Author: admin

  • અમેરિકા સાથે ફરી યુદ્ધ લગભગ નક્કી! ઈરાનની ચેતવણીથી વધ્યું ટેન્શન, ટ્રમ્પે ઈરાની નેતાઓને કહ્યા- સનકી

    અમેરિકા સાથે ફરી યુદ્ધ લગભગ નક્કી! ઈરાનની ચેતવણીથી વધ્યું ટેન્શન, ટ્રમ્પે ઈરાની નેતાઓને કહ્યા- સનકી

    પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ સતત વધી રહ્યો છે. ઈરાનના સશસ્ત્ર દળોએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયેલ સાથેનું યુદ્ધ ગમે ત્યારે ફરી શરૂ થઈ શકે છે. ઈરાનનો આરોપ છે કે, વોશિંગ્ટન કોઈપણ કરાર કે સંધિઓનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે.

    ઈરાની સેના હાઈ એલર્ટ પર

    ઈરાનના સૈન્ય મુખ્યાલયના ડેપ્યુટી મોહમ્મદ જાફર અસદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકી અધિકારીઓના હાલના નિર્ણયો પરથી સાબિત થાય છે કે, તેઓ રાજદ્વારી સમજૂતીઓ પ્રત્યે ગંભીર નથી. અસદીએ અમેરિકા પર આક્ષેપ કરતા કહ્યું કે, “અમેરિકાના નિવેદનો માત્ર મીડિયા દ્વારા સંચાલિત છે. તેમનો હેતુ તેલના ભાવ ઘટતા અટકાવવાનો અને પોતે ઉભી કરેલી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો છે. અમારી સેના કોઈપણ નવી મૂર્ખામીનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

    ટ્રમ્પે ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો

    બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા વાટાઘાટો માટે મોકલવામાં આવેલ નવો પ્રસ્તાવ ફગાવી દીધો છે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓ કરાર કરવા માંગે છે, પરંતુ તેઓ એવી છૂટછાટો માંગી રહ્યા છે જે મને મંજૂર નથી. હું આ પ્રસ્તાવથી સંતુષ્ટ નથી.” ટ્રમ્પે ઈરાની નેતૃત્વ પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, ત્યાંનું નેતૃત્વ વિખેરાયેલું છે અને બે-ત્રણ જૂથોમાં વહેંચાયેલું છે.

    પાગલોના હાથમાં પરમાણુ નહી

    એક જાહેર કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે, “આપણે પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયારો ન જવા દઈ શકીએ. આપણે આ યુદ્ધમાં એટલા માટે છીએ કારણ કે પરમાણુ સુરક્ષા સર્વોપરી છે.”

    અમેરિકામાં બંધારણીય વિવાદ

    ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ એક તરફ યુદ્ધ સમાપ્ત થયાનો દાવો કરે છે, તો બીજી તરફ ક્રૂડ અને પરમાણુ સુરક્ષાના નામે સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખવાની વાત કરે છે. ‘વોર પાવર્સ રિઝોલ્યુશન’ (જે મુજબ 60 દિવસમાં સંસદની મંજૂરી લેવી પડે છે) ને ટ્રમ્પે ગેરબંધારણીય ગણાવ્યું છે. આ દરમિયાન અમેરિકી સેનેટમાં યુદ્ધ રોકવાના ડેમોક્રેટ્સના તમામ પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યા છે.

  • ભારતનો ‘માસ્ટરસ્ટ્રોક’… 45,000 ટન રસોઈ ગેસ સાથે આવી રહયું છે સુપર ટેન્કર ‘સર્વ શક્તિ’

    ભારતનો ‘માસ્ટરસ્ટ્રોક’… 45,000 ટન રસોઈ ગેસ સાથે આવી રહયું છે સુપર ટેન્કર ‘સર્વ શક્તિ’

    પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ અટકી પડવા છતાં, ૪૫,૦૦૦ ટન LPG લઈને ‘સર્વ શક્તિ’ સુપરટેન્કર ભારત આવી રહ્યું છે.

    ભારત માટે રાહતના સંકેતો વચ્ચે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં શિપિંગ લગભગ ઠપ થઈ ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે અનેક જહાજોએ પોતાનો માર્ગ બદલી દીધો છે અથવા પાછા ફરવું પડ્યું છે. આવી જટિલ પરિસ્થિતિ વચ્ચે, 45,000 ટન LPG લઈને આવતું વિશાળ સુપરટેન્કર ‘સર્વ શક્તિ’ સફળતાપૂર્વક ભારતીય કિનારા તરફ આગળ વધી રહ્યું છે, જે દેશ માટે મોટી રાહતના સમાચાર ગણાય છે.

    IOC દ્વારા આ વિશાળ કાર્ગો ખરીદવામાં આવ્યું
    ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને LPGનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. તાજેતરમાં મધ્ય પૂર્વમાંથી સપ્લાય ચેઇન ખોરવાઈ જવાને કારણે દેશમાં રસોઈ ગેસની અછત જોવા મળી રહી હતી. ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારો લાગી ગઈ હતી અને સામાન્ય જનજીવન પર તેની સીધી અસર પડી હતી. આવી સ્થિતિમાં, સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) દ્વારા આ વિશાળ કાર્ગો ખરીદવામાં આવ્યું છે. જો ‘સર્વ શક્તિ’ સુરક્ષિત રીતે ભારત પહોંચે છે, તો બજારમાં ગેસની અછત દૂર કરવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

    ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓ પછી હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની ગઈ હતી. અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા જહાજો પર કડક નિયંત્રણો લગાવ્યા હતા, જ્યારે ઈરાને પણ કેટલાક જહાજો પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ કારણે ઘણા જહાજોએ પોતાની મુસાફરી વચ્ચે જ અટકાવી દીધી હતી. તેમ છતાં, ભારતે તેની રાજદ્વારી કુશળતા બતાવી અને તેહરાન સાથેની સફળ વાતચીતના કારણે અત્યાર સુધીમાં આઠ LPG જહાજોને સુરક્ષિત રીતે બહાર લાવવામાં સફળતા મેળવી છે.

    માર્ગ અત્યંત જોખમભર્યો
    ‘સર્વ શક્તિ’ માર્શલ ટાપુઓના ધ્વજ હેઠળ સફર કરી રહ્યું છે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પર્સિયન ગલ્ફમાં પ્રવેશ્યા પછી દુબઈ નજીકથી તેનો કાર્ગો લોડ કરવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે, જહાજે જાહેર કર્યું છે કે તેના ક્રૂ સભ્યો ભારતીય છે અને તે ભારત તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઈરાનના લારાક અને કેશ્મ ટાપુઓ પાસેથી પસાર થઈને ઓમાનના અખાત તરફ જઈ રહ્યું છે. આ માર્ગ અત્યંત જોખમભર્યો છે, કારણ કે અહીં ઇલેક્ટ્રોનિક સિગ્નલ જામિંગ અને રડાર સ્પૂફિંગ જેવા ખતરા સતત રહે છે.

    આ પરિસ્થિતિ વચ્ચે, ભારત સરકારે પણ કટોકટીનો સામનો કરવા માટે પગલાં લીધાં છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીના જણાવ્યા મુજબ, દેશમાં સ્થાનિક LPG ઉત્પાદન ક્ષમતા 60 ટકા વધારીને 54,000 ટન કરવામાં આવી છે. દૈનિક વપરાશ પણ 90,000 ટનથી ઘટીને 80,000 ટન થયો છે. ઉપરાંત, તમામ બંદરોને LPG ટેન્કરોને પ્રાથમિકતા આપવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ગેસની સપ્લાય ઝડપથી સામાન્ય બની શકે અને લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

    એકંદરે જોવામાં આવે તો, ‘સર્વ શક્તિ’નું ભારત તરફ આગળ વધવું માત્ર એક જહાજની મુસાફરી નથી, પરંતુ આ તણાવપૂર્ણ સમયમાં દેશ માટે એક મહત્વપૂર્ણ જીવનરેખા સાબિત થઈ શકે છે.

  • ‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ

    ‘અમારું સોનું પાછું આપો’, ભારત રાતોરાત કેમ પાછું લાવી રહ્યું છે પોતાનું સોનું? જાણો કારણ

    ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાભરમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જે સોનું લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં સુરક્ષિત માનવામાં આવતું હતું, તેને હવે વિવિધ દેશો પોતાની ઘરેલું તિજોરીઓમાં પરત લાવી રહ્યા છે.

    આ ‘ગોલ્ડ રશ’ પાછળ સુરક્ષા અને ભરોસાનો પ્રશ્ન મુખ્ય છે. ભારત આ બાબતે સૌથી વધુ સક્રિય છે અને પોતાના સોનાનો મોટો હિસ્સો દેશમાં પરત લાવી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ થવા જેવી ઘટનાઓએ કેન્દ્રીય બેન્કોને વિચારવા મજબૂર કરી છે કે વિદેશમાં રાખેલું સોનું રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે ફસાઈ શકે છે.

    RBIનો માસ્ટરપ્લાન: 77% સોનું હવે ભારતમાં સુરક્ષિત

    ભારતીય રિઝર્વ બેન્કે(RBI) વિદેશમાંથી સોનું પરત લાવવાની પ્રક્રિયાને નોંધપાત્ર રીતે ઝડપી બનાવી છે. ઓક્ટોબર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ અનુસાર, ભારતના કુલ 880.52 ટન સોનામાંથી હવે અંદાજે 77% એટલે કે 680 ટન સોનું દેશની અંદર જ રાખવામાં આવ્યું છે. જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે અને 2.8 ટન સોનું ડિપોઝિટ તરીકે રાખેલું છે. છેલ્લા માત્ર 6 મહિનામાં જ RBI દ્વારા 104.23 ટન સોનું ભારત પરત મંગાવી લેવામાં આવ્યું છે. માર્ચ 2023માં ભારત પાસે માત્ર 37% સોનું દેશમાં હતું, જે હવે વધીને 77% થઈ ગયું છે.

    ‘જો સોનું તમારી પાસે નથી, તો તે તમારું નથી’

    નિષ્ણાતોના મતે હવે સોનું માત્ર એક રોકાણ નહીં પણ ‘સુરક્ષા વીમો’ બની ગયું છે અને વીમો ત્યારે જ કામ આવે જ્યારે જરૂરીયાતના સમયે તે તમારી પાસે હોય. ભારતની કુલ વિદેશી મુદ્રા ભંડારમાં સોનાનો હિસ્સો 13.9%થી વધીને હવે 16.7% થયો છે. અગાઉ લંડન જેવા બજારોમાં ટ્રેડિંગની સરળતા માટે સોનું ત્યાં રાખવામાં આવતું હતું, પરંતુ હવે લિક્વિડિટી કરતાં સુરક્ષા વધુ મહત્ત્વની બની છે. ભારત અત્યારે એવું સંતુલન બનાવી રહ્યું છે કે થોડું સોનું લિક્વિડિટી માટે બહાર રહે પરંતુ મોટો હિસ્સો પોતાના સંપૂર્ણ નિયંત્રણમાં રહે, જેથી કોઈપણ કટોકટીના સમયે તેનો તાત્કાલિક ઉપયોગ કરી શકાય.

  • ગુજરાત સ્થાપના દિન : મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    ગુજરાત સ્થાપના દિન : મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયા

    1 મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ ’ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિશ્વભરમાં વસતા તમામ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

    અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી અને મુખ્યાલય પ્રભારી નિર્મલભાઇ જારીયા તથા તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણાએ સંયુક્ત જણાવ્યુ હતું કે, આપણું ગુજરાત આજે વિશ્વ ફલક ઉપર એક આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવે છે.

    ગુજરાતીઓએ પોતાની મહેનત, સૂઝબૂઝ અને અસ્મિતાના જોરે વિશ્વના ખૂણે-ખૂણે ડંકો વગાડ્યો છે. ગુજરાત વિકાસના વિવિધ માપદંડોમાં અગ્રેસર રહીને ભારતની વિકાસયાત્રાનું એન્જિન સાબિત થયું છે, જેનો શ્રેય દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય છે.

    વધુમાં જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મક્કમ નેતૃત્વમાં ગુજરાતમાં જે વિકાસનો મજબૂત પાયો નખાયો છે, તેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ ભાજપા સરકાર વેગવંતી બનાવી આગળ ધપાવી રહી છે. ઉદ્યોગ, શિક્ષણ, કૃષિ અને માળખાગત સુવિધાઓમાં ગુજરાત આજે દેશનું રોલ મોડલ બન્યું છે. અને મોરબી જિલ્લો પણ ગુજરાતની આ વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો છે.

    અને સ્થાપના દિવસે ભાજપના આગેવાનોએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં ગુજરાતને હજુ વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે સંગઠન અને સરકાર ખભેખભા મિલાવીને કાર્યરત રહેશે. તેવી માહિતી મોરબી જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ભાવેશ કાનાણીએ આપી છે.

  • મોરબીમાં ડામરની અછત અને ભાવવધારાના કારણે માર્ગ કામો અટક્યા

    મોરબીમાં ડામરની અછત અને ભાવવધારાના કારણે માર્ગ કામો અટક્યા

    મોરબી : આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાઈલના હુમલાઓ બાદ પેટ્રોલિયમ પેદાશો તથા ગેસના પુરવઠા પર છેલ્લા બે મહિનાથી અસર જોવા મળી રહી છે.

    તેના પરિણામે મોરબીના સિરામિક ઉદ્યોગોને એક મહિનાથી વધુ સમય માટે શટડાઉન લેવાની ફરજ પડી હતી. હવે આ જ અસરના પગલે ડામરના ભાવમાં અચાનક બમણાથી વધુ વધારો નોંધાયો છે તેમજ ડામરની અછત સર્જાતા શહેરમાં માર્ગ નિર્માણના કામો પર પણ ગંભીર અસર પડી છે.

    મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ, લીલાપરથી બોરીયા પાટી, ક્લીન્દ્રી નદી પુલથી જુના ઘુંટુ રોડ, જેલ ચોકથી લીલાપર ચોકડી, દલવાડી સર્કલથી સરદાર-3, નજર બાગથી ભડિયાદ તથા ઉમિયાનગરથી જુના રફાળેશ્વર રોડ સુધીના માર્ગ કામોને મંજૂરી આપવામાં આવી છે.

    તેમ છતાં ડામરના ઊંચા ભાવ અને પુરવઠાની અછતને કારણે કોન્ટ્રાક્ટરોએ ઘણા કામો શરૂ કર્યા નથી અથવા અર્ધવચ્ચે બંધ રાખ્યા છે. મોરબી મહાનગરપાલિકાના ઈજનેર હિતેશ આદ્રોજાના જણાવ્યા મુજબ, હાલ શહેરમાં નવા માર્ગોના અનેક પ્રોજેક્ટ ડામરની અછત અને વધતા ખર્ચને કારણે અટવાઈ ગયા છે.

    વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.

  • ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

    ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસશે! વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ કરી 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

    ગુજરાતમાં આગામી ચોમાસાને લઈને ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં રાજ્યના 11 જેટલા વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આ વર્ષના ચોમાસા અંગે મહત્વનો વરતારો રજૂ કર્યો છે.

    આગાહીકારોના મતે, આ વર્ષે રાજ્યમાં સરેરાશ 40 થી 50 ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે. આ બેઠકમાં ચોમાસાના આગમન અને વાવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    ખેડૂતો માટે વાવણી અંગેની માર્ગદર્શિકા જાહેર કરતા તજજ્ઞોએ જણાવ્યું છે કે, આ વર્ષે વાવણી ત્રણ તબક્કામાં થઈ શકે છે. આમાં ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકશે. રાહતની વાત એ છે કે, આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી, જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરતારા મુજબ, આ ચોમાસું અંદાજે 15 ઓક્ટોબરની આસપાસ વિદાય લેશે.

  • સુરતમાં દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝાનો શુભારંભ થયો

    સુરતમાં દેશનો પ્રથમ બેરિયરલેસ ટોલ પ્લાઝાનો શુભારંભ થયો

    સુરતમાં દેશનો પહેલો બેરિયરલેસ ટોલ પ્લાઝા કાર્યરત થઈ ગયો છે. આ ટોલ પ્લાઝા ઘણા સમયથી ટ્રાયલ હેઠળ હતો. આ ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર રહેશે નહીં. ટોલ પ્લાઝા નીચેથી પસાર થતી વખતે ફી કાપવામાં આવશે.

    સુરતના ચોર્યાસી ખાતેનો આ ટોલ પ્લાઝા મુંબઈ-દિલ્હી હાઇવે (NH48) પર છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ભવિષ્યમાં દેશમાં આવા જ ટોલ પ્લાઝા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી વાહનોને રોકાવું ન પડે. આ ટોલ પ્લાઝા સુરત અને ભરૂચ વચ્ચે સ્થિત છે.

    NHAI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટોલ ચાર્જ આપમેળે કાપવામાં આવશે. હાઇ-રિઝોલ્યુશન કેમેરા વાહન નંબર પ્લેટોને સ્કેન કરશે. સાથે સંકળાયેલ રકમ સીધી ડેબિટ કરવામાં આવશે, જેનાથી પ્રક્રિયા સંપૂર્ણપણે સંપર્ક રહિત અને માનવ હસ્તક્ષેપ વિના બનશે.

    NHAI નો અંદાજ છે કે અવરોધ-મુક્ત ટ્રાફિકથી રૂ.1,500 કરોડનું ઇંધણ બચશે અને રૂ.6,000 કરોડની વધારાની આવક થશે. વાહનોને રોકવાની જરૂર રહેશે નહીં અને તેઓ 80 કિમી/કલાકની ઝડપે મુસાફરી કરી શકશે.

  • ચાલુ માસમાં દેશમાં એલપીજી સપ્લાય ખોરવાઈ જાય તેવી ચિંતા : 9 લાખ ટનની ખાધ

    ચાલુ માસમાં દેશમાં એલપીજી સપ્લાય ખોરવાઈ જાય તેવી ચિંતા : 9 લાખ ટનની ખાધ

    ઘરેલુ ઉત્પાદન અને આયાત વધારાઈ હોવા છતાં પણ ઘરઆંગણે એલપીજી સપ્લાય પુરેપુરી થઈ શકતી નથી

    ઈરાન યુદ્ધના કારણે ગલ્ફનો પુરવઠો ઠપ્પ થતા વધુ 10થી15 દેશોમાંથી આયાત કરવામાં આવી

    ઈરાન યુદ્ધના કારણે ભારતના પેટ્રોલિયમ પેદાશો અને ખાસ કરીને ગેસમાં એલપીજી સપ્લાયની ચિંતા આ મહિને વધે તેવા સંકેત છે. મે મહિનામાં દેશમાં અંદાજે 9 લાખ ટન એલપીજીનો પુરવઠો ઓછો ઉપલબ્ધ બને તેવી ધારણા છે.

    ઘરેલુ ઉત્પાદન 40 ટકા જેટલુ વધ્યુ છે અને માર્ચ માસમાં 10 લાખ ટન એલપીજીની શોર્ટેજ હતી. પરંતુ વૈશ્વિક સ્તરે ભારતે અન્ય દેશોમાંથી એલપીજી આયાત કરી અને ઘરેલુ ઉત્પાદનમાં જે થોડો વધારો થયો તેના કારણે એપ્રિલ માસમાં થોડી રાહત હતી. પરંતુ મે માસમાં ચિંતા વધે તેવી શકયતા છે.

    ભારતે રશિયા, અમેરિકા સહિતના દેશો પાસેથી એલપીજી આયાત વધારી છે. ડોમેસ્ટીક એલપીજી ઉત્પાદન માર્ચ 2025માં જે 1.1 મિલિયન મેટ્રીક ટન હતું તે માર્ચ 2026માં 1.4 મીલીયન મેટ્રીક ટન થયું જે અંદાજે 27 ટકાનો વધારો થાય છે અને દૈનિક 50 હજાર ટનનું ઉત્પાદન થશે તેવો અંદાજ છે.

    ખાસ કરીને નાયરાની એનર્જી રિફાઈનરી ઉત્પાદન શરુ કરે તે મહત્વનું છે. ભારતે અંદાજે 10થી15 દેશો પાસેથી એલપીજી આયાત કરી છે. જે દેશ ઓફર કરે ત્યાંથી એલપીજી આયાત થઈ રહી છે.

    સરકાર આ ઉપરાંત વૈકલ્પિક ફયુલનો વપરાશ વધે તે પણ જોઈ રહી છે અને તેથી હાલ સપ્લાય ચેઈન જાળવવામાં સફળતા મળી છે. જો કે હોટેલ-રેસ્ટોરા વગેરેને ઉનાળાના સીઝન દરમ્યાન એલપીજી પુરુ પાડવુ એ સૌથી મોટો પડકાર બની રહેશે.

  • અમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ

    અમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ

    અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ ઝિંકીને અઢળક નાણાં મેળવી લીધા હતા, જોકે અમેરિકન સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કરીને ટેરિફ પરત આપી દેવાનો આદેશ કર્યા બાદ હવે રિફંડ કરવાની પ્રક્રિયા આગળ વધી છે. આ પ્રક્રિયા મુજબ હવે ટુંક સમયમાં ભારત સહિતના દેશોના આયાતકારોને રિફંડ મળી જશે.

    11 મેથી પ્રથમ હપ્તો શરૂ થવાની આશા

    રિપોર્ટ મુજબ, અમેરિકન આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ટેરિફ રિફંડ મામલે અરજી દાખલ કરાઈ હતી, જેમાં કોર્ટના આદેશ મુજબ, પ્રથમ હપ્તાની ચુકવણી લગભગ 11 મેથી શરૂ થવાની આશા છે. રિફંડ પ્રક્રિયાની દેખરેખ રાખી રહેલા જસ્ટિસ રિચર્ડ ઈટને કહ્યું કે, આયાતકારોએ ટેરિફના નાણાં પરત મેળવવાની અરજીઓ કર્યા બાદ, રિફંડની CAPE સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 21 ટકા ઉત્પાદનોને એપ્રૂવલ આપ્યા બાદ ટેરિફ પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. તેમાંથી ત્રણ ટકા ઉત્પાદનોમાં સેટલમેન્ટ પણ થઈ ગયું છે અને હવે નાણાં પરત આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

    17 લાખ પ્રોડક્ટ એપ્રૂવલ

    રિચર્ડ ઈટને એવું પણ કહ્યું કે, 26 એપ્રિલ સુધીમાં લગભગ 17 લાખ પ્રોડક્ટનું એપ્રૂવલ બાદ સેટલમેન્ટ થઈ ગયું છે અને હવે તેની રિપેમેન્ટ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સત્તાવાર દસ્તાવેજ મુજબ, 3.30 લાખ આયાતકારોએ રિફંડ મેળવવા માટે અરજી કરી છે અને તેમાં લગભગ 5.3 કરોડ વસ્તુઓ સામેલ છે. આનું રિફંડ લગભગ 166 બિલિયન ડૉલર હોઈ શકે છે. એટલે કે અમેરિકા હવે લાખો વેપારીઓને કરોડો ડૉલર પાછા આપશે.

    કોર્ટના આદેશ બાદ રિફંડ પ્રક્રિયા શરૂ કરાઈ

    ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આદેશ બાદ અમેરિકન તંત્રએ ટેરિફ રિફંડ પ્રક્રિયા 20 એપ્રિલથી શરૂ કરી દીધી છે. અંદાજ મુજબ ટેરિફ પેટે લેવાયેલા 166 અબજ ડૉલર પરત કરવામાં આવશે. કોર્ટના આદેશ બાદ ટ્રમ્પના આદેશ બાદ ‘ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ ટેરિફની ચૂકવણી કરનારા આયાતકારોએ રિફંડ માટે ક્લેપ શરૂ કરી દીધા છે. અંદાજે 3.30 લાખ અમેરિકન કંપનીઓએ 5.3 કરોડથી વધુ શિપમેન્ટ પર આ ટેક્સ ભર્યો હતો.

    કંપનીઓ અરજી કરી રિફંડ મેળવી શકશે

    રિફંડ પ્રક્રિયા ઓટોમેટિક કરાઈ નથી. રિફંડ મેળવવા માટે કંપનીઓએ અરજી કરવી પડશે. આશા છે કે, મંજૂરી મળ્યા બાદ લગભગ 60થી 90 દિવસની અંદર (મેથી જુલાઈ-2026 વચ્ચે) રિફંડ મળવાનું શરૂ થઈ જશે. ખાસ વાત એ છે કે, અમેરિકન નાગરિકો કે ગ્રાહકોને સીધું રિફંડ નહીં મળે. આ નાણાં માત્ર તે આયાતકાર અને કંપનીઓને પરત કરાશે, જેમણે સરકારને ટેક્સ આપ્યો હતો. ભલે રિફંડ પ્રક્રિયા હેઠળ કંપનીઓને અબજૉ ડૉલર પરત મળવાના હોય, પરંતુ નિષ્ણાતોના મત મુજબ, સામાન્ય ગ્રાહકોને તેનો તાત્કાલીક કોઈ લાભ મળવાની સંભાવના નથી.

    ભારતને કેટલું રિફંડ મળી શકે છે?

    જો ભારતની વાત કરીએ તો અંદાજ મુજબ, ભારતીય નિકાસકારોને રિફંડ પેટે 10થી 12 અબજ ડૉલર સુધીનો ફાયદો થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (GTRI)ના રિપોર્ટ મુજબ, અમેરિકન કોર્ટે ટેરિફ રદ કરવાનો આદેશ આપ્યા બાદ અમેરિકા દ્વારા 166 અબજ ડૉલરનો ટેરિફ પરત ચૂકવવાનો રસ્તો ખુલી ગયો છે. જોકે રિફંડ સીધું ભારતીય નિકાસકારોના બેંક ખાતામાં નહીં આવે. નિયમો મુજબ, માત્ર અમેરિકન આયાતકારો જ રિફંડ ક્લેમ કરી શકે છે. ભારતીય નિકાસકારોએ જે અમેરિકન કંપનીઓ સાથે વેપાર કર્યો છે, તેમની સાથે રિફંડ માટે વાતચીત કરવી પડશે. જ્યારે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રિબેટ શેયરિંગ (રિફંડની પરસ્પર વહેંચણી) માટે સંમત થશે, ત્યારપછી ભારતીય નિકાસકારના એકાઉન્ટમાં પૈસા આવી શકશે.

  • ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    ATM-ક્રેડિટ કાર્ડથી લઈને UPI સુધી… આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે અસર

    1 મેથી માત્ર નવો મહિનો જ શરૂ નથી થઈ રહ્યો, પરંતુ સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક મહત્ત્વના નિયમો પણ બદલાઈ રહ્યા છે. બેન્કિંગ વ્યવહારોથી લઈને રસોડાના બજેટ સુધી, સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મૂકાયેલા આ નવા નિયમોની સીધી અસર તમારી જેબ પર પડવાની છે. આજથી લાગુ થયેલા આ ફેરફારોમાં ડિજિટલ પેમેન્ટ (UPI), ATM માંથી રોકડ ઉપાડ, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ અને ગેસ સિલિન્ડરની કિંમતો જેવી બાબતોનો સમાવેશ થાય છે.

    1. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹1000નો વધારો

    આ ફેરફારોમાં સૌથી મોટો ફટકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં એકસાથે 1000 રૂપિયાનો ધરખમ વધારો ઝીંકીને આપવામાં આવ્યો છે. લગ્નની સીઝન અને બહાર ખાવાના શોખીનો માટે આ વધારો મુસીબત સાબિત થશે, કારણ કે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 3000 રૂપિયાને પાર કરી ગઈ છે. આ ઉપરાંત, ગેસ સિલિન્ડરની ડિલિવરી વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ચોરી અને સંગ્રહખોરી રોકવા માટે OTP આધારિત ડિલિવરી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે OTP વગર સિલિન્ડર મળશે નહીં. ગ્રાહકોએ આ માટે આધાર ઈ-કેવાયસી કરાવવું પણ અનિવાર્ય રહેશે.

    1. ATMમાંથી રોકડ ઉપાડવી થઈ મોંઘી

    ATM ટ્રાન્ઝેક્શનના નિયમોમાં પણ મોટો ફેરફાર થયો છે. હવે મહિનાની ફ્રી લિમિટ(પોતાની બેન્કમાં 5 અને અન્ય બેન્કમાં 3 ટ્રાન્ઝેક્શન) પૂર્ણ થયા બાદ, દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 21 રૂપિયાને બદલે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

    1. UPI ટ્રાન્ઝેક્શન માટે વધારાનું ઓથેન્ટિકેશન

    ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા અને સાયબર ફ્રોડ રોકવા માટે UPI દ્વારા કરવામાં આવતા મોટા પેમેન્ટ્સ માટે હવે વધારાના સુરક્ષા સ્ટેપ્સ(Authentication) ઉમેરવામાં આવ્યા છે. આનાથી મોટા રકમના ટ્રાન્ઝેક્શન કરતી વખતે ગ્રાહકોએ વધુ એક પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

    1. SBI ક્રેડિટ કાર્ડના લેટ પેમેન્ટ ચાર્જમાં ફેરફાર

    SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે પણ નિયમો કડક કરવામાં આવ્યા છે. બેન્કે લેટ પેમેન્ટ ચાર્જમાં વધારો કર્યો છે, જેમાં 100થી 500 રૂપિયાના બાકી લેણાં પર 100 રૂપિયા અને 500થી 1000 રૂપિયા સુધીના બાકી પર 500 રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત, BPCL SBI ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક ફી માફી માટે હવે 50 હજારના બદલે વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

    1. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડામાં વધારો

    ઓનલાઇન ગેમિંગ પર નિયંત્રણ રાખવા માટે સરકારે ‘ઓનલાઇન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ની રચના કરવાની જાહેરાત કરી છે. હવે જે ગેમ્સમાં પૈસાની લેવડદેવડ સામેલ હશે તેનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારી એજન્સીઓ આ વ્યવહારો પર નજર રાખશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વપરાતા જેટ ફ્યુઅલના ભાવમાં 5%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે સતત બીજા મહિને આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થયો છે. રાહતની વાત એ છે કે ભારતની સ્થાનિક એરલાઇન્સ માટે જેટ ફ્યુઅલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે તે યથાવત રહ્યા છે. સરકારી ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતા અને સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્ર પર વધારાનો બોજ ન પડે તે માટે આ નિર્ણય લીધો છે.