વાંકાનેર શહેર ખાતે આજ રોજ રાષ્ટ્રીય નાઈ વાણંદ સમાજની એકતા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના અધ્યક્ષ તેમજ કારોબારી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મિટિંગ દરમિયાન વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી.
આ તકે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના વાંકાનેર શહેર પ્રમુખ તરીકે દિનેશભાઈ પરમાર તથા તાલુકા પ્રમુખ તરીકે નવીનભાઈ કલોલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સમાજને એક નવી દિશા તરફ આગળ વધારવા અને સમાજમાં એકતા મજબૂત બનાવવા માટે આગેવાનો દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું.
મિટિંગને સફળ બનાવવા માટે રાષ્ટ્રીય નાઈ વાણંદ એકતા મંચના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના આગેવાનો દ્વારા આમંત્રિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. (રિપોર્ટ: અજય કાંજીયા)
મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં અંદાજિત રૂ. ૩.૮૧ કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ વધુ સુવિધા, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.
સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સ નામના એપાર્ટમેન્ટની સાતમા માળની અગાશી ઉપરથી મહિલા અકસ્માતે નીચે પડી ગઈ હતી જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતા મહિલાનું મોત નીપજયું હતું.
મોરબીમાં દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના ભાગમાં કેનાલ રોડ ઉપર આવેલ ગોકુલ મથુરા સોસાયટીમાં વિનાયક હાઈટ્સના પાંચમા માળે રહેતા ઉર્વશીબેન નિકુંજભાઈ ભીમાણી (36) નામના મહિલા એપાર્ટમેન્ટના સાતમા માળે અગાસી ઉપર હતા ત્યારે ત્યાંથી કોઈ કારણસર અકસ્માતે તેઓ નીચે પડી ગયા હતા
જેથી મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .
વધુમાં મળતી વિગત પ્રમાણે અકસ્માતનો બનાવ બન્યો ત્યારે રાત્રિના સમયે મહિલાના પતિ અને તેનો દીકરો પણ ત્યાં અગાસી ઉપર હાજર હતા દરમિયાન તેનો દીકરો નીચે કામ સબબ ગયો હતો ત્યારે એપાર્ટમેન્ટની નીચેના ભાગમાં અવાજ આવવાના કારણે ઉર્વશીબેન નીચે જોવા માટે અગાશીની પાળી પાસે ગયા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે ઉપરથી નીચે પડી ગયા હતા અને તેઓને માથા તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી તેઓનું મોત નીપજયું હતું. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી મનપાની ફૂડ શાખા દ્વારા સમયાંતરે જુદાજુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં 50 જેટલી જગ્યાએ ખાદ્ય સામગ્રીઓને ચેક કરવામાં આવી હતી અને એક કે બે નહીં પરંતુ લોકોના આરોગ્ય સાથ ચેડા કરતાં હોય તેવા 15 વેપારીઓને નોટિસ આપવામાં આવેલ છે.
મનપાના ફૂડસેફટી ઇન્સ્પેકટરે માહિતી આપતા જણાવ્યુ હતું કે, શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર સહીત કૂલ 50 જગ્યાએ સઘન ચેકીગ કર્યું હતું દરમ્યાન જે જગ્યાએ ગંભીર બેદરકારી દેખાઈ હતી તેવા 15 વેપારીઓને નોટીસ ફટકારવામાં આવી છે
અને કેટલીક જગ્યાએથી વાસી ખોરાક અને અખાદ્ય ખોરાકનો નાશ પણ કરવામાં આવેલ છે. વધુમાં જણાવ્યુ હતું કે, રવાપર રોડ કેપિટલ માર્કેટ પર આવેલા કેફે ચોકો ક્રેઝમાંથી વાસી કેકનો નાશ કરાયો હતો અને ધ ઘૂઘરા હાઉસમાંથી એક્ષ્પારી તારીખ નાખેલ ન હોઈ તેવો ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો
તેમજ ફૂડ કલરનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શનાળા રોડ પર આવેલા સ્પાઈસી હંટ, શુભ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. માધવ હોટેલમાંથી વાસી મન્ચુરિયન, ગ્રેવિ, વાસી શાક મળી આવતા તેનો નાશ કર્યો છે તેવી જ રીતે માધવ દાબેલી, અન્નપુર્ણા નાસ્તા, પોપસ્ટિક વોફલ, પટેલ તાવો તેમજ શ્રી રામ ઘૂઘરામાંથી આશરે 10 કિલો છાપેલ ન્યુઝ પેપરનો નાશ કર્યો છે.
કેન્દ્રની ‘પીએમ સૂર્ય ઘર યોજના’ને વેગ આપવા પેપરલેસ ઓનલાઇન પ્રોસેસ: 100 kWથી મોટી સિસ્ટમ માટે ‘બેટરી સ્ટોરેજ’ ફરજિયાત કરાયું; ડ્રાફ્ટ અંગે 30 દિવસમાં વાંધા-સૂચનો મંગાવાયા ગુજરાતમાં રૂફટોપ સોલાર ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવા માટે ગુજરાત વિદ્યુત નિયમનકારી આયોગ (GERC) દ્વારા ‘ડ્રાફ્ટ ડીસ્ટ્રીબ્યુટેડ રિન્યુએબલ એનર્જી સોર્સીસ રેગ્યુલેશન્સ, 2026’ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
જર્ક દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય અંતર્ગત વર્ષ-2016ના એક દાયકા જૂના રૂફટોપ સોલાર નિયમોને જડમૂળથી રદ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો ગેઝેડમાં જાહેર કરાયા બાદ તેનો અમલ શરૂ કરી દેવાશે. નવા ડ્રાફ્ટમાં વીજ ગ્રાહકોના હિતને સર્વોપરી રાખીને 5 અત્યાધુનિક મીટરિંગ વ્યવસ્થાઓ લાવવામાં આવી છે. આ સાથે જ વીજ કંપનીઓની મનસ્વીતા અને ઓન-પેપર વિલંબ સામે ગ્રાહકોને રક્ષણ આપવા માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ ડ્રાફ્ટ અંગે આગામી 30 દિવસમાં તમામ હિતધારકો પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે, ત્યારબાદ તેની આખરી સુનાવણીની પ્રક્રિયા હાથ ધરાશે. નેટ મીટરિંગ વિકલ્પમાં ગ્રાહક દ્વારા સોલાર પેનલથી ઉત્પન્ન કરાયેલી અને ઘરમાં વાપરેલી વીજળીના કુલ યુનિટ (kWh)ની મહિનાના અંતે સીધી જ બાદબાકી કરી દેવામાં આવશે.
નેટ બિલિંગ ગ્રીડમાંથી આયાત થતી અને ગ્રીડમાં નિકાસ (એક્સપોર્ટ) થતી વીજળીના અલગ-અલગ ભાવ નક્કી થશે અને તે મુજબ રૂપિયામાં જ આખું વીજ બિલ તૈયાર કરવામાં આવશે. ગ્રુપ નેટ મીટરિંગ માં જો કોઈ ગ્રાહકની એક કરતાં વધુ પ્રોપર્ટી (જેમ કે ઘર અને દુકાન) હોય, તો તે એક જગ્યાની વધારાની સોલાર વીજળી અન્ય પ્રોપર્ટીના વીજ બિલમાં સરભર કરાવી શકશે.વર્ચ્યુઅલ નેટ મીટરિંગ સુવિધા હેઠળ સોલાર પ્લાન્ટ ગમે ત્યાં દૂરના સ્થળે લગાવાયેલો હોય, તો પણ તેનો આર્થિક લાભ સોસાયટી કે એપાર્ટમેન્ટના અલગ-અલગ ફ્લેટ ધારકો વચ્ચે વહેંચી શકાશે.
ગ્રોસ મીટરિંગમાં સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી તમામ વીજળી સીધી જ ગ્રીડમાં વેચી દેવાની રહેશે અને ગ્રાહકે પોતાનો દૈનિક વીજ વપરાશ એક સામાન્ય ગ્રાહકની જેમ જ ચાલુ રાખવાનો રહેશે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપતા જર્કે જણાવ્યું છે કે, જે ગ્રાહકો 10 kW સુધીની નાની સોલાર સિસ્ટમ લગાવવા માંગે છે, તેમણે કોઈ લાંબી ટેકનિકલ પ્રોસેસની પળોજણમાં પડવું નહીં પડે.
10 kW સુધીના ગ્રાહકો માત્ર ઓનલાઈન અરજી કરીને કોઈ પણ પ્રકારની લાંબી ટેકનિકલ ફીઝીબિલીટી પ્રોસેસ વગર ગ્રીડ કનેક્ટિવિટી માટે સીધી જ મંજૂરી (લીલી ઝંડી) મેળવી શકશે. સામાન્ય રીતે એવી ફરિયાદો ઉઠતી હતી કે, સોલાર પેનલ લાગી ગયા પછી પણ UGVCL, DGVCL, MGVCL, PGVCL અથવા ટોરેેન્ટ પાવર (Torrent Power) જેવી વીજ કંપનીઓ નેટ મીટરિંગ આપવામાં કે પ્રોસેસ પૂરી કરવામાં મહિનાઓનો સમય લગાડી દે છે.
ગ્રાહકોની આ મોટી મુશ્કેલીના નિવારણ માટે જર્કે કડક જોગવાઈ કરી છે કે, જો વીજ કંપનીઓ વગર કોઈ યોગ્ય કારણે નિયત સમય મર્યાદા કરતાં મોડું કરશે, તો તેણે ગ્રાહકને પ્રતિદિન રૂ. 500 લેખે વળતર કે દંડ ચૂકવવો પડશે. જો કોઈ કોમર્શિયલ કે ઇન્ડસ્ટ્રિયલ ગ્રાહકનો મંજૂર વીજભાર 100 kWથી વધુ હશે અને તેઓ મોટી સિસ્ટમ બેસાડવા માંગતા હશે, તો તેમણે ગ્રીડ સુરક્ષા માટે ’BESS’ સિસ્ટમ લગાવવી પડશે. આ બેટરી સ્ટોરેજ ક્ષમતા વધારાના લોડના ઓછામાં ઓછા 50 ટકા હોવી જરૂરી છે. વધુમાં,
જો કોઈ ગ્રાહકે શરૂઆતમાં ‘નેટ બિલિંગ’ લીધું હોય અને બાદમાં ‘નેટ મીટરિંગ’ પર જવું હોય, તો તેઓ 25 વર્ષમાં વધુમાં વધુ 3 વખત અને એક નાણાકીય વર્ષમાં માત્ર 1 વાર મીટરિંગ સિસ્ટમ બદલી શકશે. પીએમ સૂર્યા ઘર યોજનાના ગ્રાહકો માટે કોઈ પણ લાંબા કાગળિયા કે અલગથી એગ્રીમેન્ટ વગર આખી પ્રક્રિયા ડિજિટલ મોડમાં પેપરલેસ કરાશે.
રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે હવામાનમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
જ્યારે આગામી 6 દિવસ દરમિયાન ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની આગાહી છે, જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આગામી હળવો વરસાદ પડી શકે છે.
તાપમાનમાં ફેરફારની શક્યતા નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40°C થી ઉપર જઈ શકે છે.
ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43°C સુધી પહોંચવાની શક્યતા છે. વરસાદની આગાહી અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે.
કાલથી હવામાન શુષ્ક 24 મેથી 29 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી સાત દિવસ માટે કોઈ ગંભીર ચેતવણી આપવામાં આવી નથી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડને લઈને સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ જગાવી છે. ટ્રમ્પે શુક્રવારે સોશિયલ મીડિયા પર પોતાની એક અનોખી તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ગ્રીનલેન્ડને ઉપરથી જોતા નજરે પડે છે.
આ ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, ‘Hello, Greenland!’. આ ઉપરાંત, ટ્રમ્પના એક વિશેષ દૂતે ગ્રીનલેન્ડને ઈરાનના ઓઇલ સપ્લાયના વિકલ્પ તરીકે રજૂ કરતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકા અને ગ્રીનલેન્ડ વચ્ચે વધતી નિકટતા ટ્રમ્પની આ સોશિયલ મીડિયા પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે ગ્રીનલેન્ડમાં અમેરિકાની હાજરી વધારવાને લઈને વિવાદો ચાલી રહ્યા છે.
તાજેતરમાં જ લુઇસિયાનાના એટર્ની જનરલ અને ગ્રીનલેન્ડ માટેના અમેરિકન વિશેષ દૂત જેફ લેનડરીએ ત્યાંની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીનલેન્ડના રાજકીય નેતાઓ અને અગ્રણી વ્યાપારી પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. લેનડરીએ એક્સ પર જણાવ્યું કે તેમણે સુરક્ષા, આર્થિક વિકાસ અને આર્કટિક ક્ષેત્રમાં પરસ્પરના વ્યૂહાત્મક હિતો પર ચર્ચા કરી છે અને આગામી મહિનાઓમાં અમેરિકા ગ્રીનલેન્ડ સાથે સહયોગ વધુ મજબૂત કરશે. ગ્રીનલેન્ડમાં અમેરિકાનો ભારે વિરોધ બીજી તરફ, ગ્રીનલેન્ડમાં અમેરિકાની આ વધતી સક્રિયતાનો સ્થાનિક લોકો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે ગ્રીનલેન્ડની રાજધાની નૂકમાં સેંકડો લોકોએ નવા અમેરિકન વાણિજ્ય દૂતાવાસ (કોન્સ્યુલેટ) ભવનની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોના હાથમાં ‘અમારે તમારા પૈસા નથી જોઈતા’ અને ‘ગ્રીનલેન્ડના લોકો MAGA ટ્રોઝન હોર્સને જોતા જ ઓળખી જાય છે’ તેવા પોસ્ટરો હતા. લોકો રસ્તા પર ‘Go away!’ના નારા લગાવી રહ્યા હતા. તેમનો આરોપ છે કે અમેરિકા આર્થિક મદદ અને સુરક્ષાના બહાને ગ્રીનલેન્ડ પર પોતાનો પ્રભાવ જમાવવા માંગે છે.
ગ્રીનલેન્ડ ખરીદવાનો ટ્રમ્પનો જૂનો પ્રસ્તાવ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું ગણાવતા આવ્યા છે. તેમણે પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન પણ ગ્રીનલેન્ડને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણો વિવાદ થયો હતો. આર્કટિક ક્ષેત્રમાં રશિયા, ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી ખેંચતાણને કારણે ખનિજ સંસાધનો, ઓઇલનો ભંડાર અને દરિયાઈ માર્ગોની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડ હવે ગ્લોબલ જિયોપોલિટિક્સનું મોટું કેન્દ્ર બની ગયું છે. ઈરાન સંકટ વચ્ચે ઓઇલ સપ્લાયનો નવો વિકલ્પ હાલમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ સંકટ વચ્ચે અમેરિકા ગ્રીનલેન્ડને ઉર્જા સપ્લાયના નવા કેન્દ્ર તરીકે જોઈ રહ્યું છે.
વિશેષ દૂત જેફ લેનડરીએ દાવો કર્યો છે કે ગ્રીનલેન્ડ દૈનિક 20 લાખ બેરલ ઓઇલનું ઉત્પાદન કરી શકે તેમ છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ પરનું વૈશ્વિક દબાણ ઘટી જશે. તેમણે ઉમેર્યું કે જો ઝડપથી કામ કરવામાં આવે તો આગામી 10 મહિનાની અંદર જ ગ્રીનલેન્ડમાં ઓઇલનું ઉત્પાદન શરૂ થઈ શકે છે. લેનડરીએ ટ્રમ્પના વખાણ કરતા કહ્યું કે છેલ્લા 30-40 વર્ષમાં તેઓ પહેલા એવા અમેરિકન પ્રમુખ છે જેમણે ગ્રીનલેન્ડને આટલી ગંભીરતાથી લીધું છે.
મિડલ-ઈસ્ટ (મધ્ય-પૂર્વ) માં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહી છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં 87 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લીટરનો ઝીંકાયો છે.
સામાન્ય જનતા માટે ચિંતાની વાત એ છે કે છેલ્લા 10 દિવસની અંદર આ ત્રીજી વખત છે જ્યારે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારા સાથે મે મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલ અંદાજે 5 રૂપિયા જેટલા મોંઘા થઈ ચૂક્યા છે. 10 દિવસમાં ભાવ વધારાની હેટ્રિક આ અગાઉ 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં એકસાથે 3-3 રૂપિયાનો મોટો વધારો કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ 19 મેના રોજ ફરી પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. હવે શનિવારના વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા વધીને ₹98.64 થી વધીને ₹99.51 પ્રતિ લીટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 91 પૈસા વધીને ₹91.58 થી ₹92.49 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.
પેટ્રોલિયમ મંત્રાલયે આપી સ્પષ્ટતા અને પૅનિક બાઇંગ ન કરવા અપીલ દેશમાં ઈંધણની વધતી કિંમતો અને સપ્લાયને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે જનતાને આશ્વાસન આપ્યું છે. મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની પૂરતી ઉપલબ્ધતા છે અને સપ્લાય ચેઈન સંપૂર્ણપણે સ્થિર છે.
અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે અને જરૂરિયાત મુજબ જ ઈંધણ ખરીદે, પૅનિક બાઇંગ (ગભરાટમાં આવીને વધુ ખરીદી કરવી) થી બચે.” મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, કેટલાક પસંદગીના પેટ્રોલ પંપો પર જે કામચલાઉ ભીડ કે દબાણ જોવા મળી રહ્યું છે તેને વહેલી તકે દૂર કરવામાં આવી રહ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સતત સપ્લાય પર નજર રાખી રહી છે અને પરસ્પર તાલમેલ સાથે તેલનું વિતરણ સુનિશ્ચિત કરી રહી છે.
મોરબી : મોરબી જિલ્લામાં નર્મદા યોજના સહિત વિવિધ જૂથ પાણી પુરવઠા યોજનાઓ મારફતે અનેક ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે જ પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ગેરકાયદેસર રીતે ભંગાણ કરી ખેતી માટે પાણી વપરાતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થતી મુખ્ય પાણી પુરવઠા લાઈનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તે દરમિયાન નાગડાવાસ ગામની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નંબર ૫ની જમીન પાસે પાણીની લાઈનમાં આવેલા એરવાલ્વમાં ઇરાદાપૂર્વક લીકેજ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતાં થોડા અંતરે ખાડો બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
આ મામલે જીડબ્લ્યુઆઈએલના સુપરવાઈઝર વિપુલભાઈ શામજીભાઈ વેકરિયા રહે. સંસ્કાર સીટી, મવડી, રાજકોટ દ્વારા જમીન માલિક મેરામભાઈ રાઠોડ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તથા ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી શહેરમાં એક તરફ જન્મદિવસોની ઉજવણીમાં આડંબર અને ખર્ચાળ પાર્ટીઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે શહેરના અગ્રણી પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ પોતાની સુપુત્રી કુમારી નક્ષત્રાના પ્રથમ જન્મદિનને આધ્યાત્મિક અને સમાજપ્રેરક સ્વરૂપ આપી અનોખી મિસાલ સ્થાપી છે.
કુમારી નક્ષત્રાના પ્રથમ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા શુભ પ્રસંગમાં ઉપસ્થિત સ્નેહીજનો, મિત્રો અને મહેમાનોને 450થી વધુ પવિત્ર ધાર્મિક પુસ્તકો પ્રસાદીરૂપે ભેટ આપવામાં આવ્યા હતા.
આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં વાંચન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યો સાથે જોડવાનો રહ્યો હતો.પ્રસંગ દરમિયાન મહેમાનોને શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ તેમજ અધિક માસની પવિત્ર વાર્તાઓ જેવા ધાર્મિક ગ્રંથો આદરપૂર્વક અર્પણ કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત લોકોએ આ અનોખી લહાણીનું હાર્દિક સ્વાગત કર્યું હતું.આ અવસરે પ્રિતેશભાઈ માવજીભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે, “દીકરી પરિવારનું ગૌરવ અને સંસ્કારનું પ્રતિક છે.
તેના પ્રથમ જન્મદિવસે જ્ઞાન અને ધર્મનો પ્રસાદ વહેંચવાનો અવસર મળ્યો તે અમારે માટે ગૌરવની બાબત છે. પુસ્તક માનવજીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે અને સારા સંસ્કારો સમાજને ઉજ્જવળ બનાવે છે.”બોપલિયા પરિવારની આ વિચારશીલ અને સંસ્કારસભર પહેલને પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ સમાજના આગેવાનો દ્વારા વખાણવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં પણ આ આયોજનને વ્યાપક પ્રશંસા મળી રહી છે. કુમારી નક્ષત્રાના જન્મદિવસે કરાયેલ આ “જ્ઞાન લહાણી” સમાજ માટે પ્રેરણારૂપ બની અન્ય પરિવારોને પણ સમાજઉપયોગી કાર્યો તરફ પ્રોત્સાહિત કરશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે.