ભાજપ વિજેતા

    મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણીમાં વોર્ડ નં. 1, 5, 10માં ભાજપ વિજેતા

    મહાનગરપાલિકામાં ભગવો લહેરાવાનાં એંધાણ: ઉત્તેજના સાથે ચાલી રહેલી અન્ય વોર્ડની ગણતરી

    મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે થયેલ મતદાનની આજે મતગણતરી કરવામાં આવી રહી છે અને સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ ઇવીએમ મશીનના આંકડા એક પછી એક ઇવીએમ મશીન ખોલીને જાહેર કરવામાં આવી રહ્યા છે

    દરમિયાન હાલમાં જુદા જુદા ત્રણ સ્થળ ઉપર મોરબી મહાનગરપાલિકાના 13 વોર્ડ માટેની મત ગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પ્રથમ વોર્ડ નંબર 1, 5 અને 10 ની ગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં વોર્ડ નંબર 1, 5 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો હોવાની માહિતી અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે થઈને થયેલ મતદાનની મતગણતરી આજે કરવામાં આવી રહી છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને મોરબી મહાનગરપાલિકા ની ચૂંટણીનું મતદાન થયું હતું તેની મતગણતરી હાલમાં જુદી જુદી જગ્યા ઉપર કરવામાં આવી રહી છે

    મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે મોરબી મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની બેઠકો તથા મોરબી તાલુકા પંચાયતની બેઠકો માટેની મત ગણતરી કરવામાં આવી રહી છે અને પોસ્ટલ બેલેટ બાદ એક પછી એક ઇવીએમ મશીન ખોલીને તેમાંથી મતોના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે.

    મોરબીના વોર્ડ નંબર 1ની અંદર ભાજપના વીણાબેન માવજીભાઈ કણજારીયા રમાબેન પરેશભાઈ રૂપાલા જેન્તીભાઈ દામજીભાઈ પડસુંબીયા અને જયદીપભાઇ પ્રસાદભાઈ મહેતાનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નં 10 માં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા,

    ભાવેશભાઈ અરજણભાઈ કંઝારિયા, ગણેશભાઈ નાનજીભાઈ ડાભી અને સોનલબેન પ્રફુલભાઈ બાવરવા વિજેતા બન્યા છે જ્યારે વોર્ડ માં 5 માં ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા, મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને મનુબેન રમેશભાઈ શિયાળા નો વિજય થયો છે.

  • શ્રી વેરાઈ માતાજીનો પાટોત્સવ અંજારિયા પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવાયો

    શ્રી વેરાઈ માતાજીનો પાટોત્સવ અંજારિયા પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવાયો

    મોરબી : શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિના સોલંકી અંજારિયા પરિવારના કુળદેવી શ્રી વેરાઈ માતાજીનો પાટોત્સવ ચૈત્ર વદ ચૌદસ, તા. 16-04-2026ના રોજ સમસ્ત અંજારિયા કુટુંબ દ્વારા ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

    સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી પૂજન-અર્ચન તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું. હવનવિધિ દરમિયાન નેહા શ્યામ સુરેશભાઈ અને હેમલ કિશન સુરેશભાઈએ વિધિપૂર્વક પૂજન કરાવી શ્રીફળ હોમવાનો લહાવો લીધો હતો તથા વેરાઈ માતાજી અને સમસ્ત કુટુંબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. હવન બાદ સમૂહ મહાપ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ભોજન વ્યવસ્થા કુટુંબના યુવક મંડળના ભાઈઓએ સંભાળી હતી, જ્યારે બહેનોએ મંદિર શણગારવાનું સુંદર કાર્ય કર્યું હતું. તેમાં હેતલબેન, જુનીબેન, ઉર્મિલાબેન, આશાબેન, મમતાબેન અને હેમાલીબેનનો ખાસ સહભાગ રહ્યો હતો. સાંજે 5:00 વાગ્યે કુટુંબની બહેનો દ્વારા દેવસ્થાને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ હાજરી આપી માતાજીના ગરબા, ભજન, સ્તુતિ અને આરતી કરીને ભક્તિભાવમાં રંગાયા હતા. આ પ્રસંગે કુટુંબની નિયાણીઓને રોકડ રકમના કવર પણ અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી વેરાઈ માતાજીના પાટોત્સવ નિમિત્તે હવન, પૂજન, નૈવેદ્ય અને મહાપ્રસાદનો લહાવો દાતાશ્રી સ્વ. સુરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો.

  • મોરબીના પેટા-2 વિસ્તારમાં આવતીકાલે મેન્ટેનન્સ કામને લઈ 7 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

    મોરબીના પેટા-2 વિસ્તારમાં આવતીકાલે મેન્ટેનન્સ કામને લઈ 7 કલાક વીજ પુરવઠો બંધ રહેશે

    વિજ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ નક્કી કરાયેલ સમયગાળા દરમિયાન ભાડિયાદ ફીડર હેઠળ આવતા સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસાયટી, રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર સહિતના વિસ્તારો તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.

    મેન્ટેનન્સ કામગીરી દરમિયાન વીજ લાઈન, ટ્રાન્સફોર્મર, સાધનોની તપાસ, મરામત તથા સુરક્ષાને લગતી જરૂરી કામગીરી કરવામાં આવશે જેથી આગામી સમયમાં ગ્રાહકોને વધુ સારી અને સતત વીજ સેવા મળી શકે.

    વિજ વિભાગે સંબંધિત વિસ્તારોના રહેવાસીઓ, વેપારીઓ તથા ઉદ્યોગકારોને અગાઉથી જરૂરી આયોજન કરી લેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને પાણી સંગ્રહ, ઘરગથ્થુ ઉપકરણો, વેપારિક કામકાજ તથા અન્ય જરૂરી સેવાઓ માટે પૂર્વ તૈયારી રાખવા જણાવાયું છે.

    વધુમાં વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મેન્ટેનન્સ કામગીરી સમય પહેલા પૂર્ણ થઈ જાય તો કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે. તેથી નાગરિકોને વીજ ઉપકરણો સાવચેતીપૂર્વક ઉપયોગમાં લેવા અને વીજ લાઈન નજીક અનાવશ્યક અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

  • મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો : સામસામે ફરિયાદ

    મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો : સામસામે ફરિયાદ

    મોરબીના સોઓરડી વિસ્તારમાં ત્રિમંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને સમાજમાં બદનામ કરવા માટે તે દારૂ વેચતો હોવાની ખોટી વાતો એક શખ્સ દ્વારા કરવામાં આવતી હતી જેથી યુવાને તેની સાથે જવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે પક્ષેથી પણ મારામારીના આ બનાવ સંદર્ભે ફરિયાદ કરેલ છે

    સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ ચામુંડાનગર શેરી નં.1 માં રહેતા મગનભાઈ નાનજીભાઈ સોલંકી (42)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ જેઠાભાઇ ચાવડા રહે. મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ મજૂરી કામ કરતા હોવા છતાં આરોપી ફરિયાદીને સમાજમાં બદનામ કરવા માટે દારૂ વેચતા હોવાની ખોટી વાતો કરી હતી અને પોતાની સાથે આવવાનું કહ્યું હતું.

    જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તું મને બધી જગ્યાએ ખોટી વાત કરીને બદનામ કરે છે જેથી મારે તારી સાથે આવું નથી તેવું કહેતા આરોપીને ટુકડો ઉપાડીને ફરિયાદીને મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

    જ્યારે સામાપક્ષેથી આ બનાવમાં માળિયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર સામે રહેતા રામજીભાઈ ઉર્ફે રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (44)એ મગનભાઈ નાનજીભાઈ સોલંકી તથા જયુ ગૌતમભાઈ સોલંકી રહે. બંને મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સમાજ સેવાનું કામ કરે છે.

    અને સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લેવા સમાજને માહિતગાર કરે છે જો કે, આરોપી જયુ સોલંકીના પિતા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે જેથી બંને આરોપીઓને તે સારું નહીં લગતા ઢીકાપાટુનો મારમાર્યો હતો. યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

  • મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કેર પ્રોજેકટ યોજાયો

    મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા કેર પ્રોજેકટ યોજાયો

    મોરબી : આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ચકલા ઘર તથા તેમની તૃષા છીપાવવા માટે માટીના ઠંડા કુંડા (પરબિયા) નુ વિનામૂલ્યે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વ દિવાળીબેન ચકુભાઈ ફુલતરિયાની 33 મી પુણ્યતિથી નિમિત્તે ચકલા ઘર તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પાણીના માટીના પરબિયા તેમજ આ કાળઝાળ ગરમીમાં ચકલા ઘર તથા પરબિયા લઇ જતા જીવદયા પ્રેમીઓ અને રાહ દારીઓને સત્યેશ્ચર મહાદેવ મંદિરના પૂજારી પિન્ટુગિરિ દ્વારા વરિયાળી સરબત પાવામાં આવ્યું હતું.

    આ ત્રિવિધ જીવદયા સેવાકીય પ્રવૃત્તિમા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ ટી.સુવારિયાના માર્ગદર્શન તળે તથા શ્રી રામ કબૂતર ઘરના ટ્રસ્ટી વાઘજીભાઈ ચકુભાઈ ફુલતરિયા અને તેમના પરિવારની હાજરીમા 1000 ચકલા ઘર અને પરબિયાનુ વિતરણ કરવામાં આવ્યુ.

    આ સેવાકાર્ય મા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી તથા ઝેડસી કેશુભાઈ દેત્રોજા તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડીજી રમેશભાઈ રૂપાલા, પુર્વ પ્રમુખ એ.એસ.સુરાણી તથા પાસ્ટ ખજાનચી મણીલાલ જે. કાવર, નાનજીભાઈ મોરડીયા સભ્ય મહાદેવભાઈ ચિખલિયા બાલુભાઈ પાચોટીયા, રશ્મિકાબેન રૂપાલા સત્યેશ્વર મહાદેવના પુજારી તથા અન્ય સેવાભાવી ભાઈઓ દ્વારા આ ત્રિવેણી સંગમ જેવો જીવદયા સેવાકીય પ્રોજેક્ટ પુરો કરવામાં આવ્યો આ સેવાકાર્યના પ્રોજેકટ ચેરમેન ત્રિભોવનભાઈ સી.ફુલતરિયા હતા

  • ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: મોરબી સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’, હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: મોરબી સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’, હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. મોરબી સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

    અમદાવાદ શહેર સૌથી ગરમ

    હવામાન વિભાગ અનુસાર, છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, અમદાવાદમાં 44.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા ઍરપૉર્ટ પર પણ 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. આજે (27મી એપ્રિલ) પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, જેને પગલે નાગરિકોને ભારે બફારા અને લૂનો સામનો કરવો પડશે.

    આ જિલ્લાઓમાં હીટવેવ અને યલો ઍલર્ટ

    હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ખાસ કરીને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. ગરમીને પગલે આવતીકાલે (28મી એપ્રિલ) કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો ઍલર્ટ સાથે હીટવેવની આગાહી હોવાથી લોકોને બપોરના સમયે બિનજરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

    3 દિવસ પછી મળશે આંશિક રાહત

    ગરમીના આ પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર પણ આપ્યા છે. જોકે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે, 3 દિવસના કાળઝાળ બપોર બાદ નાગરિકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

    હીટવેવની આગાહીને પગલે આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા અને સુતરાઉ કપડાં પહેરવા જેવી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.

  • ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ

    ભારતના જહાજ પર ઈરાનના હુમલા પર સરકારનું નિવેદન: 17 ભારતીયો સુરક્ષિત; LPG અંગે પણ મોટી અપડેટ

    અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે થોડા દિવસ પહેલા ભારતીય જહાજ પર હુમલો થયો હતો, જેને લઈને ભારત સરકારે મહત્ત્વની માહિતી આપી છે. સરકારે કહ્યું કે, ‘ઈરાને ઓમાનના દરિયાકાંઠા પાસે ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા રાસાયણિક ટેન્કર પર ફાયરિંગ કર્યું હતું.’ આ હુમલા બાદ ભારતીય જહાજની સુરક્ષાને લઈને ચિંતાઓ વધી ગઈ છે. જોકે ભારત સરકાર સંપૂર્ણ સ્થિતિ પર નજર રાખી રહી છે. દેશ પાસે પુરતા પ્રમાણમાં ફર્ટિલાઈઝર અને રસોઈ ગેસની પૂરવઠો હોવાની પણ સરકારે ખાતરી આપી છે.

    ઈરાને જહાજ પર હુમલો કર્યો, તમામ ભારતીય નાવિકો સુરક્ષિત

    જળમાર્ગ મંત્રાલયે કહ્યું કે, ઈરાની કોસ્ટ ગાર્ડે 25 એપ્રિલે ઓમાનના દરિયામાંથી પસાર થઈ રહેલા ટોંગો ધ્વજવાળા જહાજ ‘એમટી સિરોન’ પર ફાયરિંગ કર્યું હતું. આ જહાજ પર અનેક ભારતીયો સવાર હતા. મંત્રાલયના અધિકારી મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, ‘ઈરાને ચેતવણી માટે ફાયરિંગ કર્યું હતું. જહાજ પર સવાર તમામ 17 ભારતીય નાવિકો સંપૂર્ણ સુરક્ષિત છે.

    ઈરાને ભારતીય જહાજો પર કર્યો હતો હુમલો

    ઈરાને 22 એપ્રિલે હોર્મુઝ જળમાર્ગમાંથી જઈ રહેલા એક જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. આ પહેલા 18 એપ્રિલે પણ ઈરાને બે ભારતીય જહાજો પર હુમલો કર્યું હતું, જેનો ભારતે આક્રમક વિરોધ નોંધાવ્યો છે. ઈરાને દાવો કર્યો હતો કે, તેમની મંજૂરી લીધા વગર આ જહાજો પસાર થઈ રહ્યા હતા. જોકે ભારતે ઈરાની હુમલાને આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

    દેશમાં ફર્ટિલાઈઝરનો પૂરતા પ્રમાણમાં ભંડાર

    કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં ફર્ટિલાઈઝરનો પૂરતા પ્રમાણમાં ભંડાર પડ્યો છે, તેથી ડરવાની જરૂર નથી. ખરીફ પાક માટે 18.17 લાખ મેટ્રીક ટન યુનિરાની જરૂર પડે છે, પરંતુ આપણી પાસે 71.58 લાખ મેટ્રીક ટનનો જથ્થો છે. ગોડાઉનમાં ડીએપી રાસાયણિક ખાતર પણ જરૂરીયાત કરતા વધુ પડ્યું છે. રાહતની વાત એ છે કે, સરકારે યુરિયા અને ડીએપી ખાતરની કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી.
    LPG, CNG, PNG ગેસનો સપ્લાય 100% સુરક્ષિત

    પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, દેશમાં LPG, CNG અને PNG ગેસનો સપ્લાય 100 ટકા સુરક્ષિત છે. કોમર્શિયલ ગેસનો ક્વોટા 70 ટકા સુધી વધારી દેવાયો છે, તેથી કોઈએ પેનિક કરવાની ફેલાવાની જરૂર નથી. ગેસની કાળાબજારી અટકાવવા ખાસ કોડ (ઓથેન્ટિકેશન) દ્વારા જ 93% સિલિન્ડરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નિયમો તોડનારી અને અફવા ફેલાવનારી 71 ગેસ એજન્સીઓને સસ્પેન્ડ કરી દેવાઈ છે.

  • આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, જુઓ ક્યાં કેટલા ટકા થયું મતદાન?

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ, જુઓ ક્યાં કેટલા ટકા થયું મતદાન?

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આવતીકાલે કોના ઘરે હશે દિવાળી જેવો માહોલ?

    રાજ્યભરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી આવતીકાલે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે.

    ગઈકાલે યોજાયેલા મતદાનમાં મતદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.11% મતદાન નોંધાયું હતું. તેમાં સૌથી વધુ મતદાન વાપી મહાનગરપાલિકામાં 72.29% થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન ગાંધીધામ મહાનગરપાલિકામાં 46.3% નોંધાયું હતું.

    રાજ્યની નગરપાલિકાઓમાં 65.53% મતદાન થયું હતું, જ્યારે જિલ્લા પંચાયતોમાં 66.62% અને તાલુકા પંચાયતોમાં 67.26% મતદાન નોંધાયું હતું, જે ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય લોકભાગીદારી દર્શાવે છે.

    હવે સૌની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામો પર ટકી છે, જે રાજ્યના સ્થાનિક શાસનમાં નવા રાજકીય સમીકરણો ઉભા કરી શકે છે. ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.