Category: All

  • મોરબીમાં ડીઝલની ભારે અછતથી વાહનચાલકો અને ઉદ્યોગકારો પરેશાન

    મોરબીમાં ડીઝલની ભારે અછતથી વાહનચાલકો અને ઉદ્યોગકારો પરેશાન

    મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત સર્જાતા ટ્રક ચાલકો, ઉદ્યોગકારો તેમજ સામાન્ય વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં આવેલા અનેક પેટ્રોલપંપો પર ડીઝલનો પુરવઠો ખોરવાઈ જતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

    મળતી માહિતી મુજબ જિલ્લાના આશરે 200 જેટલા પેટ્રોલપંપોમાંથી 40થી વધુ પંપો પર ડીઝલનો જથ્થો ખૂટી જતા સપ્લાય બંધ કરવાની નોબત આવી છે. જેના કારણે અન્ય કાર્યરત પંપો પર ભારે ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ અને સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વાહનચાલકોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ મોરબીમાં રોજબરોજ હજારો ટ્રકોની અવરજવર રહે છે. ડીઝલની અછતના કારણે ટ્રકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે.

    જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ હાલ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. કેટલાક પંપો પર વધતી માંગ અને સપ્લાયમાં વિલંબને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

    અધિકારીઓએ ટૂંક સમયમાં પુરવઠો સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરી છે.ડીઝલની અછતને કારણે ઉદ્યોગ ક્ષેત્ર પર પણ અસર પડી રહી છે. ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં કાચામાલ અને તૈયાર માલના પરિવહનમાં વિલંબ સર્જાતા વેપારીઓ ચિંતિત બન્યા છે. લોકોમાં પણ પરિસ્થિતિને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી રહી છે.

  • મોરબીના લીલાપર રોડ પર પાણીનો વેડફાટ, એક કિલોમીટર સુધી રોડ પર ભરાયા પાણી

    મોરબીના લીલાપર રોડ પર પાણીનો વેડફાટ, એક કિલોમીટર સુધી રોડ પર ભરાયા પાણી

    મોરબી શહેરના લીલાપર રોડ વિસ્તારમાં પાણીની લાઇન અથવા વાલ્વમાં ખામી સર્જાતા હજારો લિટર પાણી રસ્તા પર વહેતું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં પાણીની અછત અને અનિયમિત પુરવઠાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ પીવાના પાણીનો આ પ્રકારનો વેડફાટ સ્થાનિકોમાં ભારે રોષ પેદા કરી રહ્યો છે.

    મળતી માહિતી મુજબ લીલાપર રોડ પર આવેલા આવાસ યોજના નજીક મુખ્ય પાણીની લાઇનમાંથી સતત પાણી લીક થતું રહેતા રોડ પર લગભગ એક કિલોમીટર સુધી પાણી ફરી વળ્યું હતું. જેના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાણીની લાઇનમાંથી સતત રિસાવાના કારણે રોજ મોટી માત્રામાં શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે, છતાં મહાનગરપાલિકાનું તંત્ર હજુ સુધી સમસ્યાના નિરાકરણ માટે ગંભીર બન્યું નથી. સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ કરી પાણીના વેડફાટને અટકાવવા માંગ કરી છે.

    ઉલ્લેખનીય છે કે એક તરફ નાગરિકોને પૂરતું પાણી મળતું નથી અને બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે રસ્તા પર પાણી વહેતા રહેવું અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

  • 7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો

    7/12ની નકલ, આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો

    મિડલ ઈસ્ટમાં યુદ્ધની અસરના પગલે રાજ્યમાં ઈંધણની કટોકટી ઊભી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી રોકવાના બહાને એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ હવે ખેડૂતોને ખેતીકામ કે ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદવા સરકારી પુરાવા રજૂ કરવા ફરજિયાત બનશે.

    ખેડૂતોએ ડીઝલ મેળવવા આ 5 પુરાવા આપવા પડશે

    મળતી માહિતી અનુસાર, ગુરૂવારે (21 મે) અન્ન પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જો કોઈ ખેડૂત પેટ્રોલપંપ પર ડીઝલ લેવા જશે, તો તેણે 7-12 ની નકલ, 8(અ) ની નકલ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી (RC) બુક જેવા દસ્તાવેજો પુરાવા તરીકે દેખાડવા પડશે. આ પુરાવા રજૂ કર્યા બાદ પણ ખેડૂતને એકવારમાં વધુમાં વધુ માત્ર 200 લિટર સુધી જ ડીઝલ મળી શકશે. જોકે, હાલમાં પેટ્રોલ પંપ પર જે રીતે જથ્થો પહોંચી રહ્યો છે તે જોતાં ખેડૂતોને આ નિયત મર્યાદા જેટલું ડીઝલ મળવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

    એક બાજુ ‘ઓલ ઈઝ વેલ’નો દાવો, બીજી બાજુ વિતરણ પર કાપ

    રાજ્ય સરકાર એક તરફ એવો દાવો કરી રહી છે કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓથી સાવધાન રહેવા તેમજ ન ગભરાવા અપીલ કરી રહી છે. પરંતુ બીજી તરફ, સરકારે છૂપી રીતે ઈંધણના વિતરણ પર મોટો કાપ મૂકી દીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

    હાલમાં પેટ્રોલપંપો પર સામાન્ય વાહનો માટે પણ મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે, જેમાં ટુ-વ્હીલર માત્ર 50થી 100 રૂપિયાનું પેટ્રોલ, કાર સહિતના ફોર-વ્હીલરમાં માત્ર 1,000 રૂપિયાનું ઇંધણ આપવામાં આવી રહ્યું છે.

    ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મંદીમાં હોમાવાની ભીતિ

    ઈંધણની આ કટોકટીની સૌથી માઠી અસર માલસામાનની હેરફેર કરતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર પડી રહી છે. ટ્રક ચાલકોના જણાવ્યા અનુસાર, હાલની પરિસ્થિતિમાં તેમને માત્ર 20થી 25 લિટર જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. લાંબા અંતરની સફર માટે ટ્રકોને કાર્યરત રાખવા ઓછામાં ઓછા 200 થી 300 લિટર ડીઝલની જરૂરિયાત હોય છે. જો આ જ સ્થિતિ આગામી દિવસોમાં ચાલુ રહેશે, તો ગુજરાતનો આખો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આર્થિક મંદીના ગરતામાં ધકેલાઈ જશે તે નક્કી છે.

    આગામી દિવસોમાં રેશનિંગની પ્રબળ શક્યતા

    સરકારે હવે તમામ પેટ્રોલ પંપ પર ગ્રાહકોની વિગત રાખવા માટે ફરજિયાત રજીસ્ટર મેઈન્ટેન કરવાનો પણ આદેશ આપ્યો છે. આ આકરા નિયમો અને જમીની હકીકત જોતાં લોકમુખે ચર્ચા છે કે, જો ખરેખર પુરતો જથ્થો છે તો સરકારે આવા નિયમો કેમ લાવવા પડ્યા? ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પેટ્રોલપંપો પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગી ગયા છે, જેના કારણે ખેડૂતો ખેતીકામ છોડીને ડીઝલ માટે આમથી તેમ ભટકી રહ્યા છે. આ સ્થિતિ જોતાં આગામી દિવસોમાં રેશનકાર્ડ સહિતના અન્ય પુરાવાઓ દ્વારા જ પેટ્રોલ-ડીઝલનું નિયંત્રિત વિતરણ (રેશનિંગ) થાય તેવી પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.

    પુરવઠા મંત્રીએ આ મામલે શું કહ્યું?

    ખેડૂતોને ડીઝલ પ્રાપ્ત કરવા માટે અને 7/12 ની નકલના મુદ્દે ગુજરાત રાજ્યના અન્ન પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી રમણ સોલંકી એ જણાવ્યું હતું કે આ બાબતે ગઈકાલે સીએસ-મુખ્ય સચિવના નેજા હેઠળ એક મીટીંગ થઈ હતી જેમાં કોઈ કારણોસર હું હાજર રહ્યો નહતો. જેથી આ બાબતની વધુ જાણકારી માહિતી પ્રાપ્ત કરી આપના આપીશ.

  • મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યોગ્ય બુરાશ ન થતા રસ્તાઓ બિસ્માર, વાહનચાલકો પર અકસ્માતનો ખતરો

    મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં યોગ્ય બુરાશ ન થતા રસ્તાઓ બિસ્માર, વાહનચાલકો પર અકસ્માતનો ખતરો

    મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં રોડ રસ્તાની વર્ષો જૂની સમસ્યા વચ્ચે તાજેતરમાં પાણીની નવી પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાઓનું યોગ્ય રીતે બુરાશ ન કરવામાં આવતા સમગ્ર વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

    માહિતી મુજબ લાતી પ્લોટ વિસ્તારમાં મઢુડા હોટલ વાળી શેરી તેમજ માસુમ હોસ્પિટલ પાસે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાઓમાં માત્ર માટી નાંખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. નિયમ મુજબ ખાડાઓમાં યોગ્ય પ્રેશર સાથે બુરાશ કરવાની અને રોડને સમતળ બનાવવાની કામગીરી થવી જરૂરી હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

    સ્થાનિકોના જણાવ્યા મુજબ અંદરથી પાણી લીકેજ થતું રહેતા ખાડાઓની માટી સતત બેસી રહી છે, જેના કારણે રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. અનેક વાહનો ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી રહી હોવાનું જાણવા મળે છે.

    સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક યોગ્ય બુરાશ કરી રસ્તાઓને સમતળ બનાવવાની તેમજ કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

  • ૧૫ વર્ષથી પાણી માટે તરસતું ભીમરાવનગર : નળજોડાણના પૈસા ભર્યા છતાં કનેક્શન નહીં, રહિશોમાં રોષ

    ૧૫ વર્ષથી પાણી માટે તરસતું ભીમરાવનગર : નળજોડાણના પૈસા ભર્યા છતાં કનેક્શન નહીં, રહિશોમાં રોષ

    મોરબી શહેરના ભીમરાવનગર વિસ્તારમાં છેલ્લા અંદાજે ૧૫ વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા યથાવત રહેતાં સ્થાનિક રહિશોમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકા દ્વારા વારંવાર આશ્વાસન આપવામાં આવતાં હોવા છતાં આજદિન સુધી નિયમિત પાણી પુરવઠો શરૂ ન થતાં વિસ્તારના લોકો હવે આંદોલનના માર્ગે ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

    સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર, નળજોડાણ માટે જરૂરી રકમ મહિનાઓ પહેલાં જ ભરપાઈ કરવામાં આવી હતી. તેમ છતાં અનેક ઘરોમાં હજુ સુધી પાણીના કનેક્શન આપવામાં આવ્યા નથી. અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં નિરાશા અને આક્રોશ વ્યાપ્યો છે.

    રહિશોએ આક્ષેપ કર્યો છે કે વર્ષોથી વિવિધ સરકારી કચેરીઓ અને અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી. ગરીબ અને પછાત વિસ્તારમાં આવતી આ વસાહત સાથે તંત્ર દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

    વિસ્તારના આગેવાનોના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૨૪માં કેટલાક ઘરો માટે નવા પાણી કનેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને રહિશો પાસેથી રકમ પણ વસૂલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામ અધૂરું રહી ગયું. પરિણામે લોકોને આજે પણ શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે.

    રહિશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે પાણીની લાઇન શરૂ કરીને તમામ ઘરોને કનેક્શન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન તેમજ સામૂહિક વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.

  • મોદી કેબિનેટની આજે મહત્વની બેઠકઃ મિનિ લોકડાઉન લદાશે એવી અટકળો, જાણો બીજું શું શું થઈ શકે?

    મોદી કેબિનેટની આજે મહત્વની બેઠકઃ મિનિ લોકડાઉન લદાશે એવી અટકળો, જાણો બીજું શું શું થઈ શકે?

    વિદેશ પ્રવાસેથી પરત ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહત્વની બેઠક બોલાવી છે. મિનિ લોકડાઉન લદાશે એવી અટકળો થઈ રહી છે. આ ઉપરાંત તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેબિનેટ વિસ્તરણની અટકળો વચ્ચે આ બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

    શું છે બેઠકનો એજન્ડા
    પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં પશ્ચિમ એશિયા સંકટ અને તેના આર્થિક પ્રભાવનો ઉલ્લેખ થઈ શકે છે. તેમજ તેઓ મંત્રાલયો અને વિભાગોને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે સુનિશ્ચિત કરવાનો આદેશ આપી શકે છે. સૂત્રો મુજબ બેઠકમાં ઉર્જા, કૃષિ, રસાયણ, શિપિંગ અને લૉજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપી શકાય છે.

    આ બેઠકનો મુખ્ય એજન્ડા કેબિનેટ વિસ્તરણ છે. ઉપરાંત મંત્રીઓના કામકાજના રિપોર્ટ પર પણ ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, અનેક સામાજિક યોજનાઓ લાગુ કરવા અને તેનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચાડવા પર ચર્ચા થઈ શકે છે.

    આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા વિસ્તરણ જોવા મળી શકે છે. આજે યોજાનારી આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

    આ ઉપરાંત બેઠકમાં સામાન્ય લોકોના ફાયદા માટે તમામ ક્ષેત્રોમાં સુધારા લાવવાની સરકારની પ્રાથમિકતા પર પણ ચર્ચા થવાની શક્યતા છે. વડા પ્રધાને આ પહેલાં આગામી 10 વર્ષો માટે સુધારાની પ્રાથમિકતાઓની રૂપરેખા રજૂ કરતા કહ્યું હતું કે તેમની સરકારની રિફોર્મ એક્સપ્રેસ વ્યવસ્થાગત પરિવર્તનો લાવી છે અને સામાન્ય નાગરિકોને મોટા પ્રમાણમાં લાભ પહોંચાડ્યો છે. આ બેઠક પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની ભવ્ય જીત બાદ યોજાઈ રહી હોવાથી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

  • રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત

    રૂપિયાને મજબૂત કરવા RBI ‘મોંઘવારીના ઝેરનો ઘૂંટડો’ પ્રજાને પીવડાવશે, રેપો રેટ વધે તેવા સંકેત

    ડોલર સામે રૂપિયામાં આવી રહેલા રેકોર્ડબ્રેક ઘટાડાએ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ની ચિંતાઓ વધારી દીધી છે. રૂપિયાના આ ઘટાડાને રોકવા અને દેશની અર્થવ્યવસ્થાને સ્થિરતા આપવા માટે RBI હવે કેટલાક કડક પગલાં ઉઠાવી શકે છે, જેમાં વ્યાજદરોમાં વધારો કરવો પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિતના ટોચના અધિકારીઓએ હાલના દિવસોમાં આ મામલે મહત્ત્વની બેઠકો કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠકોમાં રૂપિયાની સ્થિતિ સંભાળવા માટે વ્યાજદરો વધારવાથી લઈને વિદેશી રોકાણકારો પાસેથી ડોલર એકઠા કરવા જેવા તમામ કડક વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.

    ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેપો રેટ વધારવાની ગંભીર વિચારણા

    આ સપ્તાહે રૂપિયો ડોલરની સામે તેના ઐતિહાસિક નીચલા સ્તરેથી ગગડીને પ્રતિ ડોલર આશરે 97ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયાની આ નબળાઈને રોકવા માટે રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે અને RBI આ બાબત પર ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહી છે. આમ તો RBIની આગામી એમપીસી (MPC) બેઠક 5 જૂનથી શરૂ થવાની છે, પરંતુ કટોકટીની ગંભીરતાને જોતા રિઝર્વ બેન્ક નક્કી કરેલા કાર્યક્રમ પહેલા પણ ઇમરજન્સી મીટિંગ બોલાવીને રેટ્સમાં ફેરફાર કરી શકે છે. આ પહેલા પણ મે 2022માં RBI નક્કી કરેલા શિડ્યુલથી અલગ જઈને અચાનક વ્યાજદરો વધારી ચૂકી છે.

    સામાન્ય જનતા પર વધશે બોજ, તમામ પ્રકારની લોન મોંઘી થશે

    જો RBI દ્વારા વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે, તો દેશની બેન્કોને કેન્દ્રીય બેન્ક પાસેથી મોંઘા દરે ધિરાણ મળશે. પરિણામે, કોમર્શિયલ બેન્કો પણ સામાન્ય જનતા માટે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરો વધારી દેશે. બેન્કો દ્વારા વ્યાજદર વધારવાના કારણે સામાન્ય માણસ પર માસિક EMIનો બોજ સીધો વધી જશે, જેનાથી લોન લેવી વધુ મોંઘી બનશે.

    NRI ડિપોઝિટ સ્કીમનો પ્લાન

    રૂપિયાના મૂલ્યમાં અપેક્ષા કરતાં ખૂબ જ ઝડપી ઘટાડો થઈ રહ્યો છે. જો કે, આપણા દેશની આર્થિક સ્થિતિ અને બેન્કિંગ સિસ્ટમ સંપૂર્ણપણે મજબૂત અને સ્થિર છે, છતાં વૈશ્વિક દબાણના કારણે આ મજબૂતી એક્સચેન્જ રેટમાં દેખાઈ રહી નથી. આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે RBI વર્ષ 2013ના ‘ટેપર ટેન્ટ્રમ’ સંકટ સમયના ફોર્મ્યુલાને ફરીથી અપનાવવા પર ગંભીર વિચારણા કરી રહી છે. તે સમયે પણ રૂપિયાના ગગડતા મૂલ્યને બચાવવા માટે, વિદેશી ચલણનો પ્રવાહ વધારવાના આશયથી સ્થાનિક બેન્કો દ્વારા વિશેષ નોન રેસિડેન્શિયલ ઈન્ડીયન (NRI) ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

    NRI સ્કીમ દ્વારા 50 અબજ ડોલર એકઠા કરવાનો પ્લાન

    રૂપિયાની સ્થિતિ સુધારવા માટે દેશના વિદેશી મુદ્રા ભંડારને વધારવો ખૂબ જ મહત્ત્વનો છે અને તેના માટે RBI આ વખતે મોટા પાયે ફંડ એકત્રિત કરવાની પ્લાનિંગ કરી રહી છે. RBIનો અંદાજ છે કે NRI માટે વિશેષ ડિપોઝિટ સ્કીમ લાવીને આ વખતે આશરે 50 અબજ ડોલર સુધીનું ફંડ મેળવી શકાય છે, જ્યારે 2013ના સંકટ દરમિયાન આ જ સ્કીમ દ્વારા 30 અબજ ડોલર એકઠા કરવામાં આવ્યા હતા.

    આ અન્ય વિકલ્પો પર પણ થઈ રહ્યું છે મંથન

    બજારમાં ડોલરની અછતને દૂર કરવા માટે આરબીઆઈ અન્ય દેશોની કેન્દ્રીય બેન્કો સાથે વધારાના કરન્સી સ્વાપ એગ્રીમેન્ટ (ચલણની અદલાબદલીના કરાર) કરી શકે છે. આ સિવાય, વિદેશોમાંથી સીધા ડોલર મેળવવા માટે સરકારની મદદથી ‘સોવરિન ડોલર બોન્ડ’ જાહેર કરવા પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે, જો કે આ બોન્ડ જાહેર કરવા અંગેનો અંતિમ નિર્ણય સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા જ લેવામાં આવશે.

  • ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે આટલાનો થયો વધારો

    ઈંધણ સાથે હવે ખાદ્યતેલના પણ ભાવ વધ્યાં, ડબ્બે આટલાનો થયો વધારો

    આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ જનતા પર મોંઘવારીનો ડબલ માર પડ્યો છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડતી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે.

    પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલોના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટના તેલ બજારમાં આજે સિંગતેલના ડબ્બાના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકોની ચિંતા વધી ગઈ છે. બજારના વેપારીઓના જણાવ્યા મુજબ, સિંગતેલના ડબ્બામાં આજે વધુ રૂ.10નો વધારો થતાં ભાવ રૂ.2800 સુધી પહોંચી ગયો છે. સાથે જ અન્ય ખાદ્યતેલોમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    કપાસિયા તેલનો ડબ્બો રૂ.2660 સુધી પહોંચી ગયો છે, જ્યારે પામોલીન તેલમાં પણ સતત વધારો ચાલુ રહેતાં તેના ભાવ રૂ.2415ની આસપાસ પહોંચ્યા છે. આ તરફ વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારમાં ઊભી થયેલી અનિશ્ચિતતા અને સપ્લાયમાં આવેલી અડચણો આ ભાવવધારા માટે મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં વધેલા તણાવ અને દરિયાઈ માર્ગોમાં આવેલી મુશ્કેલીઓના કારણે આયાતી માલની અવરજવર પ્રભાવિત થઈ રહી છે.

    પરિણામે કાચા માલની અછત સર્જાતાં સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર દેખાઈ રહી છે. અત્યાર સુધી દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી બજાર સ્થિર રહ્યું હતું, પરંતુ હવે આયાત પર વધતી અસરને કારણે સ્વદેશી ખાદ્યતેલોમાં પણ ભાવવધારો અનિવાર્ય બન્યો છે.

    આગામી દિવસોમાં જો વૈશ્વિક સ્થિતિમાં સુધારો નહીં થાય તો ખાદ્યતેલોના ભાવ હજુ વધુ ઊંચા જઈ શકે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ખાદ્યતેલોના વધતા ભાવોથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર સીધી અસર પડી રહી છે.

  • પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ વધ્યું, મહિના સુધીનું વધ્યું વેઈટિંગ

    પીએમ મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો વેચાણ વધ્યું, મહિના સુધીનું વધ્યું વેઈટિંગ

    ગુજરાતમાં વર્ષ 2025માં કુલ 66,538 ઈવી નોંધાયા હતાં, જ્યારે વર્ષ 2026માં 15 મે સુધીમાં જ 38,596 ઈવી નોંધાયા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ વર્ષના પહેલાં સાડા ચાર મહિનામાં જ ઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચી ગયું છે.

    પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વમાં પેટ્રોલ ડીઝલ સહિતના ઈંધણની કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના જનતાને ઓછું પેટ્રોલ બાળવા માટેની અપીલ કરી હતી. જેની સીધી અસર વાહનોના વેચાણ પર પડી છે. જે બાદ લોકો પેટ્રોલ-ડીઝલના વાહનો લેવાને બદલે હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં છે. ગુજરાત, FADA, ચેરમેન, પ્રણવભાઈ શાહના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોની ઇન્ક્વાયરી અને વેચાણમાં વધારો નોંધાયો છે.

    ઇન્ક્વાયરીમાં 300 ટકા જેટલો વધારો
    ગુજરાત, FADA, ચેરમેન, પ્રણવભાઈ શાહે ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટર વિભૂ પટેલ સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના વેચાણમાં સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. જોકે, પેટ્રોલની કિંમતોમાં વધારા બાદ તથા નરેન્દ્ર મોદીની અપીલ બાદ ત્યારથી ઈવીની ઇન્ક્વાયરીમાં સખત વધારો થયો છે. ઇન્ક્વાયરીમાં 300 ટકા જેટલો વધારો થયો છે.

    આપણા દેશની અને બીજા દેશની એવી ઘણી કંપનીઓ ભારતમાં છે જે કાર હોય કે ટુવ્હીલર માત્ર ઇવી જ બનાવે છે. આ જરૂરિયાત પણ છે. જોકે, ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ જરૂર છે. સારું ચાર્જિંગ પમ્પો બને તો ઈવીના વેચાણમાં વધારો થઈ શકે છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, કેટલીક કારના મોડલો પર એક મહિનાથી ત્રણ મહિના સુધીનું વેઈટિંગ છે. જ્યારે ઇવીના ટુવ્હીલરમાં 15 દિવસ સુધીનું વેઈટિંગ છે.

    ગત વર્ષ કરતા આ વર્ષે વધારે વેચાણ
    પ્રણવભાઈ શાહે આ અંગેના આંકડા પણ આપ્યાં છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં વર્ષ 2025માં કુલ 66,538 ઈવી નોંધાયા હતાં, જ્યારે વર્ષ 2026માં 15 મે સુધીમાં જ 38,596 ઈવી નોંધાયા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ વર્ષના પહેલાં સાડા ચાર મહિનામાં જ ઈવીનું વેચાણ 58 ટકાએ પહોંચી ગયું છે. માત્ર અમદાવાદની વાત કરીએ તો ગત વર્ષે 16,645 વાહનો નોંધાયા હતાં, જ્યારે આ વર્ષે 9,476 વાહનો નોંધાઈ ચૂક્યા છે.

  • ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

    ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ, અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

    ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં ફેરફારના સંકેતો જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

    1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે ગરમી અને ઉકળાટથી પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે હવામાનમાં ધીમે ધીમે બદલાવ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે.

    આજથી જ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા તેમજ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 2. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 22 મેથી 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે.

    હવામાનમાં આ બદલાવને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. 3. સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને પવનોના બદલાતા પ્રવાહને કારણે ચોમાસાની ગતિ હાલમાં થોડી ધીમી પડી છે. જોકે આ સિસ્ટમ ઓમાન તરફ આગળ વધતા ચોમાસું ફરી સક્રિય બનશે અને કેરળ કાંઠે તેની એન્ટ્રી માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી થશે. આગાહી મુજબ 26 મેથી 1 જૂન દરમિયાન ચોમાસું કેરળ કાંઠે પહોંચવાની શક્યતા છે.

    4. વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગે પણ મહત્વની વાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી માનવામાં આવે છે. રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે, જે ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે.

    5. રાજ્યમાં ઉકળાટમાં વધારો આ સાથે જ તેમણે જણાવ્યું કે 27 મે બાદ ફરી રાજ્યમાં ઉકળાટમાં વધારો થઈ શકે છે. જોકે હાલ વરસાદી પવનો અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળશે. બીજી તરફ 23 મે સુધી નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આદ્રા નક્ષત્ર દરમિયાન એટલે કે 23 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વધુ મજબૂત બનશે. હાલ લોકો ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ આગાહીએ આશાનું નવું કિરણ જગાવ્યું છે.