Author: admin

  • ભારત સરકારનો માસ્ટર પ્લાન : હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે, LPGની નહીં રહે કોઈ અછત

    ભારત સરકારનો માસ્ટર પ્લાન : હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે, LPGની નહીં રહે કોઈ અછત

    ભારત સરકાર ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં ઉદ્ભવતી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે ગેસનો પુરવઠો જાળવી રાખવા માટે બે મોટા પ્રોજેક્ટ પર આક્રમક રીતે કામ કરી રહી છે. આ વ્યૂહાત્મક હિલચાલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

    સમુદ્રના પેટાળમાં 2000 કિમી લાંબી પાઈપલાઈન

    ભારત હવે ઓમાનથી સીધી દરિયાઈ પાઈપલાઈન બિછાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન (MEIDP) નામ આપવામાં આવ્યું છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અરબ સાગરના તળિયે 2,000 કિલોમીટર લાંબો હશે અને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડશે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3450 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પૈકીની એક હશે. આ માધ્યમથી દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસની સપ્લાય થઈ શકશે.

    શા માટે આ પ્રોજેક્ટ અનિવાર્ય છે?

    ભારતમાં ગેસની માંગ સતત વધી રહી છે. 2030 સુધીમાં વપરાશ 290-300 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર સુધી પહોંચવાનો અંદાજ છે. હાલમાં ભારતની કુલ જરૂરિયાતનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા આયાત કરવામાં આવે છે. ફેબ્રુઆરી 2026માં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે જ્યારે આ માર્ગ પ્રભાવિત થયો, ત્યારે ગેસની વૈશ્વિક સપ્લાયમાં 20%નો ઘટાડો થયો હતો અને કિંમતો 12 ડોલરથી વધીને 25 ડોલર પ્રતિ MMBtu સુધી પહોંચી ગઈ હતી. આ પાઈપલાઈન દ્વારા ભારત કોઈપણ મધ્યસ્થ દેશ કે ચોક પોઈન્ટ પર નિર્ભર રહ્યા વગર સસ્તો અને સ્થિર ગેસ મેળવી શકશે.

    ચીન સામે સ્પર્ધા અને ગેસ રિઝર્વ

    ઉર્જા સુરક્ષાના મામલે ચીન ભારત કરતા ઘણું આગળ છે. ચીને રશિયા અને મધ્ય એશિયા સાથે અનેક ઓવરલેન્ડ પાઈપલાઈન કોરિડોર બનાવ્યા છે. ચીન પાસે 2026 સુધીમાં 80 BCM ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા હશે. જ્યારે ભારત પાસે હાલમાં માત્ર 10-12 દિવસના વપરાશ જેટલું જ વ્યૂહાત્મક ગેસ રિઝર્વ છે. આ પ્રોજેક્ટ ભારતને આ સ્પર્ધામાં મજબૂત સ્થિતિમાં લાવશે.

    કોલસામાંથી ગેસ બનાવવાનો માસ્ટર પ્લાન

    બીજી તરફ, મોદી સરકારે કોલ ગેસિફિકેશન (કોલસામાંથી ગેસ બનાવવો) પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. ભારત પાસે 400 અબજ ટનથી વધુ કોલસાનો ભંડાર છે, જે આગામી 400 વર્ષ સુધી ચાલી શકે તેમ છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક 7.5 કરોડ ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનો લક્ષ્યાંક છે. આ માટે સરકાર દેશભરમાં 25 પ્લાન્ટ સ્થાપશે. 37,500 કરોડ રૂપિયાના સરકારી સહયોગ સાથે આ પ્રોજેક્ટમાં અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવવાની શક્યતા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી અંદાજે 50,000 લોકોને રોજગારી મળશે. ભારત હાલમાં પોતાની એલએનજી જરૂરિયાતના 50%, યુરિયાના 20% અને મેથેનોલના 90% આયાત કરે છે. કોલસામાંથી ગેસના ઉત્પાદનથી આ આયાત નિર્ભરતામાં મોટો ઘટાડો થશે.

  • EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ

    EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ

    કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના 7 કરોડથી વધુ સભ્યો માટે ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર 5 લાખ રૂપિયા સુધીના આંશિક અથવા એડવાન્સ ક્લેમનું જ ઓટોમેટિક સેટલમેન્ટ થતું હતું, જેની સમયમર્યાદા ત્રણ દિવસની હતી. પરંતુ હવે EPFO ટૂંક સમયમાં ‘ફાઈનલ પીએફ ફંડ સેટલમેન્ટ’ને પણ સંપૂર્ણપણે ઓટોમેટિક કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફેરફાર બાદ, નોકરી છોડ્યા પછી પીએફના પૈસા મેળવવા માટે સભ્યોએ લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને નાણાં સીધા બેન્ક ખાતામાં ખૂબ જ ઝડપથી ટ્રાન્સફર થઈ જશે.

    ATM અને UPI દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા

    ડિજિટલ ઈન્ડિયાના યુગમાં EPFO એક ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહ્યું છે. મે મહિનાના અંત સુધીમાં સભ્યો માટે ATM અને UPI દ્વારા સીધા પીએફના નાણાં ઉપાડવાની સુવિધા શરૂ થવાની અપેક્ષા છે. આ સુવિધા ‘EPFO-3.0’ અપગ્રેડનો એક ભાગ છે. નવા સિસ્ટમ હેઠળ EPFO નવા ATM કાર્ડ પણ જારી કરી શકે છે, જેથી સભ્યોએ કોઈ પણ દસ્તાવેજ જમા કરાવ્યા વગર કે ઓફિસના ધક્કા ખાધા વગર પોતાની જરૂરિયાત મુજબ રકમ ઉપાડી શકશે.
    નોકરી બદલવા પર ફોર્મ ભરવાની પળોજણમાંથી મુક્તિ

    કેન્દ્રીય પીએફ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું છે કે, જો કોઈ સભ્ય નોકરી બદલે છે, તો તેના પીએફ ખાતાના ઓટોમેટિક ટ્રાન્સફરની સુવિધા પણ શરૂ કરવામાં આવી રહી છે. હવે જૂના ખાતામાંથી નવા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. EPFO આપમેળે તમારા ખાતાને નવા મેમ્બર આઈડી સાથે લિંક કરી દેશે. આ સિવાય, નવા લેબર કોડ હેઠળ EPF સ્કીમ 1952, ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 અને પેન્શન સ્કીમ 1995ને પણ નવા સુધારાઓ સાથે ફરીથી નોટિફાય કરવામાં આવશે.

    શ્રમિકોના હિતોનું રક્ષણ અને ઉદ્યોગોની જવાબદારી

    કેન્દ્રીય શ્રમ સચિવ વંદના ગુરનાનીએ આ પ્રસંગે ભાર મૂક્યો હતો કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે શ્રમિકો સાથે કોઈ અન્યાય ન થાય. તેમણે ઉદ્યોગ જગતને અપીલ કરી હતી કે આ સુધારાઓને માત્ર કાયદાકીય પાલન તરીકે ન જોતા, તેને કર્મચારીઓના કલ્યાણ અને કાર્યક્ષમતા વધારવા માટેની એક પ્રતિબદ્ધતા તરીકે સ્વીકારવા જોઈએ. EPFO દ્વારા કરવામાં આવી રહેલા આ ફેરફારોથી કરોડો પગારદાર કર્મચારીઓના જીવનમાં મોટી રાહત આવશે.

  • ગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્લાના પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

    ગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્લાના પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

    અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ કાર્યકર્તા ઘડતર શિબિર તા.10 અને 11 મે 2026 ના રોજ સોમનાથ પ્રભાસ ખાતે યોજવામાં આવેલ હતી.

    જેમા ગુજરાત રાજ્યના 17 જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ તકે પ્રદેશ કોર કમિટીની અનુમતિથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) ની નિમણુંક કરવામાં આવેલ છે.

    અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ ફૂલહાર પહેરાવી તેઓને શુભેચ્છા પાઠવી હતી.

    અને મોરબી રાજપૂત સમાજમાં સેવાના ભેખધારી એવા મહેન્દ્રસિંહ ઝાલાની ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી તેઓને શુભકમના પાઠવવામા આવી રહી છે.

  • મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત ૧૧ દીકરીઓનો સામૂહિક લગ્નોત્સવ યોજાશે

    મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા આયોજિત ૧૧ દીકરીઓનો સામૂહિક લગ્નોત્સવ યોજાશે

    મોરબી : શહેરના સો-ઓરડી વિસ્તારમાં આવતીકાલે તા. 15 મે, 2026ના રોજ સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્વારા ૧૧ દીકરીઓનો છઠ્ઠો સામૂહિક લગ્નોત્સવ ભવ્ય આયોજન સાથે યોજાવા જઈ રહ્યો છે. સામાજિક સમરસતા અને સેવાભાવના આ ઉમદા કાર્યમાં વિવિધ સમાજના નવદંપતીઓ શાસ્ત્રોક્ત વિધિથી લગ્નગ્રંથિએ જોડાશે.

    આ લગ્નોત્સવનું આયોજન પરશુરામ પોટરી, સો-ઓરડી, વાતાવરણ-2 ખાતે કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મુજબ સવારે 07:00 કલાકે જાન આગમન થશે, ત્યારબાદ સવારે 10:00 કલાકે હસ્તમેળાપની વિધિ યોજાશે. સવારે 11:00 કલાકથી સતત સમારંભ શરૂ થશે અને બપોરે 01:00 કલાકે જાન વિદાય થશે.

    સમસ્ત હિન્દુ સેવા ગ્રુપના જયેશભાઈ સોમાના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ સમૂહ લગ્નમાં ઉદ્યોગપતિ જીતુભાઈ ધરજીયા, જે.પી. ફાઉન્ડેશનના પ્રભાબેન, સમાજસેવક જયેશભાઈ રાઠોડ તથા માલધારી સેલના સેવક હરીભાઈ રાયજાદા સહિતના આગેવાનો આયોજક તરીકે સેવા આપી રહ્યા છે.

    આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કાંતિભાઈ અમૃતિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ખાટક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ જંજવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ કવાડિયા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવશે. ઉપરાંત શહેરના વિવિધ અગ્રણીઓ, કોર્પોરેટરો અને સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ કાર્યક્રમમાં હાજરી આપશે.

    સામૂહિક લગ્નમાં નવદંપતીઓને ગૃહસ્થ જીવનની શરૂઆત માટે દાતાશ્રીઓના સહયોગથી સોનાના દાણા, સાડીઓ, સ્ટીલના વાસણો, સીલિંગ ફેન, વોટર કૂલર સહિતની વિવિધ હોમવખરીની ચીજવસ્તુઓ ભેટરૂપે આપવામાં આવશે. ઉપરાંત રસોડા ઉપયોગી સામગ્રીનું પણ યોગદાન આપવામાં આવ્યું છે.

    સમૂહ લગ્નના આંગણે લગ્નગીતોની રમઝટ જામશે, જેમાં કૃપાલી વાઘાણી અને અરુણા ઠાકોર જેવા કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી પ્રસંગને રંગતભર્યો બનાવશે.

  • મોરબીના બિલિયા અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

    મોરબીના બિલિયા અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર

    કેન્દ્ર સરકારના કડક ગુણવત્તા માપદંડોમાં મોરબીના ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રો ખરા ઉતર્યા; બિલિયા 94.09 % અને અણીયારી 93.82 % ગુણ સાથે દેશભરમાં અગ્રેસર

    મોરબી જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્રે વધુ એક સુવર્ણ સિદ્ધિનો ઉમેરો થયો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલા National Quality Assurance Standards (NQAS) હેઠળ મોરબી તાલુકાના બે આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-બિલિયા અને રંગપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર-અણીયારી એ ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે.

    ગુણવત્તાના આકરા માપદંડોમાં શ્રેષ્ઠતા:

    ભારતમાં સરકારી આરોગ્ય સંસ્થાઓ માટે NQAS એ ગુણવત્તાનું સર્વોચ્ચ માપદંડ માનવામાં આવે છે. આ સર્ટિફિકેશન મેળવવા માટે આરોગ્ય કેન્દ્રોએ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા અત્યંત કડક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડે છે. રાષ્ટ્રીય કક્ષાના એસેસરો દ્વારા હાથ ધરાયેલી આ તપાસમાં સેવા પ્રદાન, દર્દીના અધિકારો, ક્લિનિકલ કેર, સંસ્થાની સ્વચ્છતા અને સ્ટાફની કાર્યક્ષમતા જેવા વિવિધ પાસાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકનમાં બિલિયા આયુષ્માન આરોગ્ય મંદિર 94.09 % અને અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિર 93.82 % જેટલા માતબર ગુણ મેળવી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા છે.

    ગ્રામ્ય સ્તરે આધુનિક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા:

     આયુષ્માન આરોગ્ય મંદિર યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરઆંગણે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ બંને કેન્દ્રોમાં માતૃત્વ સેવાઓ, શિશુ અને બાળ આરોગ્ય, કુપોષણ નિવારણ, કુટુંબ કલ્યાણ તેમજ ચેપી અને બિન-ચેપી રોગોના નિદાન અને સારવાર જેવી 12 જેટલી પાયાની સેવાઓ ઉપલબ્ધ છે. વધુમાં, ઇમરજન્સી સેવાઓ, માનસિક સ્વાસ્થ્ય માર્ગદર્શન અને આયુષ-યોગ પદ્ધતિ જેવી વિશિષ્ટ સેવાઓની ઉપલબ્ધતાને કારણે નાગરિકોને નજીકમાં જ સુરક્ષિત અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થઈ રહી છે.

    વહીવટી તંત્ર દ્વારા શુભેચ્છાઓ:

     આ ઐતિહાસિક સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જિલ્લા આરોગ્ય તંત્ર અને બંને કેન્દ્રોના સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ આ પ્રમાણપત્રને ગ્રામ્ય સ્તરે ગુણવત્તાસભર સેવાઓ આપવાના પ્રયત્નોની માન્યતા ગણાવી છે. જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. હાર્દિક રંગપરિયાએ જણાવ્યું હતું કે આ સફળતા કર્મચારીઓના સમર્પણનું પરિણામ છે અને આગામી સમયમાં જિલ્લાની વધુ આરોગ્ય સંસ્થાઓ આ સન્માન મેળવે તે દિશામાં પ્રયત્નો ચાલુ રહેશે.
  • PGVCLની લાપરવાહીથી મોરબીના સિરામિક ઉદ્યોગો જનરેટર આધારિત, ઉદ્યોગકારોમાં રોષ

    PGVCLની લાપરવાહીથી મોરબીના સિરામિક ઉદ્યોગો જનરેટર આધારિત, ઉદ્યોગકારોમાં રોષ

    મોરબી : વિશ્વસ્તરે સર્જાયેલા ઈરાન-અમેરિકા-ઇઝરાયેલ યુદ્ધના કારણે ગેસ સપ્લાય ખોરવાતા મોરબીના સિરામિક ઉદ્યોગોને એક મહિનાથી વધુ સમય સુધી ઉત્પાદન બંધ રાખવાની ફરજ પડી હતી. યુદ્ધજન્ય પરિસ્થિતિમાંથી ઉદ્યોગો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ પીજીવીસીએલની બેદરકારીભરી કામગીરીના કારણે વીજ પુરવઠાની ગંભીર સમસ્યા ઊભી થતા ઉદ્યોગકારો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.

    મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ પટેલે આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે દિવસમાં રંગપર જેટકોની ૨૨૦ KV અને ૬૬ KV લાઇનમાં બે વખત કેબલ બ્લાસ્ટ થતાં પીપળી રોડ, મહેન્દ્રનગર રોડ, માંડલ રોડ અને જેતપર રોડ વિસ્તારમાં લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે અનેક સિરામિક એકમોને ડીઝલ જનરેટરના સહારે ઉત્પાદન ચાલુ રાખવું પડ્યું છે, જ્યારે કેટલાક એકમોમાં સંપૂર્ણ ઉત્પાદન બંધ કરવાની નોબત આવી છે.

    તેમણે જણાવ્યું હતું કે, ફોલ્ટના કારણે ૧૨ કલાકથી વધુ સમય સુધી પાવર કાપ રહેતા ઉદ્યોગકારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. હાલમાં ડીઝલની અછત પણ સર્જાઈ રહી હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

    PGVCL માટે મોરબી સિરામિક ઉદ્યોગ “કમાઉ દીકરો”

    એસોસિએશન પ્રમુખના જણાવ્યા મુજબ પીજીવીસીએલની કુલ આવકમાં મોરબીના સિરામિક ઉદ્યોગોનો ૩૦ ટકાથી વધુ હિસ્સો છે. અહીં મોટા ભાગના એકમોમાં એચટી કનેક્શન હોવા છતાં દિવસ દરમિયાન ૨ થી ૪ વખત વીજ પુરવઠો ખોરવાવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે. સ્થાનિક કક્ષાથી લઈને રાજકોટ પીજીવીસીએલના એમડી અને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

    એક મિનિટના વીજકાપથી લાખોનું નુકસાન

    સિરામિક ઉદ્યોગ સતત પ્રોડક્શન આધારિત ઉદ્યોગ હોવાથી માત્ર એક મિનિટના વીજકાપથી પણ હજારો નહીં પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાનું મનોજ પટેલે જણાવ્યું હતું. ઘણી વખત ૧ થી ૫ કલાક સુધી વીજળી ગુલ રહેતી હોવાથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય છે અને મશીનરી તેમજ તૈયાર માલને નુકસાન પહોંચે છે.

    ઉદ્યોગકારોએ માંગ કરી છે કે, ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા પ્રી-મોનસૂન કામગીરી યોગ્ય આયોજન સાથે સમયસર કરવામાં આવે અને નાના ફોલ્ટના કારણે આખા ફીડર બંધ કરવાની પરિસ્થિતિ ટાળવા કાયમી ટેક્નિકલ સુધારા હાથ ધરવામાં આવે.

  • મોદી સરકાર ખર્ચ ઘટાડવા કરકસર મોડમાં? મંત્રીઓના પ્રવાસ પર પ્રતિબંધ, મંત્રાલયોમાં ‘WFH’ની તૈયારી

    મોદી સરકાર ખર્ચ ઘટાડવા કરકસર મોડમાં? મંત્રીઓના પ્રવાસ પર પ્રતિબંધ, મંત્રાલયોમાં ‘WFH’ની તૈયારી

    પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં જનતાને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, સોનાની ખરીદી મર્યાદિત કરવા, વિદેશ પ્રવાસ ઘટાડવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. સરકારનો હેતુ છે કે તેના પોતાના વિભાગો આ પગલાં અપનાવવામાં સૌ પ્રથમ આવે, જેનાથી સામાન્ય જનતાને તેનું પાલન કરવાની પ્રેરણા મળે. અહેવાલો સૂચવે છે કે મોટા પાયે સરકારી કાર્યક્રમો, ભોજન સમારંભો અને ઉચ્ચ ઇંધણ વપરાશ ધરાવતા કાર્યક્રમોમાં પણ ઘટાડો થઈ શકે છે.

    પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેલ સંકટ અંગેની આશંકા વચ્ચે, કેન્દ્ર સરકારે હવે પોતાના ખર્ચને કાબુમાં લેવા અને ઇંધણ બચાવવા માટે સક્રિયપણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને ખર્ચ ઘટાડવા અને પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલ કર્યાના થોડા દિવસો પછી, સરકાર હવે તેના વિવિધ મંત્રાલયોમાં પણ “કઠોરતા અભિયાન” શરૂ કરવા માટે તૈયાર છે.

    અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે તેના મંત્રાલયો પાસેથી ઇંધણનો વપરાશ ઘટાડવા માટેની વ્યૂહરચનાઓની રૂપરેખા આપતા દરખાસ્તો મંગાવી છે. આ પહેલ હેઠળ, બિન-આવશ્યક મુસાફરી પર પ્રતિબંધો લાદવા, વર્ચ્યુઅલ મીટિંગનો ઉપયોગ મહત્તમ કરવા, જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને “ઘરેથી કામ” વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા જેવા પગલાં અમલમાં મૂકવાની શક્યતા છે.

    સરકારનો ઇરાદો છે કે તેના પોતાના વિભાગો આ પગલાં અપનાવવામાં સૌ પ્રથમ આવે, જેનાથી સામાન્ય લોકો માટે પ્રેરણારૂપ બને. એવું કહેવાય છે કે મોટા સરકારી કાર્યક્રમો, સત્તાવાર ભોજન સમારંભો અને નોંધપાત્ર ઇંધણ ખર્ચ ધરાવતા કાર્યોનો પણ અવકાશ ઘટાડી શકાય છે.

    વધુમાં, કારપૂલિંગને પ્રોત્સાહન આપવા, સત્તાવાર સરકારી વાહનોનો બિનજરૂરી ઉપયોગ ઓછો કરવા અને ખાનગી ક્ષેત્રમાં પણ હાઇબ્રિડ અથવા રિમોટ વર્ક મોડેલને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા ચાલી રહી છે. જો પરિસ્થિતિ વધુ બગડે છે, તો સરકાર મોટા પાયે જાહેર મેળાવડા અને લગ્નો પર ચોક્કસ નિયંત્રણો લાદવાનું પણ વિચારી શકે છે.

    દરમિયાન, મધ્યપ્રદેશમાં ભાજપના નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોના મોટા કાફલાને લઈને વિવાદ ફાટી નીકળ્યો છે. વડાપ્રધાન મોદીની ઇંધણ બચાવવાની અપીલ છતાં, ભાજપના નેતા સૌભાગ્ય સિંહ ઠાકુર વાહનોના લાંબા કાફલા સાથે ભોપાલ પહોંચ્યા – જેની ફૂટેજ પાછળથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિપક્ષે આ ઘટનાનો લાભ લઈને ભાજપ પર બેવડા ધોરણો લાગુ કરવાનો આરોપ લગાવ્યો છે.

    વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ જનતાને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા, સોનાની ખરીદી મર્યાદિત કરવા, વિદેશ યાત્રા ઘટાડવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. જોકે, વિપક્ષે આ અપીલોને સરકારની નિષ્ફળતાના સંકેત તરીકે દર્શાવી છે.

  • હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપિનલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર

    હવે મોરબી જીલ્લાના કલેક્ટર સ્વપિનલ ખરે, કમિશનર સંગીતા રૈયાણી અને ડીડીઓ વિદ્યાસાગર

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાની સાથે જ આઈએએસ અધિકારીઓની બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી તેવામાં રાજ્ય સરકાર દ્વારા એકી સાથે રાજ્યમાં 72 આઇએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

    જેમાં મોરબી કલેકટર, ડીડીઓ અને મહાપાલિકાના કમિશનરનો પણ સમાવેશ થાય છે અને મોરબીના કલેકટર તરીકે મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપિનલ ખરેને મૂકવામાં આવ્યા છે રાજ્યમાં નવરચિત મહાનગરપાલિકાઓના કમિશનરોની બદલી કરવામાં આવશે તેમજ કલેકટર અને ડીડીઓ સહિતના આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી ચર્ચા ચાલી રહી હતી

    તેવામાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કુલ મળીને 72 જેટલા આઈએએસ અધિકારીઓની એકી સાથે બદલી કરી છે. જેમાં મોરબી જિલ્લાના કલેક્ટર કે.બી.ઝવેરી, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપિનલ ખરેનો પણ સમાવેશ થાય છે.

    મહાપાલિકાના વર્તમાન કમિશનર સ્વપિનલ ખરેને હવે મોરબી જિલ્લા કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે. મોરબી મહાપાલિકાના કમિશનર તરીકે સંગીતા રૈયાણીની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મોરબી ડીડીઓની જગ્યા ચાર્જમાં હતી તે જગ્યા ઉપર ધંધૂકાના એડિશનલ કલેક્ટર વિદ્યાસાગરને મોરબીના ડીડીઓ તરીકે મૂકવામાં આવેલ છે.

  • દાગીનાની ડીમાંડ યથાવત રહે અને આયાતી સોનાની જરૂરીયાત ઘટે તેવો વચલો રસ્તો અપનાવાશે, ગુજરાતના જ્વેલર્સો સોના માટે નવી સ્કીમ-ફોર્મ્યુલા ઘડશે

    દાગીનાની ડીમાંડ યથાવત રહે અને આયાતી સોનાની જરૂરીયાત ઘટે તેવો વચલો રસ્તો અપનાવાશે, ગુજરાતના જ્વેલર્સો સોના માટે નવી સ્કીમ-ફોર્મ્યુલા ઘડશે

    દેશમાં વિદેશી હુંડિયામણ બચાવવા તથા ઇરાન યુધ્ધના આર્થિક પટકાયાનો મુકાબલો કરવા એક વર્ષ સુધી સોનુ નહીં ખરીદવા સહિતની વડાપ્રધાનની સલાહથી સોની વેપારીઓમાં સોંપો પડી જ ગયો છે છતાં વડાપ્રદાનની અપીલને માન આપવા તથા વચલો રસ્તો કાઢવા માટે ગુજરાતના ઝવેરીઓએ નવી રણનીતિ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

    આયાતી સોનાનો ઉપયોગ ઘટાડીને જુના સોનાને બહાર કાઢવા આકર્ષક એકસચેંજ સ્કીમ લોન્ચ કરવાની તૈયારી છે. ગુજરાતના જ્વેલર્સોએ એમ કહ્યું કે અમેરિકાના ટેરિફ વોરથી સોનાના ભાવમાં ધરખમ વધારો થયો હતો અને ત્યારથી જ ઘરાકીને મોટો ફટકો લાગી ગયો છે.

    ઉંચા ભાવથી બચવા લાંબા વખતથી જુનુ સોનુ પાછુ આપીને નવા દાગીના લેવાનો ટ્રેન્ડ ચાલુ થઇ જ ગયો હતો. પ્રવર્તમાન વેપારમાં પણ 80 ટકા ગ્રાહકો જુનું સોનુ પરત આપીને નવા દાગીના લઇ જાય છે. અખાત્રીજ જેવા પવિત્ર દિવસોમાં નવી સારી ઘરાકી હોય છે. પરંતુ બાકીના સમયમાં એક્સચેંજનું ચલણ વધુ રહે છે. હવે વડાપ્રધાને આયાત બીલ ઓછું કરવાના ઇરાદે સોનાની ખરીદી રોકવાની અપીલ કરી છે. જ્યારે ઝવેરીઓ પણ જુના સોનાની અદલાબદલી કે પરત મેળવવા માટે નવી આકર્ષક સ્કીમ કાઢશે.

    આયાતી સોનાની જરુર ઓછી રહે તે પ્રકારની આકર્ષક સ્કીમો તૈયાર કરીને લાગુ કરવામાં આવશે. આવતા દિવસોમાં જુના સોના પર ડીસ્કાઉન્ટ તથા એક્સચેંજ માટેની આકર્ષક આકર્ષક સ્કીમો મુકાશે જેથી ડીમાંડને પણ કોઇ અસર ન થાય અને આયાતી માલ પર બોજ ન રહે. સૂત્રોએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રમાં એક્સચેંજ સ્કીમોનો ટ્રેન્ડ છે. લગ્નગાળા તથા વહેવારોમાં ટાટા ગ્રુપની કંપની તનિષ્ક દ્વારા કોઇ કપાત વિના જુનુ સોનુ પરત લેવાની સ્કીમ અમલમાં મુકી હતી.

    લોકલ જ્વેલર્સો પણ હવે આવી જ સ્ટ્રેટેજી અપનાવવાની વિચારણા કરી રહ્યા છે. જ્વેલર્સ એસોસીએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ કહ્યું કે સોનાની ખરીદી અટકવાના સંજોગોમાં લાખો લોકોની જરૂર પણ ન રહે તેવી સ્ટ્રેટેજી જરૂરી છે. સતાવાર આંકડા મુજબ 2025-26માં ગુજરાતમાં સોનાની આયાત 114.38 ટનની હતી. ઉંચાભાવ છતાં મોટી આયાત હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રીપોર્ટ પ્રમાણે ભારતમાં જુના સોનાના એક્સચેંજનું પ્રમાણ 20 ટકા વધ્યું છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિક ગાળામાં 44 ટકા વધીને 31.2 ટન થયું હતું.

  • ‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી

    ‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી

    આગામી દિવસોમાં સામાન્ય જનતાના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. આ દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોટું નિવેદન આપ્યું છે.

    તેમણે કહ્યું કે, ‘જો મિડલ ઈસ્ટમાં લાંબા સમય સુધી યુદ્ધની સ્થિતિ ચાલુ રહેશે, તો ભારતને ઈંધણના ભાવમાં વધારો કરવાની ફરજ પડી શકે છે.’સરકાર ક્યાં સુધી બોજ સહન કરશે? એક કાર્યક્રમમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે, ‘જો યુદ્ધની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે,

    તો સરકાર ભાવ વધારાનો કેટલોક ભાગ ગ્રાહકો પર નાખશે. રાજ્યના ઇંધણ રિટેલર્સ ક્રૂડ ઓઇલના વધતા ભાવનો બોજ સહન કરી રહ્યા છે. એપ્રિલમાં ભારતમાં ફુગાવો વધીને 3.48 ટકા થયો. આ અપેક્ષા કરતા ઓછો હતો કારણ કે સરકારે ક્રૂડ ઓઈલના વધેલા ભાવનો બોજ ઉઠાવ્યો હતો

    .’ વડાપ્રધાનની ખર્ચમાં ઘટાડો કરવાની અપીલ આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિદેશી હૂંડિયામણને બચાવવા માટે નાગરિકોને ‘સ્વૈચ્છિક ખર્ચ’માં ઘટાડો કરવા વિનંતી કરી છે.તેમણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવા પર ભાર મૂક્યો હતા.

    આ ઉપરાંત સોનાની ખરીદી મુલતવી રાખવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે સોના પરની આયાત ડ્યુટી પણ બમણી કરી દીધી છે. આર્થિક વૃદ્ધિ અને ફુગાવાનો અંદાજ રિઝર્વ બેન્કે આ નાણાકીય વર્ષમાં 6.9 ટકા વૃદ્ધિ (GDP Growth)નો અંદાજ લગાવ્યો છે, જેમાં ફુગાવાનો સરેરાશ 4.6 ટકા રહેવાની ધારણા છે.

    નોંધનીય છે કે,રિઝર્વ બેન્કે એપ્રિલમાં તેનો મુખ્ય નીતિ રેપો રેટ 5.25 ટકા રાખ્યો હતો. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધને કારણે સપ્લાય-ચેઇનમાં વિક્ષેપ પડી રહ્યો છે, જેની સીધી અસર ભારત પર થઈ રહી છે. જો આ વિક્ષેપ વધશે તો નાણાકીય સંકલન વધુ મુશ્કેલ બનશે અને આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી પડી શકે છે. હાલમાં ભારત સરકાર ક્રૂડ ઓઈલના ભાવ પર ચાંપતી નજર રાખી રહી છે, પરંતુ વૈશ્વિક અસ્થિરતા જો જોતા ઈંધણના ભાવમાં વધારો હવે અનિવાર્ય જણાતો હોય તેવું ચિત્ર ઊભું થયું છે.