Author: admin

  • સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના મંદિરના પુનઃ નિર્માણને આગામી 11મી મેના રોજ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને ‘સોમનાથ અમૃતપર્વ-2026’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજથી પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવનો અત્યંત ભક્તિમય માહોલમાં પ્રારંભ થયો છે.

    51 ભૂદેવો દ્વારા અતિરૂદ્રના પાઠ

    તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા મંદિરની યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ સાથે અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. કુલ 51 બ્રાહ્મણો દ્વારા પાંચ દિવસ સુધી સવાર-સાંજ ત્રણ-ત્રણ કલાક અતિરૂદ્રના પાઠ કરવામાં આવશે. શનિવાર (નવમી મે)થી ત્રણ દિવસીય હોમાત્મક મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ થશે, જેમાં 45 બ્રાહ્મણો દ્વારા આશરે સવા લાખ આહુતિઓ આપી વૈશ્વિક શાંતિ અને માનવ કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.

    વિશ્વ શાંતિનો સંદેશ

    વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને વિવિધ દેશો વચ્ચે ચાલતા યુદ્ધના માહોલમાં, આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વમાં શાંતિ સ્થપાય અને માનવજાતનું કલ્યાણ થાય તેવો રાખવામાં આવ્યો છે.

    11 તીર્થોના જળથી થશે કુંભાભિષેક

    અમૃતપર્વના મુખ્ય દિવસે એટલે કે 11મી મેના રોજ સોમનાથ મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળ વડે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ‘કુંભાભિષેક’ વિધિ કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    શિવભક્તોનું ઘોડાપૂર

    ઉત્સવને પગલે સોમનાથ મહાદેવને દરરોજ વિશેષ અને મનોહર શણગાર કરવામાં આવી રહ્યા છે. આ મહોત્સવમાં સહભાગી થવા અને મહાદેવના આશીર્વાદ લેવા માટે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ તીર્થ ક્ષેત્રે ઉમટી પડ્યા છે. સમગ્ર સોમનાથ સંકુલ અત્યારે ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

  • મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

    મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો હટાવાયા

    મોરબીમાં રામચોકથી ભક્તિનગર સર્કલ સુધી નાગરિકોને અવરજવર માટે સુવિધા મળે અને જાહેર માર્ગો પર દબાણ ન થાય તે હેતુસર શહેરના રોડ પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી મનપાની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

    જાહેર માર્ગો પર ફેરીયાઓ દ્વારા કરાયેલ દબાણને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી રસ્તાઓને દબાણમુક્ત રાખવા માટે સમયાંતરે દબાણો દૂર કરવામાં આવે છે. દરમ્યાન નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ સુધીના વિસ્તારમાં દબાણરૂપ તથા ટ્રાફિકને નડતરરૂપ ફેરીયાઓને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

    તેમજ હોર્ડીંગ/ કીઓસ્ક દુર કરવામાં આવ્યા હતા . આ ઉપરાંત રામ ચોકથી ઉમિયા સર્કલ, સામાકાંઠે ગેંડા સર્કલ અને લાલ બાગની દીવાલ પાસે કરવામાં આવેલા દબાણ દૂર કર્યા હતા અને ઘણા દબાણ કરનારાઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવેલ હતો.

    આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર કિઓસ્ક તથા હોર્ડિંગ બોર્ડ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.

  • બંગાળમાં ‘દીદી’ નહીં હવે ‘દાદા’ની સરકાર: શુભેન્દુ અધિકારી હશે નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ લેશે

    બંગાળમાં ‘દીદી’ નહીં હવે ‘દાદા’ની સરકાર: શુભેન્દુ અધિકારી હશે નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ લેશે

    પશ્ચિમ બંગાળમાં આગામી સીએમ શુભેન્દુ અધિકારી હશે. આ નિર્ણય ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો છે. તેમના નામ પર તમામ ધારાસભ્યોએ સહમતિ આપી અને હવે થોડી વારમાં રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. શુભેન્દુ અધિકારીનું સીએમ બનવું ઐતિહાસિક ઘટના છે.

    કેમ કે પાર્ટીની આ ધારાસભ્ય દળની બેઠકમાં ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા.કોલકાતામાં કાલે યોજાશે ભવ્ય શપથગ્રહણ સમારંભ અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ પાસેથી સરકાર બનાવવાનું નિમંત્રણ મળ્યા બાદ શનિવાર સવારે 10 વાગતા કોલકાતામાં શુભેન્દુ અધિકારીનો ભવ્ય શપથગ્રહણ સમારંભ યોજાશે. ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બે-તૃતિયાંશથી વધારે પ્રચંડ બહુમત મળ્યો છે અને પશ્ચિમ બંગાળમાં પહેલી વાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નામની જાહેરાત કરી, જનતાને સંબોધન કર્યું શુભેન્દુ અધિકારીના નામની જાહેરાત કરતા અમિત શાહે કહ્યું કે, આજે ભાજપ તરફથી પશ્ચિમ બંગાળ વિધાનસભા સભ્યોની એક બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે મને અને મોહન ચરણ માઝીજીને પર્યવેક્ષક તરીકે અમને અહીં મોકલ્યા છે. તમામ પ્રસ્તાવ અને સમર્થનમાં એક જ નામ મળ્યું છે, કોઈ બીજું નામ નથી આવ્યું. હું શુભેન્દુ અધિકારીને ધારાસભ્ય દળના નેતા તરીકે નિર્વાચિત કરુ છું.

    અમિત શાહે મુખ્યમંત્રીના નામની જાહેરાત પછી ત્યાં હાજર તમામ ભાજપના ધારાસભ્યો અને નેતાઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું, “આજે ભારતીય જનતા પાર્ટી પાસે એટલો મોટો ધારાસભ્યોનો જૂથ છે. તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને હું વંદન કરું છું. મિત્રો, સૌથી પહેલા હું બે હાથ જોડીને ખૂબ જ જવાબદારી સાથે પશ્ચિમ બંગાળની જનતાને દિલથી ધન્યવાદ આપું છું. કમ્યુનિસ્ટોના સમયમાં જે વાતાવરણ હતું, તેને મમતા દીદીએ વધુ ડરામણું બનાવી દીધું હતું.

    ત્યાં મત આપવાનો અધિકાર લગભગ અશક્ય હતો. આપણા સામે અનેક ઉદાહરણો છે. એ ક્રૂરતા વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટી અને આપણા નેતા નરેન્દ્ર મોદીના વિશ્વાસ પર બંગાળની જનતાએ અમને ભવ્ય વિજય આપ્યો છે, એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. હું પાર્ટીની તરફથી પણ કહેવું છું કે બંગાળની જનતાએ જે અપેક્ષાઓ રાખી છે, જે આશા સાથે મોટું મેન્ડેટ આપ્યું છે, એ વિશ્વાસને ક્યારેય તોડી ન નાખીએ, એ માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું.

    દરેક કાર્યકર્તાનું દાયિત્વ છે કે ‘નવું સોનાર બાંગ્લા’ બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધીએ અને બંગાળની જનતાની અપેક્ષાઓ પૂરી કરીએ.” શુક્રવારે બંગાળના ધારાસભ્યોની બેઠક પછી અમિત શાહે ઘુસણખોરી અને ગૌતસ્કરી મુદ્દે કડક શબ્દોમાં કહ્યું, “આજે ત્રિપુરામાં અમારી સરકાર છે, આસામમાં અમારી સરકાર છે અને હવે બંગાળમાં પણ અમારી સરકાર છે. હવે ઘુસણખોરી અને ગૌતસ્કરી અશક્ય બનશે.” “દીદી”ને સુવેન્દુ અધિકારીએ તેમના ઘરમાં હરાવ્યા છે.

    ગઈ ચૂંટણીમાં સુવેન્દુ દાએ દીદી (મમતા બેનર્જી)ને નંદીગ્રામમાં હરાવ્યા હતા. મેં દીદીનું એક ઇન્ટરવ્યુ જોયું હતું, જેમાં તેઓ કહેતા હતા કે, ‘હું તેમના ઘરે લડવા ગઈ હતી.’ પણ આ વખતે તો સુવેન્દુ દાએ આપના ઘરે આવીને તમને હરાવ્યા છે. સુવેન્દુ અધિકારીએ મમતા દીદીને બે વાર હરાવ્યા છે.

    એ માટે હું ભવાનીપુરની જનતાનો પણ દિલથી આભાર માનું છું.” બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો થયો આ અગાઉ 7 મેના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલે 17મી વિધાનસભાને ભંગ કરી દીધી હતી, જેની સાથે જ મમતા બેનર્જી સરકાર બેદખલ થઈ ગઈ હતી. મમતા બેનર્જીએ સીએમ પદેથી રાજીનામું આપવાની ના પાડી દીધી હતી, પણ જ્યારે 17મી વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો રાજ્યપાલે તેને ભંગ કરી દીધી. હવે નવી સરકાર ગઠનનો માર્ગ મોકળો થઈ ગયો છે. શનિવારે શુભેન્દુ અધિકારી, મુખ્યમંત્રી પદના શપથ લેશે.

  • મોરબી સિરામીક એકમો માટેની ECGC નીતિ સહિતના નિર્ણયો લેવાયા

    મોરબી સિરામીક એકમો માટેની ECGC નીતિ સહિતના નિર્ણયો લેવાયા

    મોરબીમાં તાજેતરમાં મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે મોરબી સિરામિક એસો.ના આગેવાનોની હાજરીમાં એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ હતી જેમાં વિદેશમાં ECGC પોલીસી સાથે, LC સાથે અને એડવાન્સ પેમેન્ટ સાથે વેપાર કરવો વિગેરે જેવા નિર્ણય કરવામાં આવેલ છે.

    મોરબી સિરામીક એસો.ના હોલ ખાતે તાજેતરમાં સિરામીક પ્રોડક્ટને એક્સપોર્ટ કરતા મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા સમયમાં માલના વેચાણ માટે પેમેન્ટ ટર્મ્સને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને ECGC પોલીસી સાથે વેપાર કરવો,

    LC (લેટર ઓફ ક્રેડિટ) સાથે વેપાર કરવો, એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવો, ફસાયેલ પેમેન્ટ્સ માટે અલગ પ્લેટફોર્મ બનાવવું અને અન્ય પેમેન્ટ સિસ્ટમ માટે પોલિસી તૈયાર કરવી વિગેરે જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગનો મુખ્ય ઉદેશ એક્સપોર્ટમા ફસાયેલ પેમેન્ટ રીકવર થાય અને નવા પૈસા ફસાય નહિ તે હતો.

    આ મિટિંગમાં કેપેક્સિલના ચેરમેન નિલેષ જેતપરીયા, મોરબી સિરામીક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને નરેન્દ્રભાઈ સંઘાત તેમજ ઓલ ઇન્ડિયા સિરામીક મર્ચન્ટ એક્સપોર્ટર એસો.ના પ્રમુખ ઉપેનભાઈ નાગર અને મોટી સંખ્યામાં મર્ચન્ટ એક્સપોર્ટર્સે હાજર રહ્યા હતા

    વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું. કે, ભવિષ્યમાં આ પ્લેટફોર્મ સિરામીક એક્સપોર્ટર્સ માટે મજબૂત બ્રિજ તરીકે કામ કરશે. મર્ચન્ટ એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તેમજ સપ્લાયર્સ સ્તરે જે પણ સમસ્યાઓ છે તેને વાચા આપીને તેના ઉકેલ માટે પોલિસી તૈયાર કરવામાં આવશે. જેથી સિરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ મજબૂત અને સુરક્ષિત રીતે આગળ વધી શકે. અને હાલમાં જે મિટિંગ મળી હતી તેમાં લેવામાં આવેલા નિર્ણયથી મોરબી તેમજ સમગ્ર ભારતના સિરામીક એક્સપોર્ટને નવી ઊંચાઈઓ મળશે તેવો વિશ્વાસ આગેવાનો સહિતના લોકોએ વ્યક્ત કર્યો છે.

  • મોરબી : સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમની અમલવારી પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

    મોરબી : સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમની અમલવારી પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

    પોરબંદરના એડવોકેટ પુંડરીક ઓડેદરાની દલીલોને હાઈકોર્ટએ માન્ય રાખી મહત્વનો હુકમ કર્યો મોરબી સિવિલ કોર્ટમાં વર્ષ 2004 દરમિયાન જાડેજા પ્રતાપસિંહ જાલુભા દ્વારા દાખલ કરાયેલા એક જમીન વિવાદ સંબંધિત દાવામાં મોરબી સિવિલ કોર્ટ તથા ત્યારબાદ જિલ્લા કોર્ટ દ્વારા આપવામાં આવેલા હુકમોની અમલવારીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્થગિત કરવામાં આવી છે.

    મળતી માહિતી મુજબ, જૂના નાગડાવાસ ગામે આવેલી આશરે 4 એકર 16 ગુઠા ખેતીની જમીન બાબતે જાડેજા પ્રતાપસિંહ જાલુભાએ દાવો દાખલ કર્યો હતો. દાવામાં જણાવાયું હતું કે,

    આહીર કરશનભાઈ હરિભાઈ પાસેથી રૂ. 5,000 લીધા બાદ બે મહિનામાં પરત ચુકવણી કરવાની તથા ચુકવણી ન થાય તો ગીરો દસ્તાવેજને વેચાણ દસ્તાવેજ ગણવાની શરતે જમીન ગીરવે મુકાઈ હતી. આ મામલે મોરબી સિવિલ કોર્ટ દ્વારા તા. 20/12/2017ના રોજ વાદીની તરફેણમાં હુકમ કરવામાં આવ્યો હતો.

    ત્યારબાદ પ્રતિવાદીએ જિલ્લા કોર્ટમાં રેગ્યુલર સિવિલ અપીલ દાખલ કરી હતી, પરંતુ જિલ્લા કોર્ટ દ્વારા પણ સિવિલ કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો હતો. આ હુકમોને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જેમાં મૂળ પોરબંદરના તથા હાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ પુંડરીક ઓડેદરાએ પ્રતિવાદી તરફેથી દલીલો રજૂ કરી હતી.

    હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલી દલીલોમાં જણાવાયું હતું કે, નીચલી બંને અદાલતો દ્વારા દસ્તાવેજનું અર્થઘટન કરતી વખતે તથ્યો અને પુરાવાઓનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

    વાદી દ્વારા પોતાની જુબાનીમાં દસ્તાવેજ વેચાણ આધારિત હોવાનો સ્વીકાર કરાયો હોવાનું તેમજ ત્યારબાદના 7/12 દાખલામાં પ્રતિવાદીનું નામ નોંધાયું હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું. વધુમાં દલીલ કરવામાં આવી હતી કે, દસ્તાવેજમાં વ્યાજની કોઈ જોગવાઈ ન હોવા સહિતના મુદ્દાઓ તથા સુપ્રીમ કોર્ટના પૂર્વ ચુકાદાઓમાં નક્કી કરાયેલા સિદ્ધાંતોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. આ દલીલોને પ્રાથમિક રીતે ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ કોર્ટ અને જિલ્લા કોર્ટના હુકમોની અમલવારી પર સ્ટે મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસમાં પ્રતિવાદી તરફેથી એડવોકેટ પુંડરીક ઓડેદરા રોકાયેલા હતા.

  • સોમનાથમાં સોમવારે `અમૃત પર્વ’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    સોમનાથમાં સોમવારે `અમૃત પર્વ’ની ઉજવણી : 1 લાખ લોકો જોડાશે

    સોમનાથ ખાતે પધારી રહેલ વડાપ્રધાનના કાર્યક્રમના અનુસંધાને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહેલ છે વડાપ્રધાન તા 11-5 સોમવારના આવતા હોવાથી સદભાવના ગ્રાઉન્ડ મા વિશાળ ડોમ ઉભા કરવામાં આવી રહેલ છે અને તેના માટે ટ્રકો ભરી ને સામન આવી રહેલ છે. ત્રિવેણી સંગમ સહિતના વિસ્તારોમાં પણ તૈયારીઓ થઇ રહેલ છે એકાદ લાખ લોકો ની આવવાની શક્યતા ને ધ્યાને લઇ તૈયારીઓ થય રહેલ છે.

    રોડ શો અને સભા સ્થળે લોકો ને આવવા અંદાજીત 1600 જેટલી એસ ટી બસ ફાળવવા આવી છે તેમજ વડાપ્રધાન તા.11ના રોજ 9,30 કલાકે આવી શકે છે અને 3,30 કલાકે રવાના થવાની શક્યતા રહેલ છે. આ પૂર્વે તા.10ના તેઓ જામનગર આવીને રોકાણ કરવાના છે.

    દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.11મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્યારે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓની વિશદ્ ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો.

    કૃષિ મંત્રીએ સાગર દર્શન ખાતે યોજાયેલી બેઠકમાં ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત અને વડાપ્રધાનના આગમન સમયે અને પૂર્વ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.

    કૃષિ મંત્રીએ વડાપ્રધાનના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો, સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચા આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી.

    સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કૃષિ મંત્રીએ વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ‘સોમનાથ અમૃત પર્વ’ અંતર્ગત તા.11 મે ના રોજ રોડ શો, જાહેર સભા, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મંદિરમાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

    આ બેઠકમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્ર સચિવ અશ્વિની કુમાર, સચિવ રાહુલ ગુપ્તા, ટ્રાન્સપોર્ટ કમિશનર ડો.રાજેન્દ્ર કુમાર, કમિશનર આલોકકુમાર પાંડે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કલેકટર એન.વી.ઉપાધ્યાય, જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, અગ્રણી ડો.સંજય પરમાર, દેવાભાઈ માલમ અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર સહિત તથા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    વડાપ્રધાનની સોમનાથ મુલાકાતને અનુલક્ષીને આજે ખંભાળિયામાં બેઠક
    જામખંભાળિયા, તા.8
    સોમનાથ અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સોમવાર તારીખ 11 ના રોજ સવારે સોમનાથ ખાતે ઉપસ્થિત રહી અને જાહેર સભાને સંબોધિત કરનાર છે.

    આ કાર્યક્રમમાં અન્ય વિસ્તારો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પણ કાર્યકરો મહત્તમ સંખ્યાના સહભાગી થાય અને કાર્યક્રમનું સફળ આયોજન થાય તે હેતુથી આજે શુક્રવાર તારીખ 8 ના રોજ ખંભાળિયા સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય `દ્વારકેશ કમલમ’ ખાતે સાંજે 4 વાગ્યે આયોજનલક્ષી બેઠક યોજવામાં આવી છે. જેમાં જિલ્લાના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિગેરેને ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

  • ક્રૂઝ શિપ પર હેન્ટાવાઇરસનો કેર: પેસેન્જરોને ટ્રેસ કરવા વિશ્વભરમાં દોડધામ, WHOએ આપી ચેતવણી

    ક્રૂઝ શિપ પર હેન્ટાવાઇરસનો કેર: પેસેન્જરોને ટ્રેસ કરવા વિશ્વભરમાં દોડધામ, WHOએ આપી ચેતવણી

    દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સફર કરી રહેલા ‘MV Hondius’ નામના ક્રૂઝ શિપમાં જીવલેણ હેન્ટાવાઇરસના આઉટબ્રેકને કારણે વિશ્વભરની આરોગ્ય એજન્સીઓ ઍલર્ટ થઈ ગઈ છે. આ આઉટબ્રેકની સત્તાવાર પુષ્ટિ થાય તે પહેલાં જ 12 અલગ-અલગ દેશોના 29 મુસાફરો જહાજ છોડીને પોતપોતાના દેશ જવા રવાના થઈ ગયા હતા, જેમને હવે ટ્રેસ કરવા માટે વૈશ્વિક સ્તરે ‘રેસ’ શરૂ થઈ છે.

    શું છે સમગ્ર ઘટના?

    આ આઉટબ્રેકની શરૂઆત ત્યારે થઈ જ્યારે 24 એપ્રિલના રોજ સેન્ટ હેલેના ટાપુ પર જહાજ રોકાયું હતું. ત્યાં સુધીમાં એક મોત થઈ ચૂક્યું હતું, પરંતુ તેને કુદરતી ગણવામાં આવ્યું હતું. આ સ્ટોપ દરમિયાન અમેરિકા અને બ્રિટન સહિતના 29 મુસાફરો ઉતરી ગયા હતા. ત્યારબાદ 4 મેના રોજ પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધીમાં આ વાઇરસને કારણે 3 લોકોના મોત થયા છે.

    WHOએ આપી રાહત, પણ સતર્ક રહેવા સૂચના

    વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન(WHO)ના ડૉ. મારિયા વાન કેરખોવે સ્પષ્ટતા કરી છે કે આ કોઈ કોવિડ જેવી વૈશ્વિક મહામારીની શરૂઆત નથી. જોકે, સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે જણાવ્યું કે આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ 6 અઠવાડિયા સુધીનો હોઈ શકે છે, તેથી નવા કેસો આવવાની શક્યતા નકારી શકાય નહીં.

    વિશ્વના વિવિધ દેશોમાં સ્થિતિ:

    નેધરલૅન્ડ

    ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જેમાં એક 41 વર્ષીય ડૉક્ટર અને બ્રિટિશ ગાઇડ માર્ટિન એન્સ્ટીનો સમાવેશ થાય છે.

    સ્વિટ્ઝર્લૅન્ડ

    એક પોઝિટિવ કેસ ઝ્યુરિચની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    અમેરિકા

    CDC દ્વારા જ્યોર્જિયા, કેલિફોર્નિયા અને એરિઝોના ગયેલા મુસાફરો પર દેખરેખ રાખવામાં આવી રહી છે.

    બ્રિટન

    પરત ફરેલા મુસાફરોને 45 દિવસ માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવા જણાવાયું છે.

    સ્પેન

    જહાજ હવે ટેનરીફ તરફ જઈ રહ્યું છે, જ્યાં સ્પેનિશ નાગરિકોને લશ્કરી હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે.

    વાઇરસ ક્યાંથી આવ્યો?

    નિષ્ણાતોના મતે, આ ચેપ આર્જેન્ટિનાના ઉશુઆિયથી શરૂ થયો હોઈ શકે છે. એક ડચ દંપતી જે પક્ષી નિરીક્ષણ માટે ગયું હતું, ત્યાંથી આ વાઇરસ જહાજ પર આવ્યો હોવાની શંકા છે. આર્જેન્ટિનામાં જૂન 2025થી અત્યાર સુધીમાં 101 કેસ નોંધાયા છે, જે અગાઉના વર્ષ કરતાં બમણા છે.

  • હોર્મુઝ બન્યું ‘પર્લ હાર્બર’: ઈરાની મિસાઈલોના વરસાદથી અમેરિકન નેવી સ્તબ્ધ, 3 ડિસ્ટ્રોયરની પીછેહઠ

    હોર્મુઝ બન્યું ‘પર્લ હાર્બર’: ઈરાની મિસાઈલોના વરસાદથી અમેરિકન નેવી સ્તબ્ધ, 3 ડિસ્ટ્રોયરની પીછેહઠ

    હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ઈરાને અમેરિકન નૌકાદળના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો આક્રમક હતો કે તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા ‘પર્લ હાર્બર’ એટેક સાથે સરખાવવામાં આવી રહ્યો છે. ઈરાની હુમલા બાદ અમેરિકી જહાજોને જીવ બચાવીને હોર્મુઝથી અરબ સાગર તરફ ભાગવાની ફરજ પડી હતી.

    હુમલાની વિગત અને સેન્ટકોમનો ખુલાસો

    અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પુષ્ટિ કરી છે કે ઈરાને USS ટ્રક્સટન, USS રાફેલ પેરાલ્ટા અને USS મેસન નામના ત્રણ અમેરિકી નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવ્યા હતા. ઈરાને મિસાઈલોની સાથે-સાથે આત્મઘાતી ડ્રોન અને નાની દરિયાઈ બોટ દ્વારા ઘેરો ઘાલ્યો હતો. જોકે, અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને તેના જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

    ટ્રમ્પની પ્રતિક્રિયા: ‘લવ ટેપ’ અને ‘નાનો આંચકો’

    અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ત્રણેય જહાજો સુરક્ષિત છે. તેમણે અમેરિકા દ્વારા કરવામાં આવેલી જવાબી એરસ્ટ્રાઈકને ‘લવ ટેપ’ અને આ સમગ્ર અથડામણને માત્ર એક ‘નાનો આંચકો’ (Small Bump) ગણાવી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સીઝફાયર હજુ પણ અમલી છે, પરંતુ જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે તો અમેરિકા વધુ ‘હિંસક’ જવાબ આપશે.

    ઈરાનનો દાવો અને પૃષ્ઠભૂમિ

    ઈરાનની મિલિટરી કમાન્ડે આરોપ લગાવ્યો હતો કે અમેરિકાએ પહેલા સીઝફાયર તોડીને બે જહાજોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં ચાબહાર પોર્ટ પાસે અમેરિકી જહાજો પર હુમલો કરવામાં આવ્યો. ઈરાની મીડિયા મુજબ, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને તટીય વિસ્તારોમાં જનજીવન રાબેતા મુજબ છે. આ સંઘર્ષ એવા સમયે થયો છે જ્યારે અમેરિકા, ઈરાન પાસેથી શાંતિ પ્રસ્તાવ પર જવાબની રાહ જોઈ રહ્યું છે. આ પ્રસ્તાવમાં યુદ્ધનો ઔપચારિક અંત અને ૩૦ દિવસમાં વ્યાપક સમજૂતીની વાત છે.

  • મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરી દ્વારા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    મોરબી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરી દ્વારા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    આગામી ચોમાસુ સિઝનમાં ખેડુતો દ્વારા રાસયણીક ખાતર, બિયારણ તથા જંતુનાશક દવાઓની ખરીદી ચાલુ કરાશે ત્યારે આગામી વર્ષમાં ઉત્પાદન સારૂ મળે તે માટે ખેડૂતોએ અત્યારથી જ તૈયારી ચાલુ કરવી પડશે.

    તે માટે સૌ પ્રથમ જરૂરી છે સારા સર્ટીફાઇડ કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત બિયારણની પસંદગી, જો બિયારણની પસંદગીમાં ખેડુત થાપ ખાય તો આખુ વર્ષ નુકસાનીનુ જાય છે. બિયારણ હંમેશા સારી ગુણવતાવાળુ, આજુબાજુના વિસ્તારમાં સારા પરિણામો મળ્યા હોય તેવું જાણીતું તથા જોયેલું હોય તેવું, જમીનને અનુરૂપ વહેલી, મધ્યમ કે મોડી જાત તથા પાણીની સગવડતા મુજબનું અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો.

    બિયારણ સગા-સબંધી કે ફેરીયાઓ કે વચેટીયા પાસેથી બીલ વગર ક્યારેય ખરીદ ન કરવુ જેથી છેતરપીંડીનો અવકાશ ન રહે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું.

    બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં આજ રીતે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓની ખરીદીમાં પણ સાવધાની રાખવી જરૂરી છે.

    અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) ને તુરંત જાણ કરવા મોરબી નાયબ ખેતી નિયામક(વિ.)ની યાદીમાં જણાવાયું છે.

  • ઓપરેશન સિંદુર ફિલ્મનાં ટાઇટલને મળી લીલી ઝંડી

    ઓપરેશન સિંદુર ફિલ્મનાં ટાઇટલને મળી લીલી ઝંડી

    મુંબઇ : ’ઓપરેશન સિંદૂર’ના એક વર્ષ પૂર્ણ થવા પર હવે ઈંખઙઙઅ માં ’ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટર થઈ ગયું છે. ગયા વર્ષે ’ઓપરેશન સિંદૂર’ બાદ તમામ ફિલ્મ નિર્માતાઓમાં આ ટાઇટલ રજિસ્ટર કરાવવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ હતી.

    જાણકારોના મતે ફિલ્મોનાં ટાઇટલ રજિસ્ટર કરનારી સંસ્થા ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA) પાસે ’ઓપરેશન સિંદૂર’ અને તેને મળતા આવતાં ટાઇટલ માટે આશરે 150 ફિલ્મોની અરજીઓ આવી હતી.

    સૂત્રોના જણાવ્યાં મુજબ, ઓપરેશન સિંદૂરના એક વર્ષ પૂરા થવા પર હવે ઈંખઙઙઅ માં ’ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટર થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે ટાઇટલને મંજૂરી મળ્યાં બાદ આ ફિલ્મ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. આ પહેલાં ઓપરેશન સિંદૂર પર અત્યાર સુધી અન્ય બે ફિલ્મો પર કામ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ તેમનાં નામ સામે આવ્યાં નથી. ઓપરેશન સિંદૂર પર જે બે ફિલ્મો બની રહી છે, તેમાંથી પહેલી ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની છે.

    આ ફિલ્મ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) જેએસ ’ટાઈની’ ધિલ્લોનના પુસ્તક ’ઓપરેશન સિંદૂર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન’ પર આધારિત હશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં લીડ રોલ માટે વરુણ ધવનનો સંપર્ક કરવામાં આવ્યો છે.

    તો બીજી તરફ ’શેરશાહ’ ફેમ ડાયરેક્ટર વિષ્ણુ વર્ધનની ’ધ ટેરર રિપોર્ટ’ છે. સૂત્રો જણાવે છે કે આ ફિલ્મ ગયા વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર આધારિત હશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

    ટાઇટલ રજિસ્ટ્રેશન માટે આવે છે અનેક અરજીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં જાણકારોનું કહેવું છે કે જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે ત્યારે તમામ ફિલ્મમેકર્સમાં તેનાથી જોડાયેલા ટાઇટલ રજિસ્ટર કરાવવાની સ્પર્ધા શરૂ થતી હોય છે. જોકે તેમાંથી અમુક જ લોકો ખરેખર તે વિષય પર ફિલ્મ બનાવી શકે છે.

    એક ટ્રેડ એક્સપર્ટ કહે છે, ’જ્યારે પણ કોઈ મોટી ઘટના બને છે, ત્યારે તમામ નિર્માતાઓ તેનાથી જોડાયેલું નામ રજિસ્ટર કરાવવા માટે અરજી આપે છે. આ હવે દરેક વખતની પેટર્ન બની ગઈ છે, પછી ભલે તે પુલવામા એટેક હોય કે ઓપરેશન સિંદૂર.

    પરંતુ તેમાંથી મોટાભાગનાં એવા હોય છે જેઓ પાછળથી ફિલ્મ પર કામ જ શરૂ કરી શકતાં નથી. ત્યાં સુધી કે કેટલાક લોકો તો પોતાની પબ્લિસિટી માટે પણ ટાઇટલ રજિસ્ટર કરાવે છે. પરંતુ બહુ ઓછી ફિલ્મો હોય છે જેનું શૂટિંગ શરૂ થઈ શકે છે, કારણ કે જ્યારે મામલો ઠંડો પડી જાય છે ત્યારે ફિલ્મમેકરનો ઉત્સાહ પણ ઠંડો પડી જાય છે.’