Author: admin

  • WhatsAppમાં આવ્યું Incognito Chat ફીચર, હવે ચેટ હિસ્ટ્રી પણ નહીં રહે

    WhatsAppમાં આવ્યું Incognito Chat ફીચર, હવે ચેટ હિસ્ટ્રી પણ નહીં રહે

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે ધીમે ધીમે મેસેજિંગ એપ્સનો મહત્ત્વનો ભાગ બની રહ્યું છે, પરંતુ તેની સાથે પ્રાઇવસી અને ડેટા સુરક્ષાને લઈને ચિંતા પણ વધી રહી છે. આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને Metaએ પોતાના AI આસિસ્ટન્ટ માટે WhatsAppમાં નવું ફીચર Incognito Chat લોન્ચ કર્યું છે. આ ફીચરનો હેતુ AI સાથેની વાતચીતને વધુ ખાનગી અને સુરક્ષિત બનાવવાનો છે. નવી Incognito Chat સુવિધા ખાસ કરીને એવા યુઝર્સ માટે તૈયાર કરવામાં આવી છે જે AI સાથેની પર્સનલ વાતચીતનો કોઈ રેકોર્ડ રાખવા માંગતા નથી.

    WhatsApp AI ચેટ હવે કોઈ ટ્રેસ નહીં છોડે

    Meta અનુસાર Incognito Chat ફીચર દ્વારા યુઝર્સ AI સાથે એવી રીતે વાતચીત કરી શકશે કે ચેટ હિસ્ટ્રી સેવ નહીં થાય. એટલે કે વાતચીત પૂર્ણ થયા પછી તે ચેટ આપમેળે ગાયબ થઈ જશે અને સામાન્ય ચેટ લિસ્ટમાં દેખાશે નહીં. આ ઉપરાંત Incognito Chatમાં ખૂબ જ લો-પ્રોફાઇલ નોટિફિકેશન આપવામાં આવશે જેથી યુઝર્સની AI સાથેની વાતચીત વધુ ખાનગી રહી શકે. Metaનો દાવો છે કે આ ફીચર લોકોમાં AI પ્રત્યે વધુ વિશ્વાસ ઉભો કરશે અને તેઓ વધુ સુરક્ષિત રીતે AIનો ઉપયોગ કરી શકશે.
    Metaએ કેમ લોન્ચ કર્યું Incognito Chat?

    આજકાલ AI ચેટબોટ્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ લોકોમાં કેટલીક મોટી ચિંતાઓ પણ છે. એમાં ડેટા કલેક્શન, ચેટ હિસ્ટ્રી સ્ટોર થવી, વ્યક્તિગત માહિતી લીક થવાનો ભય, પ્રાઇવેટ ચેટનો AI ટ્રેનિંગ માટે ઉપયોગ. આ તમામ ચિંતાઓને ઘટાડવા માટે Metaએ Incognito Chat લોન્ચ કર્યું છે. WhatsApp પહેલાથી જ End-to-End Encryption માટે જાણીતું છે અને હવે Meta AI માટે પણ પ્રાઇવસી આધારિત અનુભવ આપવા પ્રયાસ કરી રહ્યું છે.

    Incognito Chat કેવી રીતે પ્રાઇવસી વધારે છે?

    1. નો ચેટ હિસ્ટરી: AI સાથેની વાતચીત કાયમી રીતે સેવ નહીં થાય.
    2. ઓછામાં ઓછા નોટિફિકેશન્સ: ચેટ સંબંધિત નોટિફિકેશન ખૂબ જ મર્યાદિત રહેશે.
    3. યુઝર્સને વધુ કંટ્રોલ: યુઝર્સ હવે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડ્યા વગર AI સાથે વાતચીત કરી શકશે.
    4. પર્સનલ વાતચીત માટે વધુ સુરક્ષા: સંવેદનશીલ અથવા ખાનગી વિષયો પર AI સાથે વાત કરનારા લોકો માટે આ ફીચર વધુ ઉપયોગી બની શકે છે.

    AI પ્રાઇવસી પર વધતું ધ્યાન

    વિશ્વભરની ટેક કંપનીઓ હવે AIને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે દબાણ અનુભવી રહી છે. ઘણા લોકો હજુ પણ AIનો ઉપયોગ કરતા પહેલાં વિચારે છે કારણ કે તેમને ખબર નથી પડતી કે તેમનો ડેટા કેવી રીતે સ્ટોર થાય છે અથવા તેનો ઉપયોગ ક્યાં થાય છે. Metaનું Incognito Chat ફીચર AI માટે “Privacy-First Experience” આપવા તરફનું મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ટેક એક્સપર્ટ્સના મતે આવનારા સમયમાં AI આધારિત મેસેજિંગ એપ્સમાં આવી પ્રાઇવસી સુવિધાઓ સામાન્ય બની શકે છે.

    WhatsApp યુઝર્સ માટે તેનો શું અર્થ?

    Incognito Chatના કારણે હવે વધુ લોકો Meta AIનો કોઈપણ પ્રકારના ડર વગર ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને એવા લોકો માટે આ ફીચર વધુ ઉપયોગી રહેશે જે પોતાની વાતચીતનો કાયમી રેકોર્ડ રાખવા માંગતા નથી. જેમ જેમ AI રોજિંદી જીવનનો ભાગ બનતું જશે તેમ પ્રાઇવસી આધારિત ફીચર્સ યુઝર્સ માટે વધુ મહત્ત્વના બનશે. Incognito Chat ભવિષ્યમાં AI અને મેસેજિંગ એપ્સ વચ્ચેનો અનુભવ બદલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

  • ‘જળ એ જ જીવન’ મંત્રને સાકાર કરતું લક્ષ્મીવાસ ગામ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

    ‘જળ એ જ જીવન’ મંત્રને સાકાર કરતું લક્ષ્મીવાસ ગામ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત

    આધુનિક પાણી વિતરણ વ્યવસ્થાથી મોરબી જિલ્લાના લક્ષ્મીવાસે દેશભરમાં ઉભું કર્યું આગવું સ્થાન

    જળ એ જ જીવન’ ના મંત્રને સાર્થક કરતા મોરબી જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

    નવી દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ દરમિયાન લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક, સુઆયોજિત અને અસરકારક પાણી વિતરણ વ્યવસ્થા બદલ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ સન્માન રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં આપવામાં આવ્યું હતું. પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદ્રઢ અને કાર્યક્ષમ માળખા દ્વારા સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે તે માટે કરવામાં આવેલું સુઆયોજન, ટેકનોલોજી આધારિત વ્યવસ્થાપન અને ગ્રામજનોની સક્રિય લોકભાગીદારીની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી છે. જળ સંચયની સાથે પાણીના બગાડને અટકાવવા તથા સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા ઉભી કરવા માટે ગામે અપનાવેલા મોડેલને દેશના શ્રેષ્ઠ ગ્રામ્ય જળ વ્યવસ્થાપન મોડેલોમાં સ્થાન મળ્યું છે.

    વિભાગીય સંકલન અંગે મોરબી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશ દામાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાને પ્રાપ્ત થયેલું આ રાષ્ટ્રીય બહુમાન રાજ્ય સરકારના ત્રણ મહત્વના વિભાગોના સુમેળભર્યા સંકલનનું ઉત્તમ પરિણામ છે. મોરબી પાણી પુરવઠા વિભાગ, વાસમો (WASMO) તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (GWIL) દ્વારા ખભેખભા મિલાવી કરવામાં આવેલી કામગીરીના કારણે જ છેવાડાના માનવી સુધી નળ વાટે શુદ્ધ જળ પહોંચાડવાનું લક્ષ્ય સફળતાપૂર્વક સિદ્ધ થઈ શક્યું છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાસમો દ્વારા લોકજાગૃતિ અને આંતરિક માળખું મજબૂત બનાવવામાં આવ્યું, GWIL દ્વારા બલ્ક પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું અને પાણી પુરવઠા વિભાગે ટેકનિકલ માર્ગદર્શન તથા અમલીકરણની કામગીરી સંભાળી હતી. આ ત્રિવેણી સંગમના પરિણામે લક્ષ્મીવાસ ગામને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે.

    લક્ષ્મીવાસ ગામની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ગામની આ સફળતા માત્ર મોરબી જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે. આ સન્માન એ સાબિત કરે છે કે સુચારુ આયોજન, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને ગ્રામજનોના સહકારથી ગ્રામ્ય સ્તરે પણ વૈશ્વિક કક્ષાનું જળ વ્યવસ્થાપન માળખું ઉભું કરી શકાય છે.

  • પુરુષોત્તમ માસ નિમિત્તે મોરબી સબ જેલ ખાતે ૪૦૦ જેટલા કેદીઓને ઠંડી મસાલા છાસનું વિતરણ

    પુરુષોત્તમ માસ નિમિત્તે મોરબી સબ જેલ ખાતે ૪૦૦ જેટલા કેદીઓને ઠંડી મસાલા છાસનું વિતરણ


    મોરબી : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા સંસ્થા દ્વારા મોરબી સબ જેલ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેલમાં રહેલા આશરે ૪૦૦ જેટલા લોકોને ઠંડી મસાલા છાસ પીવડાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

    આ સેવાકાર્યમાં અલ્પાબેન અજયભાઈ કક્કડ, જગદીશભાઈ પટેલ તથા રીટાબેન દેત્રોજાના સહયોગથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની ગરમી વચ્ચે ઠંડી મસાલા છાસનું વિતરણ થતાં લાભાર્થીઓએ રાહત અનુભવી હતી.

    સંસ્થાના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પુરુષોત્તમ માસ દરમિયાન માનવસેવા અને પરોપકારના વિવિધ કાર્યક્રમો યોજી સમાજમાં સેવા અને સહાનુભૂતિનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • ઝટકે પે ઝટકા! ગુજરાતમાં પણ હવે CNG માં ભાવ વધારો

    ઝટકે પે ઝટકા! ગુજરાતમાં પણ હવે CNG માં ભાવ વધારો

    મધ્ય પૂર્વના યુધ્ધની અસરથી સર્જાયેલા પેટ્રોલીયમ સંકટ વચ્ચે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 3-3 રૂપિયાનો ભાવવધારો જાહેર કરાયો છે. છેલ્લા દિવસોમાં મોંઘવારીના એક પછી એક ડામ આપવાનું શરુ થયું હોય તેમ હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો થયો છે.

    આવતા દિવસોમાં પેટ્રોલીયમ ચીજોમાં વધુ ભાવવધારાની આશંકા ઉભી જ છે જ્યારે મોંઘવારી મોરચે સરકાર અને નાગરિકોને બન્ને માટે મોટો પડકાર ઉભો થઇ શકે છે. ભારતમાં પેટ્રોલીયમ કંપનીઓએ ગઇકાલે જ પેટ્રોલ-ડિઝલ મોંઘા કર્યા હતા. દિલ્હી-મુંબઇમાં સીએનજીના ભાવમાં પણ વધારો કરાયો છે.

    રાજ્યોમાં અલગ-અલગ સીએનજી કંપનીઓ હોવાથી સ્વતંત્ર નિર્ણય થતાં હોય છે. આખા દેશમાં સમાન ધોરણે લાગૂ થતાં નથી. હવે ગુજરાતમાં પણ સીએનજી મોંઘો કરાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીમાં પ્રતિકિલો રૂા.2.24નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 86.15 પર પહોંચ્યો છે. કંપનીએ આ પૂર્વે ગત એપ્રિલમાં 1.50નો ભાવ વધારો ઝીંક્યો હતો. સૌરાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી કંપની ગુજરાત ગેસ દ્વારા પણ સીએનજીમાં 2.75નો ભાવવધારો ઝીંકાતા નવો ભાવ 83.01 થયો છે.

    આ ભાવ વધારાથી સીએનજીથી દોડતા વાહનો-રીક્ષા ચાલકો પર બોજ પડશે. રીક્ષા ચાલકો પણ ભાડા વધારો કરે તેવી શક્યતાને પગલે નાગરિકો પર બોજ પડશે. દરમિયાન જાણકારોના કહેવા પ્રમાણે પેટ્રો-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કર્યો હોવા છતાં પેટ્રોલીયમ કંપનીઓની ખોટ જંગી જ બની રહે તેમ છે. ફેબ્રુઆરીના અંતે ઇરાન યુધ્ધ શરૂ થયા બાદ વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં પણ 50 ટકાનો વધારો છે. માર્કેટીંગ કંપનીઓને મોટું નુકશાન છે.

    એક વધારાથી નુકશાની સરભર થઇ શકે તેમ નથી. આવતા દિવસોમાં હજુ ભાવવધારો થવાના ભણકારા છે. પેટ્રોલીયમ કંપનીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે 3-3 રુપિયાનો ભાવવધારો કરવા છતાં કંપનીઓને હજુ પેટ્રોલ પર પ્રતિ લીટર રૂા.11 તથા ડિઝલ પર રૂા.39ની ખોટ થઇ રહી છે. પેટ્રોલીયમ ક્ષેત્રના જાણકારોના કહેવા પ્રમાણે વિશ્વ બજારમાં ક્રૂડતેલ-એલએનજીની કિંમત હજુ ઉંચી જ રહેવાના સંજોગોમાં તેલ કંપનીઓ પર દબાણ બની રહેશે. વિદેશી હુંડિયામણ પર પણ બોજ પડી શકે છે.

    સતત ત્રીજા વર્ષે ચાલુ ખાતાની ખાદ્યમાં વધારો થવાની શક્યતા છે. પેટ્રોલીયમ નિકાસ પર વિન્ડફોલ ટેકસ ઝીંકયો સ્થાનિક ભાવને કોઇ અસર નહીં થાય કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર 3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવી દીધો છે.

    જ્યારે બીજી તરફ, નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઈંધણ પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર, આ નવી દરો આજથી એટલે કે 16 મે 2026થી અમલમાં આવી ગયા છે. સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી 23 પ્રતિ લિટરથી ઘટાડીને 16.5 કરવામાં આવી છે. જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ડ્યુટી 33થી ઘટાડીને 16 પ્રતિ લિટર કરી દેવામાં આવી છે.

    આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય રાખવામાં આવ્યો છે. ભારતના સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. દેશમાં સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરાયો નથી. તેથી દેશની અંદર છૂટક કિંમતો વધશે નહીં અને સામાન્ય માણસનું બજેટ ખોરવાશે નહીં.

  • સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી

    સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યું, 48 કલાક બાદ રાજ્યના વાતાવરણમાં ફરી ફેરફાર, હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા પવનોને લીધે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ખાસ કરીને આજે શુક્રવારે સૌરાષ્ટ્ર પંથકમાં કાળઝાળ ગરમી સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ધમધોખતા તાપને જોતાં હવામાન વિભાગ દ્વારા કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકામાં ‘યલો ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને ગરમીથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

    48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે

    બીજી તરફ, રાજ્યના મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે, જેમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. જો કે, ગરમીમાં શેકાતા લોકો માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 48 કલાક બાદ વાતાવરણમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો નોંધાશે. આ ફેરફારને કારણે બે દિવસ પછી લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
    સાયક્લોનિક સર્ક્યુલેશન નબળા પડ્યા

    હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિકે પ્રદીપ શર્માએ જણાવ્યું કે, ‘ગઈકાલે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ પર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતા તે હવે નબળા પડી ગયા છે અને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, પરંતુ તેની ગુજરાત કે સૌરાષ્ટ્ર-કચ્છ પર કોઈ ખાસ અસર થવાની નથી. જેથી આશા છે કે આગામી સાત દિવસ સુધી આખા ગુજરાતમાં હવામાન એકંદરે સૂકું રહેશે.’

    તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે

    ‘જો કે, છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન વધ્યું હતું, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 45.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને કંડલા, ભાવનગર, મહુવા, દ્વારકા તેમજ વડોદરામાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ હવે, આગામી 48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ગુજરાત રિજનમાંથી હીટવેવ દૂર થશે અને આવનાર સાત દિવસ સુધી ત્યાં હીટવેવની કોઈ જ શક્યતા નથી.’

    માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ચેતવણી નહીં

    વધુમાં હવામાન વૈજ્ઞાનિકે કહ્યું કે, ‘આજે પહેલા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ જેવા કે ભાવનગર, સોમનાથ, દ્વારકા અને કચ્છમાં હીટવેવની અસર રહેશે. પવનની વાત કરું તો, પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દરિયાકાંઠે પવનની ઝડપ 15થી 20 નોટ અને ક્યારેક 25 નોટ સુધી પહોંચી શકે છે, જો કે માછીમારો માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ ચેતવણી આપવામાં આવી નથી. આપણા સ્થાનિક હવામાનની વાત કરીએ તો, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને બંને શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સમયમાં કેટલાક સ્થળોએ તાપમાન 40 ડિગ્રીથી ઉપર જ રહી શકે છે, તેથી થોડી ગરમીનો અનુભવ થતો રહેશે.

  • મોરબી સિરામિક ઉદ્યોગની વીજ સમસ્યાનો આવ્યો કાયમી ઉકેલ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે વાંકડા નજીક નવું ૨૨૦ KV સબ સ્ટેશન કાર્યરત

    મોરબી સિરામિક ઉદ્યોગની વીજ સમસ્યાનો આવ્યો કાયમી ઉકેલ રૂ. ૨૫૦ કરોડના ખર્ચે વાંકડા નજીક નવું ૨૨૦ KV સબ સ્ટેશન કાર્યરત

    વારંવાર પાવરકટની સમસ્યાથી રાહત, હવે ઉદ્યોગોને મળશે સતત અને પૂરતો વીજ પુરવઠો

    મોરબી : સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વીજ વપરાશ ધરાવતા મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગોને લાંબા સમયથી સતાવતી વીજ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રીન એનર્જી કોરિડોર યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકડા નજીક રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નવું ૨૨૦ KV સબ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. નવા સબ સ્ટેશનના પ્રારંભથી સિરામિક ઉદ્યોગોને હવે સતત અને સ્થિર વીજ પુરવઠો મળી રહેશે.

    તાજેતરમાં મોરબીના સિરામિક કલસ્ટરમાં ગંભીર વીજ સમસ્યા સર્જાતા અનેક સિરામિક એકમોને જનરેટર દ્વારા ઉત્પાદન ચાલુ રાખવું પડ્યું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જેટકો દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગુજરાત સરકારની ગ્રીન એનર્જી કોરિડોર સ્કીમ હેઠળ વાંકડા ખાતે નવું ૨૨૦ KV સબ સ્ટેશન ગણતરીના કલાકોમાં જ કાર્યરત કરવામાં આવ્યું હતું.

    ગત તા. ૧૦ મેના રોજ ઊભી થયેલી પાવર સમસ્યાના નિરાકરણ માટે જેટકોની ટીમે તા. ૧૧ થી ૧૩ મે દરમિયાન સતત ૭૨ કલાક સુધી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. અવિરત મહેનત બાદ નવું સબ સ્ટેશન સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું હતું.

    આ સમગ્ર કામગીરી ગોંડલ જેટકોના અધિક્ષક ઈજનેર વરસડાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ચિખલીયા અને તેમની ટીમે સતત દેખરેખ રાખી કામગીરી પૂર્ણ કરી હતી. ઉપરાંત મોરબી ટીમમાં તાજેતરમાં કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી પામેલા જીતેન્દ્ર એમ. વિરમગામા, વાંકડા સબ સ્ટેશનના નાયબ ઈજનેર પંકજ કુંડારીયા તેમજ લાઈન વિભાગના નાયબ ઈજનેર અશ્વિન સરડવા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    નવા ૨૨૦ KV વાંકડા સબ સ્ટેશન ખાતે ૨૨૦/૬૬ KV ના બે ૧૯૦ MVA ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના દ્વારા કુલ ૩૨૦ MVA નવી વીજ ક્ષમતા ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી ૨૨૦ KV અને EHV લાઈનોનું નેટવર્ક પણ અગાઉથી તૈયાર કરવામાં આવ્યું હતું.

    નવા સબ સ્ટેશનમાંથી બેલા, નીચી માંડલ, ઊંચી માંડલ, ઘુંટુ, ખરેડા અને ડુંગરપુર સહિત કુલ ૬ સબ સ્ટેશનોને આશરે ૧૩૦ મેગાવોટ જેટલો વીજ પુરવઠો સફળતાપૂર્વક આપવામાં આવી રહ્યો છે. જેના કારણે મોરબીના સિરામિક ઉદ્યોગોને લાંબા ગાળે મોટો ફાયદો થવાનો છે.

  • મોરબીના રાજનગર વિસ્તારમાં લો વોલ્ટેજથી ત્રસ્ત મહિલાઓનો પીજીવીસીએલ કચેરીએ આક્રોશ

    મોરબીના રાજનગર વિસ્તારમાં લો વોલ્ટેજથી ત્રસ્ત મહિલાઓનો પીજીવીસીએલ કચેરીએ આક્રોશ

    મોરબી, તા. ૧૫ : મોરબી શહેરના રાજનગર સોસાયટી વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી સર્જાતી લો વોલ્ટેજની સમસ્યાને લઈને રહીશો ભારે પરેશાન બની ગયા છે.

    દર મહિને છથી આઠ હજાર રૂપિયા જેટલા વીજ બિલ ભરવા છતાં પૂરતો પાવર ન મળતા આજે મહિલાઓએ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બે વર્ષથી ટ્રાન્સફોર્મર (ટી.સી.) બદલવાની માંગ કરવામાં આવી રહી છે.

    નિયમ મુજબની રકમ પણ ભરવામાં આવી છે, છતાં આજદિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. રાત્રિના સમયે અત્યંત લો વોલ્ટેજ રહેતા એસી સહિતના વીજ ઉપકરણો પણ ચાલુ થઈ શકતા નથી, જેના કારણે ઉનાળાની ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    રાજનગર સોસાયટીની મહિલાઓએ પીજીવીસીએલ કચેરી ખાતે આક્રોશભેર રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો છતાં અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક કામગીરી થતી નથી.

    માત્ર રાજનગર જ નહીં પરંતુ શહેરના સાવસર પ્લોટ સહિતના અનેક વિસ્તારોમાં પણ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી રહી છે. સપ્તાહમાં અનેક વખત વીજ કપાત થતા લોકો ગરમીમાં પરેશાન બની રહ્યા છે. સાથે જ કમ્પ્લેન નંબર પર ફોન ન લાગતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.

    આ મામલે શહેર પેટા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેર એમ. સમિયાએ જણાવ્યું હતું કે ટી.સી. મૂકવા માટે અગાઉ બે વખત કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સોસાયટીના આંતરિક પ્રશ્નોને કારણે જાહેર પ્લોટમાં ટી.સી. મૂકવાની મંજૂરી મળી નહોતી.

    હાલમાં લોડ વધારાની નવી અરજી દસ દિવસ પહેલા કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપવામાં આવી છે. જોકે લેબરની અછતને કારણે કામગીરીમાં વિલંબ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

  • ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર ત્રણ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

    ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ વન-વે જાહેર ત્રણ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

    મોરબી, તા. ૧૫ : મોરબી શહેરમાં દિવસેને દિવસે વધતા ટ્રાફિક ભારણ અને વાહનવ્યવહારની સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો માર્ગ આગામી ૨ ઓગસ્ટ સુધી વન-વે જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત શહેરના ત્રણ મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

    જાહેરનામા મુજબ રવાપર ચોકડી અને નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈ દલવાડી સર્કલ તેમજ પંચાસર અને વાવડી ચોકડી તરફ જવા માટેનો માર્ગ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

    તે જ રીતે લીલાપર તરફથી ઉમિયા સર્કલ તરફ જવા માટે રવાપર ચોકડી તરફનો રૂટ ઉપયોગમાં લેવાશે. જ્યારે ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલવાળો માર્ગ વન-વે જાહેર કરવામાં આવ્યો છે.

    આ જાહેરનામું આગામી ૨ ઓગસ્ટ સુધી દરરોજ સવારે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

    આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક ભારણ ઘટાડવા અને અકસ્માતની શક્યતાઓ ઓછી કરવા દલવાડી સર્કલથી લીલાપર ચોકડી તેમજ ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધીના માર્ગો પર આગામી તા. ૪ ઓગસ્ટ ૨૦૨૬ સુધી સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    તંત્ર દ્વારા વાહનચાલકોને જાહેરનામાનું પાલન કરવા તેમજ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

  • વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

    વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નિરાધાર વૃદ્ધ સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય તથા ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

    મોબાઈલ એપ દ્વારા ઘરે બેઠા અથવા ગ્રામ પંચાયત/મામલતદાર કચેરી ખાતે કરાવી શકાશે ઓનલાઈન સત્યાપન

    વાંકાનેર : સરકારશ્રીની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) હેઠળ લાભ મેળવનાર વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે. આ પ્રક્રિયા 30 મે સુધીમાં પૂર્ણ કરવી અનિવાર્ય છે.

    આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન “Beneficiary Satyapan Application” દ્વારા કરવામાં આવશે. લાભાર્થીઓ પોતાના મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી ઘરે બેઠા જ સરળતાથી સત્યાપન કરી શકશે.

    ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયત ખાતે TCM અથવા VCEનો સંપર્ક કરીને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. જ્યારે મામલતદાર કચેરી ખાતે રૂબરૂ સત્યાપન કરાવવા ઈચ્છુક લાભાર્થીઓએ કચેરીની સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે હાજર રહેવું રહેશે. સાથે આધારકાર્ડ તથા OTP મેળવવા માટે પોતાનો મોબાઈલ ફોન લાવવો ફરજિયાત રહેશે.

    તંત્ર દ્વારા તમામ લાભાર્થીઓને સમયમર્યાદામાં હયાતીની ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી સહાયની રકમ નિયમિત રીતે મળતી રહે.

  • ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ!

    ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ!

    ભારતીય બેન્કિંગ સેક્ટરના ઇતિહાસમાં સૌથી મોટા વિદેશી સીધા રોકાણ (FDI)ને લીધે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ભારતના જાણીતા ખાનગી ક્ષેત્રની આરબીએલ બેન્ક(RBL Bank) પર હવે દુબઈની એસિડિટી ધરાવતી દિગ્ગજ બેન્ક એમિરેટ્સ એનબીડી (Emirates NBD)નો અંકુશ સ્થપાશે. ભારત સરકારે દુબઈ સ્થિત આ બેન્કને આરબીએલ બેન્કમાં મેજોરિટી અને નિયંત્રક હિસ્સો મેળવવા માટે નાણાં મંત્રાલય તરફથી ખૂબ જ મહત્ત્વની નિયમનકારી મંજૂરી આપી દીધી છે. 15 મે, 2026ના રોજ સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી એક સત્તાવાર માહિતીમાં આરબીએલ બેન્કે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલયે બેન્કની કુલ પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 49%થી 74%ની વચ્ચે હિસ્સો ખરીદવાના વિદેશી રોકાણકારના પ્રસ્તાવને લીલી ઝંડી આપી દીધી છે.

    ₹26,850 કરોડની મેગા ડીલ અને બોર્ડ પર અંકુશ

    આ ઐતિહાસિક સોદો અંદાજે 3 અબજ ડૉલર (આશરે ₹26,850 કરોડ)માં થવા જઈ રહ્યો છે. આ મેગા ડીલની શરૂઆત સૌપ્રથમ 18 ઓક્ટોબર, 2025ના રોજ એક ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ(રોકાણ કરાર) દ્વારા થઈ હતી. નાણાં મંત્રાલયની આ મંજૂરી બાદ હવે એમિરેટ્સ એનબીડીને આરબીએલ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર સંપૂર્ણ કંટ્રોલ મળશે, જેનાથી ભારતની ઝડપથી આગળ વધી રહેલી પ્રાઇવેટ બેન્કિંગ માર્કેટમાં આ વિદેશી બેન્ક મજબૂત વ્યૂહનીતિ સાથે પોતાની પકડ જમાવી શકશે.

    આ સોદાની મુખ્ય અને ખાસ બાબતો

    પ્રાથમિક મૂડી રોકાણ અને ઓપન ઓફર: આ સંપાદન પ્રાથમિક મૂડી રોકાણ (પ્રાઇમરી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ) અને ફરજિયાત ઓપન ઓફરના માધ્યમથી પૂરું કરવામાં આવી રહ્યું છે.

    નવા ઇક્વિટી શેર્સની ખરીદી: એમિરેટ્સ એનબીડી આરબીએલ બેન્કના અંદાજે 959 મિલિયન (95.9 કરોડ) નવા ઇક્વિટી શેર ₹280 પ્રતિ શેરની કિંમતે ખરીદશે.

    60%ની પ્રારંભિક હિસ્સેદારી: આ પ્રાથમિક રોકાણથી દુબઈની બેન્કને આરબીએલ બેન્કની વિસ્તૃત ઇક્વિટી મૂડીમાં 60% સુધીનો પ્રારંભિક નિયંત્રક હિસ્સો મળી જશે.

    પબ્લિક શેરહોલ્ડર્સ માટે ઓપન ઓફર: આ પ્રેફરન્શિયલ ઇશ્યૂ બાદ, એમિરેટ્સ એનબીડી પબ્લિક સ્ટોક હોલ્ડર્સ પાસેથી વધારાનો 26% સુધીનો હિસ્સો મેળવવા માટે એક ઓપન ઓફર પણ શરૂ કરશે.

    74%ની રેગ્યુલેટરી મર્યાદા: ટેકનિકલ રીતે આ કુલ હિસ્સેદારી 75%થી વધુ થઈ શકે છે, પરંતુ અંતિમ હિસ્સો ભારતમાં ખાનગી ક્ષેત્રની બેન્કોમાં વિદેશી રોકાણ માટે નિર્ધારિત 74%ની નિયમનકારી મર્યાદાની અંદર જ રાખવામાં આવશે.

    એમિરેટ્સ એનબીડી અને આરબીએલ બેન્કનું મર્જર

    આ બિઝનેસ ડીલ હેઠળ ભારતમાં એમિરેટ્સ એનબીડીની હાલમાં કાર્યરત તમામ શાખાઓ (બ્રાન્ચો)નું આરબીએલ બેન્કમાં વિલીનીકરણ (મર્જર) કરવામાં આવશે. આ પ્રક્રિયાથી બંને બેન્કોની એક યુનિફાઇડ અને વધુ મજબૂત બેલેન્સ શીટ તૈયાર થશે. વર્ષ 2025ના અંત સુધીમાં આરબીએલ બેન્ક દેશભરમાં 564 શાખાઓનું નેટવર્ક ધરાવતી હતી અને 1.5 કરોડથી વધુ ગ્રાહકોને પોતાની સેવાઓ આપી રહી હતી. આ 3 અબજ ડૉલરના વિશાળ મૂડી રોકાણથી બેન્કના ટિયર-1 મૂડી ગુણોત્તરમાં સારો એવો ગ્રોથ થશે અને બેન્કિંગ ક્ષેત્રે ડિજિટલ ટૅક્નોલૉજી, કોર્પોરેટ લોન તેમજ ફંડ મેનેજમેન્ટ સર્વિસના વિસ્તરણ માટે જરૂરી લાંબાગાળાની ડેવલપમેન્ટ કેપિટલ પણ ઉપલબ્ધ બનશે.

    હવે માત્ર આરબીઆઈ (RBI)ની અંતિમ મંજૂરીની રાહ

    નાણાં મંત્રાલય તરફથી મળેલી આ મંજૂરી આ ટ્રાન્ઝેક્શન આડેનો સૌથી મોટો અવરોધ હતો, જે હવે દૂર થઈ ગયો છે. જોકે, આ સમગ્ર સોદો હવે ભારતીય રિઝર્વ બેન્ક(RBI)ની અંતિમ મંજૂરી અને વ્યવસાય બંધ થવાની સામાન્ય શરતોના પાલન પર નિર્ભર રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે, આરબીએલ બેન્કના શેરધારકોએ આ પગલાંને અગાઉથી જ ભારે સમર્થન આપ્યું હતું. નવેમ્બર 2025માં યોજાયેલી બેન્કની એક્સ્ટ્રા-ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM)માં 99.9% શેરહોલ્ડરોએ આ મર્જરના પક્ષમાં અને 98.8% શેરહોલ્ડરોએ પ્રેફરન્શિયલ ઇશ્યૂને પોતાની મંજૂરી આપી દીધી હતી.