Author: admin

  • મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ વિધિવત ચાર્જ સાંભળ્યો

    મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તરીકે સંગીતાબેન રૈયાણીએ વિધિવત ચાર્જ સાંભળ્યો

    મોરબી : મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા કમિશનર તેમજ ગુજરાતના પ્રથમ ગુજરાતી મહિલા મ્યુનિસિપલ કમિશનર તરીકે સંગીતા રૈયાણીએ આજે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

    ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે મોરબી શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાસભર શહેરી વ્યવસ્થા અને નાગરિક સુખાકારી માટે સ્પષ્ટ દિશા રજૂ કરી હતી. મૂળ ગોંડલના વતની સંગીતા રૈયાણી વર્ષ 2020માં IAS તરીકે બઢતી પામ્યા હતા. મોરબી સાથે તેમનો પહેલેથી જ નજીકનો સંબંધ રહ્યો છે.

    તેઓ મે-2017થી જાન્યુઆરી-2021 દરમિયાન મોરબી જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારબાદ અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં મહત્વપૂર્ણ વહીવટી જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળી હતી.

    નવ નિયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે, મોરબી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઝડપથી વિકસતું શહેર છે અને શહેરના વિકાસ માટે હજુ અનેક કામો કરવાની જરૂર છે. શહેરમાં સફાઈ, પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે આગામી સમયમાં ખાસ આયોજન કરવામાં આવશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને મહાનગરપાલિકાની નવી બોડી સાથે સુમેળપૂર્ણ કામગીરી કરીને મોરબીને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને મોરબી મહાનગરપાલિકાના વિકાસને રાજકોટ મહાનગરપાલિકાની સમકક્ષ લઈ જવાનો મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો છે.

    આગામી બે મહિના દરમિયાન શહેરમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. સાથે જ ચોમાસા પૂર્વેની પ્રી-મોન્સૂન અને પ્રી-ડિઝાસ્ટર કામગીરીને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરાશે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને સરકારી યોજનાઓ સફળ બને તે માટે કમિશનરે નાગરિકોને પણ સક્રિય સહયોગ આપવા અપીલ કરી હતી.

  • મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-100 બેડની નવી હોસ્ટેલ શરૂ થશે

    મોરબી ITI ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક કોર્સ-100 બેડની નવી હોસ્ટેલ શરૂ થશે

    ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ગત રોજ મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થા

    (ITI) ની સૌજન્ય મુલાકાત સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની સાથે મહિલા સશક્તિકરણ અને સંસ્થાના ભૌતિક વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. મંત્રીએ સંસ્થાના પ્રિન્સિપલ શ્રીમતી માયાબેન પટેલ સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આગામી શૈક્ષણિક વર્ષથી મોરબી આઈ.ટી.આઈ. ખાતે મહિલાઓ માટે અત્યાધુનિક તાલીમ વર્ગો શરૂ કરવામાં આવશે.

    જિલ્લાની વધુમાં વધુ મહિલાઓ આ કૌશલ્યવર્ધક તાલીમ મેળવી આત્મનિર્ભર બને તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થીઓની સુવિધામાં વધારો કરવા માટે સંસ્થાના કેમ્પસમાં ટૂંક સમયમાં 100 બેડની ક્ષમતાવાળી નવી અદ્યતન હોસ્ટેલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રવર્તમાન બિલ્ડીંગના રીનોવેશન માટે પણ જરૂરી ફંડ મંજૂર કરવામાં આવ્યું છે.

    મંત્રીએ આ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મંત્રીએ દરેક ટ્રેડ, વર્કશોપ અને ક્લાસરૂમની રૂબરૂ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે હળવાશભર્યા વાતાવરણમાં સંવાદ કર્યો હતો. તેઓએ યુવાનોને ભવિષ્યની રોજગારીની તકો અને કૌશલ્ય વિકાસનું મહત્વ સમજાવી પ્રેરણા પૂરી પાડી હતી.

    સંસ્થાના સ્ટાફ સાથે યોજાયેલી બેઠકમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, મોરબીના સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ યુવાનો સજ્જ બને તે આજના સમયની માંગ છે. આ મુલાકાત બદલ સંસ્થાના પ્રિન્સિપલ અને સ્ટાફ પરિવારે મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અગ્રણીઓ અને રોજગાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • એક દેશ એક ચુંટણી : JPC આજથી ગુજરાતની મુલાકાતે

    એક દેશ એક ચુંટણી : JPC આજથી ગુજરાતની મુલાકાતે

    રાજકોટઃ દેશમાં 2029થી એક દેશ એક ચુંટણીના ખ્યાલનો અમલ કરવા ઝડપથી આગળ વધી રહેલી કેન્દ્રની મોદી સરકારે વિવિધ રાજયો- રાજકીય પક્ષો તથા સંબંધીત પક્ષો સાથે સંતલત કરવા તથા સૂચનો-અભિપ્રાયો મેળવવા રચેલી જોઈન્ટ પાર્લીયામેન્ટ્રી કમીટીનું આજે ગુજરાતમાં આગમન થયુ છે તથા તેઓ આજે રાજયના મુખ્ય સચીવ, મુખ્ય ચુંટણી અધિકારી સહિત વહીવટી માળખા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.

    કાલે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી તથા રાજયના વિવિધ રાજકીય પક્ષોના પ્રદેશ નેતાઓની સાથે બેઠક યોજશે. આ સંયુક્ત સંસદીય સમીતીના અધ્યક્ષ તરીકે વરિષ્ઠ સાંસદ તથા કાનૂની નિષ્ણાંત પી.પી.ચૌધરી છે તથા લોકસભાના 27 તથા રાજયસભાના 12 સાંસદો સાથે 37 સભ્યો અમદાવાદ આવ્યા છે. તેઓ રાજયના આધુનિક ગીફટ સીટીમાં રોકાણ કરશે.

    એક દેશ એક ચુંટણી માટેના જરૂરી બંધારણીય તથા કાનુની સુધારા સહિતના ખરડામાં સંસદમાં દાખલ કરી દેવાયા છે અને તેની સાથે આ અંગે વ્યાપક રીતે સંમતી સર્જવા સંયુક્ત સંસદીય સમીતી રચાઈ છે જે અલગ અલગ રાજયો તથા સંબંધીત પક્ષકારોને મળી રહી છે તથા તેનો રિપોર્ટ સંસદમાં રજુ કરશે.

    આજે રાજયના મુખ્ય સચીવ મનોજ દાસ, રાજયના પોલીસ વડા કેએનએસ રાવ, નાણા વિભાગના સચીવ ટી.નાગરાજન સહિતના 10થી વધુ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાશે.

    આવતીકાલે સમીતી દ્વારા તમામ રાજકીય પક્ષોના વડાઓને એક બેઠકમાં હાજરી આપવા આમંત્રણ આવ્યું છે અને તેઓના અભિપ્રાય મેળવાશે તથા સમીતી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મળશે. સમીતી દ્વારા બે દિવસના આ રોકાણમાં જે વિવિધ મુદાઓ એક દેશ એક ચુંટણી સાથે સંકળાયેલા છે જે પર ચર્ચા થશે.

    આ એક અત્યંત પેચીદો મુદો છે અને તેમાં બંધારણીય તથા કાનુની સુધારા વચ્ચે રાજકીય રીતે પણ ખૂબજ વિવાદી બની જશે તથા દેશમાં એક સાથે લોકસભા તથા તમામ રાજયોની ધારાસભા બેઠકો યોજવા અને બીજા તબકકામાં એટલે કે રાજયોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી યોજવી તથા તેમાં દેશભરમાં વ્યવસ્થા સહિતના મુદાઓ છે.

    જો બહુમતીના અભાવે કે અન્ય કારણોસર વિધાનસભા-લોકસભા ભંગ થાય તો આ શેડયુલ તુટી શકે છે તે સંદર્ભમાં શું સહિતના પેચીદા મુદા ઉભા થશે. દેશમાં 1952થી 1967 સુધી એક સાથે લોકસભા-ધારાસભા ચુંટણીઓ યોજાતી જ હતી પણ તબકકાવાર તે શેડયુલ તૂટી પડયુ છે.

    હવે આ વ્યવસ્થા ફરી ગોઠવવી પડકાકર છે. આજે આવી રહેલી કમીટીએ કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નેતા પ્રિયંકા ગાંધી, ભાજપના બાંસુરી સ્વરાજ વિ.નો સમાવેશ થાય છે તથા એનસીપીના સુપ્રીમો સુલે પણ સામેલ થઈ શકે છે.

    સંસદીય સમિતિનાં સભ્યોમાં કોણ-કોણ?
    પી પી ચૌધરી (અધ્યક્ષ) BJP,સંબિત પાત્રા BJP, અનુરાગ ઠાકુર BJP,અનિલ બલૂની BJP,બૈજયંત પાંડા BJP,સી એમ રમેશ,BJPવિષ્ણુ દયાલ રામ BJP,વિષ્ણુ દત્ત શર્મા BJPભર્તૃહરિ મહતાબ BJP, પરષોત્તમ રૂપાલા ઇઉંઙ,ભુવનેશ્વર કલિતા BJP,ડો. કે. લક્ષ્મણ ઇઉંઙ,ઘનશ્યામ તિવારી BJP, સંજય જયસ્વાલ BJP,બાંસુરી સ્વરાજ BJPકવિતા પાટીદાર BJP,સંજય કુમાર ઝા JD(U),શ્રીકાંત શિંદે SHS,શામ્ભવી ચૌધરી LJP (RV),જી.એમ. હરીશ બાલયોગી TDP વલ્લભનેની બાલશૌરી JSP,

    પ્રિયંકા ગાંધી INC રણદીપ સિંહ સુરજેવાલા INC, મનીષ તિવારી INC,મુકુલ વાસનિક INC, સુખદેવ ભગત INC,સુપ્રિયા સુલે NCP-SP, સંજય સિંહ AAP,કલ્યાણ બેનરજી AITC સાકેત ગોખલે AITC, ધર્મેન્દ્ર યાદવ SP,છોટેલાલ ખારવ SP,માનસ રંજન મંગરાજ BJD,પી વિલ્સન DMK,ટી. એમ. સેલ્વાગણપતિ DMK,વાય વી સુબ્બા રેડ્ડી YSRCP, વી. વિજયસાઈ રેડ્ડી YSR કોંગ્રેસ ,અનિલ દેસાઈ SS-UBT,કે.રાધાક્રિષ્નનCPI(M)

  • સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ!

    સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ!

    કેન્દ્ર સરકાર સમુદ્રમાં ભારતીય નૌકદાળની તાકાતમાં વધારો કરવા માટે સૌથી મોટી સંરક્ષણ ડીલને અંતિમ રૂપ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, સરકાર પ્રોજેક્ટ-75 ઇન્ડિયા હેઠળ 6 સબમરીન ખરીદવાની ડીલને સપ્ટેમ્બરમાં મંજૂરી આપી શકે છે. તેની કુલ કિંમત લગભગ 70,000 કરોડ રૂપિયા હશે. આ મંજૂરી પહેલા આંતર-મંત્રાલય ગ્રૂપની આ મહિનાના અંતે બેઠક યોજાશે, જેમાં સબમરીન ખરીદવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપે તેવી સંભાવના છે.

    જર્મની ભારતને સબમરીનની ડિઝાઇન અને ટૅક્નોલૉજી આપશે

    ભારતના આ પ્રોજેક્ટમાં મુંબઇની કંપની મઝગાંવ ડૉકયાર્ડ શિપ બિલ્ડર્સ લિમિટેડના વ્યૂહાત્મક ભાગીદારી હશે. કંપની જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ સાથે મળીને સબમરીન તૈયાર કરશે. આ ઉપરાંત જર્મની સમજૂતી મુજબ ભારતને સબમરીનની ડિઝાઇન અને ટૅક્નોલૉજી પણ આપશે. ત્યારપછી આત્મનિર્ભર ભારતમાં જ તેનું નિર્માણ કરાશે. આ સમજૂતી પર હસ્તાક્ષર થશે પછી સાત વર્ષ બાદ પહેલી સબમરીન મળશે. તે પછી દર વર્ષે નવી સમબરીન નૌકાદળને સોંપવામાં આવશે.

    સબમરીનની સૌથી મોટી તાકાત AIP ટૅક્નોલૉજી

    તમામ સબમરીનમાં એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટૅક્નોલૉજી સામેલ હશે. આ ટૅક્નોલૉજીની ખાસીયત એ છે કે, સબમરીન લાંબો સમય સુધી પાણીમાં રહી શકે છે. સામાન્ય ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીને બેટરી ચાર્જ કરવા માટે ઉપર આવવું પડે છે, જેના કારણે દુશ્મન સરળતાથી તે સબમરીનને પકડી પાડે છે, જોકે હવેની સબમરીનમાં આ AIP ટૅક્નોલૉજીના કારણે દુશ્મન દેશો તેને પકડી પણ નહીં શકે.

    ભારત પાસે એકપણ AIP સબમરીન નથી

    ભારત પાસે અત્યાધુનિક AIP ટૅક્નોલૉજીથી સજ્જ એકપણ સબમરીન નથી. હાલ ભારતીય નૌકાદળ પાસે લગભગ 16 પરંપરાગત સબમરીન છે, જેમાંથી 10 ઘણી જૂની થઈ ગઈ હોવાથી નિવૃત્ત થવાની સ્થિતિમાં છે. બીજીતરફ દુશ્મન દેશ પાકિસ્તાન ઝડપથી સમુદ્રી શક્તિ વધારી રહ્યો છે. ગયા વર્ષે પાકિસ્તાને ચીનની મદદથી ચોથી એઆઇપી સબમરીન સેનામાં સામેલ કરી છે. આગામી સમયમાં પાકિસ્તાન પાસે 11 એઆઇપી સબમરીન હોઈ શકે છે.

  • જૂનાગઢમાં સંસ્કાર, ભક્તિ અને પરિવારમૂલ્યોનો અદભુત સંગમ ધરાવતો ‘હરિ રસની હેલી’ કાર્યક્રમ યોજાયો

    જૂનાગઢમાં સંસ્કાર, ભક્તિ અને પરિવારમૂલ્યોનો અદભુત સંગમ ધરાવતો ‘હરિ રસની હેલી’ કાર્યક્રમ યોજાયો

    ‘શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ’ સંસ્થા દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે તા. 17-5-2026ના રોજ શ્રી હરિ વાડી, જૂનાગઢ ખાતે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સમન્વય ધરાવતા અદભુત ‘હરિ રસની હેલી’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિઓનું તિલક સાથે પુષ્પવર્ષા કરી સ્વાગત ભવ્ય સ્વાગત કરાયું હતું.

    કાર્યક્રમની શરૂઆત વિદ્વાન શાસ્ત્રીના વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણેશજીની પૂજા અને વિષ્ણુ ભગવાનના સ્થાપન-પૂજનથી કરવામાં આવી હતી. સ્વાતિબેન અને તુષારભાઈ છત્રારાના હસ્તે વિધિવત પૂજન કરાયું હતું. ત્યારબાદ શાસ્ત્રી દ્વારા ‘પુરુષોત્તમ માસના માહાત્મ્ય’ વિષયક કથાનું ભાવભીનુ વર્ણન કરવામાં આવ્યું હતું.

    કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કંસારા સમાજમાં કદાચ પ્રથમ વખત યોજાયેલ ‘માતા-પિતાનું પૂજન’ કાર્યક્રમ રહ્યો હતો. માતા-પિતાને ખુરશી પર બેસાડી સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ તિલક કરી, પાદ પ્રક્ષાલન, પુષ્પવર્ષા, પ્રદક્ષિણા અને પ્રણામ કરીને માતા – પીતાનું પૂજન કરવામાં આવ્યું હતું. માતા-પિતાએ સંતાનોને ખેસ પહેરાવી અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ લાગણીસભર પ્રસંગે ઉપસ્થિત સૌની આંખો ભીની બની હતી. તુષારભાઈ છત્રારા અને શાસ્ત્રીએ માતા-પિતાના આશીર્વાદનું સંતાનના જીવનમાં રહેલું મહત્વ સમજાવ્યું હતું.

    આ અવિસ્મરણીય અને સંસ્કૃતિપ્રેરક કાર્યમાં કુલ 20 પરિવારો સહર્ષ જોડાયા હતા. સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.

    ત્યારબાદ ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ડિગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

    આ તકે ગિરનાર પર્વત આરોહણ માટે ગિનિસ બુકમાં સ્થાન મેળવનાર તેમજ 100 કિમીથી વધુનું સાયક્લોથોન પૂર્ણ કરનાર ડૉ. શૈલેશ બારમેડા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર વૃન્દાવનભાઈ સોલંકીને સન્માનપત્ર આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.

    કાર્યક્રમમાં ડૉ. મહેન્દ્રભાઈ છત્રારા, રમેશભાઈ બારમેડા, કિશનભાઈ બુધ્ધભટ્ટી, નરેન્દ્રભાઈ મેવચા, રાધેભાઈ સોલંકી, પ્રદીપભાઈ ભૂત, શકુન્તલાબેન પરમાર અને પ્રફુલભાઈ મેવચા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

    ત્યારબાદ ચેતનભાઈ સોલંકી, શ્રુતિબેન છત્રારા, રમેશભાઈ બારમેડા અને સહયોગી કલાકારો દ્વારા ભક્તિગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. ભક્તિમય સંગીત અને ગરબાના તાલે સમગ્ર વાતાવરણમાં અદભુત ઉર્જાનો સંચાર થયો હતો.

    કાર્યક્રમના અંતે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ છત્રારા અને આનંદીબેન બારમેડાએ કર્યું હતું.

    પ્રગતિ મંડળના આ આયોજન માટે જ્ઞાતિજનો તરફથી ભરપૂર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ પ્રફુલભાઈ મેવચાએ રૂ. 27,000ની સહાય આપી ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

    કાર્યક્રમમાં જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી. ઉપસ્થિત તમામ પરિવારોને સંસ્થાની તરફથી આકર્ષક મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

    “હરિ રસની હેલી” જેવા સંસ્કારપ્રેરક અને સમાજજાગૃતિના કાર્યક્રમ દ્વારા શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળે સમાજમાં આધ્યાત્મિકતા, પરિવારમૂલ્યો અને સાંસ્કૃતિક એકતાનો સશક્ત સંદેશ પ્રસરાવ્યો હતો. કાર્યક્રમને લઈને સમગ્ર જૂનાગઢ સહિત ગુજરાતભરમાં સકારાત્મક ચર્ચા જાગી હતી તેમજ ઉપસ્થિત લોકોએ આયોજનની ખુબ પ્રશંસા કરી હતી.

  • મોરબી : મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા, વિભાગો વચ્ચે સંકલન અને વિકાસ કામોને વેગ એ મુખ્ય પ્રાથમિકતા રહેશે: કલેક્ટર સ્વપ્નિલ ખરે

    મોરબી : મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા, વિભાગો વચ્ચે સંકલન અને વિકાસ કામોને વેગ એ મુખ્ય પ્રાથમિકતા રહેશે: કલેક્ટર સ્વપ્નિલ ખરે

    મોરબી જિલ્લાના નવા કલેક્ટર તરીકે ૨૦૧૭ની બેચના કર્મઠ આઈએએસ અધિકારી સ્વપ્નિલ ખરેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની બદલીઓમાં મોરબીના કલેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. નવયુવાન અને અભ્યાસુ વ્યક્તિત્વ ધરાવતા સ્વપ્નિલ ખરેએ પદભાર સંભાળતાની સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    મૂળ મધ્યપ્રદેશના ભોપાલના વતની સ્વપ્નિલ ખરેએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકની પદવી પ્રાપ્ત કરી છે. વહીવટી સેવામાં જોડાયા બાદ તેમણે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોબેશનર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ પાટણમાં ફરજ બજાવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી જિલ્લા કલેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.

    કાર્યભાર સંભાળ્યા બાદ સ્વપ્નિલ ખરેએ પોતાની પ્રાથમિકતાઓ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ સુદ્રઢ અને ન્યાયિક રીતે થાય તે દિશામાં સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવશે. વહીવટી તંત્રના તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધી કામગીરીમાં આદર્શ સમન્વય સ્થાપવામાં આવશે તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામો ગુણવત્તાસભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે.

    કલેક્ટર કચેરી ખાતે આગમન સમયે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી નવનિયુક્ત કલેક્ટરનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

  • AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ

    AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રીમાં ભાગ લઈ પોતાની પાંચ દેશોની વિદેશ યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ અગાઉ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેધરલેન્ડ્સની ઉચ્ચ સ્તરીય મુલાકાતે પણ ગયા હતા.

    17 મેના રોજ યોજાયેલા આ ખાસ કાર્યક્રમનું સહ-યજમાનપદ સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જે ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી અને વ્યાપારી સંબંધોની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું ગણાય છે.

    ભારત-સ્વીડન સંબંધો હવે વ્યૂહાત્મક ભાગીદારીમાં બદલાયા
    આ ઐતિહાસિક મુલાકાત દરમિયાન ભારત અને સ્વીડને વર્ષ 2026-2030 માટે એક સંયુક્ત નિવેદન અને જોઇન્ટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. આ સાથે જ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધારીને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ માળખાનો ઉદ્દેશ્ય આર્થિક અને સુરક્ષા ક્ષમતાને મજબૂત કરવાનો તેમજ ઉભરતી ટૅક્નોલૉજી અને ટકાઉ વિકાસમાં સહયોગ વધારવાનો છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, આ પરિણામો ભારત-સ્વીડન સંબંધોને એક નવી ઊર્જા અને ગતિ પ્રદાન કરશે. મને પૂરો વિશ્વાસ છે કે ભારત-સ્વીડન ભાગીદારી વધુ સમૃદ્ધ અને ભવિષ્યલક્ષી પૃથ્વીના નિર્માણમાં સાર્થક યોગદાન આપશે.

    પીએમ મોદીની સ્વીડન મુલાકાતના 6 મુખ્ય પરિણામો

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે વડાપ્રધાનની આ મુલાકાતથી થયેલા મહત્ત્વના કરારોની યાદી જાહેર કરી છે.

    1. જોઇન્ટ ઇનોવેશન પાર્ટનરશિપ 2.0 લોન્ચ કરાઈ

    આ અંતર્ગત એક વર્ચ્યુઅલ ભારત-સ્વીડન સંયુક્ત વિજ્ઞાન અને તકનીકી કેન્દ્ર સ્થાપવાની યોજના છે. જેનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), 6G, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સ્પેસ, ટકાઉ માઇનિંગ અને લાઇફ સાયન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધુ ઊંડો બનશે.

    1. SITAC કોરિડોરને મંજૂરી

    બંને દેશોએ સંયુક્ત રીતે ભારત-સ્વીડન ટૅક્નોલૉજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પહેલનો હેતુ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, અદ્યતન ટૅક્નોલૉજી સંશોધન અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે મજબૂત ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.

    1. વ્યાપાર પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક

    ભારત અને સ્વીડન આગામી પાંચ વર્ષમાં પરસ્પર દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણને બમણું કરવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા છે. આ પગલાથી વ્યાપારી વૃદ્ધિને ટેકો મળશે અને ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને વધુ બળ મળશે.

    1. નવીનતમ ક્ષેત્રોમાં રોકાણ માટે આમંત્રણ

    વડાપ્રધાને યુરોપિયન કંપનીઓને ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, ડીપ-ટેક મેન્યુફેક્ચરિંગ અને રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) જેવા ક્ષેત્રોમાં સહયોગ અને રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું છે.

    1. સ્ટાર્ટઅપ પ્લેટફોર્મથી રોજગારી વધશે

    યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા તેમજ નવી રોજગારીની તકો ઊભી કરવા માટે બંને દેશો મળીને ‘ઇન્ડિયા-સ્વીડન SME અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ’ વિકસાવશે.

    1. ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ ની જાહેરાત

    બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે વિકાસ ભી વિરાસત ભીની થીમ હેઠળ ટાગોર-સ્વીડન લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવશે.

  • મોરબીમાં સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો

    મોરબીમાં સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો

    સદજ્ઞાન થી સુખ મળે છે, શુદ્ધ જ્ઞાન થી મોક્ષ મળે છે એવા હેતુથી પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ની પ્રેરણા થી એમ. પી. જૈન પૌષધ શાળા ના ઉપક્રમે સમસ્ત મોરબી ના મહિલા મંડળ અને શ્રી સંઘ ની ટીમો સાથે ઋષભ પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

    તપ તેજસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ના અઠમ તપના વર્ષીતપ નિમિત્તે મહિલા મંડળો વચ્ચે તા. 15-5, શુક્રવારે સવારે 9 થી 12.30 કલાક સુધી અલગ અલગ રાઉન્ડમાં શ્રી દશા શ્રીમાળી વાડી માં જ્ઞાન જીજ્ઞાસા વધારતા આ ઋષભદેવ પ્રભુના જીવન ચરિત્ર આધારિત પ્રશ્નમંચ માં દશ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ભાવના મંડળની ટીમ પ્રથમ નંબરે વિજેતા થયેલ કેપ્ટન પ્રીતિબેન મહેતા, મૃદુલાબેન મહેતા, નીરૂબેન દામાણી, જ્યોતિબેન મહેતા, નીરૂબેન ગાંધી ને ઋષભ ટ્રોફી તથા ગિફ્ટ, રોકડ પુરસ્કાર અને અભિવાદન પત્ર સોની બઝાર સંઘ પ્રમુખ નવીનભાઈ દોશી, હસમુખભાઈ દોશી, યોગેશ મહેતા, અશોક મહેતા, રાજુ ગાંધી, મનોજ દેસાઇ, દેવાંગ દોશી, કોર્પોરેટર જયેશ દેસાઈ વિગેરેના હસ્તે સન્માન કરવામાં આવેલ.

    બીજા નંબરે કાજલ મહેતા, ભવ્ય મહેતા, ખુશ્બુ મહેતા, તેજલ દેસાઈ, હિના મહેતા તેમજ ત્રીજા નંબરે મયણાસુંદરી પુત્રવધૂ મંડળ ના સુધાબેન મહેતા, પ્રીતિ મહેતા, અંજના મહેતા, નિશિતા દોશી, ચંદ્રિકા નંદુ ને પણ ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

    સમગ્ર પ્રશ્નમંચમાં બાળવય ના નૈતિક નયન ખોખાણીને જ્ઞાન પુરુષાર્થનું ઇનામ આપેલ.અહીં હાજર ઘણા બધા લોકોએ 12 મહિના સુધી વિદેશ જવું નહીં, સોનું ખરીદવું નહીં, મહિનામાં 8 દિવસ ડિઝલના વાહનમાં બેસવું નહીં, રાત્રિ ભોજન ત્યાગ વીગેરે સંકલ્પ કર્યા હતા. આ આયોજનમાં શ્રી અરિહંત મુનિજી, શ્રી વર્ધમાન મુનીજી અને અન્ય સતીજીઓએ સેવા સહયોગ આપ્યો હતો.આ કાર્યક્રમમાં પૂ.શ્રી આરાધનાજી મ.સ્. ના સુશિષ્યા તપસ્વીની શ્રી વિજેતાકુમારી આર્યાજી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

    કાર્યક્રમના મુખ્ય દાતા માતૃશ્રી ઝવેરબેન એન.નંદુ, શાંતિ સ્વરૂપ સંગોઈ, અમિત દેસાઈ વિગેરેનું એમ.પી.શેઠ જૈન પૌષધ શાળા દ્વારા આભાર દર્શન કરવામાં આવેલ તેમ યાદીમાં જણાવાયેલ છે.

  • હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન

    હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન

    પેટ્રોલ-ડીઝલના ભાવમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારા છતાં સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હજુ પણ ભારે નાણાકીય દબાણનો સામનો કરી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સોમવારે જણાવ્યું કે, ભાવવધારા પછી પણ આ કંપનીઓ દૈનિક લગભગ 750 કરોડ રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. તેમણે આ માહિતી એવા સમયે આપી છે જ્યારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે છેલ્લા દોઢ મહિનાથી વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેન પ્રભાવિત થઈ છે અને ક્રૂડ ઓઈલ તેમજ LNGની આયાતમાં સતત અવરોધો આવી રહ્યા છે.

    ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક

    દેશમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે ખાતરી આપતાં શર્માએ જણાવ્યું કે, ભારત પાસે પૂરતો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે અને દેશમાં ક્યાંય પણ અછતના અહેવાલ નથી. તેમણે ઉમેર્યું કે, ‘અમારી પાસે પૂરતો ઈન્વેન્ટરી સ્ટોક છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી ગયું હોય તેવી સ્થિતિ નથી. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોનો અવિરત પુરવઠો અને સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકાર અને ઓઈલ કંપનીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.’

    ઈંધણ વિક્રેતા કંપનીઓને આર્થિક સહાય આપવાની હાલ કોઈ વિચારણા નહીં

    તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે અગાઉ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું દૈનિક નુકસાન લગભગ 1000 કરોડ રૂપિયા હતું, જે તાજેતરના ભાવવધારા બાદ ઘટીને આશરે 750 કરોડ રૂપિયા પ્રતિ દિવસ પર આવી ગયું છે. જો કે, તેમણે સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકાર હાલના તબક્કે જાહેર ક્ષેત્રની ઈંધણ વિક્રેતા કંપનીઓ માટે કોઈ આર્થિક સહાય આપવા અંગે વિચારી રહી નથી.

    4 દિવસમાં 1.72 લાખ LPG સિલિન્ડરની ડિલિવરી કરાઈ

    LPGના પુરવઠા અંગે શર્માએ જણાવ્યું કે, ‘વૈશ્વિક પડકારો છતાં ઓઈલ કંપનીઓ સ્થિતિ જાળવવામાં સફળ રહી છે. છેલ્લા 4 દિવસમાં લગભગ 1.69 લાખ સિલિન્ડરના બુકિંગ સામે અંદાજે 1.72 લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે સપ્લાય ચેન સંપૂર્ણપણે કાર્યરત અને સ્થિર છે.’

  • મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્વારા 1 હજાર લીટર ઠંડી છાસનું વિતરણ

    મોરબીના કૈલાશ એપાર્ટમેન્ટ દ્વારા 1 હજાર લીટર ઠંડી છાસનું વિતરણ

    મોરબીના શનાળા રોડ ઉપર આવેલા કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્રારા ગાંધી ચોક ખાતે ઠંડી મસાલા છાશનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં બપોરે 11:30 થી 3 વાગ્યા સુધી કૈલાશ એપાર્ટમેન્ટના ભાઈઓ અને બહેનો દ્વારા આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.

    મોરબીની જાહેર જનતાના લગભગ 5000 લોકોએ આ સેવા કાર્યનો લાભ લીધો હતો.આ સેવા કાર્યમાં 300 કિલો જેટલું ધોરવું લઇ તેમાંથી લગભગ 1000 લીટર જેટલી ઠંડી અને મસાલાવાળી છાસ બનાવી રસ્તા ઉપર આવતા જતા લોકોને હાલની અતિશય કાળઝાળ ગરમીમાં ઠંડક આપવાનું નિસ્વાર્થ સેવા કાર્ય કરવામાં આવ્યું હતુ.

    આ તકે કૈલાશ એપાર્ટમેન્ટના પ્રમુખ હેમલભાઈ નિર્મલ દ્વારા સર્વે ફ્લેટ ધારકોનો આ ઉમદા કાર્યમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.