Author: admin

  • કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન

    કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં ‘વર્ક ફ્રોમ હોમ’ અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે.

    તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

    હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે, પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ ઈંધણ વેચી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

    અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા

    ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની આ અપીલને ‘આત્મનિર્ભર ભારત’ માટેનો રોડમેપ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક કટોકટીના સમયે ઉર્જા સંરક્ષણ એ જ રાષ્ટ્રને સ્થિર રાખવાનો માર્ગ છે. બીજી તરફ, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિને જવાબદાર ગણાવતા કહ્યું કે જો આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરીએ તો આગામી સમયમાં અછતનો સામનો કરવો પડી શકે છે.

    શા માટે પીએમ મોદી કરી રહ્યા છે આવી અપીલ?

    ભારત પોતાની જરૂરિયાતનું 80% તેલ આયાત કરે છે. વૈશ્વિક અસ્થિરતાને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ન આવે અને બેંકિંગ સિસ્ટમ ખોરવાય નહીં તે માટે સરકાર ઈચ્છે છે કે જનતા સ્વેચ્છાએ વપરાશ ઘટાડે. જો વપરાશ ઓછો નહીં થાય તો આવનારા સમયમાં સરકારને કડક આર્થિક નિર્ણયો લેવાની ફરજ પડી શકે છે.

    વારાણસીમાં પીએમની અપીલનું સ્વાગત

    પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આ અપીલને ‘કાશીનો સંકલ્પ’ તરીકે આવકારવામાં આવી છે. સ્થાનિક લોકોએ રાષ્ટ્રહિત સર્વોપરી ગણીને પેટ્રોલ ઓછું બાળવા અને સ્વદેશી અપનાવવાની ખાતરી આપી છે.

  • મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામીક કારખાનાના બાંધકામમાં જંત્રી દરની વિસંગતતા દુર થવાની આશાસ્પદ સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું

    મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામીક કારખાનાના બાંધકામમાં જંત્રી દરની વિસંગતતા દુર થવાની આશાસ્પદ સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું

    મોરબીની આસપાસમાં આવેલ સિરામિક કારખાનાઓમાંથી ધીમેધીમે કરતાં છેલ્લા વર્ષોમાં 300 જેટલા કારખાના કાયમી ધોરણે બંધ થઈ ગયા છે અને કારખાનેદારોને પોતાન જુના કારખાના વેચવા છે જો કે, બાંધકામ જંત્રી દર વધુ હોવાના જૂના પડતર કારખાના વેચતા નથી.

    જેથી આ બાબતે સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને જંત્રી દરમાં રહેલી વિસંગતતા દૂર થશે અને ઉદ્યોગકારોના પડતર કારખાનનું વેચાણ થશે તેવી આશા હતી જો કે, તાજેતરમાં જે જવાબ આપવામાં આવેલ છે તેમાં જંત્રી દરનો ઘસારો બાદ કરવો તે નીતિ વિષયક નિર્ણય છે જેથી હાલમાં આ પ્રશ્ન ઉકેલાય તેવી શક્યતા દેખાતી નથી જેથી ઉદ્યોગકારોના પડતર કારખાનોમાં ફસાયેલ કરોડો રૂપિયા છૂટશે નથી તે નિશ્ચિત છે. મોરબી સિરામિક એસો.ના પ્રમુખો પ્રમુખ દ્વારા અગાઉ સિરામિક એસો.ના લેટર પેડ ઉપર લખીને સ્થાનિક ધારાસભ્યોથી લઈને મુખ્યમંત્રી બાંધકામ જંત્રી દરની વિસંગતતા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

    જેમાં જણાવ્યુ હતું કે, મોરબીમાં સિરામિક કારખાનના શેડ સિમેન્ટ સીટ વાળા હોય છે અને તેનો બાંધકામ જંત્રી દર 12,300 ચોરસ મીટર નક્કી કરવામાં આવેલ છે જો કે, આ શેડ માત્ર 3000 થી 3200 રૂપિયાના બાંધકામ ખર્ચમાં ઊભા થઈ જાય છે અને દરેક કારખાનના શેડ અંદાજે 10 થી 30 હજાર ચો.મી.ના હોય છે. જેથી કારખાનું બનાવવામાં આવ્યું હોય ત્યારે જે ખર્ચ થયો હોય તેના કરતાં વધુ હાલમાં તેની બાંધકામ જંત્રી લાગે છે જેથી પડતર પડેલા કારખાના વેચતા નથી.

    વધુમાં જણાવ્યુ હતું કે, બાંધકામની જંત્રીમાં વર્ષે 1.20 ટકા ઘસારો ગણવામાં આવે છે. આ હિસાબે 100 વર્ષે બાંધકામની વેલ્યૂ શુન્ય થાય જો કે, મોરબીમાં માત્ર 10 વર્ષમાં કારખાનની વેલ્યૂ શુન્ય થઈ જાય છે. જેથી ઘસારાની ટકાવારી વધારાવામાં આવે અને વાર્ષિક 10 ટકા કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. મોરબીની આસપાસમાં જે સિરામિકના કારખાના આવેલા છે તેમાંથી મશીનરી જૂની થવાથી કે પછી બાંધકામ જૂના થઈ ગયા હોવાથી 10 કે 20 નહીં પરંતુ અંદાજે 300 જેટલા સિરામિકના કારખાના બંધ થઈ ગયા છે અને મોટાભાગના કારખાનામાં મશીનરીનો ભંગાર પણ વેચાઈ ગયો છે જો કે, બાંધકામ જંત્રી દરની વિસંગતતાના લીધે ઉદ્યોગકારોના જૂના કારખાનના પડતર પડેલા શેડ વેચતા નથી.

    જેથી ઉદ્યોગકારોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિરામિક એસો.ની રજૂઆત આધારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મોરબીમાં બંધ પડેલા સીરામીક એકમોના સિમેન્ટ સીટના બાંધકામના જંત્રી ભાવમાં ઘટાડો કરવા માટેની રજૂઆત કરી હતી. જેની સામે સિરામિક કારખાનાના જુના બાંધકામ માટે ઘસારાનો દર નક્કી કરવો એ સરકારનો નીતિ વિષયક નિર્ણય છે જેથી હાલમાં મોરબીમાં બંધ પડેલા સીરામીક કારખાનાઓના બાંધકામના જંત્રી દરમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી જેના કારણે મોરબીમાં એક કે બે નહીં પરંતુ અંદાજે 300 જેટલા કારખાનાના શેડ બંધ પડ્યા ભંગાર થઈ રહ્યા છે અને તેના કોઈ લેવલ થતા નથી.

    ઉલેખનીય છે કે, કારખાનાનો શેડ માત્ર 3200 રૂપિયા ચોરસ મીટરના ભાવથી નવો બની જાય છે અને તેનો અત્યારે જંત્રી દર સરકાર દ્વારા 12,300 ગણવામાં આવે છે આમ કારખાનાના બાંધકામ ખર્ચ કરતાં બાંધકામ જંત્રી ચાર ગણી ગણવામાં આવે છે.

    જેથી ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે જો જંત્રી દરમાં દર વર્ષે 10 ટકાનો ઘસારો બાદ કરવામાં આવે તો અહીંના કારખાનેદારોને ફાયદો થઈ શકે તેમ છે. પરંતુ ઉદ્યોગકારોના પડતર કારખાના અને જમીનનું વેચાણ થાય તેના માટેનો નીતિ વિષયક નિર્ણય સરકાર દ્વારા ક્યારે લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.

  • મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી

    મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી

    મોરબી જિલ્લા સેવા સદનમાં લોકોની સુવિધા માટે જુદીજુદી બાજુએ દરવાજા મૂકવામાં આવેલ છે પરંતુ સ્થાનિક અધિકારીઓએ દ્વારા કોઈપણ કારણોસર એક દરવાજા સિવાયના બીજા દરવાજ બંધ કરી દેવામાં આવેલ છે.

    જેથી કરીને સિનિયર સીટીઝન સહિત સેવા સદનમાં કામ કાજે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને તમામ દરવાજા ખોલવામાં આવે તેવી કલેક્ટરને સિનિયર સીટીઝન દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે અને જો દરવાજા નહીં ખોલવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

    મોરબીમાં આવેલ રીલીકનગરમાં રહેતા એમ.જી. મારૂતીએ કલેક્ટરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સેવા સદનમાં ઘણી બધી ઓફીસ આવેલ છે તો પણ તે કચેરીમાં એક દરવાજા સિવાયનાં બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવેલ છે. જેથી કરીને સિનિયર સીટીઝન સહિતના લોકોને કચેરીમાં આવે ત્યારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

    જેથી સેવા સદન બનાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં આવનારા અરજદારોને ધ્યાને રાખીને દરવાજા મૂકવામાં આવેલ હતા જો કે, ત્યાંના દરવાજા શા માટે બંધ કરવામાં આવેલ છે તે કોઈને સમજાતું નથી. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓ સિનિયર સીટીઝન છે અને પોતાનો દાખલો લેવા માટે ટ્રેઝરી ઓફીસે ગયા હતા અને તેઓને શ્વાસની તકલીફ છે,

    હૃદયની બીમારી છે અને ત્રણ નળી બ્લોક છે જેથી તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી તેઓની જેવા સિનિયર સિટીઝનોની મુશ્કેલીઓને ધ્યાને રાખીને સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  • પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા

    પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી: PM મોદીની ‘ઈંધણ બચાવો’ અપીલ બાદ સરકારની હૈયાધારણા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સોમવારે સરકારે ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી નાગરિકોએ ગભરાવાની કે ‘પેનિક બાયિંગ’ કરવાની જરૂર નથી.

    ભારત પાસે ઈંધણનો પૂરતો સ્ટોક છે: સરકાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની સ્થિતિ અંગે યોજાયેલી આંતર-મંત્રાલય બ્રીફિંગ દરમિયાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત પાસે ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

    પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરીએ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “ભારત પાસે ક્રૂડ ઓઈલ, LPG, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. ભારતની ઉર્જા આયાતનો લગભગ 90% હિસ્સો અસરગ્રસ્ત પ્રદેશમાંથી આવે છે, પરંતુ સરકારે સપ્લાયમાં કોઈ પણ વિક્ષેપ ન આવે તે માટે ઝડપી પગલાં લીધા છે.”

    આર્થિક બોજ ઘટાડવા માટે વડાપ્રધાને અપીલ કરી: કેન્દ્ર તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોઈ અછત નથી. વડાપ્રધાનની તાજેતરની અપીલને ઉર્જા સંરક્ષણ અને વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં દેશ પરના આર્થિક બોજને ઘટાડવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ.” PM મોદીની અપીલનો હેતુ માત્ર ‘સંરક્ષણ’ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે વડાપ્રધાન મોદીએ બિનજરૂરી મુસાફરી ઘટાડવા અને ઈંધણ બચાવવા માટે જે સંદેશ આપ્યો હતો, તેને પુરવઠાની અછતના પ્રતિભાવ તરીકે નહીં, પરંતુ ઉર્જા બચાવવાની ભાવના તરીકે જોવો જોઈએ.

    વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ ઊર્જા બજારોને અસર કરી રહ્યા છે ત્યારે જવાબદાર ઉપયોગ પ્રોત્સાહિત કરવા માટે આ અપીલ કરવામાં આવી હતી. ભારત અન્ય દેશો પાસેથી પણ ઉર્જા ખરીદશે: વિદેશ મંત્રાલય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત તેના ઉર્જા સંરક્ષણ અને પુરવઠાના પ્રયાસોના ભાગરૂપે અનેક દેશો પાસેથી ઉર્જા ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.

    તેમણે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારતના વલણને દોહરાવતા કહ્યું કે ભારત શરૂઆતથી જ શાંતિ અને સંવાદનું સમર્થન કરે છે. ભારતના 10 જહાજો કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના રવાના બંદર અને શિપિંગ મંત્રાલયના અધિકારી ઓપેશ શર્માએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજ ધરાવતા જહાજો કોઈ પણ વધારાના ચાર્જ ચૂકવ્યા વિના ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે. હજુ 13 જહાજો આ પ્રદેશમાં છે અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાના પ્રયત્નો ચાલુ છે. ક્રૂ મેમ્બરોની સુખ-સુવિધાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

  • PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ

    PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ

    હાલમાં સોના-ચાંદીના ભાવને લઈને દેશભરના લોકોમાં ભારે મથામણ ચાલી રહી છે. એક તરફ વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો છે, તો બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં દબાણ વધ્યું છે.

    આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી બિનજરૂરી સોનાની ખરીદી ટાળવા મોટી અપીલ કરી છે. પીએમની આ અપીલ બાદ હવે સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે શું સોનાના ભાવમાં મોટો ઘટાડો આવશે?

    કેમ સોનું ખરીદવા માટે PMએ ઇન્કાર કર્યો એક્સપર્ટ્સના મતે, આ ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserves) બચાવવાનો માસ્ટરસ્ટ્રોક છે. ભારત દર વર્ષે લગભગ 800 મેટ્રિક ટન સોનું આયાત કરે છે, જેનું પેમેન્ટ ડોલરમાં કરવું પડે છે. જો લોકો બિનજરૂરી સોનું ન ખરીદે તો ડોલરની બચત થશે અને ભારતીય રૂપિયો મજબૂત બનશે.

    ક્રૂડ ઓઈલ અને સોનાની વધતી કિંમતો ભારતીય અર્થતંત્રને નબળું પાડે છે. ખરીદી ઘટવાથી ગ્લોબલ ઝટકા સામે ભારતની સ્થિરતા વધશે. MCX અને સર્રાફા બજારની સ્થિતિ પીએમ મોદીના નિવેદન બાદ માર્કેટમાં ચિંતા અને અનિશ્ચિતતાનો માહોલ છે.

    ઘરેલુ વાયદા બજાર (MCX) પર સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સોનું 600 રૂપિયાના ઘટાડા સાથે ₹1,52,018 પર ટ્રેડ કરી રહ્યું છે. બજારમાં ગભરાટને કારણે જ્વેલરી કંપનીઓના શેરમાં પણ મોટું ગાબડું જોવા મળ્યું છે. માર્ચ 2026 સુધીમાં RBI પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનું છે, જેમાંથી 680 ટન ભારતની તિજોરીમાં છે.

    શું અત્યારે સોનું ખરીદવું યોગ્ય છે? રોકાણકારો અને લગ્નની ખરીદી કરનારા પરિવારો અત્યારે વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો સરકારી અપીલની અસર વ્યાપક થશે, તો માર્કેટમાં માંગ ઘટતા કિંમતો હજુ નીચે જઈ શકે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું યુદ્ધ અને સપ્લાય ચેઈનની સ્થિતિ પણ સોનાના ભાવમાં મહત્વનો ભાગ ભજવશે.

  • ક્રૂડ ઓઈલ અંગે ચિંતા વધી, હોર્મુઝ બંધ જ રહેશે: ટ્રમ્પનો પારો સાતમા આસમાને, ઓફર ઠુકરાવી

    ક્રૂડ ઓઈલ અંગે ચિંતા વધી, હોર્મુઝ બંધ જ રહેશે: ટ્રમ્પનો પારો સાતમા આસમાને, ઓફર ઠુકરાવી

    મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 3%નો ઉછાળો જોવા મળ્યો છે,

    કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર હજુ પણ ઠપ્પ જેવી જ છે.ઈરાનનો શરતી શાંતિ પ્રસ્તાવ શું હતો? અમેરિકાએ વાટાઘાટો શરૂ કરવા માટે જે ઓફર આપી હતી, તેના જવાબમાં રવિવારે ઈરાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈરાનના આ પ્રસ્તાવમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને લેબનોનમાં, જ્યાં અમેરિકાના સાથી દેશ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે આર્થિક વળતરની માંગ કરી છે.

    સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવાની જીદ કરી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવવી, સંપત્તિઓ અનફ્રીઝ કરવી અને ઈરાની તેલના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કરવો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આકરો પ્રહાર ઈરાનનો આ પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, મને આ પસંદ નથી. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે આ અંગે કોઈ વિસ્તૃત વિગતો આપી નથી,

    પરંતુ અમેરિકાની શરત સ્પષ્ટ છે કે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા યુદ્ધવિરામ કરવો પડશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ કાયદેસર છે. અમે યુદ્ધનો અંત, ચાંચિયાગીરી અને નાકાબંધી રોકવાની માંગ કરી છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે એક ઉદાર ઓફર છે. ક્રૂડ ઓઈલ અને હોર્મુઝની કટોકટી આ ડેડલોકને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.

    28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું તે પહેલા, વિશ્વના કુલ તેલ અને કુદરતી ગેસના પુરવઠાનો પાંચમો ભાગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતો હતો. હાલમાં અહીં ટ્રાફિક નહિવત છે. ગયા અઠવાડિયે માત્ર ત્રણ ટેન્કરો કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જેઓએ ઈરાની હુમલાથી બચવા માટે પોતાના ટ્રેકર્સ બંધ રાખ્યા હતા. બજાર પર અસર સોમવારે તેલના ભાવમાં 3% નો વધારો થયો. અમેરિકામાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે, જે ચૂંટણીના વર્ષમાં ટ્રમ્પ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.

    ઇઝરાયલનું વલણ યુદ્ધ હજુ બાકી છે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે, યુદ્ધ હજુ સમાપ્ત થયું નથી. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ઈરાન પાસેથી સંવર્ધિત યુરેનિયમ હટાવવું અને તેમના પરમાણુ મથકોને તોડી પાડવા એ ઇઝરાયલની પ્રાથમિકતા છે. નેતન્યાહુએ રાજદ્વારી માર્ગની તરફેણ કરી છે, પરંતુ જરૂર પડ્યે સૈન્ય તાકાતનો ઉપયોગ કરવાની પણ ચીમકી આપી છે. ટ્રમ્પની ચીન મુલાકાત પર નજર આવતા બુધવારે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બેઇજિંગ પહોંચી રહ્યા છે.

    ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. આ મુલાકાતમાં ઈરાનનો મુદ્દો ટોચ પર હશે. ટ્રમ્પ ઈચ્છે છે કે ચીન પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ઈરાનને નમતું જોખવા મજબૂર કરે. જોકે, ઈરાનને આશા છે કે ચીન અમેરિકાની દાદાગીરી સામે તેમનો પક્ષ લેશે.

    વધતું જતું તણાવનું કેન્દ્ર રવિવારે યુએઈ (UAE) એ ઈરાન તરફથી આવતા બે ડ્રોન તોડી પાડ્યા હતા. કતાર અને કુવૈતે પણ તેમના હવાઈ ક્ષેત્રમાં શંકાસ્પદ ડ્રોન હુમલાની નિંદા કરી છે. લેબનોનમાં 16 એપ્રિલે થયેલા યુદ્ધવિરામ છતાં દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે અથડામણો ચાલુ છે. નિષ્ણાતો માને છે કે જો ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની બેઠકમાં કોઈ ઉકેલ નહીં આવે, તો આ સંઘર્ષ લાંબો ખેંચાઈ શકે છે, જેની અસર માત્ર મધ્ય પૂર્વ પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ખિસ્સા પર પડશે.

  • એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં આજે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન

    એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં આજે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન

    મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે આગામી તા. 11/5 ને સોમવારે રાત્રે 8.00 થી 11.30 સુધી પ્રખ્યાત વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરેલ છે.

    અને તેમાં આરોગ્યપ્રેમી જનતાને આવવા માટે આયોજકોએ જણાવ્યુ છે અને આ કથા સ્થળે બાર જેટલા સ્ટોલ પણ રાખેલ છે. આ સ્ટોલમાં હાથેથી બનાવેલ માટીની તાવડી, પાટીયા, કુંડા, દેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ, કોપરેલ તેલ, મગફળીનું તેલ, આયુર્વેદ પાવડર ચુર્ણ, હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણ, સંચળ પાવડર, સિંધાલૂણ, એલોવેરા, લીમડો, તુલસી, કેસુડાના સાબુ, ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટડોર પ્લાન્ટ, ઓર્ગેનિક મેથી, દવા વગરના શાકભાજી, ફળ, દેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલ, મુખવાસ વગેરેનું વેચાણ થશે.

    જેથી ઓર્ગેનિક તથા પ્રકૃતિ પ્રેમી લોકોને ત્યાંથી વસ્તુઓની ખરીદી કરીને સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપવા આયોજકે જણાવ્યુ છે અને ખાસ કરીને કથામાં શાંતિ રહે તે માટે તમામ લોકોએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કે સાયલન્ટ કરવા જણાવ્યુ છે. અને કથા સ્થળ પાસેથી કથામાં આવેલ લોકોને ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ પણ ફ્રીમાં મળશે. અને વૈદ્ય કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં (નેત્ર બિંદુ) આપવામાં આવશે.

  • ગભરાવાની જરૂર નથી, સ્થિતિ કાબૂમાં છે…’, હેન્ટાવાઇરસ અંગે WHO પ્રમુખનું મોટું નિવેદન

    ગભરાવાની જરૂર નથી, સ્થિતિ કાબૂમાં છે…’, હેન્ટાવાઇરસ અંગે WHO પ્રમુખનું મોટું નિવેદન

    હેન્ટાવાઇરસ થી પ્રભાવિત લક્ઝરી ક્રૂઝ શિપ એમવી હોન્ડિયસ (MV Hondius) ગ્રાનાડિલા બંદર પર પહોંચતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે સ્થિતિની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોને આશ્વાસન આપ્યું છે કે, ગભરાવાની જરૂર નથી, સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

    શું છે આખી ઘટના?

    રવિવારની વહેલી સવારે એમવી હોન્ડિયસ શિપ બંદર પર લાંગરવામાં આવ્યું હતું. આ શિપમાં હેન્ટાવાઇરસ નો ચેપ ફેલાયો હોવાની આશંકા બાદ યુરોપની પબ્લિક હેલ્થ એજન્સીએ તમામ મુસાફરોને હાઈ-રિસ્ક કોન્ટેક્ટ જાહેર કર્યા છે. જોકે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કોઈ પણ મુસાફરમાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

    નિકાસીની સુરક્ષિત યોજના

    મુસાફરોને જમીન પર ઉતારવા માટે ખાસ સુરક્ષિત પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે. નાની નૌકાઓ દ્વારા મુસાફરોને કિનારે લાવવામાં આવશે. ત્યાંથી સીલબંધ બસો દ્વારા માત્ર 10 મિનિટના અંતરે આવેલા ટેનેરિફ મુખ્ય એરપોર્ટ પર લઈ જવામાં આવશે. એરપોર્ટ પરથી તમામ મુસાફરો પોતપોતાના દેશ જવા રવાના થશે, જ્યાં પણ તેમની સ્વાસ્થ્ય પર દેખરેખ રાખવામાં આવશે.

    હેન્ટાવાઇરસ કેટલો ખતરનાક?

    હેન્ટાવાઇરસ એ પ્રાણીજન્ય રોગ છે, જે મુખ્યત્વે ઉંદરના મળ, મૂત્ર અથવા લાળના સંપર્કથી માણસોમાં ફેલાય છે. તીવ્ર તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વાયરસ સીધો ફેફસાં પર હુમલો કરે છે અને ગંભીર કિસ્સામાં જીવલેણ સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે આ વાયરસ માણસથી માણસમાં ફેલાતો નથી, પરંતુ ક્રૂઝ પર ઉંદરના કારણે આ વાયરસ પહોંચ્યો હોવાની તપાસ ચાલી રહી છે.

    સ્થાનિકોમાં ચિંતા અને WHO નું આશ્વાસન

    ટેનેરિફ ટાપુ પ્રવાસન પર નિર્ભર છે, તેથી સ્થાનિક લોકોમાં આ વાયરસને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે. WHO ચીફે જણાવ્યું છે કે, બંદર વિસ્તારને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો સાથે મુસાફરોનો કોઈ પણ સીધો સંપર્ક થવા દેવામાં આવશે નહીં. શિપ ખાલી થયા બાદ તેને સંપૂર્ણપણે ડિસઇન્ફેક્ટ કરવામાં આવશે.

  • મોરબી મનપાની ફાયર શાખામાં 21 ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ

    મોરબી મનપાની ફાયર શાખામાં 21 ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ

    મોરબી મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી માળખાનું સુદ્રઢીકરણ બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે કુલ 21 ફાયર ઓપરેટરની કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવામાં આવી છે

    અને મોરબી મનપાની ફાયર શાખા દ્વારા 59 લોકોને ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. મોરબી મનપાના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. અને કોઈપણ સમયે આગ જેવી કોઈ દુર્ઘટના થાય તો પહેલા શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું.

    આ ઉપરાંત સમાજવાડી, કોમ્પલેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડીંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ફાયર ગઘઈ ન ધરાવતા બિલ્ડીંગને નોટીસ આપવામાં આવી હતી.

    મોરબી શહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ અને વધતા જતા કાર્યભારને ધ્યાનમાં રાખીને કુલ 21 ફાયર ઓપરેટરની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે અને તમામ નવા ઓપરેટરોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે.

  • હાજરી કૌભાંડ: મોરબી મનપામાં બોગસ રોજમદારોની હાજરી બદલ 13 સામે ગુનો નોંધાયો

    હાજરી કૌભાંડ: મોરબી મનપામાં બોગસ રોજમદારોની હાજરી બદલ 13 સામે ગુનો નોંધાયો

    મોરબી મહાપાલિકા કચેરીમાં ગુટલી બાજ કર્મચારીઓને પકડવા માટે થઈને કર્મચારીઓની ઓનલાઈન એટેન્ડન્સ લેવામાં આવે છે પરંતુ તેમાં પણ કેટલાક કર્મચારીઓ દ્વારા યેનકેન પ્રકારે પોતાના ઉપરાંત અન્ય કર્મચારીઓની હાજરી પૂરવામાં આવે છે.

    અને જે રોજમદારે મહાપાલિકામાં કામ કર્યું જ ન હોય તેઓના નામ રાખીને તેઓની અલગ અલગ પ્રકારે હાજરી પુરીને તેઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મેળવવામાં આવ્યા હતા જેથી સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને નાણાકીય ઉચાપત કરવામાં આવેલ હોય હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 13 શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

    જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ લક્ષ્મી પાર્ક દેવાલય એપાર્ટમેન્ટ બ્લોક નંબર 501 ખાતે રહેતા અને મોરબી મહાપાલિકામાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા દીપભાઈ સુરેશભાઈ ફળદુએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં મંદિપ ચાવડા રહે. નાની વાવડી, વિમલભાઈ બાવળીયા રહે. લક્ષ્મી સોસાયટી મોરબી, અભયભાઈ છબીલભાઈ ચૌહાણ રહે. રામકૃષ્ણનગર મોરબી, સુનિલભાઈ ભરતભાઈ મકવાણા રહે. અનુ જાતિવાસ મોરબી, રોહિતભાઈ ધીરુભાઈ રહે. મોરબી, લલિતભાઈ કુમારભાઈ ચાવડા રહે. મોરબી, સંજયભાઈ ઘનશ્યામભાઈ ચાવડા રહે. મોરબી અને રાજેશભાઈ રહે. મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવેલ છે.

    જેમાં ફરિયાદી જણાવ્યુ છેકે, મોરબી મહાપાલિકામાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓના નામની હાજરી પૂર્વમાં આવતી હોવાની બાબત મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાન ઉપર આવી હતી અને મહાપાલિકાને આર્થિક નુકસાન થતું હોય હાલમાં મહાપાલિકાની જુદી જુદી શાખાની અંદર કર્મચારીઓની હાજરીની ચકાસણી કરવામાં આવતા અમુક લોકો એકથી વધુ કર્મચારીઓની ખોટી હાજરી પૂરતા હોવાનું સામે આવ્યું હતું. વધુમાં મળતી માહિતી મુજબ ગત તા. 5 અને 6 ના રોજ હાજરી રજીસ્ટરના રિપોર્ટની ચકાસણી કરવામાં આવતા અમુક રોજમદાર કર્મચારીઓ દ્વારા ગેરરીતિ કરીને હાજરી પૂરવામાં આવી હતી

    અને ત્યારબાદ મહાપાલિકાના સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવતા હાજરી પૂરવાનો સમય અને બહાર જવાનો સમય બંને સરખા હતા તેવું ધ્યાન ઉપર આવ્યું હતું આટલું નહીં પરંતુ હાલમાં મહાપાલિકા કચેરીમાં રોજમદાર કર્મચારીઓની હાજરી એટેન્ડન્સ મશીનમાં લેવામાં આવતી હોય છે જોકે અમુક કર્મચારીઓએ પોતાના નામ સિવાય અન્ય કર્મચારીઓની પોતાની આંગળી અને ફેસથી હાજરી પૂરી દેતા હોવાનું સામે આવ્યું હતું. જેમાં આરોપી મંદિપ ચાવડા દ્વારા મશીનમાં અલગ અલગ કર્મચારીઓની હાજરી પુરવામાં આવતી હતી .

    જેમાં લલિતકુમાર ચાવડા માટે જમણા હાથની આંગળી, રોહિતભાઈ ધીરુભાઈ માટે જમણા હાથની બીજી આંગળી, મનદીપ ચાવડા માટે ફેસ અને જમણા હાથની પેલી આંગળી તથા અભયભાઈ ચૌહાણ માટે ડાબા હાથની પહેલી આંગળી વડે હાજરી પૂરતા હતા. જ્યારે પંચિંગ મશીનમાં વિમલ બાવળીયા દ્વારા અંકુર કુંભારિયા માટે જમણા હાથની છેલ્લેથી બીજી આંગળી, રોહિતભાઈ ધીરુભાઈ માટે જમણા હાથની છેલ્લેથી ત્રીજી આંગળી, મહેશભાઈ ગુનાવા માટે જમણા હાથની છેલ્લી આંગળી, મનદીપ ચાવડા માટે જમણા હાથનો અંગૂઠો, રોહિત માટે ડાબા હાથની પહેલી આંગળી, પ્રકાશભાઈ માટે ડાબા હાથની બીજી આંગળી અને રાહુલભાઈ ગલાભાઈ ડામોર માટે ડાબા હાથની ત્રીજી આંગળીથી હાજરી પૂરતા હતા

    આવી જ રીતે અભય ચૌહાણ દ્વારા વર્કશોપના કર્મચારીઓના એટેન્ડન્સ મશીનમાં સંજયભાઈ ચાવડાની જમણા હાથના અંગૂઠાથી અને અભય ચૌહાણની જમણા હાથની પહેલી આંગળી વડે હાજરી ભરવામાં આવતી હતી. આ બાબતે ડેપ્યુટી કમિશનર દ્વારા જે તે કર્મચારી પોતાના સિવાય અન્ય કર્મચારીઓની હાજરી પૂરે છે તેના માટે પૂછપરછ કરવામાં આવતા જે તે કર્મચારી લેખિતમાં અન્ય કર્મચારીની હાજરી પૂરતા હોવાનો એકરાર કર્યો હતો અને માફીનામું લખી આપ્યું હતું

    અને અન્ય કર્મચારીઓની ખોટી હાજરી પૂરીને તેઓના બેન્ક એકાઉન્ટમાં નાણા મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. આમ સરકારી સંસ્થા સાથે વિશ્વાસઘાત કરીને જે વ્યક્તિ નોકરી કરતા નથી તેઓની ખોટી રીતે હાજરી પૂરીને સંસ્થામાં નાણાકીય ઊચાપત અને ભ્રષ્ટાચાર કરેલ છે અને સંસ્થાને નુકસાન કર્યું છે જેથી હાલમાં મહાપાલિકાના ડેપ્યુટી ઇજનેર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.