Author: admin

  • મોરબીના ઝીંઝુડા ગામે કાલે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

    મોરબીના ઝીંઝુડા ગામે કાલે સીમા જાગરણ મંચ દ્વારા સંમેલન યોજાશે

    સીમા સુરક્ષા, રાષ્ટ્રીય ચેતના અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે સીમા જાગરણ મંચ દ્વારા જુદાજુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવે છે તેવામાં તા 3/5 ને રવિવારના રોજ ઝીંઝુડા ખાતે સીમા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અને સાંજે 5:00 વાગ્યે કાનસ્વામી બાપુની જગ્યા ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોમાંથી નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

    આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ દેશની સરહદોની સુરક્ષા માટે જનજાગૃતિ ફેલાવવાનો તેમજ સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ કરવાનો છે. તેમજ સંગઠન શક્તિ મજબૂત બનાવી સીમાવર્તી ગામોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો સંદેશ આપવામાં આવશે.

    મોરબી જિલ્લા સીમા જાગરણ મંચ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો, યુવાનો અને સમાજના આગેવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદનું આયોજન આયોજકો દ્વારા કરાયું છે.

  • મોરબી શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરોના આતંકે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો : એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

    મોરબી શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરોના આતંકે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો : એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

    સમગ્ર મોરબી શહેર માટે ગંભીર ચેતવણી સમાન ઘટના છે. ગઈ કાલે ઘુંટુ રોડ પર બાઈક પર પસાર થઇ રહેલા ભરતભાઈ કૃષ્ણકાંતભાઈ પરમાર પર અચાનક રખડતો ખુંટીયો તૂટી પડતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભરતભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

    આ હૃદયદ્રાવક ઘટનાથી એક પરિવારનો આધાર તૂટી ગયો છે. ભરતભાઈનો એકમાત્ર દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે પરિવારજનો પર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શક્ત સનાળા ગામેથી જયારે તેમની અંતિમયાત્રા નીકળી ત્યારે સ્વયંભૂ લોકો જોડાયા હતા આખું ગામ હીબકે ચડ્યું હતું.

    મોરબીમાં લાંબા સમયથી રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની રહી છે. અનેકવાર રજૂઆત અને ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આજે ફરી એક પરિવાર વિખેરાઈ ગયો છે. શું હજી પણ તંત્ર જાગશે કે નહીં? આ ઘટના તંત્રની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે.

    સવાલ એ છે કે હજુ કેટલાં નિર્દોષ લોકોના જીવ આ જ રીતે જતા રહેશે? હજુ કેટલાં પરિવારોનો માળો તૂટી જશે પછી તંત્ર આંખ ખોલશે? મોરબીના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો હવે તંત્ર સામે કડક પગલાંની માંગ ઉઠાવી રહ્યા છે. તંત્રે હવે કુંભકર્ણ નિંદ્રા છોડીને તાત્કાલિક કડક અને અસરકારક કાર્યવાહી કરવી જ પડશે.

    રખડતા ઢોરોને કાબૂમાં લેવા માટે સ્પષ્ટ નીતિ, નિયમિત અભિયાન અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી સમયની માંગ છે. જો તંત્ર હજી પણ ઉદાસીન રહેશે તો આવી દુર્ઘટનાઓ અટકાવવી અશક્ય બની જશે અને તેના માટે તંત્રની નિષ્ક્રિયતા જ જવાબદાર રહેશે.

  • કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ

    કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ

    કચ્છના નાના રણમાં જૈવવિવિધતાનો એક અનોખો નમૂનો જોવા મળ્યો છે. ઘુડખર અભયારણ્યની ટીમ જ્યારે વચ્છરાજ બેટના પાછળના ભાગમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ એટલે કે ‘ફેનેક ફોક્સ’ કેમેરામાં કેદ થયું છે.

    ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક ગણાય છે, ત્યારે આ દુર્લભ પ્રાણી દેખાતા વન વિભાગે તપાસ તેજ કરી છે.શું છે આ શિયાળની વિશેષતા? વન વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ શિયાળ ‘ફેનેક’ પ્રજાતિનું હોવાની શક્યતા છે. •સામાન્ય શિયાળ કરતા આ પ્રજાતિ ઘણી નાની હોય છે.

    તેનું વજન માત્ર એક કિલો અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે. •તેનો રંગ આછો પીળો કે બદામી હોય છે, જે રણની રેતી સાથે ભળી જાય છે. •આ શિયાળ મુખ્યત્વે ઉંદર, પક્ષીઓ, ઈંડા, ગરોળી અને નાના જંતુઓનો આહાર કરે છે. •તપાસ દરમિયાન વિસ્તારમાં ઊંડા ખાડા મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ પ્રાણી લાંબા સમય સુધી જમીનમાં ખાડા ખોદીને વસવાટ કરે છે.

    ગુજરાતમાં સંખ્યા માત્ર 153 વન વિભાગના આંકડા મુજબ, હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે. ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલે જણાવ્યું કે, ‘આ પ્રજાતિ ગુજરાતમાં ખૂબ ઓછી જોવા મળે છે.

    તેના કદ અને ખાડા ખોદવાની આદતોના આધારે હાલ સઘન તપાસ ચાલી રહી છે.’ શા માટે આ બાબત મહત્ત્વની છે? સામાન્ય રીતે ફેનેક ફોક્સ ઉત્તર આફ્રિકાના સહારાના રણમાં જોવા મળે છે, જ્યારે ગુજરાતના રણમાં ડેઝર્ટ ફોક્સ કે ઈન્ડિયન ફોક્સ વધુ જોવા મળે છે. જો તપાસના અંતે આ પ્રાણી ખરેખર ફેનેક પ્રજાતિનું સાબિત થશે, તો તે વન્યજીવ સૃષ્ટિ માટે અત્યંત અસાધારણ અને મહત્ત્વપૂર્ણ ઘટના ગણાશે. વન વિભાગ હવે આ દિશામાં વધુ વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરી રહ્યું છે.

  • તા.7 સુધી તાપમાન 41થી 43 ડીગ્રીની રેન્જમાં; તા.8થી ફરી 43 ડિગ્રીને વટાવી જવાની શકયતા

    તા.7 સુધી તાપમાન 41થી 43 ડીગ્રીની રેન્જમાં; તા.8થી ફરી 43 ડિગ્રીને વટાવી જવાની શકયતા

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત છેલ્લા કેટલાક વખતથી કાળઝાળ ગરમીની લપેટમાં આવ્યા છે અને તાપમાનનો પારો ઉંચો રહ્યો છે ત્યારે આગામી તા. 7 મે સુધી પણ તાપમાન 41થી 43 ડિગ્રીની રેન્જમાં રહેવાની અને તા.8થી ફરી 43 ડિગ્રીને વટાવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

    તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી બે ડિગ્રી વધુ નોંધાઇ રહ્યું છે. રાજકોટમાં 4ર.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જે નોર્મલ કરતા 1.3 ડિગ્રી વધુ હતું.

    દિશામાં 40.8 હતું તે નોર્મલ કરતા 0.ર ડિગ્રી વધુ હતું. અમદાવાદમાં 43.3 હતું જે નોર્મલ કરતા 1.7 ડિગ્રી વધુ હતું. ભુજમાં 40.4 ડિગ્રી હતું જે નોર્મલ કરતા 0.4 ડિગ્રી હતું. અમરેલીમાં 41.9 ડિગ્રી નોર્મલ સ્તરે રહ્યું હતું. ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ તાપમાન 40.પથી 41.પ ડિગ્રી ગણાય છે.

    તેઓએ તા.9 મે સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે આજે હજુ તાપમાનનો પારો ઉંચો જ રહેશે અને 43 ડિગ્રી કરતા પણ વધી જવાની શકયતા છે. જયારે આવતીકાલથી તા.7 મે સુધી તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. તા. 8 અને 9 મેના રોજ મહતમ તાપમાન ફરી વખત વધશે અને કેટલાક સેન્ટરોમાં 43 ડિગ્રીને પણ વટાવી જવાની શકયતા છે. તેઓએ જણાવ્યું હતું કે આગાહીના સમયગાળા દરમ્યાન આકાશ મોટા ભાગે ખુલ્લુ જ રહેવાની સંભાવના છે.

    પવનની ઝડપ આવતીકાલ સુધી 1પ થી રપ કિલોમીટર તથા ઝાટકાના પવન રપ થી 1પ કિ.મી.ની રેન્જમાં રહેશે ત્યારબાદ તેમાં પ થી 10 કિ.મી.નો ઘટાડો થવાની સંભાવના છે. આગાહીના સમયગાળામાં મહતમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો ફેરફાર શકય છે.

  • મોરબીમાં રઘુવંશી યુવક મંડળનું ભવ્ય 5મું સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર આયોજન સંપન્ન

    મોરબીમાં રઘુવંશી યુવક મંડળનું ભવ્ય 5મું સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર આયોજન સંપન્ન

    ઉત્કૃષ્ટ સામાજિક પહેલ તરીકે સ્થાનિક રઘુવંશી પ્રતિનિધિ મંડળ દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) સંસ્કાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

    સમાજના સહયોગ અને ઉત્સાહ વચ્ચે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં એકતા અને સંસ્કારનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.

    આ ધાર્મિક પ્રસંગે સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખમીદાણાવાળા જાનકીદાસજી મહારાજ તેમજ ગિરનારી આશ્રમવાળા સાધ્વી હંસાગિરિ માતાજીએ ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમને આધ્યાત્મિક ભાવનાથી પરિપૂર્ણ બનાવ્યો.

    સમૂહ યજ્ઞોપવિત સંસ્કારમાં કુલ 51 બટુકોએ વિધિવત જનોઈ ધારણ કરી હતી. વિધિ પૂર્ણ થયા બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 3000 જેટલા લોકોએ સહભાગી બની પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

    રઘુવંશી યુવક મંડળના આગેવાનો દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે આજના મોંઘવારીના સમયમાં આવા સમૂહ આયોજનો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

    સમૂહ આયોજનથી વ્યક્તિગત ખર્ચમાં ઘટાડો થાય છે તેમજ સમાજમાં એકતા અને સહકારની ભાવના મજબૂત બને છે.

  • સોમવારે ધો.12નું અને બુધવારે ધો.10નું પરિણામ

    સોમવારે ધો.12નું અને બુધવારે ધો.10નું પરિણામ

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવેલો ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે.

    ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ એમ ત્રણેય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 4મેના રોજ જાહેર કરાશે 4 મેના રોજ ધો. 12ના તમામ પ્રવાહનું પરિણામ બોર્ડ દ્વારા 4મેના રોજ જાહેર થનારા ધો. 12ના પરિણામોમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનો સમાવેશ થાય છે. આ સાથે જ GUJCET-2026 અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાના પરિણામ પણ એ જ દિવસે જાહેર થશે.

    જ્યારે ધો. 10નું પરિણામ 6 મેના રોજ જાહેર કરાશે. બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર પરિણામ મેળવી શકાશે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ચેક કરી શકશે. ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડે વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. વિદ્યાર્થીઓએ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર મોકલવાથી વોટ્સએપ પર જ પરિણામ મેળવી શકશે.

    બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઝડપી અને સરળતાથી પરિણામ મેળવવામાં મદદ મળશે. ધોરણ 10-12માં કૂલ 15.27 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધો.10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાં ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ

    નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ

    વેસ્ટ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના આયાત પર અસર પડી છે. આ સ્થિતિને પહોંચી વળવા અને સ્થાનિક સ્તરે ગેસના ભાવ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે એલપીજી બુકિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના નિયમોમાં ફેરફાર કર્યો છે.

    1 મેથી અમલી બનેલા નવા નિયમ મુજબ, જો કોઈ ગ્રાહકના ઘરે PNG(પાઇપલાઇન ગેસ) કનેક્શન હશે, તો તેણે પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે. જો તમે PNG હોવા છતાં LPG સિલિન્ડર રાખશો, તો ઓઇલ કંપનીઓ તમને ગેસનો સપ્લાય આપશે નહીં.e-KYC વેરિફિકેશન વગર નહીં મળે ગેસ રિફિલ નવા નિયમો મુજબ હવે દરેક ગ્રાહકે આધાર કાર્ડ આધારિત e-KYC કરાવવું ફરજિયાત છે.

    જે ગ્રાહકોનું વેરિફિકેશન અધૂરું હશે, તેમને સિલિન્ડરની ડિલિવરી રોકી દેવામાં આવશે. ખાસ કરીને એવા ગ્રાહકો કે જેમણે જૂન 2025 પહેલા ગેસ રિફિલ કરાવ્યો હતો, તેમને ઇનએક્ટિવ ગ્રાહક માનવામાં આવશે અને જ્યાં સુધી તેઓ વેરિફિકેશન પૂર્ણ નહીં કરે ત્યાં સુધી નવા સિલિન્ડરનો ઓર્ડર આપી શકશે નહીં. આ ઉપરાંત, હવે સિલિન્ડરની ડિલિવરી સમયે OTP(વન ટાઈમ પાસવર્ડ) વેરિફિકેશન પણ ફરજિયાત બની રહ્યું છે.

    ડબલ કનેક્શન અને સબસિડી પર કાપ તેલ કંપનીઓ હવે PNG અને LPG ડેટાબેઝનું ક્રોસ ચેકિંગ કરી રહી છે. જે ઘરોમાં બેવડા ઇંધણના જોડાણો હશે તેમને હવે સબસિડીવાળા સિલિન્ડરની સુવિધા મળશે નહીં. આ પગલાનો હેતુ સબસિડીવાળા સિલિન્ડરનો વ્યાવસાયિક ઉપયોગ અટકાવવાનો અને કાળાબજારી ઘટાડવાનો છે.

    કંપનીઓ હવે બે ગેસ બુકિંગ વચ્ચેના લઘુત્તમ અંતરને પણ વધારી રહી છે જેથી ગેસનો સંગ્રહ અટકાવી શકાય. ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ? – જો તમે તમારા રસોડામાં ગેસનો પુરવઠો યથાવત રાખવા માંગતા હોવ, તો નીચેની બાબતોનું પાલન કરવું મહત્ત્વનું છે:

    – તમારા ગેસ એજન્સી પર જઈને આધાર આધારિત e-KYC પ્રક્રિયા તત્કાલ પૂર્ણ કરો. – ગેસ એજન્સીમાં તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવો જેથી OTP મેળવવામાં સરળતા રહે. – તમારું આધાર કાર્ડ બેન્ક ખાતા સાથે જોડાયેલું છે કે નહીં તેની તપાસ કરી લો, જેથી સબસિડીમાં કોઈ અડચણ ન આવે. – જો ઘરમાં બે કે તેથી વધુ કનેક્શન હોય અથવા PNG આવી ગયું હોય, તો વધારાનું LPG કનેક્શન બંધ કરાવો.

  • મોરબીમાં મોલ, મલ્ટીપ્લેક્ષ પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામુ

    મોરબીમાં મોલ, મલ્ટીપ્લેક્ષ પેટ્રોલ પંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામુ

    મોરબી જિલ્લામાં હાઇવે, જાહેર માર્ગો, એટીએમ સેન્ટર્સ, બેંકો, મંદિરો, પેટ્રોલ પંપ, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ, બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર વ્યક્તિની નિયુક્તિ કરવા અંગે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

    આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. સેન્ટરો, સોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બિગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની

    ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટર, લોબી, બેઝમેન્ટ, પાર્કિંગની જગ્યાઓ, જાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

  • મોરબીમાં 575 કારખાના માંડ શરૂ થયા ત્યાં ક્રુડમાં ઉથલપાથલથી નવું સંકટ

    મોરબીમાં 575 કારખાના માંડ શરૂ થયા ત્યાં ક્રુડમાં ઉથલપાથલથી નવું સંકટ

    મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં નેચરલ ગેસ આધારે ધમધમતો થયો છે જોકે, સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર સામે નબળો પડતો રૂપિયો અને માર્કેટમાં નહિવત ધરાકી આ ત્રણેય પરિબળના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાલમાં પોતાના કારખાનાઓ ચાલુ થાય તો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.

    કેમ કે, ઊંચા ભાવનો ગેસ લઈને માલ તૈયાર કરે અને માલની ડિમાન્ડ ન હોય તો ગોડાઉન ભરાશે અને જો અચાનક ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તો ઉદ્યોગકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું તેના લીધે મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતું ઇંધણ એટલે કે ગેસની કટોકટી ઉભી થઈ હતી અને પ્રોપેન ગેસ મળતો બંધ થતા પ્રોપેન ગેસ આધારિત કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને લગભગ બે મહિના જેટલા સમયથી મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત ખરાબ થઈ ગઈ છે

    ત્યારે હવે નેચરલ ગેસ મળતો થયો હોવાથી ધીમે ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે અને છેલ્લા 15 દિવસમાં લગભગ 575 જેટલા સિરામિકના કારખાના શરૂ થઈ ગયા છે પરંતુ હવે કારખાનેદારો સામે નવા જ પ્રકારની મુશ્કેલીઓ પડકારરૂપે આવીને ઉભી છે તેવું દેખાઈ રહ્યું છે. મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવડીયાએ જણાવ્યું હતું કે, ગેસની કટોકટીના કારણે સીરામીક ઉદ્યોગકારો દ્વારા 15 માર્ચથી 15 એપ્રિલ એક મહિના કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

    અને 15 એપ્રિલ પછી ક્રમશ: કારખાનાઓ શરૂ થવા લાગ્યા છે અને આજની તારીખે 575 જેટલા કારખાના શરૂ થઈ ગયા છે જોકે, આજની તારીખે જીસીસીના દેશોમાં એક્સપોર્ટ બંધ છે અને ખાડી વિસ્તારમાંથી જે વેસલ (જહાજ) જતા હોય છે તેની અવરજવર બંધ છે જેથી એક્સપોર્ટ માર્કેટને બહુ મોટા પ્રમાણમાં અસર થઈ છે અને લોકલ માર્કેટમાં પણ હાલમાં સિરામિક પ્રોડક્ટની ડિમાન્ડ નહીવત છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ભાવ આજની તારીખે જોવા મળી રહ્યો છે બીજી બાજુ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે .

    જેથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજની તારીખે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ટેક્સ સાથે કુલ મળીને 84 રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવથી નેચરલ ગેસ મળી રહ્યો છે જો ક્રૂડ ઓઇલના ભાવ ન ઘટે અથવા તો તેમાં વધારો થશે તો આગામી સમયમાં કદાચ પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો વધારો થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જેથી હાલની પ્રવાહી સ્થિતિમાં ઉદ્યોગકારોએ કારખાના ચલાવવા કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે.

    શા માટે ટાઇલ્સની ડિમાન્ડ નથી ? મોરબીમાં બે મહિના પહેલા જ્યારે ગેસની કટોકટી સર્જાવાની શરૂઆત થઈ હતી અને ત્યારે કારખાનાઓ બંધ થવાના છે તે વાતની અલગ અલગ રાજ્યોમાં બેઠેલા સિરામિકના વેપારીઓ સુધી પહોચી હતી જેથી તેઓએ માલની જરૂરિયાત ન હતી તો પણ માલ મંગાવીને તેઓના ગોડાઉન ભરી લીધા હતા.

    જેથી આજની તારીખે વેપારીઓ દ્વારા નવ માલ માટેના ઓર્ડર આપવામાં આવતા નથી. અને નવા વેપારીઓ માલની ખરીદી માટે આવતા નથી. જો ઊંચા ભાવનો ગેસ લઈને કારખાનેદારો દ્વારા માલનું ઉત્પાદન કરવામાં આવશે અને માલની માંગ નહીં નીકળે તો કારખાનાના ગોડાઉન ભરાઈ જશે અને ઉદ્યોગકારો ઉપર મોટું આર્થિક સંકટ આવી શકે છે.

  • ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ

    ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ રેટ

    સોનું અને ચાંદીમાં આ અઠવાડિયામાં મોટો કડાકો નોંધાયો છે. જેમાં સોનું 1,000 અને ચાંદી 3,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન(IBJA) મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ આ અઠવાડિયે 1,216 રૂપિયાથી ઘટીને 1,50,263 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે પહેલા 1,51,479 ભાવ હતો.

    સોનું થયું સસ્તું

    22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,38,755 રૂપિયાથી ઘટીને 1,37,641 થયો છે. જેમાં 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,13,609 રૂપિયાથી ઘટીને 1,12,697 રૂપિયા થયો છે.

    આ અઠવાડિયે સોનાનો સૌથી ઓછો ભાવ રૂ.1,47,973 પ્રતિ 10 ગ્રામ 29 એપ્રિલે જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત સૌથી વધુ ભાવ રૂ.1,51,186 પ્રતિ 10 ગ્રામ 27 એપ્રિલે નોંધાયો હતો. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

    ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો

    ચાંદીનો ભાવ રૂ.3,494 ઘટીને રૂ.2,40,331 પ્રતિ કિલોગ્રામ થયો છે, જે તેના અગાઉના સ્તર રૂ.2,43,828 પ્રતિ કિલોગ્રામથી નીચે છે. આ અઠવાડિયે ચાંદીનો સૌથી ઓછો ભાવ રૂ.2,36,300 પ્રતિ કિલોગ્રામ એપ્રિલના રોજ નોંધાયો હતો, જ્યારે સૌથી વધુ ભાવ રૂ.2,43,720 પ્રતિ કિલોગ્રામ 27 એપ્રિલના રોજ જોવા મળ્યો હતો.

    વૈશ્વિક અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાના ભાવ ઘટીને 4,585 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 74 ડોલરે પ્રતિ ઔંસ આસપાસ રહ્યા છે.